Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું એક ગીત. લોકોને યાદ રાખવા માટે.
1 હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા,
મને સહાય કરવાં દોડી આવો.
2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે,
તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ.
જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે
તેઓ પાછા પડો
અને શરમ અનુભવો.
3 જેઓ મારી મશ્કરી કરે છે,
તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
4 જેઓ તમારું મુખ શોધે છે,
તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો;
જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે
તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.
5 પણ હું તો દરિદ્રી અને લાચાર છું,
હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો;
તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો;
હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.
1 હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
મને શરમિંદો કરશો નહિ.
2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
3 જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
4 હે મારા દેવ, તમે મને દુષ્ટોના
ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
5 હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
7 હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું.
પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.
8 તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે,
આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.
9 વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે
ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.
10 મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે,
મારો પ્રાણ લેવાં તાકી રહ્યાં છે;
તેઓ અંદરો અંદર મસલત કરે છે.
11 તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે,
આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”
12 હે દેવ, મારાથી દૂર ન જશો;
તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો;
અને મને સહાય કરો.
13 મારા આત્માનાં દુશ્મનો
ફજેત થઇને નાશ પામો;
મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા
તથા અપમાનથી ઢંકાઇ જાઓ.
14 પણ હું તમારી નિત્ય આશા રાખીશ;
અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ.
15 તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે.
તેઓની સંખ્યા કેટલી મોટી છે
તે હું જાણતો નથી.
16 હે પ્રભુ યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યોને પ્રગટ કરીશ!
તમારા ન્યાયીપણા વિષે લોકોને જણાવીશ.
17 હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે,
ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.
18 હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો.
તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.
19 હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે;
હે દેવ, તમે મોટાં કામો કર્યાં છે;
તમારા જેવો બીજો કોણ છે?
20 ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે;
તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો;
તમે અમને પુર્નજીવિત કરશો.
21 તમે મને અગાઉ કરતાંય વધારે માન આપશો,
અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.
22 હું તમારું સિતાર સાથે સ્તવન કરીશ,
હે મારા દેવ, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ;
હે ઇસ્રાએલનાં પવિત્ર દેવ;
હું વીણા સાથે તમારા સ્તોત્રો ગાઇશ.
23 હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે,
અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.
24 મારી જીભ આખો દિવસ તમારી દયા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે;
જેઓ મને હાની પહોંચાડવા ઇચ્છે છે
તેઓને લજ્જિત અને અપમાનિત કરાયાં છે.
આસાફનું માસ્કીલ.
1 હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે?
તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
2 હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા.
તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા.
સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.
3 દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો.
તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!
4 તમે જ્યાં અમારી મુલાકાત લો છો,
તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.
5 તેઓ જંગલનાં વૃક્ષો પર
કુહાડા ઉગામનારાઓના જેવા છે.
6 તેઓ તેનું તમામ નકશીદાર કામ
કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
7 તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે.
તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
8 તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.”
તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.
9 અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી,
નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે?
કોણ કરી શકે?
10 હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે?
શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
11 શા માટે તમે વિલંબ કરો છો?
શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો?
હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.
12 પુરાતન કાળથી, દેવ મારા રાજા છે.
તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.
13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં,
વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.
14 પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા
અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
15 તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી;
નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો.
16 દિવસ અને રાત બંને તમારા છે,
અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
17 પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે;
ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
18 હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે,
મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે,
આ વસ્તુઓ યાદ રાખો.
19 હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ;
તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
20 હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો,
આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
21 હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો.
દરિદ્રીઓ અને લાચારોને
તમારું સ્તવન કરવાને કારણ આપો.
22 હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો!
મૂર્ખો આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
23 જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ
અને બરાડાઓને તમે ના વિસરશો.
