Book of Common Prayer
મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.
1 મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
2 હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
તમે મારા આત્માને બચાવો.
3 હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
અને કેદારનાં તંબુઓમાં વસું છું.
6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
હું ધરાઇ ગયો છું.
7 જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.
મંદિર તરફ ચઢવા માટેનું ગીત.
1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું,
મને સહાય ક્યાંથી મળે?
2 આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર
યહોવા પાસેથી મને સહાય મળે છે.
3 તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ.
તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
4 જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી
અને નિદ્રાવશ થતો નથી.
5 યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે;
યહોવા તમારા રક્ષક છે.
6 સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે,
અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે.
7 યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે.
યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
8 તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે.
તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.
મંદિરે ચઢવાનું ગીત.
1 યરૂશાલેમમાં, યહોવાના મંદિરમાં જવાનું
મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.
2 અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઊભા રહ્યા.
3 ફરી એક વખત યરૂશાલેમ
એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.
4 ઇસ્રાએલના સવેર્ કુળો જે યહોવાનાં પોતાના છે તેઓ તેમનો આભાર માનવા;
અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.
5 જુઓ! ત્યાં નગરનાં દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ
લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઊભા કર્યા છે.
6 યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો;
જેઓ તેમને ચાહે છે તેને ત્યાં શાંતિ મળો.
7 ઓ યરૂશાલેમ, તારા નગરકોટની અંદર શાંતિ થાઓ;
અને તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.
8 મારા ભાઇઓ તથા મારા મિત્રો માટે હું પ્રાથીર્ રહ્યો છું.
તારામાં શાંતિ થાઓ.
9 યહોવા અમારા દેવના મંદિરને માટે
હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.
મંદિરે ચઢવાનું ગીત.
1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ;
હું તારા ભણી આંખ ઊંચી કરું છું.
2 જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે;
જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે;
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય
ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે.
3 અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો;
ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
4 પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર
પૂરતું અપમાન અને દોષારોપણ થયું.
મંદિર પર ચઢવા માટેનું દાઉદનું ગીત.
1 ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે;
જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
2 હા, જ્યારે લોકોએ અમારા પર હુમલો કર્યો
ત્યારે જો યહોવા અમારા પક્ષમાં ન હોત.
3 તો દુશ્મનો અમને જીવતા ગળી ગયા હોત;
અને તેઓના કોપથી અમારો નાશ થયો હોત.
4 ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત;
અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત.
5 તે અભિમાની માણસોએ અમને
પાણીમાં ડૂબાડી દીધા હોત.
6 યહોવાને ધન્ય છે કે જેણે અમને તેઓના દાંતમાં શિકાર તરીકે પકડાવા ન દીધા,
અને તેમણે અમારો નાશ થવા દીધો નહિ.
7 જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય;
તેમ અમારા જીવ બચી ગયા છે;
જાળ તૂટી ગઇ છે અને અમે બચી ગયા છીએ.
8 આકાશ અને પૃથ્વીના સર્જનહાર;
યહોવા જ અમારા મદદગાર છે.
મંદિર ચઢવાનું ગીત.
1 જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે,
તેઓને કદી હલાવામાં આવશે નહિ
તેઓ સદાકાળ ટકી રહેશે.
2 જેમ યરૂશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે;
તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે.
3 કારણકે દુષ્ટ લોકો સદાકાળ ભલા માણસોના પ્રદેશ ને તાબામાં રાખી ન શકે,
નહિ તો સારા લોકો દુષ્કર્મ કરવાનું શરુ કરે.
4 હે યહોવા, જેઓ સારાઁ છે;
અને જેઓના હૃદય યથાર્થ અને પવિત્ર છે તેમની ભલાઇ કરો.
5 દેવ, કુટીલ લોકોને જેઓ અન્ય દુષ્કર્મો કરવા વાળા
લોકોની સાથે કુટીલ કર્મો કરે છે તેમને દૂર લઇ જાય છે.
ઇસ્રાએલમાં શાંતિ પ્રસરે!
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
ત્યારે વિદેશીઓએ કહ્યું,
“યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
જેથી અમે આનંદ પામીએ છીએ.
4 હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
6 જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.
સુલેમાનનું મંદિર ચઢવા માટેનું ગીત.
1 જો યહોવા ઘર ન બાંધે તો;
બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે,
અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો;
ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
2 જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી
સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી,
કારણકે તે તેમને ચાહનારા
પ્રત્યેકને આરામ આપે છે.
3 બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે.[a]
તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
4 યુવાવસ્થામાંના પુત્રો તો;
બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે.
જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે
ત્યારે તે પરાજ્જિત નહિ થાય.
કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.
દાનવંશીઓએ કરેલી મીખાહની મૂર્તિઓની ચોરી
18 તે દિવસોમાં ઈસ્રાએલમાં કોઈ રાજા ન હતો અને દાનકુળસમૂહના લોકો સ્થાયી થવા માંટે સ્થળ શોધી રહ્યાં હતાં. કારણ કે તેઓને પ્રદેશનો એક ભાગ ઈસ્રાએલના બીજા કુળસમૂહોની સાથે આપવામાં આવ્યો નહતો.
2 તેથી દાનના કુળસમૂહે પાંચ શૂરવીર પુરુષોને સોરાહ અને એશ્તાઓલ નગરોમાંથી પસંદ કર્યા, તેઓએ સ્થાયી થવા માંટે અને તેઓના કુળના ઉછેર માંટે યોગ્ય સ્થળ શોધવું હતું. તેથી તેઓએ “જાઓ અને દેશની શોધ કરો” કહીને પ્રદેશની શોધ કરવા આ શૂરવીરોને મોકલ્યા.
એફ્રાઈમના પર્વત ઉપર પહોંચ્યા અને મીખાહના ઘરે રાત રોકાયા, 3 તેઓ જ્યારે ત્યાં હતાં, તેઓએ લેવીનો અવાજ ઓળખી લીધો અને તેના તરફ વળીને તેને પૂછયું, “તને અહી કોણ લઈ આવ્યું? અહીં તું શું કરે છે? તું અહી શા માંટે છે?”
4 તેણે મીખાહે તેના માંટે જે કંઈ કર્યુ હતું તે તેઓને કહી દીધું અને કહ્યું કે, “તેણે મને કામ રાખ્યો છે અને હું તેનો યાજક છું.”
5 પેલા લોકોએ કહ્યું, “સારું, તો અમાંરા તરફથી દેવને પ્રશ્ન કર કે અમાંરો આ પ્રવાસ સફળ થશે કે કેમ?”
6 યાજકે કહ્યું, “શાંતિથી જાઓ. તમાંરા પ્રવાસ ઉપર યહોવાની દયા દૃષ્ટિ છે.”
7 તેથી તે પાંચ જણ ત્યાંથી નીકળીને “લાઈશ” પહોચ્યા. ત્યાં તેમણે જોયું તો લોકો સિદોનના લોકોના શાસન હેઠળ નિશ્ચિંત જીવન ગાળતા હતાં. તે લોકોને શાંતિ હતી અને કોઈ ચિંતા નહોતી તેઓ એકબીજા સાથે ઝગડો કરતા ન હતાં, અત્યાચાર કરનાર કોઈ ન હતાં. તેઓ સિદોનીના લોકોથી ખૂબ દૂર રહેતા હતાં અને તેઓએ કોઈની પણ સાથે કોઈ કરાર કર્યા ન હતાં.
8 તેઓ સોરાહ અને એશ્તાઓલમાં પોતાના ભાઈઓ પાસે પાછા ફર્યા અને ત્યાં તેમને પૂછવામાં આવ્યું, “શું સમાંચાર છે?”
9 તેમણે કહ્યું, “ચાલો, આપણે જઈએ અને લાઈશ ઉપર હુમલો કરીએ. અમે એ ભૂમિ જોઈ છે અને તે બહુ સારી છે. આપણે અહીં સુસ્ત બેસી રહેવું ન જોઈએ, જલદી કરો, ઉભા થાવ અને તે દેશનો કબજો લઈ લો. 10 તમે ત્યાં જશો ત્યારે જોશો કે ત્યાંના લોકો નિશ્ચિંત છે. તે દેશ વિશાળ છે, દેવે તમાંરા હાથમાં એવો દેશ સોંપી દીધો છે જયાં કોઈ વાતની ખોટ નથી.”
11 આથી દાનકુળસમૂહના 600 સશસ્ત્ર સૈનિકો સોરાહ અને એશ્તાઓલથી નીકળી પડયા. 12 તેમણે જઈને યહૂદાના પ્રદેશમાં કિર્યાથ-યઆરીમમાં છાવણી નાખી, તેથી એ જગ્યા આજે પણ દાનની છાવણીને નામે ઓળખાય છે. એ કિર્યાથ-યઆરીમની પશ્ચિમેં આવેલી છે. 13 ત્યાંથી તેઓ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહને ઘેર ગયા.
