Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો.
મારી સાથે હમેંશા સારા રહેજો
અને મને કૃપા આપતા રહેજો.
2 હે યહોવા, મને સંભળો, ઉતાવળથી મારી મદદે આવો!
મારા ખડક બનો.
મારી સુરક્ષાની જગા બનો.
મારો કિલ્લો બનો અને મને બચાવો.
3 દેવ મારા ખડક અને કિલ્લો છો,
તેથી તમારા નામને માટે મને દોરવણી આપો
અને મને માર્ગદર્શન આપો.
અને તે પર ચલાવો.
4 મારા શત્રુઓએ પાથરેલી ગુપ્ત જાળમાંથી મને બચાવો.
કારણ તમે મારો આશ્રય છો.
5 હું, મારો આત્મા તમારા હાથમાં સોંપુ છું;
હે સત્યના દેવ યહોવા,
તમે મારો ઉદ્ધાર કર્યો છે.
6 જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું,
હું ફકત યહોવામાં ભરોસો કરું છું;
7 યહોવા, હું તમારી દયાથી આનંદથી હરખાઇશ
તમે મારું સઘળું દુ:ખ જોયું છે,
મારા આત્માની વ્યથા નિહાળી છે.
8 તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી,
તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.
9 હે યહોવા; હું સંકટમાં છુ, હિંમત હારી ગયો છું,
મારા પર દયા કરો; શોકથી મારું શરીર, આંખ,
મારો પ્રાણ ક્ષીણ થાય છે.
10 મારા જીવનનો અંત આવે છે.
ઉદાસીમાં મારા વર્ષો નિસાસામાં પસાર થાય છે.
મારા પાપોએ મારી શકિત હણી લીધી છે
અને મારાઁ હાડકાઁ બરડ થઇ રહ્યાં છે.
11 મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે,
અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે.
મારા સબંધીઓને મારો ભય લાગે છે;
તેથી તેઓ મને અવગણે છે.
જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.
12 મૃત્યુ પામેલ મનુષ્યની જેમ હું વિસરાઇ ગયો છું;
હું ફેંકી દીધેલાં અને ફુટી ગયેલાં વાસણ જેવો છું.
13 મેં ઘણાં લોકોને મારી બદનક્ષી કરતાં સાંભળ્યા છે.
તેઓ ભેગા થઇને મારી વિરુદ્ધ મને મારી નાખવાની યોજના અને કાવતરાં કરે છે.
14 પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું
મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.”
15 મારા જીવનની બધીજ બીનાઓ તમારા હાથમાં છે.
મારા પર દયા કરો અને મને દુશ્મનોથી અને જેઓ મારો પીછો કરી રહ્યાં છે તેમનાથી બચાવો.
16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો.
અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો.
17 હે યહોવા, હું નિરાશ થઇશ નહિં;
કારણકે મેં તમને પ્રાર્થના કરી છે.
દુષ્ટજનોને લજ્જિત કરી
અને ચૂપચાપ તેઓને કબરોમાં સુવડાવી દો.
18 જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે
અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે.
19 જે ઉદારતા તમારા ભકતોને ખાતર તમે રાખી મૂકી છે,
તે તમે તમારા ભરોસો પર રાખનાર માટે ખૂબ દાખવી છે.
અને તમારો ભય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે.
20 તમે તમારી સંમુખ તેઓને સંતાડી રાખશો,
અને તેમનું કાવતરાબાજો વિરુદ્ધ રક્ષણ કરશો.
તમે તમારા મંડપમાં તેમને સુરક્ષિત રાખશો અને તેમને અનિષ્ટ જીભોથી બચાવશો.
21 યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે.
જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે.
22 અધીરતાથી મેં કહીં દીધું હતું કે, યહોવાએ મને તરછોડી દીધો છે,
વિચાર કર્યા વિના હું એવું બોલ્યો હતો છતાં મારી અરજ તમે સાંભળી.
23 હે યહોવાના સર્વ ભકતો,
તમે તેમનાં પર પ્રેમ રાખો;
વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છે,
અને અભિમાનીને શિક્ષા કરે છે.
24 તમારામાંના બધાં, જેઓ યહોવાની મદદની રાહ જુએ છે.
ભલે તમારા હૃદય નિર્ભય અને હિંમતવાન બને, અને તમે સહુ ભલે બળવાન બનો!
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી વિરુદ્ધ યુદ્ધ કરનારા સામે તમે યુદ્ધ કરો;
મારી ઉપરના તેઓના આક્રમણ સામે તમે યુદ્ધ જાહેર કરો.
2 તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો,
અને મારું રક્ષણ કરો.
3 ભાલો હાથમાં લઇને મારી પાછળ પડેલાને અટકાવો,
મારા આત્માને ખાત્રીથી કહો કે,
“તમેજ મારો ઉદ્ધાર કરનાર છો.”
