Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 50

આસાફનું ગીત.

યહોવા, દેવોના દેવ બોલ્યા છે,
    તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.
સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.
આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ,
    ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે,
    તેમની આસપાસ મહાતોફાન જાગશે.
તેઓ અહીં પોતાના લોકોનો ન્યાય કરવા આવ્યાં છે.
    જ્યારે તેઓ પોતાના લોકોનો ન્યાય કરશે ત્યારે તેઓ પૃથ્વી અને આકાશને સાક્ષી તરીકે બોલાવશે.
જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યા છે,
    એવાં ભકતોને મારી પાસે ભેગા કરો.
દેવ પોતે જ ન્યાયાધીશ છે.
    તેમનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરશે.

“હે મારા લોકો, હું કહું તે સાંભળો,
    હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ;
    કારણકે હું દેવ છું, હા, હું તારો દેવ છું.
મારી વેદી પર તમે જે યજ્ઞો કરો છો, મારી સામે જે નિરંતર દહનાર્પણો થાય છે.
    તે માટે, હું તને ઠપકો દઇશ નહિ.
હું તમારા ઢોરવાડામાંથી બળદો નહિ લઉં કે
    તમારા નેસડામાંથી બકરાં નહિ લઉં.
10 કારણકે અરણ્યનાં પ્રત્યેક પશુ
    અને હજારો ડુંગરો પરનાં પ્રાણી મારાં છે.
11 હું પર્વતો પરના સર્વ પક્ષીઓને ઓળખું છું,
    અને જઁગલનાં સર્વ હિંસક પ્રાણીઓ પણ મારા જ છે.
12 જો હું ભૂખ્યો હોઇશ, તોય તમને કહીશ નહિ,
    કારણ સમગ્ર સૃષ્ટિનું સર્વ મારું જ છે.
13 શું હું બળદોનું માંસ ખાંઉ, અથવા બકરાઓનું રકતપાન કરું?”

14 તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો
    અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.
15 “મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો,
    હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

16 પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે,
    “શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો?
    શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?
17 મારા શિખામણનો તેઁ તિરસ્કાર કર્યો છે
    અને મારી શિસ્તની તેં અવગણના કરી છે.
18 જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો,
    અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.
19 તારું મુખ શાપ આપે છે, અને તારી વાણી અસત્ય વદે છે.
    અને તારી જીભનો ઉપયોગ તું કપટની ચાલમાં કરે છે.
20 તું તારા પોતાનાં ભાઇની નિંદા કરે છે,
    તું તારી માતાના પુત્રની બદનામી કરે છે.
21 તમે આ ખરાબ કામો કર્યા છે છતાં મેં કાઇં કહ્યું નહિ.
    તેથી તમે વિચાર્યુ કે હું હતો તમારા જેવો,
પણ હવે આવ્યો છે સમય,
    મારા માટે તમારી સામે આ આરોપો મૂકવાનો અને તમારા મોઢાં પર ઠપકો આપવાનો!
22 તમે કે જે દેવને ભૂલી ગયા છો,
    તમારા ટુકડા કરૂં તે પહેલા
તમારે આ સમજવાનુ છે કે
    તમને બચાવવાવાળું કોઇ નહિ હોય.
23 જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે.
    જે ન્યાયને માર્ગે ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારું તારણ બતાવીશ.”

ગીતશાસ્ત્ર 59-60

નિર્દેશક માટે. રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ-શાઉલે તેને મારવા માટે ઘરની ચોકી કરવા માણસો મોકલ્યા તે વખતે લખાયેલું ગીત.

હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો;
    અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
દુષ્ટતા કરનારાઓથી તમે મને બચાવો;
    અને ખૂની માણસોથી તમે મને બચાવો.
ઘાતકી માણસો છુપાઇ રહીને મારો જીવ લેવા કેવા રાહ જોઇ રહ્યાં છે!
    હે યહોવા, મેં કોઇ પાપ કર્યુ છે કે કોઇ અપરાધ કર્યો છે,
    કે જેથી વિપત્તિ મારા ઉપર આવી છે, એવું નથી.
જો કે મારો દોષ ન હોવા છતાં તેઓ અહીં ધસી આવ્યા છે
અને મારા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે.
    હે યહોવા, જાગૃત થાઓ, આ બધું જુઓ, અને મને સહાય કરો.
હે યહોવા, સૈન્યોના દેવ; ઇસ્રાએલના દેવ, જાગૃત થાઓ;
    આ વિદેશી પ્રજાઓને શિક્ષા કરો;
    તમે કપટ કરનાર દુષ્ટ અપરાધીઓ પર જરાય દયા રાખશો નહિ.

