Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 102

એક ગરીબ માણસની પ્રાર્થના. જ્યારે તે દુ:ખી હોય છે ત્યારે તે દેવને ફરિયાદ કરે છે.

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારા પોકારને કાન પર આવવા દો.
મારા સંકટને દુ:ખના સમયમાં તમે મારાથી મુખ અવળું ના ફેરવો;
    કાન ધરીને તમે મને સાંભળો અને તમે મને જલ્દી ઉત્તર આપો.
કારણ, મારા દહાડા; ધુમાડાની જેમ વીતી જાય છે,
    અને મારા હાડકાં ખોયણાની જેમ બળે છે.
મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે;
    તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.
મારા ઘેરા વિષાદ ને નિસાસાને કારણે ફકત ચામડીથી
    ઢંકાયેલા હાડપિંજર જેવો હું થઇ ગયો છું.
હું દૂરના રણનાં ઘુવડ જેવો થઇ ગયો છું;
    વિધ્વંસની વચ્ચે જીવતા એક ઘુવડ જેવો.
હું જાગતો પડ્યો રહું છું,
    છાપરે બેઠેલી એકલવાયી ચકલીના જેવો થઇ ગયો છું.
મારા શત્રુ આખો દિવસ મને મહેણાઁ મારે છે;
    અને બીજાને શાપ દેવા મારા નામનો ઉપયોગ કરે છે.
રોટલીને બદલે હું રાખ ખાઉં છું;
    મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.
10 તે તમારા રોષ તથા કોપને કારણે છે;
    કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.

11 મારા દિવસો નમતી છાયા જેવા છે;
    ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.
12 પરંતુ હે યહોવા, તમે સદાકાળ શાસન કરશો!
    પેઢી દર પેઢી સુધી તમે યાદ રહેશો.
13 મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો.
    તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.
14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે,
    અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે.
15 પ્રજાઓ બીશે અને યહોવાના નામનો આદર કરશે,
    અને તેમના રાજાઓ તમારા ગૌરવનો આદર કરશે!
16 કારણ, યહોવા સિયોનને ફરીથી બાંધ્યું છે;
    અને તે તમારી સમક્ષ પોતાનાં સંપૂર્ણ મહિમા સહિત પ્રગટ થયો છે!
17 તે લાચાર અને દુ:ખીની પ્રાર્થનાઓ સાંભળશે;
    અને તેમની પ્રાર્થનાની અવગણના કરી નથી.
18 આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો;
    જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે.
    અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે.
19 તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી
    નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.
20 તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે,
    જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.
21 પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે
    અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે.
22 તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો
    તથા પૃથ્વીનાં રાજ્યો એકઠાં થશે.

23 મારા જીવનનાં મધ્યાહને તેમણે
    મારી શકિત ઘટાડી ને મારા દિવસો ટૂંકા કર્યા.
24 મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો!
    મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.
25 તમે યુગો પહેલાં પૃથ્વીનો પાયો નાખ્યો હતો
    અને તમારા હાથો વડે આકાશો રચ્યાં હતાં.
26 એ સર્વ પણ નાશ પામશે, તમે સર્વકાળ છો;
    તેઓ જૂના થશે, ફાટી ગયેલાં કપડા જેવાં થશે;
અને માણસ જૂનું વસ્ર ફેંકી નવું ધારણ કરે,
    તેમ તમે પણ તેઓને બદલી નાંખશો.
27 પરંતુ તમે હે દેવ, તમે કદી બદલાતાં નથી;
    અને તમારા વર્ષોનો કદી અંત આવશે નહિ.
28 તમારા સેવકોનાં બાળકો અહીં વસશે,
    અને તેમનાં વંશજો
    તમારી સમક્ષ પ્રસ્થાપિત થશે.”

ગીતશાસ્ત્ર 107:1-32

ભાગ પાંયમો

(ગીત 107–150)

યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ,
    કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.
પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી
    અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.

કેટલાંક ઉજ્જડ માર્ગે રણમાં ભટકતાં હતાં
    અને તેઓને વસવા નગર ન મળ્યું.
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં,
    અને નબળા પડી રહ્યાં હતાં.
પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો,
    અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.
યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.
દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો
    માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે,
    અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.

10 કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું
    તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.
11 કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ
    તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.
12 તેઓ તેમની મુશ્કેલીઓથી
    નરમ થઇ ગયાં છે.
તેઓ લથડીને નીચે પડ્યાં,
    છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.
13 તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો;
    એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં;
    અને બંધન તોડી નાખ્યાઁ.
15 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
    અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
16 તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા
    અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.