4 જેઓ મારા જીવના તરસ્યા છે
તેઓ ફજેત થઇને બદનામ થાઓ;
જેઓ મારું નુકશાન ઇચ્છે છે,
તેઓ રઝળી પડો અને પાછા હઠો.
5 તેઓ પવનથી ઊડતાં ભૂંસા જેવા થાય,
અને તેમને યહોવાનો દૂત હાંકી કાઢો.
6 હે યહોવા, તેઓનો માર્ગ અંધકારમય ને લપસણો થાઓ;
યહોવાનો દૂત તેમની પાછળ પડો.
7 તેઓનું ખરાબ નથી કર્યું છતાં તેઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
વગર કારણે જીવ લેવા ખાડો ખોધ્યો છે.
8 તેમનાં પર અચાનક વિપત્તિ આવી પડો,
પોતાના ફાંદામાં તેઓ પોતેજ ફસાઇ જાઓ;
પોતાના ખોદેલા ખાડામાં પડી તેઓનો સંહાર થાઓ.
9 પણ હું યહોવાથી આનંદિત થઇશ,
અને તેમનાં તારણમાં સુખી થઇશ.
10 મારું સમગ્ર વ્યકિતત્વ પોકારશે,
“હે યહોવા, તમારા જેવું કોણ છે?
જે લાચારને બળવાનથી બચાવે છે,
અને કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
11 નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે,
અને જેના વિષે મેં કદી સાંભળ્યું નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે.
12 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે,
તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.
13 તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો
પહેરીને મારી દિલગીરી બતાવી હતી.
તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?
14 તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો;
જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો.
15 તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં.
તે લોકો સાચા મિત્રો ન હતાં.
હું તેમને ઓળખતો પણ ન હતો.
પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ.
16 તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા,
તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો.
17 હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો.
મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.
18 હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ.
ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ.
19 મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે
તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.
20 કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી.
ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.
21 તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે,
તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”
22 હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો,
હવે તમે શાંત બેસી રહેશો નહિ;
અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.
23 હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ.
મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો.
24 હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો.
મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
25 તેમને એમ કહેવાની તક આપશો નહિ કે, “તેમનાથી વિમુખ થવાની અમારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે
અને તેમનો વિનાશ કર્યો છે.”
26 મારા નુકસાનમાં આનંદ પામનારાં સવેર્ની ફજેતી થાવ
અને તેઓ લજ્જિત થાવ.
મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ
અને શરમાઇ જાઓ.
27 જે લોકો મને નિર્દોષ ઠરાવવા માંગતા હોય
તેઓ હર્ષ મનાવે અને સુખી થાય.
તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે!
તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.”
28 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વાતો કરશે
અને તમારી પ્રસંશાની સ્તુતિ ગાશે.
19 એ લોકોએ પહેલા મહિનાની દશમી તારીખ યર્દન નદી ઓળંગીને યરીખોની પૂર્વે ગિલ્ગાલમાં પડાવ નાખ્યો, 20 અને ત્યાં યહોશુઆએ ઇસ્રાએલી લોકો દ્વારા યર્દન નદીમાંથી વીણી લાવેલા બાર પથ્થરો સ્માંરક તરીકે ત્યાં ઉભા કર્યા. 21 પછી યહોશુઆએ ફરીથી પથ્થરો મૂકવાનો હેતુ સમજાવતાં કહ્યું, “ભવિષ્યમાં તમાંરાં સંતાનો જયારે તમને પૂછે કે, ‘આ પથ્થરોનો શો અર્થ છે?’ 22 ત્યારે તમાંરે તેમને સમજાવવું અને કહેવું કે, ‘જયારે ઇસ્રાએલીઓએ યર્દન નદી ઓળંગવાની હતી ત્યારે તે સૂકાઈ ગઈ હતી.’ 23 તમે જ્યાં સુધી પસાર થયાં યહોવાએ તેને સૂકાવી નાખી હતી. જેમ યહોવાએ રાતા સમુદ્રને સૂકવી નાખ્યો હતો તેમ. ત્યારે તમે યર્દન નદી ઓળંગી રહ્યાં હતાં. 24 યહોવાએ આ પ્રમાંણે કર્યુ જેથી પૃથ્વી પરના બધા માંણસો યહોવાની શક્તિ વિશે જાણે, અને તમાંરે પોતે પણ હમેશા તમાંરા દેવ યહોવાથી ડરતાં રહેવું જોઈએ.”
5 જયારે યર્દન નદીના પશ્ચિમ કાંઠાના બધા કનાની રાજાઓએ તથા અમોરી રાજાઓએ સાંભળ્યું કે ઇસ્રાએલીઓ યર્દન નદીને ઓળંગી ગયા ત્યાં સુધી યહોવાએ તેનાં પાણી સૂકવી નાખ્યાં હતાં, ત્યારે તેઓ હિમ્મત હારી ગયા અને ઇસ્રાએલીઓથી ભયભીત થઈ ગયાં.
