Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 118

યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
    તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
    “તેમની કૃપા સદાય રહે છે.”
હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”

મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
    તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
    પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
    તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
    યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
    યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.

10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
    પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
    પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
    પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
    હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.

13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
    પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
    તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
    યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
    અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
    અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
    પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
    અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
    યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
    અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.

22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
    તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
    આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
    આપણે તેમાં આનંદોત્સવ કરીએ.

25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
    હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
    યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
    બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.

28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
    તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 145

દાઉદનું ગીત.

હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
    હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
    અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
    તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
    અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
    હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
    હું તમારી મહાનતા વર્ણવીશ.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
    અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.

યહોવા દયાળુ અને કૃપાળુ છે;
    તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
    અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
    અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
    તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
    તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
    અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.

14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
    બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
    અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
    અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
    અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
    તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
    સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
    પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
    તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!

ગણના 21:4-9

પિત્તળનો સાપ

ઇસ્રાએલીઓ હોર પર્વત પાછા ફર્યા, ત્યાંથી તેઓ દક્ષિણ તરફ રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશ ફરતાં આગળ ગયા; હવે લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. તેઓ દેવની અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “તમે શા માંટે અમને મિસરમાંથી લઈ આવ્યા. અહી મરવા માંટે? અહીં ખાવા અનાજ નથી, પીવાને પાણી નથી. આ સ્વાદરહિત માંન્નાથી તો અમે કંટાળી ગયા છીએ.”

ત્યારે યહોવાએ તેમની વચ્ચે તેઓને શિક્ષા કરવા ઝેરી સાપ મોકલ્યા અને ઘણા ઇસ્રાએલી લોકો સાપ કરડવાથી મૃત્યુ પામ્યા. તેથી લોકો મૂસા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “અમે યહોવાની અને તારી વિરુદ્ધ બોલીને પાપ કર્યુ છે, તું અમને આ સર્પોથી છોડાવવા માંટે યહોવાને પ્રાર્થના કર.” તેથી મૂસાએ લોકો માંટે પ્રાર્થના કરી.

અને યહોવાએ મૂસાને કહ્યું, “ઝેરી સાપના આકાર વાળો એક પિત્તળનો સાપ બનાવ અને તેને લાકડીની ટોચ પર મૂક, જેથી જેને સાપ કરડયા હોય તે તેને જોઈને સાજાં થઈ જાય.” તેથી મૂસાએ પિત્તળનો સાપ બનાવીને સ્તંભ પર મૂકયો, અને જેને જેને સાપ કરડયો હોય તે તેના તરફ જોતાં જ સાજા થઈ જતાં.

ગણના 21:21-35

સીહોન અને ઓગ

21 ત્યાર પછી ઇસ્રાએલે પોતાના કાસદો માંરફતે અમોરીઓના રાજા સીહોનને સંદેશો મોકલ્યો કે,

22 “કૃપા કરીને અમને તમાંરા દેશમાં થઈને જવા માંટે રજા આપો, અમે તમાંરા ખેતરો કે દ્રાક્ષની વાડીઓમાં થઈને જઈશું નહિ, અમે તમાંરા કૂવાઓમાંથી પાણી પણ પીશું નહિ. અમે તમાંરી સરદહને પેલે પાર નહિ જઈએ ત્યાં સુધી અમે ફકત મુખ્ય રસ્તાઓ ઉપર જ ચાલીશું.”

23 પરંતુ સીહોને ઇસ્રાએલીઓને પોતાના દેશમાં થઈને જવા દીધા નહિ. તેણે પોતાના સૈન્યને એકત્ર કર્યુ અને રણમાં ઇસ્રાએલીઓ ઉપર હુમલો કર્યો અને યાહાસ પાસે પહોંચી ગયો. ત્યાં તેઓની સાથે યુદ્ધ કર્યુ.

