Book of Common Prayer
સંભારણું- દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
તમે જલદી આવો અને મને મદદ કરો!
દાલેથ
25 હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું.
તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
26 મેં મારા માર્ગો પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો;
મને તારા વિધિઓ શીખવ.
27 તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો,
જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
28 વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે,
તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
29 તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો;
કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
30 તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે.
તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
31 હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને;
મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
32 તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ;
કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
હે
33 હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો;
અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ.
34 મને સમજણ આપો,
એટલે હું તમારા નિયમ પાળીશ;
હા, મારા અંત:કરણથી તેને માનીશ.
35 મને તમારા આજ્ઞાઓના માર્ગે દોરો.
કારણકે હું તેમાં આનંદ માણું છું.
36 તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે,
કેવી રીતે ધનવાન બનવું તેના પર.
37 વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો;
અને તમારા માર્ગે જીવન જીવવા માટે મને મદદ કરો.
38 તમારું જે વચન ભય ઉપજાવનારું છે;
તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
39 જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો;
કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
40 તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું;
મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.
વાવ
41 હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે
મારું તારણ મારા પર આવો.
42 તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે,
હું તમારા વચનનો ભરોસો કરું છું.
43 ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો,
હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
44 હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
45 તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે;
તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
46 હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ,
અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
47 તમારા નિયમો મને બહુ પ્રિય છે;
તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
48 હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ,
હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
યર્દન નદીને પેલે પાર આશ્ચર્યકૃત્યો
3 બીજે દિવસે વહેલી પરોઢે યહોશુઆ તથા બધા ઇસ્રાએલી લોકો શિટ્ટિમ શહેરમાંથી બહાર આવ્યા અને સાંજે તેઓએ નદી ઓળંગતા પહેલા યર્દન નદીના કિનારા પર મુકામ કર્યો. 2 ત્રણ દિવસ પછી અધિકારીઓએ છાવણીમાં ફરીને લોકોને આજ્ઞા કરીને કહ્યું કે, 3 “જ્યારે તમે લેવી યાજકોને તમાંરા દેવ યહોવાના પવિત્ર કરાર કોશને ઉપાડીને લઈ જતાં જુઓ, ત્યારે બધાંએ છાવણી છોડી તેમને અનુસરવું. 4 જેથી તમને કયા રસ્તે જવું તેની ખબર પડે, કારણ, તમે આ રસ્તે પેહલાં કદી આવ્યા નથી. પરંતુ તમે પવિત્ર કરાર કોશની નજીક જશો નહિ. તમાંરી અને કરારકોશની વચ્ચે 2,000 હાથનું અંતર રાખશો.”
5 યહોશુઆએ લોકોને કહ્યું કે, “તમાંરી જાતની શુદ્ધિ કરો, કેમ કે આવતી કાલે યહોવા તમાંરી મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.”
6 બીજી સવારે યહોશુઓએ યાજકોને આજ્ઞા કરી, “કરાર કોશને ઉપાડી લોકોની આગળ ચાલો.” તેથી તેઓએ કરારકોશ ઉપાડ્યો અને લોકોની આગળ ચાલ્યા.
7 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “હું એવું કરીશ કે આજથી ઇસ્રાએલી લોકો તને મહાપુરુષ તરીકે ગણશે, પછી તેઓ જાણશે કે, હું જેમ મૂસાની સાથે હતો તેમ હું તારી સાથે પણ રહીશ. 8 કરારકોશ લઈ જતાં યાજકોને આજ્ઞા કરો: ‘તમે યર્દન નદીના કિનારે પહોંચો પછી તમે નદીના પાણીમાં પ્રવેશો તે પહેલાં ત્યાં ઉભા રહો.’”
9 પછી યહોશુઆએ ઇસ્રાએલના લોકોને કહ્યું, “અહીં આવો અને તમાંરા દેવ યહોવા જે કહે છે તે સાંભળો. 10 આજે તમે ખાતરીપૂર્વક જાણશો કે જીવંત યહોવા તમાંરી મધ્યે વસે છે. આ દેશમાં વસતી પ્રજાઓ કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ તથા યબૂસીઓને તે અચૂક હાંકી કાઢશે અને તમે તે દેશના માંલિક થશો. 11 જુઓ, સમસ્ત પૃથ્વીના યહોવાનો કરારકોશ તમાંરી આગળ યર્દન નદી ઓળંગશે. 12 હવે ઇસ્રાએલના બાર કુળસમૂહોમાંથી દરેકમાંથી એક એક આગેવાન ચૂંટી કાઢો. 13 આખી પૃથ્વીના પ્રભુ યહોવાને કોશ યોજકો ઉપાડશે એટલે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને પાણી બંધની જેમ એકઠું થશે.”
25 ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે. 26 અને એ રીતે આખા ઈસ્રાએલને બચાવશે. શાસ્ત્રોમાં લખેલું છે:
“સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે;
તે યાકૂબના કુટુંબના અધર્મને તથા સર્વ અનિષ્ટોને દૂર કરશે.
