Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
મારી સાથે હમેંશા સારા રહેજો
અને મને કૃપા આપતા રહેજો.
2 હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
મારો કિલ્લો બનો અને મને બચાવો.
3 દેવ મારા ખડક અને કિલ્લો છો,
તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
અને તે પર ચલાવો.
4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
કારણ તમે મારો આશ્રય છો.
5 હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
હે સત્યના દેવ યહોવા,
તમે મારો ઉદ્ધાર કર્યો છે.
6 જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું,
હું ફકત યહોવામાં ભરોસો કરું છું;
7 યહોવા, હું તમારી દયાથી આનંદથી હરખાઇશ
તમે મારું સઘળું દુ:ખ જોયું છે,
મારા આત્માની વ્યથા નિહાળી છે.
8 તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી,
તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.
9 હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું,
મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ,
મારો પ્રાણ ક્ષીણ થાય છે.
10 મારા જીવનનો અંત આવે છે.
ઉદાસીમાં મારા વર્ષો નિસાસામાં પસાર થાય છે.
મારા પાપોએ મારી શકિત હણી લીધી છે
અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે.
11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે,
અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે.
મારા સબંધીઓને મારો ભય લાગે છે;
તેથી તેઓ મને અવગણે છે.
જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.
12 મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઇ ગયો છું;
હું ફેંકી દીધેલાં અને ફુટી ગયેલાં વાસણ જેવો છું.
13 મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે.
તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે.
14 પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું
મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.”
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
17 હે યહોવા, હું નિરાશ થઇશ નહિં;
કારણકે મેં તમને પ્રાર્થના કરી છે.
દુષ્ટજનોને લજ્જિત કરી
અને ચૂપચાપ તેઓને કબરોમાં સુવડાવી દો.
18 જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે
અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે.
19 જે ઉદારતા તમારા ભકતોને ખાતર તમે રાખી મૂકી છે,
તે તમે તમારા ભરોસો પર રાખનાર માટે ખૂબ દાખવી છે.
અને તમારો ભય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે.
20 તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો,
અને તેમનું કાવતરાબાજો વિરુદ્ધ રક્ષણ કરશો.
તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો.
21 યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે.
જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે.
22 અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે,
વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.
23 હે યહોવાના સર્વ ભકતો,
તમે તેમનાં પર પ્રેમ રાખો;
વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છે,
અને અભિમાનીને શિક્ષા કરે છે.
24 તમારામાંના બધાં, જેઓ યહોવાની મદદની રાહ જુએ છે.
ભલે તમારા હૃદય નિર્ભય અને હિંમતવાન બને, અને તમે સહુ ભલે બળવાન બનો!
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો;
મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.
2 તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો,
અને મારું રક્ષણ કરો.
3 ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો,
મારા આત્માને ખાત્રીથી કહો કે,
“તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”
4 જેઓ મારા જીવના તરસ્યા છે
તેઓ ફજેત થઇને બદનામ થાઓ;
જેઓ મારું નુકશાન ઇચ્છે છે,
તેઓ રઝળી પડો અને પાછા હઠો.
5 તેઓ પવનથી ઊડતાં ભૂંસા જેવા થાય,
અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો.
6 હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ;
યહોવાનો દૂત તેમની પાછળ પડો.
7 તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
8 તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો,
પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ;
પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.
9 પણ હું યહોવાથી આનંદિત થઇશ,
અને તેમનાં તારણમાં સુખી થઇશ.
10 મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે,
“હે યહોવા, તમારા જેવું કોણ છે?
જે લાચારને બળવાનથી બચાવે છે,
અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
11 નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે,
અને જેના વિષે મેં કદી સાંભળ્યું નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે.
12 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે,
તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.
13 તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો
પહેરીને મારી દિલગીરી બતાવી હતી.
તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?
14 તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો;
જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો.
15 તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં.
તે લોકો સાચા મિત્રો ન હતાં.
હું તેમને ઓળખતો પણ ન હતો.
પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ.
16 તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા,
તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો.
17 હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો.
મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.
18 હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ.
ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ.
19 મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે
તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.
20 કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી.
ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.
21 તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે,
તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”
22 હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો,
હવે તમે શાંત બેસી રહેશો નહિ;
અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.
23 હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ.
મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો.
24 હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો.
મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
25 તેમને એમ કહેવાની તક આપશો નહિ કે, “તેમનાથી વિમુખ થવાની અમારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે
અને તેમનો વિનાશ કર્યો છે.”
