Book of Common Prayer
1 અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
2 એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
3 અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
4 આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
કેવી રીતે ગાઇ શકીએ?
5 હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
“મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
6 જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.
7 હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
8 હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
9 હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
તે ધન્ય કહેવાશે.
દાઉદનું સ્તુતિગાન.
1 યહોવા મારો ખડક છે,
તેની સ્તુતિ કરો;
તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે;
તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
2 તે મારો ગઢ છે; મારો કિલ્લો છે;
મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે;
તે મારા રક્ષક છે;
તે મારા લોકોને
મારે તાબે કરે છે.
યહોવા મારો સાચો પ્રેમ છે.
3 હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો?
તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
4 લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે.
લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.
5 હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો;
પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
6 વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય.
તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
7 સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો,
મને બહાર ખેચી કાઢો,
અને વિદેશીઓથી મને બચાવો.
8 તેઓ જૂઠું બોલે છે,
તેઓ છેતરપિંડી કરે છે.
9 હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ,
તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10 તે રાજાઓને તારણ આપે છે;
તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો;
આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે
તે લોકોથી તમે મને ઉગારો.
12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ;
અને તે અમને હંમેશા મળતું રહે.
અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને
દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14 અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ;
સર્વત્ર શાંતિ વિસ્તરો;
શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.
15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો.
જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
2 તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
3 તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
4 તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
5 તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
જેથી તે કદી ચલિત થાય નહિ.
6 તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
7 તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
8 તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
અને ખીણો ઊંડી થઇ ગઇ.
9 તમે મહાસાગરોને હદ બાંધી આપી;
જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.
10 તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં;
અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.
11 તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે;
અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.
12 પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે;
અને વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
13 તમે પર્વતો પર વરસાદ વરસાવો છો;
અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
14 તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે,
તે આપણને ખેડવા છોડ આપે છે,
અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
15 દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી,
આપણી ત્વચાને નરમ કરવા તેલ
અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.
16 યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો;
જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.
17 ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે;
વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
18 ઊંચા પર્વતો પર જંગલી બકરાને
અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
19 ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું,
ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.
20 રાત્રિ અને અંધકાર તમે મોકલો છો;
જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.
21 પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે;
તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.
22 પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે;
અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં.
23 માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે;
અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.
24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
25 જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના
અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ
તથા જાનવરો તેની અંદર છે!
26 અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે;
વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.
27 તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો;
તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.
28 તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે;
તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે
29 તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે,
તેઓનો પ્રાણ તેઓને છોડે છે
અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે
તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
30 પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે;
અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.
31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો;
અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
32 જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે;
અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.
33 હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ;
હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ
કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
તમે યહોવાની સ્તુતિ કરો!
અયૂબનો આર્તનાદ અને અફસોસ
3 અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે. 2 અયૂબે કહ્યું:
3 “મને એમ થાય છે કે હું જન્મ્યો તે દિવસ હંમેશ માટે અર્દ્રશ્ય થઇ જાય!
4 મને થાય છે તે દિવસ અંધકારમાં જ હોત,
અને હું ઇચ્છું છું દેવ તે દિવસ ભૂલી જાય!
મને થાય છે તેઓએ કહ્યું કે ‘તે એક છોકરો છેં,’
તે રાત આવી ન હોત! હું ઇચ્છું છું
તે દિવસે કોઇ રોશની ઝળકતી ન હોત.
5 હું ઇચ્છું છું તે દિવસ અંધકાર ભર્યો હોત એવો કાળો જેવું કાળું મૃત્યુ, હું ઇચ્છું છું,
તે દિવસે વાદળો સંતાઇ ગયા હોય, હું ઇચ્છું છું,
હું જન્મ્યો તે દિવસથી કાળાં વાદળો પ્રકાશને બિવડાવી ભગાડી મૂકે.
6 હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે,
પંચાગમાં તે સુખનો દિવસ કોઇ
મહિનામાં પણ તે ન ગણાય.