જ્ઞાનનાં ગુણગાન
28 “ત્યાં ચાંદીની ખાણો છે.
ત્યાં સોનું ગાળી તેને શુદ્ધ બનાવવા માટે એક જગા છે.
2 લોઢું જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે,
અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે.
3 માણસ અંધકારને ભેદે છે, કાળમીંઢ ખડકોને ખોદી કાઢે છે,
ખાણમાં ઊંડાઁમાં ઊંડે ઊતરીને કઇંક શોધી કાઢે છે.
4 ખનીજ ધાતુની શિરાના ચિહન દ્વારા કામદારો જમીનની અંદર નીચે ઊંડાણમા ખોદે છે.
તેઓ, લોકો રહે છે તેનાથી દૂર એવી જગ્યાએ જયાં કોઇ કદી ગયું નથી ત્યાં રહે છે.
તેઓ જમીનમાં નીચે ઊંડા ઊતરે છે.
5 ધરતીની ઉપર અનાજ ઊગે છે
પણ નીચે તો બધું અલગ જ છે
જાણે અગ્નિથી ઓગળી ગયું હોય એમ થાય છે.
6 તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે,
અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
7 શિકારી બાજ પક્ષીની આંખે પણ તે જમીનની નીચેનો રસ્તો દેખાતો નથી.
શિકારી પક્ષી પણ તે રસ્તો જાણતા નથી.
8 વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યુ નથી.
મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
9 પરંતુ લોકો જાણે છે, કેવી રીતે અચલ ખડકોને કોતરી કાઢવા
અને પર્વતોના મૂળિયાઓને કેવી રીતે ઊખાડી નાખવા.
10 તેઓ ખડકોમાં ભોંયરાઓ ખોદી
અને બધા ખડકોના ખજાનાઓ જુએ છે.
11 તેઓ નદીઓના મૂળ શોધી કાઢે છે
અને છૂપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે.
12 “પરંતુ તમને જ્ઞાન ક્યાંથી મળે?
સમજશકિત ક્યાં મળી શકે?
13 આપણે જાણતા નથી કે જ્ઞાન કેટલું કિંમતી છે.
પૃથ્વીપરના લોકો ધરતીમાં ખોદીને જ્ઞાન મેળવી શકતા નથી.
14 ઊંડાણ કહે છે, ‘એ અમારી પાસે પણ નથી.’
મહાસાગરો કહે છે, ‘એ અમારી પાસે નથી.’
15 તે સોનાથી ખરીદી શકાય નહિ.
આખી દુનિયામાં અનુભૂત જ્ઞાન ખરીદવા માટે ચાંદી પર્યાપ્ત નથી.
16 ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ
કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
17 સોના કે હીરા સાથે તેની તુલના થઇ શકે તેમ નથી.
કે સોનાના પાત્રથી પણ તે ખરીદી શકાય તેમ નથી.
18 એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી.
જ જ્ઞાનની કિંમત તો માણેકથી પણ વધુ ઊંચી છે.
19 કૂશ દેશના પોખરાજ પણ અનુભૂત જ્ઞાન જેટલા કિંમતી નથી.
શુદ્ધ સુવર્ણથી પણ તમે અનુભૂત જ્ઞાન ખરીદી શકો નહિ.
20 “તો અનુભૂત જ્ઞાન ક્યાંથી આવે છે?
આપણને સમજશકિત ક્યાંથી મળી શકે?
21 અનુભૂત જ્ઞાન પૃથ્વી પરની દરેક સજીવ વસ્તુથી છૂપાયેલું છે.
આકાશના પક્ષી પણ અનુભૂત જ્ઞાનને જોઇ શકતા નથી.
22 વિનાશ તથા મૃત્યુ કહે છે કે,
‘અમે અમારા કાનોએ
તેની અફવા સાંભળી છે.’
23 દેવ જ તે તરફનો માર્ગ જાણે છે,
એને એના રહેઠાણની ખબર છે.