26 મારા નુકસાનમાં આનંદ પામનારાં સવેર્ની ફજેતી થાવ
અને તેઓ લજ્જિત થાવ.
મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ
અને શરમાઇ જાઓ.
27 જે લોકો મને નિર્દોષ ઠરાવવા માંગતા હોય
તેઓ હર્ષ મનાવે અને સુખી થાય.
તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે!
તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.”
28 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વાતો કરશે
અને તમારી પ્રસંશાની સ્તુતિ ગાશે.
અયૂબનો પ્રત્યુતર
19 ત્યારબાદ અયૂબે જવાબ આપ્યો:
2 “તમે ક્યાં સુધી મને આવો ત્રાસ આપ્યા કરશો?
અને મહેણાં મારીને મને કચડ્યા કરશો?
3 તમે પહેલેથીજ મને દસ વખત મહેણાં માર્યાં છે.
જયારે તમે મારા પર હુમલો કરો છો, તમને શરમ આવતી નથી!
4 જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી સમસ્યા છે.
તે તમને દુ:ખ નહિ પહોંચાડે.
5 તમારે ફકત તમારી જાતને મારી કરતા સારી દેખાડવી છે.
તમે કહો છો કે મારી સમસ્યા એ મારો દોષ છે.
6 આટલું સમજી લો દેવે મને વિના વાંકે દંડ્યો છે
અને મને ફાંસલામાં પકડી લીધો છે તે સાચું છે.
7 જો હું એમ બૂમો પાડું, ‘મારી મદદ કરો, મારા ઉપર હુમલો થયો છે.’
તો કોઇ મારી મદદે આવતું નથી. જો હું પોકાર કરું તોય મને ન્યાય મળતો નથી.
14 સગાંવહાંલાઓએ મને તજી દીધો છે.
મારા મિત્રો પણ મને ભૂલી ગયા છે.
15 મારા ઘરમાં જે મુલાકાતીઓ રહે છે તે તથા મારા નોકરો પણ મને પારકા જેવો ગણે છે.
તેઓને હું વિદેશી જેવો લાગુ છું.
16 મારા નોકરને હું બોલાવું છું અને તે આવતો નથી.
જો હું મદદ માટે આજીજી કરું તો પણ તે જવાબ આપતો નથી.
17 મારી પત્ની મારા શ્વાસનેજ ધિક્કારે છે,
અને મારા સગા ભાઇઓ પણ મારો તિરસ્કાર કરે છે.
18 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે;
અને જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મને ખરાબ શબ્દો કહે છે.
19 મારા ગાઢ મિત્રો મારો તિરસ્કાર કરે છે.
મારા સૌ પ્રિયજનો મારી વિરૂદ્ધ થઇ ગયાં છે.
20 “હું ખૂબ પાતળો છું, મારાં હાડકાંમાંથી મારી ચામડી ઢીલાશથી લટકે છે.
મારામાં થોડોકજ જીવ બાકી રહ્યો છે.
21 “હે મારા મિત્રો, મારા પર દયા કરો,
કારણકે દેવ મારી વિરૂદ્ધ થઇ ગયા છે.
22 શા માટે દેવની જેમ તમે પણ મારી પાછળ પડ્યાં છો?
મેં વેઠેલા દુ:ખોથી પણ તમને સંતોષ નથી થતો શું?
23 “હું ઇચ્છું છું, કોઇ હું શું બોલું છું તે યાદ રાખે અને તે એક ચોપડીમાં લખે.
હું ઇચ્છું છું મારા શબ્દો ટીપણી પર લખાય.
24 હું ઇચ્છું છું કે, હું જે કહું છું તે લોખંડની કલમથી સીસાથી ખડક
પર કોતરવામાં આવે તો તે સદાય રહેશે.
25 હું જાણું છું કે મારો ઉધ્ધાર કરનાર કોઇ છે.
હું જાણુ છું તે જીવે છે. અને આખરે તે અહીં પૃથ્વી પર ઊભો રહેશે અને મારો બચાવ કરશે.
26 મારી ચામડી ઉતરડાઇ જશે અને મારો દેહ પડી જશે પછી
પણ હું મારા દેવને મળીશ.
27 હા, હું તેમને મારી પોતાની આંખો વડે જોઇશ.
બીજું કોઇ નહિ હું પોતેજ દેવને જોઇશ
અને તે મને મનમાં કેટલો ક્ષુબ્ધ અનુભવ કરાવે છે તે હું તમને કહી શકતો નથી.
પાઉલ અને બાર્નાબાસનું સૈપ્રસ છોડવું
13 પાઉલ અને તેની સાથે જે લોકો હતા તેઓ પાફસથી દૂર હોડી હંકારી ગયા. તેઓ પર્ગે નામના પમ્ફલિયા શહેરમાં આવ્યા. યોહાન માર્ક તેઓને છોડીને યરૂશાલેમમાં પાછો ફર્યો. 14 તેઓએ પર્ગેનો તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો અને પિસીદિયાના નજીકના શહેર અંત્યોખમાં આવ્યા.
