Book of Common Prayer
સુલેમાનનું ગીત.
1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
આબાદી ને સમૃદ્ધિ લાવશે.
4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
6 જેમ ખેતરો પર વરસાદ પડે છે,
વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
7 તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
9 તેની સમક્ષ રણવાસીઓ નમશે,
અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ,
તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 સર્વ રાજાઓ તેને નમન કરશે,
અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરશે.
12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે,
પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે,
અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે;
તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે,
રાજા ઘણું લાંબુ જીવો!
તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે;
ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 દેશમાં પર્વતોનાં શીખરો પર
પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે,
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ,
ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે;
અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે;
તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે;
તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.
18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!
20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.
યોદ
73 તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે;
તમારી આજ્ઞાઓ શીખવો;
અને તેનું પાલન કરવાની સમજ આપો.
74 તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે;
કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.
75 હે યહોવા, હું જાણું છું કે તમે આપો છો તે વચનો સાચા અને ન્યાયી હોય છે.
અને મને પીડા આપવાનું તમારા માટે ન્યાયી હતું.
76 તમારા વચન પ્રમાણે તમારા સેવકને
તમારી કૃપાથી આશ્વાસન ને પ્રેમ મળો.
77 હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો,
તમારો નિયમ એ જ મારો આનંદ છે.
78 ભલે અભિમાનીઓ લજ્જા પામો, તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે
અને ખોટી રીતે મારા પર આક્ષેપ કર્યા છે.
છતાં હું તો તમારા શાસનોનું મનન કરું છું.
79 ભલે તમારા ભકતો, જેઓ તમારો આદર કરે છે
અને જેમને તમારા સાક્ષ્યો વિષે જ્ઞાન છે;
તેઓ મારી પાસે આવો.
80 તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિર્દોષ શુદ્ધ રહો;
તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો;
જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.
કાફ
81 મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે.
પણ હું તમારા વચનની આશા રાખું છું.
82 તમે જે બાબતો માટે વચન આપેલું તેના માટે રાહ જોવાનું મેં ચાલુ રાખ્યું છે.
જેને કારણે મારી આંખો નબળી થઇ રહી છે.
તમે મને ક્યારે આશ્વાસન આપશો?
83 હું કચરાના ઢગલા પર પડેલી સૂકાયેલા ચામડાની કોથળી જેવો થઇ ગયો છું,
પણ હું તમારા નિયમોને ભૂલતો નથી.
84 કેટલા દિવસ છે તારા સેવકના?
તમે મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?
85 જે ગવિર્ષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા;
તેઓએ ખાડા ખોદ્યા છે મારા માટે.
86 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે.
તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
87 તેઓએ લગભગ મને મારી નાખ્યો,
છતાં મેં તમારા શાસનોનું પાલન કરવાનું છોડ્યું નહિ.
88 તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો;
એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
લામેદ
89 હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે;
તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.
91 તમારા ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજની સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ,
તે સર્વ તમારા સેવકો છે.
92 જો મેં આનંદ માણ્યો ન હોત તમારા નિયમમાં;
તો હું મારા દુ:ખમાંજ નાશ પામ્યો હોત.
93 હું કદી ભૂલીશ નહિ તમારા શાસનોને,
કારણકે તમે મને તેઓથીજ જિવાડ્યો છે.
94 હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ,
મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.
95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઇ રહ્યા છે;
છતાં હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે,
પરંતુ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
ન્યાયાધીશ એહૂદ
12 ત્યારબાદ ફરી એકવાર ઈસ્રાએલીઓએ તેમના વર્તન દ્વારા યહોવા સામે પાપ કરવાનું શરું કર્યુ, તેથી યહોવાએ મોઆબના રાજા એગ્લોનને શક્તિશાળી બનાવ્યો અને તેને ઈસ્રાએલીઓ સામે મોકલ્યો. 13 એગ્લોન આમ્મોનીઓને અને અમાંલેકીઓને ભેગા કરી ઈસ્રાએલીઓ ઉપર હુમલો કર્યો અને યરીખો ખજૂરીઓનો પ્રદેશ જીતી લીધું. 14 અઢાર વર્ષ પર્યંત ઈસ્રાએલીઓ મોઆબના રાજા એગ્લોનના તાબામાં રહ્યાં.