તેઓ સંધ્યાકાળે પાછા આવે છે,
    અને તેઓ કૂતરાની જેમ ઘૂરકે છે;
    નગરની આસપાસ ફેરા ખાય છે.
તેઓ અપમાનો અને ધમકીઓ ઉચ્ચારે છે.
    તેઓના હોઠોમાંથી તરવારની જેમ શબ્દો નીકળે છે.
    તેઓને કોણ સાંભળે છે તેની ચિંતા નથી.

હે યહોવા, તમે તેઓને હસી કાઢો;
    અને વિદેશી પ્રજાની હાંસી ઉડાવો.
હે દેવ, મારા સાર્મથ્ય! હું તમારી વાટ જોઇશ;
    તમે મારી સુરક્ષાનો ઊંચો મજબૂત ગઢ છો.
10 યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે.
    તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.
11 દેવ, હમણાં તેઓનો સંહાર ન કરશો,
    કે મારા માણસો ભૂલી જાય. હે યહોવા, અમારી ઢાલ, વિખેરી નાખો અને તેમને તમારા સાર્મથ્યથી હરાવો.
12 તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે,
    તેઓના જ હોઠે અસત્ય બોલે છે,
    પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો.
13 તમે તમારા ક્રોધમાંજ તેઓનો સંહાર કરો;
    જેથી સંપૂર્ણ વિનાશ થાય;
પછી સર્વ લોકો જાણશે કે ઇસ્રાએલમાં દેવ રાજ કરે છે,
    અને તેમનો જ અધિકાર સમગ્ર પૃથ્વી પર છે.

14 સંધ્યાકાળે દુષ્ટો પાછા આવી કૂતરાની જેમ ધૂરકે છે,
    અને તેઓ ચોરી છૂપીથી નગરમાં ફરે છે.
15 તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે,
    તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે.
16 પણ હું તો તમારા સાર્મથ્યનું ગીત ગાઇશ,
    સવારમાં હું તમારી કૃપા વિષે ગાઇશ,
કારણ તમે મારા મજબૂત ગઢ છો;
    અને સંકટના સમયે સુરક્ષિત સ્થળ છો.
17 હે મારા સાર્મથ્ય, હું તમારા સ્તોત્રો ગાઉં છું;
    કારણ તમે મારા મજબૂત ગઢ છો,
    દેવ, તમે મને પ્રેમ કરનારા છો.

નિર્દેશક માટે. રાગ: “કરાર નું કમળ” શિખામણ માટે દાઉદનું મિખ્તામ, તે અરામ-નાહરાઇમ તથા અરામ-સોબાહ સાથે લડ્યો, ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમમાંના 12,000 સૈનિકો માર્યા તે સમયે લખાયેલું ગીત.

હે દેવ, તમે અમને તજી દીધા છે.અમારું કવચ તૂટી ગયું છે.
    હે યહોવા, તમે અમારા પર કોપાયમાન થયા છો.
    મહેરબાની કરીને અમને ફરીથી સંપૂર્ણ બનાવી દો.
તમે ધરતીકંપ કરીને પૃથ્વીને ચીરી નાખી છે.
    હે યહોવા, તેને ફરીથી યથાર્થ બનાવી દો.
    જુઓ તેના પાયા હલી ગયા છે.
તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઇ ગયાં છો,
    તમે મારેલી લપડાકોએ અમને લથડિયાં ખવડાવ્યાં છે.
તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે,
    અને ચેતવણી આપી છે, જેથી તેઓ વિનાશમાં રક્ષા પામે.

આવો અને તમારા જમણા હાથથી અમને બચાવો.
    મારી પ્રાર્થનાનો જવાબ આપો અને જેને તમે પ્રેમ કરો છો તેમને તમે બચાવો.

