Book of Common Prayer
નિર્દેશક માટે. તારવાળાં વાજીંત્ર સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે દેવ, મારી પ્રાર્થના સાંભળો
અને મારી અરજી પર ધ્યાન આપો.
2 જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે,
ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ!
હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી,
તેથી તે પર તમે મને લઇ જજો.
3 તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે
મને મારા શત્રુઓથી બચાવે છે!
4 હું સદાકાળ તમારા મંડપમાં રહીશ,
અને તારી પાંખોના આશ્રયે રહીશ.
5 હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે.
જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
6 રાજાના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી
તે આવનાર પેઢીઓ સુધી જીવે.
7 તે સદાકાળ દેવની સંમુખ રહેશે.
તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
8 હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ
અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ.
નિર્દેશક માટે. યદૂથૂનની રીત મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.
1 દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે.
મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું,
કારણ ફકત તે જ મારૂં તારણ કરી શકે છે.
2 હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે;
સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?
3 જે વ્યકિત નમી ગયેલી ભીંત
કે ભાગી ગયેલી વાડ જેવી નિર્બળ છે,
તેના ઉપર તમે સર્વ માણસો
ક્યાં સુધી આક્રમણ કરશો?
4 તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે
પાડી દેવા ચાહે છે;
તેઓ જૂઠથી હરખાય છે,
અને મુખેથી આશીર્વાદ આપે છે,
પરંતુ હૃદયથી શાપ આપે છે.
5 મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી
અને ધૈર્યથી રાહ જુએ છે.
હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે;
કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
6 હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે,
હું ઉથલાઇ જનાર નથી.
7 ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે,
મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
8 હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો,
અને તમારી શું મનોકામના છે તે તેને કહો.
આપણા સૌનો આશ્રય દેવ છે.
9 ખરેખર લોકો મદદ કરી શકતા નથી,
દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી;
ફકત તમારી દમન
અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ.
લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ.
જો તમે ધનવાન બનો તો,
તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
11 દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે:
“સાર્મથ્ય દેવ પાસે છે.”
12 ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે,
તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.
નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.
1 હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
2 તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
3 પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
હા, સૌ અતિ આનંદ કરો.
4 દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
5 આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
6 દેવ એકાકી લોકોને ઘર આપે છે.
કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.
7 હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
અને તમે વેરાન રણમાં કૂચ કરી.
8 દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
9 હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું.
લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે
અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી
અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”
14 જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે,
તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે,
બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો?
કે જેને યહોવા પોતાને રહેવા
માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે;
અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે,
તે બંદીવાનોની કૂચને ઘેરે છે,
જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા
તેમની પાસેથી તથા માણસો[b] પાસેથી ભેટો સ્વીકારવા
યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
19 ધન્ય છે પ્રભુને,
કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
અને તેઓજ સૌનું તારણ કરે છે.
20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
યહોવા જ આપણા તારણના દેવ છે.
21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ,
તેઓ અપરાધના માર્ગો છોડી દેવાની ના પાડે છે.
22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ,
પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
23 જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો,
અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”
24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે!
તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
25 આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે.
તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો;
ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો.
કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે,
યહૂદાના સરદારો, ઝબુલોન,
નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.
28 હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ,
તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં
રાજાઓ ઉપહારો લઇને આવે છે.
30 બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો,
રાષ્ટ્રોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો,
જેથી તેઓ તમારે શરણે આવે
અને તમારા માટે ચાંદીની ભેટો લાવે,
યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે.
કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ,
અને યહોવાનું સ્તવન કરો.
33 પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા,
એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
34 પરાક્રમ કેવળ દેવનું છે,
તેમની સત્તા ઇસ્રાએલ પર છે;
તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
35 હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો,
ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે.
તેમને ધન્ય હો!
14 દુનિયા પર એક એવી વ્યર્થતા છે કે, સારા માણસોને જાણે તેઓ ખરાબ હોય તેમ શિક્ષા પામે છે અને દુષ્ટ જાણે કે તેઓ સારા હોય તેમ સારા ફળ પામે છે. આ પણ વ્યર્થતા છે! 15 તેથી મેં તેઓને વિનોદ કરવાની ભલામણ કરી, કારણ કે ખાવું-પીવું તથા મોજમઝા કરવી તેના કરતાં માણસને માટે દુનિયા પર કોઇ શ્રે નથી; કારણ કે દેવે તેને દુનિયા ઉપર જે આયુષ્ય આપ્યું છે તેનાં બધાં દિવસોની મહેનતનાં ફળોમાંથી તેને એટલું જ મળશે.