17 મૂર્ખ લોકો પોતાના પાપથી
    તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.
18 સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે;
    અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.
19 પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે;
    અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.
20 તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે,
    અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.
21 ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે
    અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
22 તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો.
    યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.

23 જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે
    અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,
24 તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે;
    અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.
25 તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે;
    તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.
26 મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે;
    અને પાછા ઊંડાણમાં પટકાય છે;
    લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.
27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે;
    અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28 તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે;
    તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.
29 તેણે તોફાનને અટકાવ્યા
    તથા મોજાઓને શાંત કર્યા છે.
30 પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે
    અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31 તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે;
    તેઓને યહોવાનો આભાર માનવા દો.
32 લોકોની સભામાં યહોવાને મોટા મનાવો;
    અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.

ન્યાયાધીશો 14:20-15

20 ત્યાર પછી સામસૂનની થનાર વહુ તેના મિત્ર સાથે પરણી ગઈ.

સામસૂન દ્વારા દુશ્મનોનો સંહાર

15 થોડા સમય પછી ધઉની કાપણીની ઋતુમાં સામસૂન પોતાની પત્નીને મળવા ગયો અને સાથે તેને માંટે એક લવારું લેતો ગયો. તેણે પત્નીના પિતાને કહ્યું, “માંરે માંરી પત્નીના ઓરડામાં જવું છે.”

તેણે સ્પષ્ટ રીતે કહ્યું, “મને જાણવા મળ્યું છે કે તું તેને જરાય પસંદ કરતો નથી અને ચાહતો નથી. તેથી મેં તેને તારા મિત્ર સાથે પરણાવી દીધી. પણ એની નાની બહેન એના કરતાંય વધુ સારી છે, એને બદલે તું તેને લઈ જા.”

પણ સામસૂને ગુસ્સામાં મોટે સાદે કહ્યું, “હવે આ વખતે જો હું પલિસ્તીઓને નુકસાન કરું તો કોઈ માંરો વાંક કાઢી શકે તેમ નથી.”

આથી તેણે ત્રણસો શિયાળો અને મશાલો લીધી. અને બે શિયાળોની પૂંછડી એક બીજા સાથે બાંધી અને દરેકની વચમાં એક મશાલ ખોસી દીધી પછી તેણે મશાલો સળગાવી અને શિયાળોને પલિસ્તીઓના અનાજના કોઠાર તથા ખેતરો સળગાવી મૂકવા છૂટાં મૂકી દીધાં. તેઓએ જૈતૂનની અને દ્રાક્ષની વાડીઓ પણ બાળી મૂકી.

પલિસ્તીઓએ પૂછયું, “આ કોણે કર્યું?”

તેથી તેઓને કહેવામાં આવ્યું, “સામસૂને, કારણ કે તેની થનાર પત્નીના પિતા તિમ્નીએ તેને બીજા પુરુષ સાથે પરણાવી દીધી.” પછી પલિસ્તીઓએ જઈને પુત્રી અને તેના પિતાને પકડયાં અને તેઓના ઘરમાં જીવતાં સળગાવી મૂકયાં.

સામસૂને તેઓને કહ્યું, “જો તમે આ રીતે વર્તશો તો હું ચોક્કસ કહું છું કે, હું બદલો લીધા વિના છોડવાનો નથી,”

તેણે તેઓના ઉપર તેની પૂરી તાકાતથી હુમલો કર્યો અને સર્વેને માંરી નાખ્યા. પછી તે એટામની ખડકની ગુફામાં જઈને રહેવા લાગ્યો.

પલિસ્તીઓએ આવીને યહૂદામાં સૈન્યની ટુકડી મોકલી આપી અને લેહી ઉપર છાપો માંર્યો. 10 યહૂદાના કુળસમૂહે તેને પૂછયું, “તમે અહીં શા માંટે અમાંરી સાથે લડવા આવ્યા છો?”

પલિસ્તીઓએ કહ્યું, “અમે સામસૂનની ધરપકડ કરવા અને તેણે અમાંરી ઉપર જે કર્યુ છે, તે તેની પર કરવા આવ્યા છીએ.”

11 તેથી યહૂદાના કુળસમૂહમાંથી ત્રણહજાર માંણસો “એટામ”ના ખડકની ગુફા આગળ ગયા સામસૂનને મળ્યા અને કહ્યું, “તને એટલી ખબર નથી કે અમે પલિસ્તીઓના તાબેદાર છીએ? તે અમને કેવી કફોડી સ્થિતિમાં મૂકી દીધા?”

