Book of Common Prayer
સંગીત નિર્દેશક માટે, બંસરી વાદ્ય માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના પર કાન ઘરીને
જરા મારા ચિંતન પર લક્ષ રાખો.
2 હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ,
હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ.
3 હે યહોવા, નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો,
જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું.
અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છુ.
4 હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી;
તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.
5 તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો,
અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.
6 હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ
અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.
7 પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ.
હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.
8 હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માર્ગે મને ચલાવો.
કારણ કે મારા દુશ્મનો મારા દરેક
પગલાં પર નજર રાખે છે;
મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.
9 કારણ, તેમની વાણીમાં કોઇ સચ્ચાઇ નથી,
તેઓનું હૃદય નીચતાથી ભરેલું છે.
તેઓ મધુરભાષી છે!
તેઓનું ગળું એક ઉધાડી કબર જેવુ છે.
તે પોતાની જીભે પ્રશંસા કરે છે.
10 હે દેવ, એ સૌને તમે દોષી ગણો,
અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો,
તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા
દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે.
11 પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો-તેમને હંમેશ માટે આનંદિત કરો,
તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.
12 હે યહોવા, જ્યારે તમે સજ્જન લોકોને આશીર્વાદ આપો છો
ત્યારે તમે તેની આજુબાજુ રક્ષણ કરતી ઢાલ જેવા છો.
નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
2 હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
3 હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
ક્યાં સુધી વિલંબ કરશો?
4 હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
કરી દયા દાખવી મને મરણથી બચાવો.
5 લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.
6 આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
7 મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.
8 ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
9 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.
1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
2 દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
3 ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
4 દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
5 તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
7 તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
8 નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
માટે તેઓ છુપાઇ જાય છે.
9 જેમ સિંહ ગુફામાં છુપાઇને
ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
12 હે યહોવા, ઊઠો! હે દેવ,
તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા
માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”
2 કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ,
તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે.
તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે,
અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
3 જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે,
તો પછી સારા લોકો શું કરી શકે?
4 યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે.
યહોવાનું રાજ્યાસન આકાશમાં છે.
તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે
તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
5 યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે
પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
6 દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે
અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
7 કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે,
જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.
અયૂબનો જવાબ
6 પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો:
2 “અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે
તોળી શકાય એમ હોત તો!
3 તો તે સમુદ્રોની રેતી કરતાઁ પણ વજનમાં વધારે હોત.
મારા વચનો મૂર્ખ જેવા લાગવાનું એજ કારણ છે.
4 સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે.
તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે.
દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે.
8 “અરે! દેવ મારી પ્રાર્થના સ્વીકારે
અને મારી આશા પૂરી કરે!
9 મને થાય છે દેવ મને કચરી નાખે,
જરા આગળ વધે અને મને મારી નાખે.
10 અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે,
મને એક વાતની ખુશી થશે,
કે આટલું બધું દુ:ખ હોવા છતાં મે પવિત્ર દેવનાં વચનો પ્રમાણે ચાલવાની ના પાડી નથી.
11 “હવે મારામાં એવું તે કર્યું બળ છે કે હું સહન કયેર્ જાઉં?
અને એવો તે કેવો મારો અંત આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?
12 શું હું કાઇં પથ્થર જેવો મજબૂત છું?
શું મારું શરીર પિત્તળનું બનેલું છે?
13 અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે
મારી પાસેથી સફળતા લઇ લીધી છે.
14 “મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ,
કદાચને તે સર્વસમર્થ દેવને ત્યજીદે.
15 પણ તમે, મારા ભાઇઓ, મને વિશ્વાસુ ન હતા.
હું તમારા પર વિશ્વાસ કરી શકું નહિ;
તમે ઝરણાં જેવા છો જે કોઇવાર વહે છે અને બીજી કોઇવાર નહિ.
21 તેવીજ રીતે તમે મારા કઠિન સમયમાં ગભરાઇ જઇને મારાથી મોઢું ફેરવી
અને મને મદદ કરવાની ના પાડી હતી.
લોદ અને યાફામાં પિતર
32 પિતરે યરૂશાલેમની આજુબાજુના બધા ગામોમાં યાત્રા કરી. તેણે વિશ્વાસીઓની મુલાકાત લીધી. જે લોદમાં રહેતા હતા. 33 લોદમાં તેને એક એનિયાસ નામનો પક્ષઘાતી માણસ મળ્યો. છેલ્લા આઠ વર્ષથી એનિયાસ તેની પથારીમાંથી ઊભો થઈ શકતો ન હતો. 34 પિતરે તેને કહ્યું, “એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊભો થા અને તારી પથારી પાથર! હવે તું તારી જાત માટે આ બધું કરી શકીશ!” એનિયાસ તરત જ ઊભો થયો. 35 લોદ તથા શારોનના મેદાનોના બધા જ લોકોએ તેને જોયો. આ લોકો પ્રભુ ઈસુ તરફ વળ્યા.