દેવ બધું કરે છે તે આપણે સમજી નથી સકતા
16 તેથી હું જાતે બુદ્ધિ સંપાદન કરવામાં, તથા દુનિયામાં થતાં કામો જોવામાં પ્રવૃત રહ્યો, કારણ કે એવા મનુષ્યો પણ હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘ મળતી નથી. 17 પરંતુ દેવ જે કાંઇ કરે છે એનો અર્થ તે પામી શકે તેમ નથી. કદાચ કોઇ જ્ઞાની માણસ એમ માને કે એ સર્વ જાણે છે, પણ હકીકતમાં તે કશું જાણતો નથી, તેનો પત્તો મેળવવા માણસ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને તે મળશે નહિ; અરે! તે કોઇ બુદ્ધિમાન વ્યકિત હોય, તો પણ તે તેની શોધ કરી શકશે નહિ.
પ્રત્યેકનો અંત એક સમાન
9 એ બાબતમાં મેં જ્યારે કાળજીપૂર્વક તપાસ કરી તો મને જાણવા મળ્યું કે દરેકના કાર્યનું ફળ સદાચારી અને જ્ઞાની લોકો માટે પણ દેવ પર નિર્ભર છે. પણ કોઇ જાણતું નથી કે તેને પ્રેમ મળશે કે ધિક્કાર અથવા તેની પાસે શું આવશે?
2 બધા લોકો સારા કે ખરાબ, પ્રમાણિક કે દુષ્ટ, અર્પણો અર્પનાર કે નહિ અર્પનાર સૌનું ભાવિ એક જ છે, સારો માણસ અને પાપી, જે પ્રતિજ્ઞા લે છે અને જે નથી લેતો સર્વ સમાન છે.
3 સર્વ મનુષ્યોની ગતિ એક જ થવાની છે, એ તો જે બધાં કામ દુનિયામાં થાય છે તેઓમાંનો એક અનર્થ છે; વળી માણસોનું અંત:કરણ ભૂંડાઇથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હૃદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાંઓમાં ભળી જાય છે. કારણ કે તેઓને કોઇ આશા નથી. તેમને તો સામે ફકત મૃત્યું જ દેખાય છે. 4 જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે:
કારણ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.
5 જીવતાં મનુષ્યો એટલું જાણે છે કે એક દિવસ તેઓ મરી જશે. પરંતુ મરેલાંઓ તો કશુંજ જાણતા નથી. તેઓને કોઇ બદલો મળતો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામી જાય છે. 6 તેમનો પ્રેમ, ઇર્ષ્યા, ધિક્કાર, અને જે કાંઇ તેઓના જીવનકાળ દરમ્યાન તેઓમાં હતું તે ભૂતકાળ બની ગયું છે અને હવે દુનિયામાં જે કાંઇ થઇ રહ્યું છે તેમાં તેઓને કોઇ લેવાદેવા નથી.
જીવનમાં મોજ કરો જેવી રીતે તમે કરી શકો
7 તેથી તારે રસ્તે ચાલ્યો જા, ખાનપાન કર અને જીવનનો આનંદ માણ, દેવ સમક્ષ તે માન્ય છે. 8 સુંદર શ્વેત વસ્રો સદા ધારણ કર. અને તારા મસ્તકને અત્તરની ખોટ કદી પડવા દઇશ નહિ. 9 દુનિયા પર જે ક્ષણિક જીવન તેણે તને આપ્યું છે, તે તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે આનંદથી વિતાવ, કારણ કે દેવે તને જે પત્ની આપી છે તે તારા દુનિયા પરનાં ભારે પરિશ્રમનો ઉત્તમ બદલો છે. 10 જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.
હાગાર અને સારાનું દૃષ્ટાંત
21 તમારામાંના ઘણા હજુ પણ મૂસાના નિયમ નીચે રહેવા માંગે છે. મને કહો, તમને ખબર છે કે નિયમ શું કહે છે? 22 પવિત્રશાસ્ત્ર કહે છે કે ઈબ્રાહિમને બે પુત્રો હતા. એક પુત્રની મા ગુલામ સ્ત્રી હતી. બીજા પુત્રની મા મુક્ત સ્ત્રી હતી. 23 ગુલામ સ્ત્રીથી ઈબ્રાહિમનો પુત્ર માનવ જન્મે તેવી કુદરતી રીતે જન્મેલો હતો. પરંતુ મુક્ત સ્ત્રીથી જન્મેલો પુત્ર દેવે ઈબ્રાહિમને વચન આપેલું તેના થકી જન્મેલો.