24 પણ ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક, આમ્મોનીઓની સરહદ સુધીનો તેમનો પ્રદેશ કબજે કરી લીધો. અહીં તેઓ અટકી ગયા; કારણ કે આમ્મોનની સરહદે રક્ષણ મજબૂત હતું. 25 ઇસ્રાએલીઓએ હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં શહેરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું. 26 હેશ્બોન અમોરીઓના રાજા સીહોનની રાજધાનીનું નગર હતું. અગાઉના મોઆબના રાજા સામે સીહોને યુદ્ધ કરીને આર્નોન સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો. 27 તેથી ગાયકોએ આ ગીત ગાયું છે:

“જાઓ અને હેશ્બોન ફરીથી બાંધો,
    હાં, ચાલો આપણે સીહોનના શહેરને;
    મજબૂત બનાવી અને તેને ફરી વસાવીએ.
28 એક વખત હેશ્બોનમાંથી નીકળ્યાં હતાં આગ,
    જેમ સીહોનનાં લશ્કર;
આર્નોનના પર્વતને ગળી જઈ,
    ભસ્મ કર્યુ મોઆબનું આર નગર.
29 આ શી તમાંરી દશા! મોઆબ તને દિલગીરી!
    કમોશના ભજનિકોનો નાશ!
નિરાશ્રિત બનાવ્યો તને તારા દેવે,
    દિલગીરી! અને તમાંરી સ્ત્રીઓ બની, અમોરીઓના રાજા સીહોનની કેદી, દિલગીરી!
30 અને હવે કર્યો છે એના ઉપર આપણે હલ્લો,
    હેશ્બોન, દીબોન, નોફાહ, ને મેદબાનો થયો વિનાશ!”

31 આ રીતે ઇસ્રાએલીઓ અમોરીઓના પ્રદેશમાં વસવા લાગ્યા.

32 મૂસાએ યાઝેર નગર પર કેવી રીતે હુમલો કરવો તેની જાસૂસી કરવા માંટે માંણસો મોકલ્યા. અને ઇસ્રાએલીઓએ આસપાસનાં ગામો સહિત યાઝેરનો કબજો લીધો અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢયા.

33 પછી તેઓએ બાશાન તરફના રસ્તા પર મુસાફરી કરી, બાશાનનો રાજા ઓગ યુદ્ધ માંટે પોતાના સૈન્ય સાથે એડ્રેઈ આવ્યો.

34 યહોવાએ મૂસાને કહ્યું, “એનાથી ડરતો નહિ, કારણ કે મેં તેને, એની પ્રજાને અને તેના દેશને તમાંરા હાથમાં સોંપી દીધાં છે. હેશ્બોનમાં રહેતાં અમોરીઓના રાજા સીહોનની જેવી હાલત કરી, તેવી જ હાલત તમે તેની કરજો.”

35 અને એ પ્રમાંણે જ થયું. ઇસ્રાએલનો વિજય થયો. ઇસ્રાએલીઓએ રાજા ઓગ, તેના પુત્રો અને તેના સર્વ લોકોનો સંહાર કર્યો જીવતો પાછો જવા પામ્યો નહિ. અને ઇસ્રાએલીઓએ તેનો પ્રદેશ કબજે કરી લીધો.

પ્રેરિતોનાં કૃત્યો 17:12-34

12 આ યહૂદિઓમાંના ઘણા માનતા. ઘણા મહત્વના ગ્રીક માણસો અને ગ્રીક સ્ત્રીઓએ પણ વિશ્વાસ કર્યો.

13 પરંતુ જ્યારે થેસ્સલોનિકાના યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલે બરૈયામાં દેવનાં વચન કહ્યા. તેઓ પણ બરૈયામાં આવ્યા. થેસ્સલોનિકાના લોકોએ બરૈયાના લોકોને ઉશ્કેરીને મુશ્કેલીમાં મૂક્યા. 14 તેથી વિશ્વાસીઓએ પાઉલને ઝડપથી સમુદ્ર કિનારે મોકલી દીધો. પરંતુ સિલાસ અને તિમોથી બરૈયામાં રહ્યા. 15 વિશ્વાસીઓ જે પાઉલની સાથે ગયા, તેઓ તેમને આસ્થેન્સ શહેરમાં લઈ ગયા. આ ભાઈઓ પાઉલ પાસેથી સંદેશો લઈને સિલાસ અને તિમોથી પાસે પાછા ગયા. સંદેશામાં કહ્યું, “મારી પાસે જેટલા બની શકે તેટલા જલ્દી આવો.”