15 ત્યારબાદ તેઓએ યહોવાને પોતાને બચાવવા પોકાર કર્યો તેથી યહોવાએ એક વ્યક્તિને બિન્યામીનના કુળસમૂહના ગેરાના પુત્ર એહૂદને ઊભો કર્યો. તે ડાબોડી હતો, ઈસ્રાએલીઓએ તેને ખંડણી સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો. 16 એહૂદે પોતાના માંટે દોઢફૂટ લાંબી બેધારી તરવાર બનાવી. અને પોતાની જમણી બાજુ કપડાં સાથે બાંધી દીધી.
17 ત્યારબાદ એહૂદે મોઆબના રાજા એગ્લોનને ખંડણી આપી. એગ્લોન શરીરે બહુ પુષ્ટ હતો. 18 ખંડણી અર્પણ આપી રહ્યાં પછી એહૂદે ખંડણી ઉપાડી લાવનારા સાથીઓને પાછા મોકલી દીધા. 19 પણ તે પોતે ગિલ્ગાલની મૂર્તિઓ પાસે રાજા આગળ પાછો ફર્યો અને કહ્યું, “હે રાજા, માંરે આપને એક ખાનગી સંદેશો આપવાનો છે.”
રાજાએ તેને ચૂપ રહેવાનો હુકમ કર્યો અને પોતાના બધા સેવકોને રાજાએ બહાર મોકલી દીધા. 20 રાજા તેના મહેલમાં ઉપલા માંળે આવેલા પોતાના વરંડાના શીતળ ભાગમાં હતો જ્યારે તે એકલો હતો.
ત્યારે એહૂદ તેની પાસે ગયો અને તેને ગુપ્ત રીતે કહ્યું, “માંરે આપને દેવનો એક ગુપ્ત સંદેશ આપવાનો છે.” એટલે એગ્લોન પોતાના આસન ઉપરથી ઊભો થઈ ગયો; 21 અને એહૂદે પોતાના ડાબા હાથે જમણે પડખેથી તરવાર ખેંચી કાઢીને રાજાના પેટમાં ઊડે સુધી હુલાવી દીધી. 22 તરવારના પાના પછી મૂઠ પણ અંદર ઊતરી ગઈ અને તેના ઉપર ચરબી ફરી વળી, કારણ, એહૂદે તરવાર પાછી ખેંચી કાઢી નહોતી.
23 પછી એહૂદે બહાર જઈ ઓરડીના બારણાં બંધ કરીને તાળું માંરી દીધું. 24 તેના ચાલ્યાં ગયા પછી એગ્લોનના નોકરો આવ્યા અને બારણાંને તાળું માંરેલું જોઈ તેમણે ધાર્યું કે રાજા ઠંડી ઓરડીના અંદરના ભાગમાં બાથરૂમમાં ગયા હશે. 25 લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ રાજાએ બારણુંના ઉધાડયું ત્યારે તેઓને ચિંતા થઈ અને ચાવી લાવીને કળ ઉધાડી, બારણું ખોલીને જોયું તો તેઓનો રાજા જમીન પર મરેલો પડયો હતો.
26 તે લોકો રાહ જોતા હતાં તે દરમ્યાન એહૂદ ભાગી ગયો. તે પત્થરની ખીણો ઓળંગીને સેઈરાહ સુધી પહોંચી ગયો હતો. 27 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવીને તેણે રણશિંગડું વગાડયું અને ઈસ્રાએલી લોકો ટેકરી પરથી નીચે આવ્યા અને તેને અનુસર્યાં. 28 તેણે તેઓને કહ્યું, “માંરી પાછળ આવો! કારણ, યહોવાએ તમાંરા દુશ્મન મોઆબીઓને તમાંરા હાથમાં સોંપી દીધા છે.”