તેણે કહ્યું, “મેં તેઓ સાથે એવોજ વર્તાવ કર્યો, જેવો વર્તાવ તેઓએ માંરી સાથે કર્યો હતો.”

12 તેઓએ તેને કહ્યું, “અમે તને પકડીને પલિસ્તીઓ પાસે લઈ જવા માંટે આવ્યા છીએ.”

સામસૂને કહ્યું, “સારું પણ મને વચન આપો કે તમે પોતે મને માંરી નહિ નાખો.”

13 તેમણે કહ્યું, “અમે તને માંરી નહિ નાખીએ, અમે તો ફકત તને બાંધીને તે લોકોને સોંપી દઈશું.” પછી તેમણે તેને બે નવાં દોરડાં વડે બાંધ્યો અને ગુફામાંથી પાછો લાવ્યા.

14 સામસૂન જયારે લેહી પહોચ્યો ત્યારે પલિસ્તીઓ જયનાદ કરતાં કરતાં એની સામે આવ્યા. પરંતુ યહોવાના આત્માંએ સામસૂનમાં સંચાર કર્યો અને તેને હાથે બાંધેલાં દોરડાં શણની લટ હોય તેમ તોડી નાખ્યાં. 15 તેણે ત્યાં જમીન પર પડેલું ગધેડાનું જડબું ઉપાડયું અને તેના વડે એકહજાર માંણસોને માંરી નાખ્યાં.

16 તેણે બોલવાનું ચાલુ રાખ્યું,

“ગધેડાના જડબાના હાડકા વડે
    મેં એક હજાર માંણસોનો સંહાર કર્યો છે.
ગધેડાના જડબાના હાડકા વડે
    મેં તેઓના માંણસોને માંરી નાખ્યા અને તેઓને થપ્પી કરી મૂકી દીધા.”

17 એમ કહીને તેણે તે ગધેડાના જડબાનું હાડકું ફેંકી દીધું અને તે જગ્યાનું નામ રામાંથ લેહી[a] રાખ્યું.

18 તેને ખૂબ તરસ લાગી હતી તેથી તેણે યહોવાને પોકાર કરીને કહ્યું, “તમે તમાંરા આ સેવકને આ વિજય અપાવ્યો છે, તો શું માંરે હવે તરસ્યા મરી જવું અને સુન્નત કર્યા વગરના લોકોના તાબામાં જવું?”

19 ત્યારે દેવ ત્યાં લેહીની ધરતીમાં એક ખાડો પાડયો, અને તેમાંથી એકદમ પાણી બહાર આવ્યું, તે પીધા પછી સામસૂન તાજો થયો અને તે જગ્યાનું નામ તેણે એન-હાક્કોરે[b] પાડયું, આજે પણ એ ઝરણું લેહીમાં છે.

20 પલિસ્તીઓના સમયમાં સામસૂને પછી વીસ વર્ષ સુધી ઈસ્રાએલનો ન્યાય કર્યો.

પ્રેરિતોનાં કૃત્યો 7:17-29

17 “મિસરમાં યહૂદિ લોકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ. ત્યાં વધારે ને વધારે આપણા લોકો હતા. (દેવે ઈબ્રાહિમને જે વચન આપ્યું હતું તે જલદીથી સાચું થવાનું હતું.) 18 પછી મિસરમાં એક બીજા રાજાનો અમલ શરૂ થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો. 19 આ રાજા આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજો તરફ ખરાબ રીતે વર્તતો હતો. રાજાએ તેમનાં બાળકોને ખુલ્લામાં બહાર તેઓની પાસે મુકાવડાવ્યાં જેથી તેઓ જીવે નહિ.

20 “આ સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો હતો. તે ઘણો સુંદર હતો. ત્રણ માસ સુધી તેના પિતાના ઘરમાં મૂસાની સંભાળ લીધી. 21 જ્યારે તેઓએ મૂસાને બહાર મૂક્યો. ફારુંનની દીકરીએ તેને લઈ લીધો. તેણીએ તે જાણે તેનો પોતાનો પુત્ર હોય તે રીતે તેને ઉછેર્યો. 22 મિસરીઓએ તેઓ જે બધું જાણતા હતા તે મૂસાને શીખવ્યું. તે બોલવામાં અને તે પ્રમાણે કરવામાં બાહોશ હતો.