આથેન્સમાં પાઉલ

16 પાઉલ આથેન્સમાં સિલાસ અને તિમોથીની રાહ જોતો હતો. પાઉલનો આત્મા ઉકળી ઊઠ્યો કારણ કે તેણે જોયું કે શહેર મૂર્તિઓથી ભરેલું છે. 17 પાઉલે સભાસ્થાનમાં જેઓ સાચા દેવની ભક્તિ કરે છે તેવા યહૂદિઓ અને ગ્રીકો સાથે વાતો કરી. પાઉલે શહેરના વેપારી વિસ્તારમાંથી પસાર થતા લોકો સાથે વાતો કરી. પાઉલે આમ રોજ કર્યુ. 18 કેટલાએક એપિકૂરી તથા સ્ટોઇક (મત માનનારા) દાર્શનિકોએ તેમની સાથે દલીલો કરી.

તેઓમાંના કેટલાએકે કહ્યું, “આ માણસ ખરેખર જાણતો નથી કે તે શાના વિષે કહે છે. તે શું કહેવાનો પ્રયત્ન કરે છે?” પાઉલ તેઓને ઈસુના મૃત્યુમાંથી ઊભા થવાની વાત પ્રગટ કરતો હતો. તેથી તેઓએ કહ્યું, “તે આપણને બીજા કેટલાએક દેવો વિષે કહેતો હોય એમ દેખાય છે.”

19 તેઓએ પાઉલને પકડીને અને તેને અરિયોપગસની કારોબારીની સભામાં લઈ આવ્યા. તેઓએ કહ્યું, “કૃપા કરીને તું અમને જે નવો વિચાર શીખવે છે તે સમજાવ. 20 તું જે વાતો કહે છે તે અમારે માટે નવી છે. આ વાતો અમે પહેલા કદાપિ સાંભળી નથી. અમે જાણવા ઇચ્છીએ છીએ કે આ શિક્ષણનો અર્થ શો છે?” 21 (આથેન્સના બધા લોકો અને બીજા પ્રદેશોના લોકો જેઓ ત્યાં રહેતા, તેઓ તેમનો સમય બીજા કશામાં નહિ પરંતુ કંઈક નવું સાંભળવામાં અને કહેવામાં વિતાવતા.)

22 પછી પાઉલ અરિયોપગસની કારોબારી સભા સમક્ષ ઊભો રહ્યો. પાઉલે કહ્યું, “આથેન્સના માણસો, હું જોઈ શકું છું કે તમે બધી વાતોમાં ઘણા ધર્મચુસ્ત છો. 23 હું તમારા શહેરમાંથી પસાર થતો હતો અને તમે જે પદાર્થોનું ભજન કરતા હતા તે જોયું. મેં એક વેદી જોઈ, જેના પર આ શબ્દો લખેલા હતા. ‘એ દેવને જે અજ્ઞાત છે.’ તમે એક દેવને ભજો છો જેને તમે જાણતા નથી. હું તમને જેના વિષે કહું છું તે આ દેવ છે!

24 “તે એ દેવ છે જેણે આખી દુનિયા અને તેમાંની દરેક વસ્તુઓ બનાવી. તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ છે તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી. 25 આ એ દેવ છે જે જીવન, શ્વાસોચ્છવાસ છે અને લોકોને સર્વ વસ્તુઓ આપે છે. તેને લોકો પાસેથી કોઇ પણ મદદની જરુંર પડતી નથી. દેવ પાસે તેને જરુંરી બધીજ વસ્તુઓ છે. 26 દેવે એક માણસ (આદમ) બનાવીને શરુંઆત કરી. તેનાથી દેવે બધા વિવિધ લોકો બનાવ્યા. દેવે તેને વિશ્વમાં દરેક સ્થળે રહેતો કર્યો. દેવે ચોકસાઈપૂર્વક નિર્ણય કર્યો. તેઓએ ક્યાં અને ક્યારે રહેવું જોઈએ.

