Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 83

આસાફના સ્તુતિગીતોમાંનુ.

હે દેવ, તમે છાના ન રહો;
    હે દેવ, તમે ચૂપ ન રહો;
    અને શાંત ન રહો.
જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
    અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
    અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
    જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે;
    તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
    ગબાલ, તથા આમ્મોન ને અમાલેક;
    અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
    અને લોતના વંશજોને સહાય કરી છે.

તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
    તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
    અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો;
    સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે
    દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા;
    અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે,
    અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી
    તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો.
    હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
    તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
    “યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.

ગીતશાસ્ત્ર 145

દાઉદનું ગીત.

હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
    હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
    અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
    તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
    અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
    હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
    હું તમારી મહાનતા વર્ણવીશ.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
    અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.

યહોવા દયાળુ અને કૃપાળુ છે;
    તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
    અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
    અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
    તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
    તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
    અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.

14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
    બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
    અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
    અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
    અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
    તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
    સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
    પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
    તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!

ગીતશાસ્ત્ર 85-86

નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત

હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
    અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
    અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.

તેથી હવે તમારા કોપનો ભસ્મ
    કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
    જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
    શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
    તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
    અને અમને તમારું તારણ પમાડો.

યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
    યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
    પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
    બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
    ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
    અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
    અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
    અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
    કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મારા જીવનની રક્ષા કરો,
    કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
    તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
હે યહોવા, મારા પર દયા કરો,
    કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
    હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
    સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
    ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
    અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
    અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
    તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
    અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
    મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
    અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
    તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
    અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
    મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
    તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
    તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
    મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
    કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
    અને દિલાસો આપ્યો છે.

ન્યાયાધીશો 8:22-35

એફ્રોદ બનાવતો ગિદિયોન

22 ત્યારપછી ઈસ્રાએલી લોકોએ ગિદિઓનને કહ્યું, “તમે અમને મિદ્યાનીઓથી બચાવ્યા છે હવે તમે અમાંરા રાજા છો, તમાંરા પુત્રો અને તમાંરા વંશજો અમાંરા પર શાસન કરો.”

23 પણ ગિદિયોને ઈસ્રાએલીઓને કહ્યું, “હું તમાંરા ઉપર રાજ નહિ કરું, તેમજ માંરો પુત્ર પણ નહી કરે, પણ યહોવા તમાંરા ઉપર રાજ કરશે.”

24 પછી તેણે કહ્યું, “માંરે તમને એક વિનંતી કરવાની છે, તમાંરામાંથી પ્રત્યેક વ્યક્તિ મને તમે મેળવેલ લૂંટની સામગ્રીમાંથી એક એક બુટ્ટી આપી દો.” મિદ્યાનીઓનું લશ્કર ઈશ્માંએલીઓનું બનેલું હતું અને તેઓ કાનમાં સોનાની બુટ્ટી પહેરતા હતા.

25 પછી તેઓએ કહ્યું, “અમે રાજી ખુશીથી તે આપીશું.” પછી તેઓએ એક ઝભ્ભો પાથર્યો. પ્રત્યેક વ્યક્તિએ તેમાં લૂંટમાં મેળવેલી સોનાની બુટ્ટી નાંખી. 26 ગિદિયોને માંગી લીધેલા સોનાની બુટ્ટીનું વજન આશરે એક હજાર સાતસો શેકેલ થયું, તેમાં ઝવેરાત, ગળાનો હાર અને મિદ્યાની રાજાઓએ પહેરેલાં કિંમતી વસ્ત્રોનો સમાંવેશ થતો નહોતો તેમજ તેમાં ઊંટના ગળામાંથી લઈ લેવાયેલા ઘરેણાંઓનો સમાંવેશ થતો નહોતો.

27 ગિદિયોને તેમાંથી એક એફોદ બનાવડાવ્યો અને તેની સ્થાપના પોતાના નગર ઓફ્રાહમાં કરી. બધા ઈસ્રાએલીઓ યહોવાને છોડીને તેની પૂજા કરવા લાગ્યા અને તે એફોદ ગિદિયોન અને તેના પરિવારના પતનનું કારણ થઈ પડ્યું.

ગિદિયોનનું મૃત્યુ

28 આમ, મિદ્યાનીઓ ઈસ્રાએલીઓને તાબે થયા અને ત્યારપછી કદાપિ તેમણે માંથું ઊંચુ કર્યુ નહિ, અને ગિદિયોન જીવ્યો ત્યાં સુધી 40 વર્ષ દેશમાં શાંતિ રહી.

29 યોઆશનો પુત્ર, યરૂબ્બઆલ રહેવા માંટે પોતાને ઘેર પાછો ફર્યો. 30 ગિદિયોનને ઘણી પત્નીઓ હતી અને 70 પુત્રો હતાં. 31 શખેમમાં તેને એક ઉપપત્ની હતી એની કૂખે અબીમેલેક નામનો પુત્ર અવતર્યો.