10 યરીખોના મેદાનો પર આવેલા ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓએ છાવણી કરી હતી ત્યારે તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે પાસ્ખા પર્વ ઊજવ્યું. 11 પાસ્ખાપર્વ ઉજાણીના બીજે દિવસે તેઓએ ખેતરોમાં ઉગેલું અનાજ ખાધું; એટલે તેજ દિવસે આથા વગરની રોટલી અને ભૂંજેલા ધાન્ય ખાધું. 12 જેવું લોકોએ પ્રદેશની ઉપજનું અનાજ ખાધુ કે બીજી સવારથી સ્વર્ગમાંથી આવતો ખાસ ખોરાક (માંન્ના) બંધ થઈ ગયું અને તે વર્ષે તેઓએ કનાના ભૂમિમાં પાકતું ધાન્ય ખાધું.
યહોવાની સેનાનો સેનાધિપતિ
13 જયારે યહોશુઆ યરીખો નજીક પહોંચ્ચોં ત્યારે તેણે પોતાની સામે ખુલ્લી તરવાર લઈને ઊભેલો એક માંણસ જોયો. તેથી યહોશુઆએ તેને પૂછયું, “તું કોના તરફ છે? તું અમાંરો મિત્ર છે કે દુશ્મન?”
14 તેણે પ્રત્યુત્તર આપ્યો, “હું તો એકે નથી,” પણ હું તો યહોવાની સેનાનો સેનાધિપતિ છું. અને એ તમને કહેવા માંટે આવ્યો છું.
યહોશુઆએ તેને જમીન પર મોઢું કરીને ભજન કરીને કહ્યું, “માંરા માંલિકની તેના સેવકને શી આજ્ઞા છે?”
15 યહોવાની સેનાના સેનાપતિએ તેને કહ્યું, “તારાં પગરખાં ઉતારી નાખ, કારણ કે તું જે ભૂમિ પર ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું.
9 તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો. 10 જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. 11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. 12 ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો. 13 દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો.
14 જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો. 15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો. 16 એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો. 18 સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો. 19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”(A) એમ પ્રભુ કહે છે. 20 પરંતુ તમારે આમ કરવું જોઈએ:
“જો તારો દુશ્મન ભૂખ્યો હોય
તો એને ખવડાવ.
જો તારો દુશ્મન તરસ્યો હોય
તો તેને પાણી પા;
આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” (B)
21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
ઈસુનું પાસ્ખાપર્વનું ભોજન
(માર્ક 14:12-21; લૂ. 22:7-14, 21-23; યોહ. 13:21-30)
17 બેખમીર રોટલીના પ્રથમ દિવસે શિષ્યો ઈસુ પાસે આવ્યા. તે શિષ્યોએ કહ્યું, “અમે તારા માટે પાસ્ખા પર્વના ભોજન માટે બધી તૈયારી કરીશું. અમે ભોજનની તૈયારી ક્યાં કરીએ? તારી શી ઈચ્છા છે?”
18 ઈસુએ કહ્યું, “શહેરમાં જાવ, હું જે માણસને જાણું છું, એવા માણસ પાસે જાવ. ઉપદેશક કહે છે તે તેને કહો, ‘પસંદ કરાયેલો નિયત સમય નજીક છે. હું તારા ઘેર મારા શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન કરીશ.’” 19 શિષ્યોએ આજ્ઞાનું પાલન કર્યુ અને ઈસુએ તેઓને જે કરવા માટે કહ્યું તે કર્યુ. તેઓએ પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કર્યુ.
20 સાંજે ઈસુ મેજ પાસે તેના બાર શિષ્યો સાથે બેઠો હતો. 21 તેઓ બધા જમતા હતા. પછી ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક જે અહીં છે તે મને જલ્દીથી દુશ્મનોને સુપ્રત કરશે.”
22 શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યોએ ઈસુને કહ્યું, “પ્રભુ ખરેખર હું તે એક નથી!”
23 ઈસુએ કહ્યું, “જે એક જણે મારી સાથે તેનો હાથ વાટકામાં ઘાલ્યો છે તે જ વ્યક્તિ મારી વિરૂદ્ધ જશે. 24 પણ તે વ્યક્તિને અફસોસ છે જેની મારફતે માણસના દીકરાને મારી નાખવા સુપ્રત કરાયો છે. શાસ્ત્રનું લખાણ કહે છે કે આ બનશે. પરંતુ જે માણસના દીકરાને મારી નાખવા માટે સોંપે છે, તે વ્યક્તિનું ઘણું ખરાબ થશે. જો તે માણસ જન્મ્યો ના હોત તો તેને માટે સારું હોત.”
25 પછી યહૂદાએ ઈસુને કહ્યું, “ઉપદેશક, ચોક્કસ હું તારી વિરૂદ્ધ જઈશ નહિ.” (યહૂદા તે એક છે જે ઈસુને તેના દુશ્મનોને સોંપશે.)
ઈસુએ ઉત્તર આપ્યો, “હા તું તે જ છું.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International