27 “દેવ ઈચ્છે છે કે લોકો તેને શોધે, તેઓ તેને માટે ચારે બાજુ અંધારામાં ફંફોસીને તેને પામે, પરંતુ તે આપણામાંના કોઇથી વેગળો નથી: 28 આપણે તેની સાથે રહીએ છીએ, આપણે તેની સાથે ચાલીએ છીએ, આપણે તેની સાથે છીએ. તમારા પોતાના કેટલાએક કવિઓએ કહ્યું છે: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’

29 “આપણે દેવના બાળકો છીએ. તેથી તમારે એમ વિચારવું ના જોઈએ કે દેવ માણસોની કારીગરી કે કાલ્પનિક કોઇક વસ્તુ જેવા છે. તે કાંઈ સુવર્ણ, ચાંદી કે પથ્થર જેવો નથી. 30 ભૂતકાળમાં લોકો દેવને સમજતા નહોતા. પણ દેવે આ બાબતમાં અજ્ઞાનતા બતાવી હતી પણ હવે, દેવ વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિને તેનું હ્રદય અને જીવન બદલવાનું (પસ્તાવો) કહે છે. 31 દેવે એક દિવસ નક્કી કર્યો છે જ્યારે તે દુનિયાના બધા જ લોકોનો ન્યાય કરશે. તે ઉદાર થશે. તે એક માણસનો આ કામ માટે ઉપયોગ કરશે. લાંબા સમય પહેલા દેવે આ માણસને પસંદ કર્યા છે. અને દેવે દરેક વ્યક્તિને આ બાબતની સાબિતી આપી છે. દેવે તે માણસને મૃત્યુમાંથી ઉઠાડી તે સાબિત કર્યુ છે!”

32 જ્યારે લોકોએ ઈસુના મૃત્યુમાંથી પુનરુંત્થાન વિષે સાંભળ્યું, તેમાંના કેટલાએક હસ્યા અને બીજા કેટલાએકે કહ્યું, “અમે પાછળથી આ વિષે વધારે તમારી પાસેથી સાંભળીશું.” 33 પછી પાઉલ તેઓની પાસેથી ચાલ્યો ગયો. 34 પરંતુ કેટલાક લોકોએ પાઉલમાં વિશ્વાસ મૂક્યો અને તેની સાથે જોડાયો. તે લોકોમાંનો એક વિશ્વાસી દિયોનુસ્થસ હતો. તે અરિયોપગસી કારોબારીનો સભ્ય હતો. બીજી વ્યક્તિ દામરિસ નામની સ્ત્રી વિશ્વાસ કરવા લાગી. બીજા કેટલાક લોકો પણ હતા જે વિશ્વાસ કરવા લાગ્યા.

લૂક 13:10-17

ઈસુનું વિશ્રામવારે એક સ્ત્રીને સાજા કરવું

10 ઈસુ એક સભાસ્થાનમાં વિશ્રામવારે ઉપદેશ આપતો હતો. 11 સભાસ્થાનમાં એક સ્ત્રી હતી, જેનામાં મંદવાડનો આત્મા હતો. આ મંદવાડના આત્માએ તેને 18 વરસથી કુબડી બનાવી હતી. તેની પીઠ હંમેશા વાંકી રહેતી. તે સીધી ઊભી થઈ શકતી નહિ. 12 જ્યારે ઈસુએ તેને જોઈ, તેને બોલાવી; બાઇ, તારો મંદવાડ તારી પાસેથી દૂર જતો રહ્યો છે! 13 ઈસુએ તેના પર હાથ મૂક્યા પછી તે સીધી ઊભી થઈ શકી. તેણે દેવની સ્તુતિ કરી.

14 સભાસ્થાનના આગેવાનો ગુસ્સે થયા કારણ કે વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી. આગેવાને લોકોને કહ્યું, “કામ કરવાના દિવસ 6 છે. તેથી તે દિવસોમાં કોઈ પણ દિવસે આવીને સાજા થાઓ. વિશ્રામવારના દિવસે સાજા થવા આવવું નહિ.”

15 પ્રભુએ ઉત્તર આપ્યો, “તમે લોકો ઢોંગી છો! તમારામાંનો દરેક તેના બળદ તથા ગધેડાને તેના તબેલામાંથી છોડે છે અને દરરોજ પાણી પીવડાવવા માટે લઈ જાય છે-વિશ્રામવારે પણ! 16 આ સ્ત્રી જેને મેં સાજી કરી છે તે આપણી યહૂદિ બહેન છે. પરંતુ શેતાને તેને 18 વરસથી બાંધી રાખી હતી. ખરેખર, વિશ્રામવારે તેને મંદવાડમાંથી મુક્ત કરવી તે ખોટું નથી!” 17 જ્યારે ઈસુએ આમ કહ્યું ત્યારે જે બધા માણસો તેની ટીકા કરતાં હતા તેઓ શરમાયા અને ઈસુ જે અદભૂત કામો કરતોં હતો તેથી બધાં જ ખુશ થયા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International