24 આ સાચી વાર્તા આપણે માટે એક ચિત્ર ઊભું કરે છે. બે સ્ત્રી, દેવ અને માણસ વચ્ચેના બે કરાર જેવી છે. એક કરાર જે દેવે સિનાઈ પર્વત[a] પર સર્જયો. જે લોકો આ કરાર નીચે છે તેઓ ગુલામ જેવા છે. મા કે જેનું નામ હાગાર હતું તે આ કરાર જેવી છે. 25 તેથી હાગાર તે અરબસ્તાનમાંના સિનાઈ પર્વત જેવી છે. તે યહૂદિઓની દુન્યવી નગરી યરૂશાલેમનું ચિત્ર છે. આ નગરી ગુલામ છે અને તેના બધા લોકો નિયમના ગુલામ છે. 26 પરંતુ સ્વર્ગીય યરૂશાલેમ જે ઉપર છે તે મુક્ત સ્ત્રી જેવું છે. આ આપણી માતા છે. 27 પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે:
“સ્ત્રી કે જે બાળકોને જન્મ નથી આપી શક્તી, તે તું આનંદ કર.
તેં કદી જન્મ આપ્યો નથી.
આનંદથી પોકાર અને હર્ષનાદ કર!
પ્રસુતિની પીડાનો તેં કદી અનુભવ કર્યો નથી.
સ્ત્રી જે એકલી મુકાયેલી છે તેને વધુ બાળકો
હશે જે સ્ત્રીને પતિ છે તેના કરતાં પણ વધારે.” (A)
28-29 ઈબ્રાહિમનો એક પુત્ર કુદરતી રીતે જન્મ્યો હતો. ઈબ્રાહિમનો બીજો પુત્ર (ઈસહાક) આત્માની શક્તિથી જન્મ્યો હતો. તે જન્મ્યો હતો દેવના વચનને કારણે. મારા ભાઈઓ અને બહેનો, તમે પણ તે વખતે જેમ ઈસહાક હતો તેમ વચન થકી જન્મેલા બાળકો છો. જે કુદરતી રીતે જન્મેલો તે પુત્રએ બીજા પુત્ર સાથે ર્દુવ્યવહાર કર્યો. આજે પણ તેવું જ છે. 30 પરતું પવિત્રશાસ્ત્ર શું કહે છે? “ગુલામ સ્ત્રી અને તેના પુત્રને કાઢી મૂક! મુક્ત સ્ત્રીનો પુત્ર તેના પિતા પાસે છે તે બધું જ મેળવશે. પરંતુ ગુલામ સ્ત્રીના પુત્રને કશું જ મળશે નહિ.”(B) 31 તો મારા ભાઈઓ અને બહેનો, આપણે ગુલામ સ્ત્રીના સંતાન નથી. આપણે મુક્ત સ્ત્રીના સંતાન છીએ.
ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા
29 પછી ઈસુએ તે સ્થળ છોડી દીઘું. અને ગાલીલના સરોવરના કિનારે ગયો. પછી તે એક ટેકરી પર ચઢયો અને ત્યાં બેઠો.
30 લોકોનાં ટોળેટોળાં ત્યાં આવ્યાં લંગડા, આંધળા, ટુડાંઓને, મૂંગા અને બીજા ઘણા માંદા લોકોને ઈસુના પગ આગળ લાવીને તેમને મૂક્યાં અને તેણે તે બધાને સાજા કર્યા. 31 લોકો આશ્ર્ચર્ય પામ્યા. કારણ કે તેઓએ મૂંગાઓને બોલતાં જોયાં, અપંગ સાજા થયાં, લંગડા ચાલતા થયાં અને આંધળા દેખતાં થયા છે! આથી લોકોએ ઈસ્રાએલના દેવની સ્તુતિ કરી.
ઈસુએ 4,000 કરતાં વધુ લોકોને જમાડયા
(માર્ક 8:1-10)
32 પછી ઈસુએ તેના શિષ્યોને પાસે બોલાવ્યા અને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે કારણ કે તેઓ ત્રણ દિવસથી સતત મારી સાથે છે. હવે એમની પાસે કંઈજ ખાવાનું નથી. હું તેમને ભૂખ્યા જવા દેવા માંગતો નથી, કદાચ રસ્તામાં તેઓ જતાં જતાં ભૂખથી બેભાન થઈ જાય.”
33 પછી શિષ્યોએ કહ્યું, “આટલા બધા લોકોને જમાડવા આપણે પૂરતી રોટલી ક્યાંથી મેળવીશું અને આપણે કોઈપણ ગામથી ઘણા દૂર છીએ.”
34 ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?”
શિષ્યોએ કહ્યું, “અમારી પાસે સાત રોટલીઓ અને થોડીક નાની માછલીઓ છે.”
35 ઈસુએ લોકોને જમીન પર બેસી જવા કહ્યુ. 36 ઈસુએ રોટલી અને માછલી લઈન દેવનો આભાર માન્યો અને તેણે રોટલીના ટૂકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ તે ટૂકડા લોકોને આપ્યા. 37 દરેકે ઘરાઈને ખાધું. પછી વધેલા ટૂકડા ભેગા કર્યા અને તેની સાત ટોપલી ભરાઈ. 38 ત્યાં જેઓએ ખાધું તેમાં સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત 4,000 પુરુંષો હતા. 39 પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને તેઓ હોડીમાં બેસી મગદાન પ્રદેશમાં ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International