અંત્યોખમાં તેઓ વિશ્રામવારે યહૂદિઓના સભાસ્થાનમાં જઈને બેઠા. 15 મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકનાં લખાણો વંચાયા. પછી સભાસ્થાનના આગેવાનોએ પાઉલ અને બાર્નાબાસને સંદેશો મોકલ્યો, “ભાઈઓ, જો તમારી પાસે અહી લોકો માટે બોધરૂપી સંદેશ હોય તો, મહેરબાની કરીને બોલો!”
16 પાઉલ ઊભો થયો. તેણે તેનો હાથ ઊચો કર્યો અને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ અને બીજા લોકો તમે જે સાચા દેવની ભક્તિ કરો છો, કૃપા કરીને મને સાંભળો! 17 ઈસ્ત્રાએલના દેવે આપણા પૂર્વજોને પસંદ કર્યા છે. તેઓ મિસર દેશમાં અજ્ઞાત રીતે રહેતા હતા, ત્યારે તે સમય દરમ્યાન દેવે તેના લોકોને સફળ થવામાં મદદ કરી. દેવ તેઓને તે દેશમાંથી વધારે સાર્મથ્યથી બહાર લાવ્યો. 18 અને 40 વરસ સુધી દેવે રણમાં તેઓનું વર્તન ધીરજપૂર્વક સહન કર્યું. 19 દેવે કનાનની ભૂમિનાં સાત રાષ્ટ્રોનો વિનાશ કર્યો. 20 આ બધું લગભગ 450 વર્ષમાં બન્યું.
“આ પછી, દેવે આપણા લોકોને શમુએલ પ્રબોધકના સમય સુધી ન્યાયાધીશો આપ્યા. 21 પછી તે લોકોએ રાજાની માંગણી કરી. તેથી દેવે તેઓને કીશનો દીકરો શાઉલ આપ્યો. શાઉલ બિન્યામીનના કુળનો હતો. તે 40 વર્ષ રાજા રહ્યો. 22 પછી દેવે શાઉલને દૂર કરીને દાઉદને રાજા બનાવ્યો. દેવે દાઉદ વિષે જે કહ્યું તે આ છે, ‘દાઉદ, એ યશાઇનો દીકરો કે જે તેના વિચારોમાં મારા જેવો છે. હું તેની પાસે જે કરાવવા ઇચ્છું છું તે બધુંજ તે કરશે.’
23 “દેવે દાઉદના વંશમાંથી એકને ઈસ્રાએલનો તારનાર તરીકે ઊભો કર્યો. તે વંશજ ઈસુ છે. દેવે આ કરવાનું વચન આપ્યું. 24 ઈસુના આગમન પહેલા, યોહાને બધા યહૂદિ લોકોને બોધ આપ્યો. તેઓ પુસ્તાવો ઈચ્છે છે તે બતાવવા માટે યોહાને તે લોકોને બાપ્તિસ્મા લેવા કહ્યું. 25 જ્યારે યોહાન તેનું કાર્ય પુરું કરતો હતો, ત્યારે તેણે કહ્યું, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે ખ્રિસ્ત નથી. તે મોડેથી આવશે. હું તો તેના જોડા છોડવાને પણ યોગ્ય નથી.’
18 યહૂદિઓ હજુ પણ માનવા તૈયાર નથી કે ખરેખર તે આ માણસ સાથે આ બન્યું છે. તે તેઓ માનવા તૈયાર નહોતા કે આ માણસ આંધળો હતો અને હવે તે સાજો થયો છે. પણ પાછળથી તેઓએ તે માણસના માતા-પિતાને તેડાવ્યા. 19 તે યહૂદિઓએ તેના માતા-પિતાને પૂછયું, “શું આ તમારો દીકરો છે? તમે કહો કે તે આંધળો જનમ્યો હતો. તો હવે એ શી રીતે દેખતો થયો છે?”
20 માતાપિતાએ ઉત્તર આપ્યો, “અમે જાણીએ છીએ કે આ માણસ અમારો દીકરો છે અને અમે જાણીએ છીએ કે તે આંધળો જનમ્યો હતો. 21 પણ અમે જાણતા નથી કે હવે તે શી રીતે જોઈ શકે છે. અમે જાણતાં નથી તેની આંખો કોણે સાજી કરી. તેને પૂછો, એ પુખ્ત ઉમરનો છે અને તે તેની જાત માટે બોલશે.” 22 તેના મા બાપે આ કહ્યું, કારણ કે તેઓ યહૂદિ અધિકારીઓથી ડરતા હતા. માટે તેઓએ એમ કહ્યું, કારણ કે યહૂદિઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે ઈસુ એ જ ખ્રિસ્ત એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. 23 તેના કારણે તેના મા બાપે કહ્યું હતું કે તે પુખ્ત ઉંમરનો છે. તેને પોતાને પૂછો.