આથી તેઓ તેની પાછળ નીચે ઊતરી આવ્યા અને તે લોકો જે ઘાટેથી યર્દન નદી ઓળંગવાના હતાં તે કબજે કરી લીધા અને તેઓએ એક પણ જણને સીમાં ઓળંગીને જવા દીધો નહિ. 29 તે પછી તેમણે મોઆબીઓ પર હુમલો કરી તેઓના આશરે 10,000 શૂરવીર ખડતલ મોઆબી યોદ્ધાઓને માંરી નાખ્યા. એક પણ બચવા ન પામ્યો. 30 તે દિવસે મોઆબીઓને ઈસ્રાએલીઓ આગળ નમવું પડયું, પછીના 80 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
લૂક બીજુ પુસ્તક લખે છે
1 વહાલા થિયોફિલ,
મેં પ્રથમ પુસ્તક ઈસુએ જે કંઈ કર્યુ અને શીખવ્યું તે દરેક બાબતો વિષે લખ્યું છે. 2 મેં ઈસુના જીવનના આરંભથી તેને જે દિવસથી આકાશમાં લઈ લેવામાં આવ્યો ત્યાં સુધીના સમગ્ર જીવન વિષે લખ્યું છે. આ બનતાં પહેલાં, ઈસુએ પોતે પસંદ કરેલા પ્રેરિતો સાથે વાત કરી. પવિત્ર આત્માની સહાયથી ઈસુએ પ્રેરિતોને તેઓએ શું કરવું જોઈએ તે કહ્યું. 3 આ ઈસુના મૃત્યુ પછીની વાત હતી. પણ તેણે પ્રેરિતોને બતાવ્યું કે તે જીવંત છે. ઈસુએ ઘણાં સાર્મથ્યશાળી પરાક્રમો કરીને આ સાબિત કર્યુ. પ્રેરિતોને ઈસુના મૃત્યુમાંથી સજીવન થયા બાદ 40 દિવસ દરમ્યાન ઘણીવાર તેના દર્શન થયાં. ઈસુએ પ્રેરિતોને દેવના રાજ્ય વિષે કહ્યું. 4 એક વખત ઈસુ તેઓની સાથે જમતો હતો, ત્યારે ઈસુએ તેઓને યરૂશાલેમ છોડવાની ના પાડી હતી. ઈસુએ કહ્યું, “તમને બાપે જે વચન આપ્યું છે તે વિષે મેં તમને પહેલાં કહ્યું છે. આ વચન પ્રાપ્ત કરવા માટે અહીં યરૂશાલેમમાં રાહ જુઓ. 5 યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યુ, પણ થોડા દિવસો પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.”
ઈસુ આકાશમાં લઈ લેવામાં આવ્યો છે
6 બધા પ્રેરિતો ભેગા થયા. તેઓએ ઈસુને પૂછયું, “પ્રભુ, શું આ સમય તારા માટે યહૂદિઓને તેઓનું રાજ્ય ફરીથી સોંપવાનો છે?”
7 ઈસુએ તેઓને કહ્યું, “ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ. 8 પણ પવિત્ર આત્મા તમારી પાસે આવશે. પછી તમે સાર્મથ્ય પ્રાપ્ત કરશો. ત્યારે તમે મારા સાક્ષી થશો-તમે લોકોને મારા વિષે કહેશો. પહેલાં, તમે યરૂશાલેમમાં લોકોને કહેશો. પછી યહૂદિયામાં, સમરૂનમાં તથા વિશ્વના બધા જ લોકોને કહેશો.”