7 તે રાત્રિ કોઇ વસ્તુ ઉત્પન કરે નહિ,
તે રાત્રે આનંદની એકપણ બૂમ ન સંભળાય.
8 કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે.
તો તેઓને હું જન્મ્યો હતો તે દિવસને શાપ ઉપર શાપ આપવા દો.
9 તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે,
તે રાત્રિ ભલે સવાર થવાની રાહ જોયા કરે
પરંતુ પ્રકાશ તે આ ઉગતા સૂર્યના પહેલા કિરણોને ન જુએ.
10 તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ
તેથી મને આ મુશ્કેલીઓ દેખાયા વગર રહી નહિ.
11 હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો?
જન્મતાંજ કેમ પ્રાણ ન છોડ્યો?
12 મારી માતાએ શા માટે મને તેના ઘૂંટણો પર રાખ્યો?
માતાએ શા માટે મને ધવડાવ્યો?
13 જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત
તો અત્યારે મને શાંતિ હોત મને થાય છે,
હું આરામમાં ઊંઘતો હોત.
14 જેઓ અગાઉ પૃથ્વી પર રાજાઓ અને વિદ્વાન માણસો સાથે રહેતા હતા
તે માણસોએ પોતાને માટે મકાનો બંધાવ્યા હતા તે અત્યારે નાશ પામી ગયા છે અને સમાપ્ત થઇ ગયા છે.
15 અને હું ધનવાન રાજકર્તાઓ જેમણે તેમના ઘરો અઢળક સોના અને ચાંદીથી ભરી દીધેલા છે
તેઓની સાથે શાંતિમય અને સુખદાયી થઇ ગયો હોત!
16 મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે
હું એ બાળક ન હતો?
મને થાય છે જેણે દિવસનો પ્રકાશ જોયો નથી
તે એક બાળક જેવો હું હોત!
17 અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવાનું બંધ કરે છે
અને જે લોકો થાકેલા છે તેઓને કબરમાં શાંતિ લાગે છે.
18 ગુલામોને પણ કબરમાં આરામ મળે છે
કારણકે તેઓને ચોકીદારો તેના પર બૂમો પાડતા તે સંભળાતું નથી.
19 બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ
અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે.
20 “માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે.
એક દુ:ખી આત્માવાળા માણસને શા માટે જીવન અપાય છે?
21 તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતું નથી.
તે દુ:ખદાયી માણસ છૂપાયેલા ખજાના કરતા મોતને વધારે શોધે છે.
22 તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે.
તેઓ તેઓની સમાધિ મેળવવાથી આનંદ પામશે.
23 પરંતુ દેવ તેઓની આસપાસ રક્ષા કરતી એક દિવાલ છે
અને તેઓનું ભવિષ્ય ગુપ્ત રાખે છે.
24 જ્યારે ખાવાનો સમય થાય છે ત્યારે હું માત્ર દુ:ખથી નિસાસો નાખું છું, આનંદનો નહિ
અને મારી ફરિયાદો બહાર પાણીની જેમ રેડાય છે.
25 મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે
અને બરોબર તેમજ થયું.
26 હું શાંત રહીં શકતો નથી,
હું સ્વસ્થ થઇ શકતો નથી,
હું આરામ કરી શકતો નથી,
હું ખૂબજ ઉદ્ધિગ્ન થયો છું.
જેની મને વધારે બીક લાગતી હતી તેજ મને થયું.”
10 ત્યાં દમસ્કમાં ઈસુનો શિષ્ય હતો. તેનું નામ અનાન્યા હતું. પ્રભુ તેને દર્શન દઇને બોલ્યો. પ્રભુએ કહ્યું, “અનાન્યા!”
અનાન્યાએ કહ્યું, “હું અહી છું, પ્રભુ.”
11 પ્રભુએ અનાન્યાને કહ્યું, “ઊભો થા અને પાધરા નામના રસ્તે જા. યહૂદિયાનું ઘર શોધી કાઢ. તાર્સસના શહેરમાં શાઉલ નામના માણસની તપાસ કર. તે હમણાં ત્યાં પ્રાર્થના કરે છે. 12 શાઉલે એક દર્શન જોયું છે. આ દર્શનમાં આનાન્યા નામનો માણસ તેની પાસે આવ્યો અને તેના પર હાથ મૂક્યો. પછી શાઉલ ફરિથી જોઈ શક્યો.”