14 આ પાંચ જણ જેઓ “લાઈશ” ની આજુબાજુના પ્રદેશમાં લોકો વિશે જાણવા ગયા હતાં તેમણે પોતાના ભાઈઓને કહ્યું, “ત્યાં બધામાંથી એક ઘરમાં ચાંદીની એક મૂર્તિ તથા એક એફ્રોદ અને થોડા ઘરબારના દેવો છે! તમે શું વિચારો છો? આપણે શું કરવું જોઈએ?” 15 આથી તેઓ એ તરફ વળીને લેવી રહેતો હતો ત્યાં મીખાહને ઘેર ગયો અને તેને અભિનંદન આપ્યા.
8 1-3 શાઉલ સંમત હતો કે સ્તેફનની હત્યા કરવી એ સારી બાબત હતી.
વિશ્વાસીઓ માટે સંકટો
કેટલાક ધાર્મિક માણસોએ સ્તેફનને દફનાવ્યો. તેઓએ તેના માટે ઘણું રૂદન કર્યુ. તે જ દિવસે યરૂશાલેમમાં યહૂદિઓએ વિશ્વાસીઓના સમૂહની સતાવણી શરૂ કરી. યહૂદિઓએ તેઓને ખૂબ સંતાપ આપ્યો. શાઉલ પણ આ સમૂહનો વિનાશ કરવા પ્રયત્ન કરતો હતો. શાઉલ તેઓનાં ઘરોમાં ઘૂસી જતો. તે સ્ત્રી પુરુંષોને બહાર ઘસડી લાવીને બંદીખાનામાં નાખતો. બધાજ વિશ્વાસીઓએ યરૂશાલેમ છોડ્યું. માત્ર પ્રેરિતો જ રહ્યા. વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનમાં જુદા જુદા સ્થળોએ ગયા. 4 વિશ્વાસીઓ સર્વત્ર વિખરાઈ ગયા. જે જે જગ્યાએ વિશ્વાસીઓ ગયા ત્યાં તેઓએ લોકોને સુવાર્તા પ્રગટ કરી.
ફિલિપનો સમારીઆમાં બોધ
5 ફિલિપ સમારીઆના શહેરમાં ગયો ત્યાં તેણે ઈસુ વિષે બોધ આપ્યો. 6 ત્યાંના લોકોએ ફિલિપને સાંભળ્યો અને તેઓ બધાએ ફિલિપે જે કંઈ કહ્યું તે કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળ્યું. 7 આ લોકોમાંના ઘણાંને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા. પણ ફિલિપે અશુદ્ધ આત્માઓને તેઓમાંથી બહાર કાઢ્યા. જ્યારે તેઓ બહાર નીકળ્યા ત્યારે તેઓએ ઘણો મોટો અવાજ કર્યો. ત્યાં ઘણા લકવાગ્રસ્ત અને અપંગ માણસો પણ હતા. ફિલિપે આ લોકોને પણ સાજા કર્યા. 8 તે શહેરના લોકો આના કારણે ઘણા આનંદ વિભોર થયા.
9 પણ તે શહેરમાં એક સિમોન નામનો માણસ હતો. ફિલિપના આવતા પહેલા સિમોન ત્યાં જાદુના ખેલ કરતો હતો. તે સમારીઆના બધા લોકોને તેની યુકિતોથી અચરજ પમાડતો હતો. તે તેની જાતને મહાન માણસ કહેવડાવવાનો દંભ કરતો. 10 બધા જ લોકો ઓછા મહત્વના કે વધારે મહત્વના-સિમોન જે કહેતો તે માનતા. લોકો કહેતા, “આ માણસ પાસે દેવની સત્તા છે. ‘જે મહાન સત્તા’ કહેવાય છે!” 11 સિમોન તેના જાદુઇ ખેલોથી લોકોને આશ્ચર્યચકિત કરતો રહ્યો. 12 પણ ફિલિપે લોકોને દેવના રાજ્ય અને ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા કહી, પુરુંષો અને સ્ત્રીઓએ ફિલિપમાં વિશ્વાસ મૂક્યો. તેઓએ બાપ્તિસ્મા લીધું. 13 સિમોને પોતે પણ વિશ્વાસ મૂક્યો અને બાપ્તિસ્મા પામ્યો. સિમોન ફિલિપની સાથે રહ્યો. ફિલિપે જે અદભૂત ચમત્કારો અને સાર્મથ્યવાન કાર્યો કર્યા તે જોઈ તે ઘણો નવાઈ પામ્યો.
30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.
ઈસુ યહૂદિઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખે છે
31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ. 32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.
33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે. 34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. 35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.
36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો. 37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી. 38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી. 39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે! 40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”
41 “મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી. 42 પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. 43 હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો. 44 એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 45 એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી. 46 જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે. 47 પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International