24 તેથી યહૂદિ અધિકારીઓએ જે આંધળો હતો તે માણસને બોલાવ્યો, તેઓએ તે માણસને ફરીથી અંદર આવવા કહ્યું, યહૂદિ અધિકારીઓએ કહ્યું, “તારે સત્ય કહીને દેવનો મહિમા કરવો જોઈએ. અમે જાણીએ છીએ કે આ માણસ (ઈસુ) એક પાપી છે.”
25 તે માણસે ઉત્તર આપ્યો, “જો તે પાપી હોય તો હું જાણતો નથી. હું એક વાત જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું જોઈ શકું છું.”
26 યહૂદિ અધિકારીઓએ પૂછયું, “તેણે (ઈસુએ) તને શું કહ્યું? તેણે તારી આંખો કેવી રીતે સાજી કરી?”
27 માણસે ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને તે કહ્યું હતું. પણ તમે મને ધ્યાનથી સાંભળ્યો નથી. તમે શા માટે તે ફરીથી સાંભળવા ઈચ્છો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ઈચ્છો છો?”
28 યહૂદિ અધિકારીઓ ગુસ્સે થયા અને તે માણસની નિંદા કરીને પછી તેઓએ કહ્યું, “તું તે માણસ (ઈસુ) નો શિષ્ય છે. અમે મૂસાના શિષ્યો છીએ. 29 અમે જાણીએ છીએ કે દેવ મૂસા સાથે બોલ્યો, પરંતુ અમે એ પણ જાણતા નથી કે એ માણસ (ઈસુ) કયાંથી આવે છે!”
30 તે માણસે ઉત્તર આપ્યો, “આ એક ઘણી અજાયબ વસ્તુ છે. તમે જાણતા નથી કે ઈસુ ક્યાંથી આવે છે. છતાં તેણે મારી આંખો સાજી કરી છે. 31 આપણે બધા જાણીએ છીએ કે દેવ પાપીઓને ધ્યાનથી સાંભળતો નથી. પરંતુ દેવ તે વ્યક્તિને ધ્યાનથી સાંભળશે જે તેની ભક્તિ કરતો હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય. 32 જ્યારથી દુનિયાનો આરંભ થયો ત્યાર પછીનો આ એક પ્રથમ પ્રસંગ છે કે કોઈ વ્યક્તિએ જન્મથી આંધળા માણસને સાજો કર્યો હોય. 33 આ માણસ (ઈસુ) દેવથી હોવા જોઈએ, જો તે દેવથી ના હોત તો તે આવું કશું કરી શકત નહિ.”
34 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “તું તો ભરપૂર પાપોમાં જનમ્યો છે! શું તું અમને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે?” અને યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો.
આત્મિક અંધાપો
35 ઈસુએ સાંભળ્યું કે યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો છે. ઈસુએ તે માણસને શોધ્યો અને કહ્યું, “શું તું માણસના દીકરામાં વિશ્વાસ કરે છે?”
36 તે માણસે પૂછયું, “સાહેબ, માણસનો દીકરો કોણ છે? મને કહે, તેથી હું તેના પર વિશ્વાસ મૂકી શકું!”
37 ઈસુએ તેને કહ્યું, “તેં તેને હમણા જ જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે માણસનો દીકરો છે.”
38 તે માણસે ઉત્તર આપ્યો, “હા પ્રભુ! મને વિશ્વાસ છે,” પછી તે માણસે નમન કરીને ઈસુનું ભજન કર્યુ.
39 ઈસુએ કહ્યું, “હું આ જગતમાં આવ્યો છું, જેથી કરીને જગતનો ન્યાય થઈ શકે. હું આવ્યો છું જેથી આંધળા લોકો જોઈ શકે અને હું આવ્યો છું, જેથી કરીને લોકો ધારે છે કે તેઓ જોઈ શકે છે તેઓ આંધળા થાય.”
40 કેટલાક ફરોશીઓ ઈસુની નજીક હતા. તેઓએ ઈસુને આ કહેતા સાંભળ્યો. તેઓએ પૂછયું, “શું? તું એમ કહે છે કે અમે પણ આંધળા છીએ?”
41 ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર આંધળા હોત તો તમને પાપનો દોષ ન લાગત, પણ તમે કહો છો કે તમે જુઓ છો તેથી તમે દોષિત છો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International