જ્યારે દેવે તેમની પવિત્રતાએ કહ્યું,
    “વિજય પામીને હું શખેમનાં ભાગ પાડીશ;
અને સુક્કોથની ખીણ
    મારા લોકમાં વહેંચીશ,
    ત્યારે હું ખૂબ ખુશ થઇશ.
ગિલયાદ મારું છે, મનાશ્શા મારું છે;
    અને એફ્રાઈમ મારું શિરસ્રણ છે.
    યહૂદિયા મારો રાજદંડ બનશે.
મોઆબ મારા પગ ધોવા માટેનો વાટકો છે,
    અને જે મારા પગરખાં લઇ જાય છે તે અદોમ મારૂં ગુલામ છે.
    હું પલિસ્તીઓ હરાવીશ અને વિજયના પોકાર કરીશ.”

મોરચાબંધ અદોમ નગરમાં મને કોણ લાવશે?
    અને તેના પર વિજય મેળવીને કોણ પ્રવેશ કરાવશે?
10 હે દેવ, શું તમે અમને તજી દીધા છે?
    તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી.
11 હા યહોવા, અમારા શત્રુઓ વિરુદ્ધ તમે અમારી સહાય કરો;
    કારણ, માણસોની સહાય વ્યર્થ છે.
12 દેવના સાથથી અમે પરાક્રમો કરીશું;
    કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.

ગીતશાસ્ત્ર 8

નિર્દેશક માટે, ગિત્તીથ સાથે ગાવાનું દાઉદનું ગીત.

હે યહોવા, અમારા દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ ઉત્તમ છે.
    અને તમારો મહિમા આકાશમાં ભરપૂર છે.

નવજાતો અને બાળકોના મુખમાંથી તમારી સ્તુતિની ગાથાઓ પ્રગટી છે.
    તમારા શત્રુઓને ચૂપ કરી દેવા માટે તમે તેમને આ શકિતશાળી ગીતો આપ્યા છે.
હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.
    અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું,
    ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું.
પછી મને આશ્ચર્ય થાય છે,
    કે માનવજાત શું છે,
જેનું તમે સ્મરણ કરો છો?
    માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?

કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે,
    અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે
    અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે.
એટલે સર્વ ઘેટાં તથા બળદો, અને જંગલી પ્રાણીઓનો પણ.
વળી આકાશનાં પક્ષીઓ,
    સમુદ્રમાં રહેતા માછલાં તથા જીવોનો પણ.
હે યહોવા, અમારા પ્રભુ, સમગ્ર વિશ્વમાં તમારું નામ સૌથી મહાન છે.

ગીતશાસ્ત્ર 84

નિર્દેશક માટે. ગિત્તિથ સાથે ગાવા માટે કોરાહના કુટુંબનું સ્તુતિગીત.

હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
તમારા આંગણામાં આવવા માટે
    મારો આત્મા ખૂબ ઉત્સુક છે;
જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ,
    ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન
તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા
    તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે;
    તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.

જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય
    તમારા માર્ગો માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે.
    જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે.
    પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.[a]
તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે;
    તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.

હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો;
    હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.

હે દેવ, અમારી ઢાલને જુઓ;
    તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
10 કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં
    તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે,
દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું,
    તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે,
    યહોવા કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઇ
    પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે;
    જે રાખે છે ભરોસો તમારા ઉપર.

સભાશિક્ષક 3:16-4:3

16 વળી મેં આ દુનિયામાં જોયું કે સદાચારની જગાએ અનિષ્ટ હતું; અને ન્યાયની જગ્યાએ અનિષ્ટ હતું. 17 મેં મારી જાતને કહ્યું કે, “યહોવા ન્યાયીનો અને દુષ્ટનો ન્યાય કરશે, કારણ કે પ્રત્યેક પ્રવૃતિ માટે અને પ્રત્યેક કાર્ય માટે યોગ્ય સમય હોય છે.”

શું મનુષ્યો પશૂવત્ છે?

18 પછીં મે મારા મનમાં વિચાર્યુ કે, “યહોવા મનુષ્યની કસોટી કરે છે. જેથી તેઓ જાણે કે તેઓ પશુ સમાન છે. અને પશુઓથી વધારે સારા નથી. 19 કારણ કે પશુઓના જે હાલ થાય છે તે જ હાલ મનુષ્યનાં થાય છે. મૃત્યુ બંને માટે છે, સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય જાતને પશુઓ કરતાં વધારે લાભ મળતો નથી. કેવી વ્યર્થતા! 20 એક જ જગાએ સર્વ જાય છે; સર્વ માટીમાંથી આવ્યાં છે, ને અંતે સર્વ માટીમાં જ મળી જાય છે. 21 મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુ આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની ખબર કોને છે?”