9 પ્રેરિતોને આ બાબતો કહ્યા પછી, ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યો. પ્રેરિતોના દેખતાં જ ઈસુ વાદળમાં અદ્ધશ્ય થઈ ગયો, અને તેઓ તેને જોઈ શક્યા નહિ. 10 ઈસુ દૂર જઈ રહ્યો હતો અને પ્રેરિતો આકાશમાં જોઈ રહ્યા હતા. અચાનક, બે શ્વેત વસ્ત્રધારી માણસો તેઓની બાજુમાં આવીને ઊભા. 11 તે બે માણસોએ પ્રેરિતોને કહ્યું, “ઓ ગાલીલના માણસો, તમે અહીં આકાશ તરફ જોતાં શા માટે ઊભા છો? તમે જોયું કે ઈસુને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યો છે. જે રીતે તમે તેને જતાં જોયો તે જ રીતે તે પાછો આવશે.”
એક નવા પ્રેરિતની પસંદગી
12 પછી તે પ્રેરિતો જૈતૂન પર્વત પરથી યરૂશાલેમ પાછા ફર્યા. (આ પર્વત યરૂશાલેમથી લગભગ અડધો માઇલ દૂર છે.) 13 તે પ્રેરિતો શહેરમાં પ્રવેશ્યા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મેડી પરના ઓરડામાં ગયા. તે પ્રેરિતો હતા, પિતર, યોહાન, યાકૂબ, આંન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, યાકૂબ (અલ્ફીનો દીકરો), સિમોન (ઝલોતસ) તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.
14 બધા પ્રેરિતો ભેગા થયા હતા. તેઓ સતત એક જ હેતુથી પ્રાર્થના કરતાં હતા ત્યાં કેટલીક સ્ત્રીઓ હતી. ઈસુની મા મરિયમ, અને તેના ભાઈઓ પણ ત્યાં પ્રેરિતો સાથે હતા.
ઈસુ મરણ પામે છે
(માર્ક 15:33-41; લૂ. 23:44-49; યોહ. 19:28-30)
45 મધ્યાહને આખા દેશમાં અંધકાર છવાઈ ગયો. આ અંધકાર ત્રણ કલાક ચાલુ રહ્યો. 46 લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજ સાથે બૂમ પાડી કે “એલી, એલી, લમા શબક્થની?” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો છોડી દીધો?”
47 ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ આ સાંભળ્યું. લોકોએ કહ્યું, “તે એલિયાને બોલાવે છે.”
48 લોકોમાંના એકે ઝડપથી દોડીને એક વાદળી લીધી અને તેણે વાદળીને સરકાથી ભરી અને તે વાદળીને લાકડી સાથે બાંધી. પછી તેણે તે લાકડીનો ઉપયોગ કરીને ઈસુને વાદળી ચૂસવા માટે આપી. 49 પણ બીજા લોકોએ કહ્યું, “તેની (ઈસુ) ચિંતા કરશો નહિ. અમને જોવા દો કે એલિયા એને છોડાવવા આવે છે કે કેમ.”
50 ફરીથી ઈસુએ મોટા સાદે, બૂમ પાડી. પછી તે મરણ પામ્યો.
51 જ્યારે ઈસુ મરણ પામ્યો, ત્યારે મંદિરનો પડદો ઉપરથી નીચે બે ભાગમાં ફાટી ગયો. પડદો ટોચ પરથી શરૂ થઈ અને તે નીચે સુધી ફાટી ગયો અને ધરતી પણ કાંપી અને ખડકો ફાટી ગયા. 52 બધી કબરો ઉઘડી અને દેવના સંતોમાંના ઘણા જે મરણ પામ્યા હતા, તે ઊભા થયા. 53 ઈસુના મરણમાંથી ઊઠયા બાદ પેલા લોકો પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોએ તેને જોયો.
54 લશ્કરના અમલદારો અને તેના માણસો જે ઈસુની ચોકી કરતા હતા તેમણે ધરતીકંપ અને આ બધું થયેલું જોયું. તે ઘણા ગભરાઈ ગયા હતા અને કહ્યું, “ખરેખર તે દેવનો દીકરો હતો!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International