24 કારણકે એને ધરતીના છેડાની જાણ છે,
આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે.
25 જ્યારે દેવ પવનનું વજન કરે છે
અને તે પાણીને માપથી નાખે છે.
26 જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો
અને મેઘર્ગજીત વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
27 તે વખતે દેવે અનુભૂત જ્ઞાન જોયું હતું. અને તે વિશે ધ્યાનપૂર્વક વિચાર્યુ.
દેવે જોયું હતું અનુભૂત જ્ઞાનની કેટલી મહત્તા હતી અને તે મંજૂર કર્યું.
28 તેણે માણસને કહ્યું,
‘યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે.
દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.’”
25 લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને દેવના સ્તોત્ર ગાતાં હતા. બીજા કેદીઓ તેઓને સાંભળતા હતાં. 26 અચાનક ત્યાં એક મોટો ધરતીકંપ થયો. તે એટલો બધો ભારે હતો કે તેનાથી કારાવાસના પાયા ધ્રુંજી ઊઠ્યા. પછી કારાવાસના બધા દરવાજા ઉઘડી ગયા. બધા કેદીઓ તેમની સાંકળોમાંથી મુક્ત થયા. 27 સંત્રી જાગી ઊઠ્યો. તેણે જોયું કે કારાવાસના દરવાજા ઉધડી ગયા હતા. તેણે વિચાર્યુ, કે કેદીઓ લગભગ ભાગી ગયા છે. તેથી સંત્રીએ તેની તલવાર ઉપાડી અને તેની જાતે આત્મહત્યા કરવા જતો હતો. 28 પરંતુ પાઉલે પોકાર કર્યો, “તારી જાતને ઈજા કરતો નહિ! અમે બધા અહી છીએ!”
29 સંત્રીએ કોઇકને દીવો લાવવા મારે કહ્યું, પછી તે અંદર દોડ્યો. તે ધ્રુંજતો હતો. તે પાઉલ અને સિલાસની સમક્ષ પગે પડ્યો. 30 પછી તે તેઓને બહાર લાવ્યો અને કહ્યું, “હે સાહેબો, મારે તારણ પામવા શું કરવું જોઈએ?”
31 તેઓએ તેને કહ્યું, “પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર અને તું બચી જઈશ. તું અને તારા ઘરમાં રહેતા બધા લોકો તારણ પામશે.” 32 તેથી પાઉલ અને સિલાસે પ્રભુનું વચન દરોગા અને તેના ઘરના બધા લોકોને કહ્યું. 33 તે રાતનો મોડો સમય હતો. પરંતુ સંત્રીએ પાઉલ અને સિલાસને લઈ જઈને તેઓના ઘા ધોયા. પછી સંત્રી અને તેના બધા લોકોને બાપ્તિસ્મા આપવામાં આવ્યું. 34 આ પછી સંત્રીએ પાઉલ અને સિલાસને ઘેર લઈ ગયો અને તેઓને માટે જમવાનું તૈયાર કરાવ્યું. તે અને તેના ઘરના બધા જ લોકોએ ખૂબ આનંદ કર્યો. કારણ કે તેઓ હવે દેવમાં વિશ્વાસ કરતા હતા.
35 બીજી સવારે આગેવાનોએ કેટલાક સૈનિકોને સંત્રીને કહેવા મોકલ્યા, “આ માણસોને મુક્ત કરો અને જવા દો!”
36 સંત્રીએ પાઉલને કહ્યું, “આગેવાનોએ તમને મુક્ત કરીને છોડી મૂકવા આ સૈનિકો મોકલ્યા છે. તમે હવે અહીથી જઈ શકો છો. શાંતિથી જાઓ.”
