Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો;
જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.
2 તેઓ પોતાના અંતરમાં દુષ્ટ યોજનાઓ ઘડે છે;
ને રોજ રોજ નવા ઝગડા ઊભા કર્યા કરે છે.
3 તેઓએ પોતાની જીભ સાપની જેવી તીક્ષ્ણ બનાવી છે;
અને તેઓની જીભની નીચે નાગનું વિષ છે.
4 હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો;
જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે;
એવા હિંસક માણસોથી તમે મને બચાવો.
5 હે ગવિર્ષ્ઠ માણસોએ મને પકડવા છટકું ગોઠવ્યું છે;
આચકો મારીને મને ઊંચે ખેંચીને હવામાં લટકતા છોડવા માટે જાળ પાથરી છે;
તેઓ મારા ઉપર જાળ નાખવા જાડીમાં છુપાયા છે.
6 મેં યહોવાને કહ્યું, તમે મારા દેવ છો;
હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.
7 હે પ્રભુ યહોવા, મારા સમર્થ તારક;
યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
8 હે યહોવા, આ દુષ્ટો જે ઇચ્છે છે તે તેમની પાસે ન હોય.
તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ;
નહિ તો તેઓ ઊંચા ઊઠશે.
9 તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ;
મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે
તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.
10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો;
અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે;
અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.
11 જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ,
તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!
12 મને જાણ છે કે, યહોવા નિર્ધન લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે,
અને ગરીબોનો હક જાળવશે.
13 યહોવાનો ભય રાખનારા ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે;
કારણકે, યથાર્થ મનુષ્યો તમારી સક્ષમતામાં જીવશે.
દાઉદ ગુફામાં હતો તે સમયે લખાયેલી તેની પ્રાર્થના. દાઉદનું માસ્કીલ.
1 હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું;
અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
2 હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું
અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
3 હું બેહોશ થવાનો હોઉં,
ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ જે રસ્તે હું ચાલું છું;
તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.
4 જ્યારે હું આજુબાજુ જોઉં છું,
હું કોઇ મિત્રને જોતો નથી,
જે મને મદદ કરી શકે,
અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
5 હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું,
“યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો.
આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
6 મારા પોકારો સાંભળો,
કેમકે હું દુ:ખી છું;
જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો;
કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
7 મને બંદીવાસમાંથી બહાર લાવો,
જેથી હું તમારો આભાર માની શકું.
તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા
મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.
દાઉદનું ગીત.
1 હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો;
કારણકે, મેં પ્રાર્થના કરી છે.
મદદ માટેનો પોકાર સાંભળો.
2 મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ,
મારા ઊંચા થયેલા હાથો તે વેદી પરના સંધ્યાકાળના દહનાર્પણોની જેમ તમને સ્વીકાર્ય હો!
3 હે યહોવા, મારા મુખને બંધ રાખવા
અને મારા હોઠોને બીડેલા રાખવા મને સહાય કરો.
4 મારા હૃદયમાં કંઇ દુષ્ટ વસ્તુ પ્રવેશે નહિ,
જેથી દુષ્કર્મો કરનારની સાથે તેમના દુષ્ટકાર્યોમાં હું જોડાઉં નહિ
અને તેઓ જે કરવા ચાહે છે તેમાં હું તેમને સાથ ન આપું.
5 જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો
હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ.
તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે.
હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું!
પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
6 તેઓના ન્યાયધીશો પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવે.
તેઓ સાંભળશે અને અનુભવશે કે મારાં શબ્દો સાચા અને મીઠાં છે.
7 જેમ કોઇ જમીન ખેડે અને આજુબાજુ ગંદકી ફેલાવે,
તેમ અમારાં હાડકાં કબરના પ્રવેશ આગળ વિખરાયેલાં હતા.
8 પણ હે યહોવા પ્રભુ, હું મદદ માટે તમારી તરફ જોઉં છું.
હું તમારો વિશ્વાસ કરું છું.
મારા આત્માનો નાશ ન થવા દો.
9 તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી
અને ભૂંડુ કરનારાઓએ ગોઠવેલી જાળમાથી મને બચાવો.
10 દુષ્ટો પોતાની જાળમાં ફસાઇ જાય,
અને તમે મારી રક્ષા કરો.
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
મારી આજીજીનો જવાબ આપો
અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
2 હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો,
કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.
3 મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે;
તેઓએ મને જમીન પર પછાડ્યો છે,
અને અંધકારમાં પૂરી દીધો છે,
જાણે હું મરી ગયો હોઉં તેમ.
4 માટે મારો આત્મા ઘણો મૂંઝાઇ ગયો છે;
અને મારું અંત:કરણ સ્તબ્ધ થઇ ગયું છે.
5 હું ભૂતકાળનાં વર્ષો સ્મરું છું;
તે વખતે તમે મહિમાવંત ચમત્કારો કર્યા હતાં;
તેનું મનન કરું છું.
6 હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું;
સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.
7 હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે
હું નબળો થતો જાઉં છું;
તમે મારાથી મોઢું ફેરવશો તો
હું મૃત્યુ પામીશ.
8 મને પ્રભાતમાં તમારી કૃપા અનુભવવા દો;
કારણકે, હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઇએ તે મને બતાવો, કારણકે,
હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
9 મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો;
સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
10 મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો;
કારણકે તમે મારા દેવ છો;
તમારો ઉત્તમ આત્મા મને સત્યને માર્ગે દોરી જાઓ.
11 હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો;
તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.
12 મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો;
અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો;
કારણકે હું તમારો સેવક છું.