27 અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ,
ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે.” (A)
28 યહૂદિઓ સુવાર્તા સ્વીકારવાનો ઈન્કાર કરે છે, તેથી તેઓ દેવના શત્રું છે. તમે બિનયહૂદિઓને મદદ કરવા આમ કર્યુ છે. પરંતુ એ ભૂલશે નહિ કે યહૂદિઓ હજૂ પણ દેવની ખાસ પસંદગી પામેલા લોકો છે. તેથી દેવ તેઓને ખૂબજ ચાહે છે. દેવે તેમના બાપદાદાઓને વચનો આપ્યાં હતાં, તેથી દેવ તેમને ચાહે છે. 29 દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી. 30 એક સમય એવો હતો કે જ્યારે તમે દેવના આદેશનો અનાદર કરતા હતા. પરંતુ હમણા તમે દયાપાત્ર બન્યા, કેમ કે પેલા યહૂદિ લોકોએ દેવ-આજ્ઞાનો અનાદર કર્યો છે. 31 અને હવે યહૂદિઓ આજ્ઞાપાલનનો અનાદર કરે છે, કેમ કે દેવે તમને ક્ષમા આપી છે. પરંતુ આમ એટલા માટે બન્યું, જેથી તેઓની ઉપર દેવ દયા કરે. 32 દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો જ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે.
દેવની સ્તુતિ
33 હા, દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે! દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે! દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે! દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. 34 શાસ્ત્ર કહે છે તેમ,
“પ્રભુનું મન કોણે જાણ્યું છે?
તેનો મંત્રી કોણ થયો છે?” (B)
35 “દેવને કોઈએ કઈ પણ ક્યારે આપ્યું છે?
દેવ કોઈ પણ વ્યક્તિનો ઋણી નથી. જેથી કોઈને પાછું ભરી આપવામાં આવે?” (C)
36 હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.
માણસનો દીકરો બધા લોકોનો ન્યાય કરશે
31 “માણસનો દીકરો ફરીથી આવશે. તે ભવ્ય મહિમા સાથે તેના બધાજ દૂતો સાથે આવશે અને તે રાજા તરીકે મહિમાના રાજ્યાસન પર બીરાજશે. 32 વિશ્વના બધાજ લોકો માણસના દીકરાની આગળ ભેગા થશે. માણસનો દીકરો પછી બધાજ લોકોને બે ભાગમાં વહેંચી નાખશે. જેમ ઘેટાંપાળક ઘેંટા બકરાંને જુદા પાડે છે. 33 માણસનો દીકરો ઘેટાંને (સારા લોકો) પોતાની જમણી બાજુ મૂકશે અને બકરાંને (ખરાબ લોકો) ડાબી બાજુ રાખશે.
34 “પછી તે રાજા, જમણી બાજુ બેસનારા સારા માણસોને કહેશે, ‘આવો, મારા બાપના આશીર્વાદિતો આવો, અને જે રાજ્ય જગતનો પાયો નાખતા પહેલા તમારા માટે અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યુ છે તે પ્રાપ્ત કરો. 35 તમને આ રાજ્ય મળ્યું છે કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈક પીવા આપ્યું હતું. અને જ્યારે હું એકલો ભટકતો હતો ત્યારે તમે મને ઘેર બોલાવ્યો હતો. 36 હું વસ્ત્ર વગરનો હતો ત્યારે તમે મને કાંઈક પહેરવાં આપ્યું હતું. હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી હતી, હું કારાવાસમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા હતા.’
37 “પછી સારા માણસો ઉત્તર આપશે, ‘પ્રભુ, અમે ક્યારે તને ભૂખ્યો જોયો અને ભોજન આપ્યું? અમે ક્યારે તને તરસ્યો જોયો અને તને કાંઈક પીવા આપ્યું? 38 અમે તને ક્યારે એકલો જોયો અને ઘરથી દૂર ફરતા જોયો? અને અમે તને અમારે ઘેર ક્યારે બોલાવ્યો? અમે તને વસ્ત્ર વગર ક્યારે જોયો અને તને કોઈક વસ્ત્ર પહેરવા આપ્યું? 39 અમે તને ક્યારે માંદો જોયો? અમે તને ક્યારે કારાવાસમાં જોયો અને તારી મુલાકાત લીધી?’
40 “પછી રાજા ઉત્તર આપશે, ‘હું તમને સત્ય કહું છું. તમે મારા લોકોમાંના એકના માટે અહીં જે બધું કર્યુ તે બધું તમે મારા માટે જ કર્યુ.’
41 “પછી રાજા તેની ડાબી બાજુ બેઠેલા માણસોને કહેશે. ‘મારી પાસેથી જે અગ્નિ સદાને માટે સળગે છે ત્યાં ચાલ્યા જાઓ. તમે શ્રાપિત છો, શેતાન તથા તેના દૂતો માટે જે સર્વકાલિક અગ્નિ તૈયાર કરેલો છે તેમાં પડો અને, 42 આજ તમારી સજા છે. કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કશું જ ખાવાનું આપ્યું નહોતું અને જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈ પીવા આપ્યું નહોતું. 43 હું જ્યારે ઘરતી દૂર હતો અને ફરતો હતો, ત્યારે તમે મને ઘરમાં બોલાવ્યો નહોતો. વસ્ત્ર વગર નગ્ન હતો, પરંતુ તમે મને વસ્ત્ર પહેરવા આપ્યા નહોતા. હું બિમાર હતો અને કારાવાસ ભોગવતો હતો ત્યારે તમે મારી સેવા કરી નહોતી.’
44 “પછી લોકો પણ ઉત્તરમાં પૂછશે, ‘હે પ્રભુ, અમે તને ભૂખ્યો, તરસ્યો, એકલો, વસ્ત્ર વગર, બિમાર અથવા બંદી ક્યારે જોયો? અને અમે તને મદદ ના કરી?’
45 “પછી રાજા ઉત્તરમાં કહેશે, ‘હું તમને સત્ય કહું છું, કે તમે અહીં મારા લોકોમાંના કોઈને પણ ના પાડી તે મને ના પાડી બરાબર છે.’
46 “પછી તે દુષ્ટ માણસો ત્યાંથી ચાલ્યા જશે અને તેઓને સદાને માટે સજા થશે. અને પછી સારા લોકો અનંતજીવનમાં જતા રહેશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International