22 તેથી મેં જાણ્યુ કે, માણસ પોતાના કામમાં આનંદ માણે, તેથી વધારે સારું કાંઇ નથી. એ જ તેનો ભાગ છે; ભવિષ્યમાં શું બનવાનું છે તે તેને કોઇ દેખાડી શકે તેમ નથી.

સર્વત્ર ત્રાસ અને દુ:ખ

ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો, અને દુનિયા પર થતાં ત્રાસ અને દુ:ખ નિહાળ્યાં. ત્રાસ સહન કરનારાઓનાં આંસુ લૂછનાર અને તેમને સાંત્વના આપનાર કોઇ નહોતું; તેઓના પર ત્રાસ કરનારાઓ શકિતશાળી હતાં. તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે; વળી તે બંને કરતાંય જેઓ હજી જન્મ્યાં જ નથી અને જેઓની આંખોએ ત્રાસ અને દુનિયા પર થતાં ભૂંડા કૃત્યો જોયા નથી તે વધારે સુખી છે.

ગલાતીઓ 3:1-14

દેવનો આશીર્વાદ વિશ્વાસથી ઉદ્દભવે છે

તમને ગલાતીઓના લોકોને ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ વિષે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. પરંતુ તમે ઘણા મૂર્ખ હતા. તમે કોઈકનાથી છેતરાયા. મને આ એક વાત કહો: તમે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કર્યો? શું નિયમનું પાલન કરીને તમે આત્મા પામ્યા? ના! તમે આત્માને પામ્યા કારણ કે તમે સુવાર્તાને સાંભળી અને તેમા વિશ્વાસ કર્યો. તમે આત્મા સાથેના તમારા ખ્રિસ્તમય જીવનની શરુંઆત કરી. હવે તમે તમારી શક્તિથી તેનું સાતત્ય જાળવવાનો પ્રયત્ન કરો છો? તે નરી મૂર્ખતા છે. તમને ઘણી બાબતોનો અનુભવ થયો છે. શું તે બધો અનુભવ નિરર્થક થયો? હું આશા રાખું છું કે તે નિરર્થક નથી ગયો! દેવે તમને આત્માનું દાન એટલે કર્યુ કે તમે નિયમને અનુસર્યા હતા? ના! શું દેવે તમારી વચ્ચે ચમત્કારો એટલા માટે કર્યા કે તમે નિયમને અનુસર્યા હતા? ના! દેવે તમને તેનો આત્મા આપ્યો છે અને તમારી વચ્ચે ચમત્કારો કર્યા છે કારણ કે તમે સુવાર્તા સાભળી છે અને તેમાં તમે વિશ્વાસ કર્યો.

પવિત્રશાસ્ત્ર ઈબ્રાહિમ વિષે આ જ કહે છે. “ઈબ્રાહિમે દેવમાં વિશ્વાસ રાખ્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો. આને કારણે ઈબ્રાહિમ દેવને યોગ્ય બન્યો.”(A) તેથી તમારે જાણવું જોઈએ કે ઈબ્રાહિમના સાચા સંતાનો એ છે જેઓને વિશ્વાસ છે. પવિત્રશાસ્ત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં શું થશે. આ લખાણે જણાવ્યું કે દેવ બિનયહૂદી લોકોને તેઓના વિશ્વાસ થકી યોગ્યતા પ્રદાન કરશે. આ સુવાર્તા ઈબ્રાહિમને પહેલા જણાવેલ હતી, પવિત્રશાસ્ત્ર આમ કહે છે કે: “ઈબ્રાહિમ, પૃથ્વીના બધા લોકોને ધન્ય કરવા માટે દેવ તારો ઉપયોગ કરશે.”(B) ઈબ્રાહિમે આ માન્યું. ઈબ્રાહિમ વિશ્વાસ કરતો હતો તેથી તે આશીર્વાદ પામ્યો. અને એ જ રીતે આજે પણ જે ઈબ્રાહિમની માફક વિશ્વાસીઓ છે તેઓ પણ આશીર્વાદ પામે છે. બધા જ લોકો ઈબ્રાહિમની માફક જેમને વિશ્વાસ છે તેમને ઈબ્રાહિમની જેમ આશીર્વાદ મળે છે.