બલામની ત્રીજી ભવિષ્યવાણી
24 બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો. 2 તેણે જોયું તો ઇસ્રાએલીઓએ કુળસમૂહો પ્રમાંણે છાવણી નાંખી હતી. પછી દેવના આત્માંએ તેનામાં પ્રવેશ કર્યો. 3 અને તેણે ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું,
“બયોરનો પુત્ર બલામ કહે છે,
જે સ્પષ્ટ નિહાળે છે તે દિવ્ય દૃષ્ટિ ધરાવનારની વાણી છે.
4 દેવના શબ્દો સાંભળનારની વાણી છે.
સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલાં દિવ્યદર્શનો જોનારની વાણી છે.
5 “હે યાકૂબના લોકો, તમાંરા મંડપ કેવા સુંદર છે!
હે ઇસ્રાએલીઓ તમાંરા ઘરો કેવા રઢિયાળ છે!
6 જાણે નદીકાંઠે વિસ્તરેલા બાગબગીચા,
જાણે યહોવાએ રોપેલા કુવારના છોડ,
7 અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે,
તેઓને ભરપૂર પાણીથી આશીર્વાદિત કરવામાં આવશે.
ઘણું જળસીંચન કરેલા ખેતરોમાં તે બી વાવશે.
તેઓનો રાજા અગાગ રાજા કરતાં મહાન થશે; તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.
8 “દેવ તેઓને મિસરમાંથી લઈ આવ્યા
તે જ રાની બળદના શીંગડાની જેમ તેમનું રક્ષણ કરે છે.
તેઓ સિંહ જેવા છે;
પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને તે ખાઈ જશે;
તે તેઓનાં હાડકાં ભાંગીને ચૂરા કરશે,
અને તે અસંખ્ય તીરોથી તેઓને વીંધી નાખશે.
9 પછી તે આડો પડીને ઊઘે છે,
તેને ઉઠાડવાની હિંમત કોણ કરે?
હે ઇસ્રાએલીઓ, તમને જે આશીર્વાદ
આપે તેના પર આશીર્વાદ ઊતરો,
તમને જે શ્રાપ આપે
તેના પર શ્રાપ ઊતરો.”
10 આ સાંભળીને રાજા બાલાક બલામ પર ખૂબ ગુસ્સે થયો. ક્રોધાવેશમાં મુક્કી પછાડીને તેણે અણગમો વ્યક્ત કરતાં ઊંચા સાદે કહ્યું, “હું માંરા દુશ્મનોને શ્રાપ આપવા માંટે તને લઈ આવ્યો અને તેં ત્રણ ત્રણ વાર તેમને આશીર્વાદ આપ્યા! 11 ચાલ, ભાગ, અહીંથી ચાલ્યો જા. ઘર ભેગો થઈ જા! મેં તને ભારે સન્માંન આપવાનું વચન આપ્યું હતું, પણ યહોવાએ તને તેનાથી વંચિત રાખ્યો છે.”
12 બલામે પ્રત્યુત્તર આપ્યો, “મેં તો તેં મોકલેલા માંણસોને કહ્યું હતું કે, 13 ‘બાલાક મને તેના ઘરનું બધું સોનું અને ચાંદી આપે, તોયે હું યહોવાની આજ્ઞાની વિરુદ્ધ જઈને માંરી મરજી મુજબ સારું કે ખરાબ કઈ જ ન કરી શકું. હું તો યહોવા જે કહેવાનું મને કહેશે તે જ કહીશ.’
12 તેથી, મારા ભાઈઓ અને બહેનો, આપણે આપણાં પાપાત્માઓની સત્તા આપણા પર ન જ ચાલવા દેવી જોઈએ. આપણાં પાપી શરીરોની ઈચ્છાઓ કે વાસનાઓથી દોરવાઈને આપણે જીવવું જોઈએ જ નહિ. 13 જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.
14 દેવનાં સાચાં સંતાનો એ છે કે જેઓ દેવના આત્માનું માર્ગદર્શન સ્વીકારે છે. 15 જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ. 16 આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ. 17 જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે.
ઈસુને પકડવાની કેટલાંક યહૂદિ આગેવાનોની ચાલ
(માર્ક 12:13-17; લૂ. 20:20-26)
15 પછી ફરોશીઓ ઈસુ જ્યાં ઉપદેશ આપતો હતો તે જગ્યા છોડી ચાલ્યા ગયા અને એક સભા બોલાવીને ઈસુને પ્રશ્નો દ્વારા ફસાવવાનું નક્કી કર્યુ. 16 તેથી ફરીશીઓએ કેટલાક માણસોને અને હેરોદીઓને ઈસુની પાસે મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું પ્રમાણિક છે અને કોઈની શેહશરમમાં આવ્યા વિના તું દેવના માર્ગ વિષે સાચું શિક્ષણ આપે છે. તારી પાસે બધાજ લોકો સરખા છે. 17 તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?”
18 ઈસુ એમનો ખરાબ વિચાર સમજી ગયા અને કહ્યું, “ઢોંગીઓ! તમે મને શા માટે ફસાવવા માંગો છો? 19 તમે જે સિક્કા દ્વારા કર ચૂકવો છો તે લાવીને મને બતાવો.” તેઓએ એક દીનાર લાવીને ઈસુને બતાવ્યો. 20 પછી ઈસુએ તેમને પૂછયું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના ઉપર કોનું નામ લખેલું છે?”
21 પછી લોકોએ કહ્યું, “આના ઉપર કૈસરનું નામ છે અને તેનું જ ચિત્ર છે.”
એટલે ઈસુએ તેઓને કહ્યુ, “જે કૈસરનાં છે તે કૈસરને આપી દો અને જે દેવનું છે તે દેવને આપી દો.”
22 ઈસુની વાત સાંભળી બધા અચરત પામ્યા, અને ઈસુને છોડી ત્યાંથી ચાલ્યા ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International