32 યોઆસનો પુત્ર, ગિદિયોન અવસાન પામ્યો ત્યારે ઘણો ઘરડો હતો. તેઓએ તેને અબીએઝેરીઓના પ્રદેશમાં ઓફ્રાહ નગરમાં તેના પિતા યોઆશની કબરમાં દફનાવવામાં આવ્યો. 33 એના અવસાન પછી ઈસ્રાએલીઓ ફરી પાછા દેવને છોડીને દેવદેવીઓની પૂજા કરવા લાગ્યા, અને તેમણે બઆલબરીથને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા. 34 ઈસ્રાએલીઓ આજુબાજુના શત્રુઓથી તેમને છોડાવનાર તેમના દેવ યહોવાને ભૂલી ગયા. 35 અને ઈસ્રાએલનું આટઆટલું ભલું કરનાર યરૂબ્બઆલ કટુંબને (ગિદિઓનને) પણ તેઓ વફાદાર નહોતા.

પ્રેરિતોનાં કૃત્યો 4:1-12

યહૂદિઓની ન્યાયસભા સમક્ષ પિતર અને યોહાન

જ્યારે પિતર અને યોહાન લોકોને વાત કરતા હતા, ત્યારે કેટલાક માણસો તેમની પાસે આવ્યા. ત્યાં કેટલાક યહૂદિ યાજકો, મંદિરનું રક્ષણ કરતા સૈનિકોના સરદારો અને કેટલાક સદૂકિયો હતા. તેઓ અસ્વસ્થ હતા કારણ કે પિતર અને યોહાન લોકોને ઈસુના સંદર્ભમાં બોધ આપતા હતા અને તે બે પ્રેરિતો લોકોને કહેતા હતા કે મૃત્યુ પામેલા લોકોનું ઈસુ દ્ધારા પુનરુંત્થાન થશે. યહૂદિ આગેવાનોએ પિતર અને યોહાનની ધરપકડ કરીને તેઓને જેલમાં પૂર્યા. તે વેળા લગભગ રાત હતી. તેથી તેઓએ પિતર અને યોહાનને બીજા દિવસ સુધી જેલમાં રાખ્યા. પણ ઘણા બધા લોકોએ પિતર અને યોહાનનો બોધ સાંભળ્યો અને તેઓએ જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો. હવે તેઓના વિશ્વાસીઓના સમૂહમાં લગભગ 5,000 માણસોની સંખ્યા થઈ.

બીજા દિવસે યહૂદિ અધિકારીઓ, વડીલો, અને શાસ્ત્રીઓ યરૂશાલેમમાં ભેગા થયા. અન્નાસ (પ્રમુખ યાજક) કાયાફા, યોહાન, અને આલેકસાંદર ત્યાં હતા. પ્રમુખ યાજક પરિવારના પ્રત્યેક ત્યાં હતા. તેઓએ પિતર અને યોહાનને ભેગા થયેલા બધા લોકોની સામે ઊભા રાખ્યા. યહૂદિ આગેવાનોએ તેઓને ઘણી બધી વાર પૂછયું, “તમે કેવી રીતે આ અપંગ માણસને સાજો કર્યો? તમે કયા સાર્મથ્યનો ઉપયોગ કર્યો? તમે કોના અધિકારથી આ કર્યુ?”

પછી પવિત્ર આત્માથી ભરપૂર થઈને પિતરે તેઓને કહ્યું, “લોકોના આગેવાનો અને વડીલ આગેવાનો: આ અપંગ માંદા માણસનું સારું કામ થયું છે તેના વિષે તમે પ્રશ્નો કરો છો? તમે અમને પૂછો છો કે તેને સાજો કોણે કર્યો? 10 અમે તમને બધાને અને બધા જ યહૂદિ લોકોને જણાવવા ઈચ્છીએ છીએ કે નાસરેથના ઈસુ ખ્રિસ્તના સાર્મથ્યથી આ માણસ સાજો થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડી દીધો. દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો. આ માણસ લંગડો હતો પણ હવે તે સાજો થયો છે અને તમારી આગળ ઊભો રહેવા સમર્થ છે. તે ઈસુના સાર્મથ્યનું જ પરિણામ છે.

11 ‘જે પથ્થર તમે બાંધનારાઓએ નકામો ગણ્યો હતો.
    પણ હવે એ જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.’(A)

12 માત્ર ઈસુ એકલો જ લોકોનું તારણ કરી શકે તેમ છે. દુનિયામાં તેના એકલાના નામમાં જ આ સાર્મથ્ય છે. જે લોકોનું તારણ કરવા માટે આપવામાં આવેલ છે. ઈસુના વડે આપણું તારણ થવું જોઈએ!”

યોહાન 1:43-51

43 બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ. ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું, “મને અનુસર.” 44 ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45 ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”

46 પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?”

ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”

47 ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”

48 નથાનિયેલે પૂછયું, “તું મને કેવી રીતે ઓળખે છે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો, ત્યારે મેં તને જોયો. ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો.”

49 પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”

50 ઈસુએ નથાનિયેલને કહ્યું, “મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો. તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો. પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે.” 51 ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International