Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 89

એથાન એઝાહીનું માસ્કીલ.

યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
    સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
    અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”

યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
    અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
    અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”

પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે,
    અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે?
    જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે.
    જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં,
    દેવ ભયાવહ અને સન્માનનીય છે.
હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે?
    તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
    તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે.
    તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ;
    તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે;
    તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે,
    તમારા ભુજમાં પરાક્રમ છે,
તમારો જમણો હાથ ઊંચો છે,
    મહિમાવંત સાર્મથ્યમાં.
14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે;
    તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને,
    તેઓ તમારા મુખના પ્રકાશમાં.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે;
    અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
17 તમે તેમની અદભૂત શકિત છો.
    અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
18 હા, યહોવા અમારી ઢાલ છે,
    અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
    અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
    મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
    અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
    અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
    અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
    ને હું નિરંતર પ્રેમ રાખીશ;
    મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
    અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
    તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ;
    અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
28 મારી કૃપા તેના પર સદા રહેશે,
    અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!
29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ.
    સ્વર્ગના અવિનાશી દિવસો જેમ,
    તેના શાસનનો અંત આવશે નહિ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે,
    અને મારા હુકમોને નહિ અનુસરે.
31 જો તેઓ મારા વિધિઓને તોડશે,
    અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,
32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ,
    અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.
33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ,
    અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.
34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું,
    મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.
35 મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે;
    હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે,
    અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.
37 તેમનું શાસન મારા વિશ્વાસુ
    સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”

38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે,
    તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે,
    તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
    અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
41 માર્ગે જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે,
    અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.
42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે.
    અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.
43 તમે તેમની તરવાર નીચી પાડી છે,
    અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે
    અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.
45 તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે
    અને તમે તેને શરમાવ્યો છે.

46 હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે?
    શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ?
    શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?
47 હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો;
    શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?
48 છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ?
    શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે?
    જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ,
    અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!

52 યહોવાની સદાય સ્તુતિ કરો.
    આમીન તથા આમીન!

યહોશુઆ 1:1-9

યહોશુઆની ઇસ્રાએલના ઉત્તરાધિકારી તરીકે પસંદગી

મૂસા યહોવાનો સેવક હતો, નૂનનો પુત્ર યહોશુઆ મૂસાનો મદદનીશ હતો. મૂસાના મૃત્યુ પછી યહોશુઆ સાથે યહોવાએ વાત કરી અને તેણે કહ્યું: “હવે માંરા સેવક મૂસાનું અવસાન થયું છે. તેથી તું ઇસ્રાએલના લોકોનો નેતા છે. તેથી ઇસ્રાએલના બધા લોકોને લઈ અને યર્દન નદીની પેલે પાર હું તને જે દેશ આપું છું ત્યાં જા. મેં મૂસાને વચન આપ્યું હતું કે હું તમને આ જગા આપીશ. જે જમીન તમાંરા પગ નીચે આવશે તે હું તમને આપીશ. હિત્તીઓની બધી ભૂમિ રણ અને લબાનોનથી મહાન નદી યુફ્રેતીસ સુધી અને પશ્ચિમમાં છેક મહાસાગર તમાંરી સીમાંમાં હશે. તું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી કોઈ તને રોકી શકશે નહિ. હું જેમ મૂસાની સાથે રહેતો હતો. તે જ પ્રમાંણે તારી સાથે પણ હું રહીશ.

“યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે આ લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું. તારે તો માંત્ર બળવાન અને હિમ્મતવાન થવાનું છે. અને માંરા સેવક મૂસાએ જે નિયમો તને આપ્યાં તેનું તારે સંપૂર્ણ પાલન કરવાનું છે. જો તું તેને સંપૂર્ણપણે અનુસરીશ તો તું જે કંઈ કરીશ તેમાં સફળ થઈશ. તેનાથી ફરતો નહિ, નહિ ડાબે કે નહિ જમણે. એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો જ તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે. મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.”