13 પણ આનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિષે કહ્યું છે. તેઓએ યરૂશાલેમમાં તારા પવિત્ર લોકોને કેટલું બધું દુ:ખ આપ્યું હતું તેના સંબંધમાં મને કહ્યું હતું. 14 હવે શાઉલ અહીં દમસ્કમાં આવ્યો છે. મુખ્ય યાજકોએ જે લોકોને તારામાં વિશ્વાસ છે તે બધાને પકડવા માટેનો તેને અધિકાર આપ્યો છે.”
15 પણ પ્રભુએ અનાન્યાને કહ્યું, “જો! મેં એક અગત્યના કામ માટે શાઉલને પસંદ કર્યો છે. તેણે રાજાઓને, યહૂદિ લોકોને અને બીજા રાષ્ટ્રોને મારા વિષે કહેવું જોઈએ. 16 મારા નામે એને કેટલું બધું દુ:ખ સહન કરવું પડશે. એ હું તેને બતાવીશ.”
17 તેથી અનાન્યા ત્યાંથી છોડીને યહૂદાના ઘરે ગયો. તેણે તેના હાથો શાઉલ પર મૂક્યા અને કહ્યું, “શાઉલ, મારા ભાઈ, પ્રભુ ઈસુએ મને મોકલ્યો છે. તું જ્યારે અહીં આવ્યો ત્યારે રસ્તા પર જે તને દેખાયો તે એ જ છે. ઈસુએ મને એટલા માટે મોકલ્યો કે જેથી તું ફરીથી જોઈ શકે. અને તું પવિત્ર આત્માથી ભરપૂર થાય.” 18 અચાનક તેની આંખોમાંથી છાલાં જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે જોઈ શકવા સમર્થ બન્યો, શાઉલ ઊભો થયો અને તે બાપ્તિસ્મા પામ્યો. 19 પછી તેણે થોડુંક ખાધું અને ફરીથી સાર્મથ્ય અનુભવવા લાગ્યો.
શાઉલનો જમસ્કમાં બોધ
શાઉલ દમસ્કમાં ઈસુના શિષ્યો સાથે થોડા દિવસો માટે રહ્યો.
41 યહૂદિઓએ ઈસુ વિષે ફરિયાદો શરું કરી. કારણ કે ઈસુએ કહ્યું હતું કે, “હું આકાશમાંથી નીચે ઉતરેલી રોટલી છું.” 42 યહૂદિઓએ કહ્યું, “આ ઈસુ છે. અમે તેના માતાપિતાને ઓળખીએ છે. ઈસુ, યૂસફનો દીકરો છે. તે કેવી રીતે કહી શકે કે, ‘હું આકાશમાંથી નીચે આવ્યો છું’?”
43 પણ ઈસુએ કહ્યું, “તમે માંહોમાંહે ફરિયાદો કરવાનું બંધ કરો. 44 તે પિતા એ જ મને મોકલ્યો છે. અને તે જ પિતા લોકોને મારી પાસે લાવે છે. હું તે લોકોને છેલ્લા દિવસે પાછા ઊઠાડીશ. જો પિતા વ્યક્તિને મારી પાસે લાવતા નથી, તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શક્તી નથી. 45 પ્રબોધકોનાં પુસ્તકોમાં આ લખેલું છે. ‘દેવ બધા લોકોને ઉપદેશ આપશે.’ લોકો પિતાને ધ્યાનથી સાંભળે છે અને તેની પાસેથી શીખે છે. તે લોકો મારી પાસે આવે છે. 46 હું સમજતો નથી કે કોઈએ પિતાને જોયો હોય. ફક્ત જે દેવ પાસેથી આવ્યો છે તેણે જ પિતાને જોયો છે.
47 “હું તમને સાચું કહું છું, જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે છે તો તેને અનંતજીવન છે. 48 હું રોટલી છું જે જીવન આપે છે. 49 તમારા પૂર્વજો માન્ના (અન્ન) ખાધું છે, જે દેવે તેઓને રણમાં આપ્યું હતું. પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. 50 હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરે છે. જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય છે તે કદાપિ મૃત્યુ પામશે નહિ. 51 હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે, જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે. આ રોટલી મારું શરીર છે. હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International