37 પરંતું પાઉલે સૈનિકોને કહ્યું, “તમારા આગેવાનોએ સાબિત કર્યુ નથી કે અમે ખોટું કર્યુ છે. પણ તેઓએ અમને લોકોની સામે માર્યા અને કારાવાસમાં પૂર્યા. અમે રોમન નાગરિકો છીએ. તેથી અમને હક્ક છે. હવે આગેવાનોની ઈચ્છા અમને ગુપ્ત રીતે જવા દેવાની છે. ના! આગેવાનોએ આવવું જોઈએ અને અમને બહાર લાવવા જોઈએ!”
38 સૈનિકોએ પાઉલે જે કહ્યું તે આગેવાનોને કહ્યું, જ્યારે આગેવાનોએ સાંભળ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે, ત્યારે તેઓ ડરી ગયા હતા. 39 તેથી તેઓએ આવીને પાઉલ અને સિલાસને કહ્યું કે તેઓ દિલગીર છે. તેઓ પાઉલ અને સિલાસને કારાવાસની બહાર લઈ ગયા અને તેમને શહેર છોડી જવા કહ્યું. 40 પરંતુ જ્યારે પાઉલ અને સિલાસ કારાવાસમાંથી બહાર આવ્યા. તેઓ લૂદિયાને ઘેર ગયા. તેઓએ ત્યાં કેટલાક વિશ્વાસીઓને જોયા અને તેઓને દિલાસો આપ્યો પછી પાઉલ અને સિલાસ વિદાય થયા.
ઈસુ તેના મૃત્યુ વિષે વાત કરે છે
27 “હવે હું ઘણો વ્યાકુળ થયો છું. મારે શું કહેવું જોઈએ? મારે એમ કહેવું, ‘પિતા, મને આ વિપત્તિના સમયમાંથી બચાવ?’ ના! હું આ વખતે આના માટે જ આવ્યો છું તેથી મારે દુ:ખ સહેવું જોઈએ. 28 પિતા, તારા નામનો મહિમા થાઓ!”
પછીથી એક વાણી આકાશમાંથી આવી, “મેં તેના નામનો મહિમા કર્યો છે. હું ફરીથી તે કરીશ.”
29 ત્યાં ઊભેલા લોકોએ તે વાણી સાંભળી. પેલા લોકોએ કહ્યું, તે ગર્જના હતી.
પણ બીજા લોકોએ કહ્યું, “એક દૂતે ઈસુ સાથે વાત કરી!”
30 ઈસુએ લોકોને કહ્યું, “તે વાણી તમારા માટે હતી મારા માટે નહિ. 31 હવે જગતનો ન્યાય કરવાનો સમય છે. હવે આ જગતનો શાસક (શેતાન) બહાર ફેંકાઇ જશે. 32 મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે અને જ્યારે આ બનશે ત્યારે હું બધા લોકોને મારી તરફ ખેંચીશ.” 33 ઈસુએ પોતાનું મૃત્યુ કેવી રીતે થશે તે દર્શાવવા આ કહ્યું.
34 લોકોએ કહ્યું, “પરંતુ આપણો નિયમ કહે છે કે ખ્રિસ્ત સદાકાળ જીવશે. તેથી તું શા માટે કહે છે કે, ‘માણસના દીકરાને ઊંચો કરાવવો જોઈએ?’ આ માણસનો દીકરો કોણ છે?”
35 પછી ઈસુએ કહ્યું, “ફક્ત થોડા વધુ સમય માટે તમારી સાથે પ્રકાશ રહેશે. જ્યાં સુધી તમારી સાથે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, તો પછી અંધકાર (પાપ) તમને પકડશે નહિ. જે વ્યક્તિ અંધકારમાં ચાલે છે તે જાણતી નથી કે તે ક્યાં જાય છે. 36 તેથી જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ હોય ત્યાં સુધી તમારો વિશ્વાસ પ્રકાશ પર રાખો. પછી તમે પ્રકાશના દીકરા બનશો.” જ્યારે ઈસુએ આ વાતો કહેવાનું પૂર્ણ કર્યુ ત્યારે તે વિદાય થયો. ઈસુ એવી જગ્યાએ ગયો જ્યાં લોકો તેને શોધી શકે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International