23 “જ્યારે મૂસા લગભગ 40 વર્ષનો થયો, તેણે વિચાર્યુ કે પોતાના દેશના ઇસ્ત્રાએલી ભાઈઓને મળવું તે સારું હશે. 24 મૂસાએ જોયું કે એક મિસરી માણસ યહૂદિ સાથે અનિચ્છનીય રીતે વર્તતો હતો. તેથી તેણે યહૂદિને સહાય કરી. મૂસાએ યહૂદિને ઇજા પહોંચાડવા માટે મિસરીને શિક્ષા કરી. મૂસાએ તેને એટલો સખત માર્યો કે તે મરી ગયો. 25 મૂસાએ વિચાર્યુ કે તેના યહૂદિ ભાઈઓ સમજશે કે દેવ મારા હાથે તેઓનો છૂટકારો કરશે. પણ તેઓ સમજ્યા નહિ.

26 “બીજે દિવસે મૂસાએ બે યહૂદિ માણસોને લડતા જોયા. તેણે બને વચ્ચે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, ‘ભલા માણસો, તમે ભાઈઓ છો! તમે એકબીજાનું ખરાબ શા માટે કરો છો?’ 27 એક માણસ કે જે બીજાનું ખરાબ કરતો હતો તેણે મૂસાને ધક્કો માર્યો. તેણે મૂસાને કહ્યું, ‘અમારા પર કોણે તને અધિકારી કે ન્યાયાધીશ બનાવ્યો છે? ના! 28 ગઇકાલે તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ મને મારી નાખવા ધારે છે?’(A) 29 જ્યારે મૂસાએ તેને આમ કહેતો સાંભળ્યો ત્યારે, મૂસાએ મિસર છોડ્યું. તે મિધાનના પ્રદેશમાં રહેવા ગયો. ત્યાં તે અજાણ્યો હતો. મૂસા મિધાનમાં રહેતો ત્યારે ત્યાં તેને બે દીકરા હતા.

યોહાન 4:43-54

ઈસુનું અમીરના દીકરાને સાજા કરવું

(માથ. 8:5-13; લૂ. 7:1-10)

43 બે દિવસો પછી ઈસુ તે સ્થળ છોડીને ગાલીલમાં ગયો. 44 (ઈસુએ અગાઉ કહ્યું હતું કે પ્રબોધકનું તેના પોતાના ગામમાં માન નથી હોતું.) 45 જ્યારે ઈસુ ગાલીલમાં આવી પહોંચ્યો. ત્યાંના લોકોએ તેનું સ્વાગત કર્યુ. આ લોકોએ યરૂશાલેમમાં પાસ્ખા પર્વ વખતે ઈસુએ જે બધું કર્યુ તે જોયું હતું. આ લોકો પણ તે પર્વમાં ગયા હતા.

46 ઈસુ ફરીથી ગાલીલમાં કાના ગામની મુલાકાતે ગયો. કાના એ છે જ્યાં ઈસુએ પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો હતો. રાજાના અધિકારીઓમાંનો એક મહત્વનો અધિકારી કફરનહૂમ શહેરમાં રહેતો હતો. આ માણસનો દીકરો માંદો હતો. 47 તે માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી હવે ગાલીલ આવ્યો હતો. તેથી તે માણસ કાનામાં ઈસુ પાસે ગયો. તેણે ઈસુને કફર-નહૂમ આવીને તેના દીકરાને સાજો કરવા વિનંતી કરી. તેનો દીકરો મરવાની અણી પર હતો. 48 ઈસુએ તેને કહ્યું, “તમે લોકો ચમત્કારો અને અદભૂત કાર્યો જોયા વગર વિશ્વાસ કરવાના નથી.”

49 રાજાના અધિકારીએ કહ્યું, “પ્રભુ, મારો નાનો દીકરો મરી જાય, તે પહેલા મારે ઘેર આવ.”

50 ઈસુએ ઉત્તર આપ્યો, “જા તારો દીકરો જીવશે.”

તે માણસે ઈસુએ જે તેને કહ્યું તેમાં વિશ્વાસ કર્યો અને ઘરે ગયો. 51 ઘરે જતાં રસ્તામાં તે માણસના સેવકો આવ્યા અને તેને મળ્યા. તેઓએ તેને કહ્યું, “તારો દીકરો સાજો છે.”

52 તે માણસે પૂછયું, “કયા સમયે મારો દીકરો સાજો થયો?”

તે નોકરોએ ઉત્તર આપ્યો, “જ્યારે તેનો તાવ જતો રહ્યો ત્યારે ગઈકાલે લગભગ બપોરે એક વાગ્યો હતો.”

53 પિતાએ જાણ્યું કે ઈસુએ કહ્યું હતું કે, “તારો દીકરો જીવશે.” તે સમય પણ બપોરને એક વાગ્યાનો હતો. તેથી તે માણસે અને તેના ઘરના બધા લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો.

54 યહૂદિયાથી ગાલીલ આવ્યા પછી ઈસુએ કરેલો તે બીજો ચમત્કા હતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International