10 પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા જે લોકો નિયમોનો આધાર લે છે તેઓ શાપિત છે. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રો કહે છે કે, “જે દરેક વસ્તુ નિયમશાસ્ત્રમાં લખેલ છે, તે બધી જ વસ્તુઓ વ્યક્તિએ કરવી જોઈએ. જો તે કાયમ આજ્ઞાનું પાલન નહિ કરે તો તે શાપિત થશે.”(C) 11 તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.”(D)

12 નિયમ વિશ્વાસનો ઉપયોગ નથી કરતો; તે જુદો માર્ગ અપનાવે છે. નિયમ કહે છે, “જે વ્યક્તિ આ વસ્તુઓ (નિયમ) ને અનુસરીને જીવવાની ઈચ્છા રાખે છે, જે નિયમ કહે છે તે તેણે કરવું જ જોઈએ.”[a] 13 નિયમે આપણને અભિશાપિત કર્યા છે. પરંતુ ખ્રિસ્તે આપણને તે શાપમાંથી મુક્ત કર્યા. તેણે આપણા સ્થાન બદલી નાખ્યા. ખ્રિસ્ત પોતે શાપિત થયો. પવિત્રશાસ્ત્રમાં લખ્યું છે કે, “જ્યારે વ્યક્તિનું શરીર વૃક્ષ ઉપર મૂકવામાં આવે (લટકે), ત્યારે તે શાપિત છે.”[b] 14 ખ્રિસ્તે આ કર્યુ જેથી દેવનો આશીર્વાદ બધા જ લોકોને પ્રદાન થાય, દેવે આ આશીર્વાદનું ઈબ્રાહિમને વચન આપ્યું હતું. ઈસુ ખ્રિસ્ત તરફથી આશીર્વાદ આવે છે. ઈસુ મૃત્યુ પામ્યો જેથી આપણને પવિત્ર આત્મા જેનું દેવે વચન આપ્યું હતું તે આપણને પ્રાપ્ત થાય. વિશ્વાસથી આપણને આ વચન પ્રાપ્ત થયું છે.

માથ્થી 14:13-21

ઈસુ 5,000થી વધુને જમાણે છે

(માર્ક 6:30-44; લૂ. 9:10-17; યોહ. 6:1-14)

13 ઈસુએ જ્યારે યોહાન વિષે જાણ્યું ત્યારે તે હોડીમાં એકલો એકાંત સ્થળે ચાલ્યો ગયો. લોકોએ જ્યારે જાણ્યું કે ઈસુ ચાલ્યો ગયો છે, તો લોકસમુદાય પોતાના ગામ છોડી તેની પાછળ પાછળ ચાલતો ગયો. 14 ઈસુ જ્યારે હોડીમાંથી બહાર આવ્યો ત્યારે તેણે લોકોની ભીડ જોઈ, તેમના પર દયા વર્ષાવી, માંદા લોકોને સાજા કર્યા.

15 બપોર પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને કહ્યુ, “આ સુમસાન જગ્યા છે. હવે ખૂબ મોડું થઈ ગયું છે તો લોકોને મોકલો કે જેથી તેઓ ગામડાઓમાં જાય અને તેમના માટે થોડું ખાવાનું ખરીદે.”

16 ઈસુએ કહ્યું, “તમારે દૂર જવાની જરૂર નથી. તમે તેઓને ખાવા માટે ખોરાક આપો.”

17 શિષ્યોએ કહ્યુ, “પણ આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે.”

18 ઈસુએ કહ્યુ, “રોટલી અને માછલી મારી પાસે લાવો,” 19 પછી તેણે લોકોને ઘાસ પર બેસી જવા કહ્યું. ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને તેણે આકાશ તરફ જોયું, ખોરાક માટે દેવનો આભાર માન્યો, તેણે રોટલીના ટૂકડા કર્યા અને તેના શિષ્યોને તે આપ્યા. અને તેઓએ તે લોકોને આપ્યા. 20 બધા જ લોકોએ ખાધુ અને ખૂબજ સંતુષ્ટ થયા. ખોરાકના બાકીના બચેલા ટૂકડાઓ શિષ્યોએ બાર ટોપલીઓમાં ભર્યા. 21 જેઓએ ત્યાં ખાધું તેમા સ્ત્રીઓ અને બાળકોને ગણતરીમાં લીધા સિવાય 5,000 પુરુંષો હતા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International