36 યાફા શહેરમાં ટબીથા નામની ઈસુની શિષ્યા હતી. (તેનું ગ્રીક નામ, દોરકસ, અર્થાત “હરણ.”) તે હંમેશા લોકો માટે શુભ કાર્યો કરતી. જે લોકોને પૈસાની જરુંર હોય તે લોકોને તે હંમેશા પૈસા આપતી. 37 જ્યારે પિતર લોદમાં હતો. ત્યારે ટબીથા માંદી પડી અને મૃત્યુ પામી. તેઓએ તેને નહવડાવી અને મેડી પરના ઓરડામાં સુવડાવી. 38 યાફામાંના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લોદમાં હતો. (લોદ યાફા નજીક છે.) તેથી તેઓએ બે માણસને પિતર પાસે મોકલ્યા. તેઓએ તેને વિનંતી કરી. મહેરબાની કરીને ઝડપથી આવ.
39 પિતર તૈયાર થઈ ગયો અને તેઓની સાથે ગયો. જ્યારે તે આવી પહોંચ્યો, તેઓ તેને મેડી પરના ઓરડામાં લઈ ગયા. બધી જ વિધવાઓ પિતરની આજુબાજુ ઊભી રહી. તેઓ રુંદન કરતાં હતાં. ટબીથા જ્યારે જીવતી હતી ત્યારે જે વસ્ત્રો બનાવ્યા હતા તે તેઓએ પિતરને દેખાડ્યા. 40 પિતરે બધાજ લોકોને ઓરડાની બહાર કાઢ્યા. તેણે ધૂંટણીએ પડીને પ્રાર્થના કરી. પછી તેણે ટબીથાના મુડદા તરફ ફરીને કહ્યું, “ટબીથા, ઊભી થા!” તેણે તેની આંખો ઉઘાડી. જ્યારે તેણે પિતરને જોયો, તે ત્યાં બેઠી થઈ. 41 પિતરે તેનો હાથ લંબાવ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને અંદર ઓરડામાં બોલાવ્યા. તેણે તેઓને ટબીથા બતાવી; તે જીવતી હતી!
42 યાફામાં દરેક સ્થળે લોકોએ આ સંદર્ભમાં સાંભળ્યું હતું. આ લોકોમાંના ઘણાએ પ્રભુમાં વિશ્વાસ કર્યો. 43 પિતર યાફામાં ઘણા દિવસો રહ્યો. તે યાફામાં સિમોન નામના એક ચમારને ત્યાં રહ્યો.
ઘણા શિષ્યોએ ઈસુને છોડી દીધા
60 ઈસુના શિષ્યોએ આ સાંભળ્યું, શિષ્યોમાંના ઘણાએ કહ્યું, “આ ઉપદેશ સ્વીકારવો ઘણો કઠિન છે. આ ઉપદેશ કોણ સ્વીકારી શકે?”
61 ઈસુએ જાણ્યું કે તેના શિષ્યો આ વિષે ફરિયાદ કરે છે. તેથી ઈસુએ કહ્યું, “શૂં આ ઉપદેશ તમને ઠોકર ખવડાવે છે? 62 તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો તે જગ્યાએ પાછો ફરતો જોઈને તમને પણ ઠોકર લાગશે? 63 તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે. 64 તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.” (ઈસુ જે વિશ્વાસ કરતા નથી તે લોકોને જાણે છે. ઈસુએ આરંભથી જ આ વાતો જાણી અને કયો માણસ તેનો દ્રોહ કરવાનો છે તે પણ ઈસુએ જાણ્યું.) 65 ઈસુએ કહ્યું, “આ કારણે જ મેં કહ્યું, ‘જો પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા નહિ દે તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શકશે નહિ.’”
66 આ બાબતો ઈસુએ કહ્યા પછી, ઈસુના ઘણા શિષ્યો તેને છોડી ગયા. તેઓએ ઈસુની પાછળ જવાનું બંધ કર્યુ.
67 ઈસુએ બાર પ્રેરિતોને પૂછયું, “તમે પણ મને છોડીને જવા ઈચ્છો છો?”
68 સિમોન પિતરે ઈસુને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે ક્યાં જઈશુ? તારી પાસે જે વાતો છે તે અનંતજીવન આપશે. 69 અમને તારામાં વિશ્વાસ છે. અમે જાણીએ છીએ કે દેવનો પવિત્ર એક તું જ છે.”
70 પછી ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમારામાંથી તે બધા બાર પસંદ કર્યા છે છતાં પણ તમારામાંનો એક શેતાન છે.” 71 ઈસુ સિમોનના દીકરા યહૂદા ઈશ્કરિયોત વિષે વાત કરતોં હતો. યહૂદા બાર પ્રેરિતોમાંનો એક હતો. પરંતુ પાછળથી યહૂદા ઈસુને સુપ્રત કરનાર હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International