એફેસીઓ 3:1-13

વિદેશીઓ પ્રતિ પાઉલની સેવા

હું પાઉલ તમારા માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન છું તમે લોકો કે જે યહૂદી નથી તેમનો પણ હું બંદીવાન છું. તમને ખરેખર ખબર છે કે દેવે કૃપા કરીને મને આ કામ તમને મદદરૂપ થવા સોંપ્યું છે. દેવે તેની ગૂઢ યોજના મને જાણવા દીધી. મને તેના દર્શન કરાવ્યા જે વિષે મેં પહેલા પણ થોડું લખ્યું છે. અને મેં પહેલા જે લખ્યું હતું, તે જો તમે વાંચશો તો તમને સમજાશે કે દેવના ગૂઢ સત્યને હું ખરેખર જાણું છું. લોકો જે અગાઉના સમયમાં જીવતા હતા, તેઓને આ ગૂઢ સત્યનું જ્ઞાન કહ્યું નહોતું. પરંતુ હવે, આત્મા દ્વારા, દેવે તેના પવિત્ર પ્રેરિતો અને પ્રબોધકોને આ ગૂઢ સત્યના દર્શન કરાવ્યાં. ગૂઢ સત્ય આ છે કે: દેવના પોતાના લોકો માટે જે કાંઈ લભ્ય છે તે બધું જ યહૂદિઓની જેમ, બિનયહૂદિઓને પણ લભ્ય બનશે. બિનયહૂદિઓ યહૂદિઓ સાથે તેના શરીરના અવયવોમાં સહભાગી છે અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવે આપેલાં વચનના તેઓ પણ સહભાગીદાર છે. સુવાર્તાથી બિનયહૂદિઓને આ સર્વ સુલભ થયું છે.

દેવના કૃપાદાનથી, આ સુવાર્તાને કહેવા હું સેવક બન્યો હતો. દેવનું સાર્મથ્ય જે મારામાં કામ કરે છે તેનાથી મને આ કૃપા પ્રાપ્ત થઈ છે. દેવના સર્વ લોકોમાં હું બિલકુલ બિનમહત્વનો છું. પરંતુ બિનયહૂદિઓને ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા આપવાનું દાન દેવે મને આપ્યું છે. એ સંપત્તિની સંપૂર્ણ સમજણ આપણી સમજશક્તિની બહાર છે. જ્યારથી સમયનો આરંભ થયો, ત્યારથી જે ગૂઢ સત્ય દેવમાં ગુપ્ત હતું, તે દેવના ગુઢ સત્યને લોકો આગળ પ્રગટ કરવાનું કાર્ય પણ દેવે મને સોપ્યું છે. દેવ જ સર્વ વસ્તુઓનો સરજનહાર છે. 10 જે જુદી જુદી પદ્ધતિથી દેવ તેની પ્રજ્ઞાના દર્શન કરાવે છે તે સ્વર્ગના દરેક શાસક અને શક્તિઓને બતાવવા ઈચ્છતો હતો. મંડળી[a] ને લીધે તેઓ આ જ્ઞાન જાણશે. 11 અને સમયની શરૂઆતથી દેવની જે યોજના હતી તેને આ અનુકુળ છે. દેવે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ થકી પોતાની યોજના પ્રમાણે આ કામ કર્યુ. 12 આપણે ખ્રિસ્તમય બનીને અને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીને, ભય વિના મુક્ત રીતે દેવ સમક્ષ ઉપસ્થિત થઈ શકીએ છીએ. 13 તેથી તમને હું કહું છું કે તમારા માટે જે વેદના થાય તેનાથી નાહિંમત કે નિરાશ ન થશો. મારી વેદના તમારા માટે મહિમા લાવે છે.

માથ્થી 8:5-17

ઈસુ અધિકારીના નોકરને સાજો કરે છે

(લૂ. 7:1-10; યોહ. 4:43-54)

ઈસુ કફર-નહૂમ આવ્યો, ઈસુ શહેરમાં પ્રવેશ્યો કે તરત જ એક લશ્કરી અધિકારી, તેની પાસે આવ્યો અને મદદ માટે વિનંતી કરી. લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, મારો નોકર ખૂબજ બિમાર છે, તે પથારીવશ છે અને પક્ષઘાતી છે.”

ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું કે, “હું જઈશ અને તેને સાજો કરીશ.”

લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, તું મારા ઘરે આવે એવો હું યોગ્ય માણસ નથી. જો તું કેવળ શબ્દ કહે તો મારો નોકર સાજો થઈ જશે. હું મારા અધિકારીઓને આધીન છું. મારા હાથ નીચેના સૈનિકો મારી સત્તાને આધીન છે. એકને હું કહું છું કે ‘જા’ તો તે જાય છે. બીજાને કહું છું કે, ‘આવ’, તો તે આવે છે અને મારા નોકરને કહું છું કે, ‘આ કર’ તે તે તરત જ મારી આજ્ઞા પાળે છે. હું જાણુ છું કે આ કરવાની સત્તા તારી પાસે છે.”

10 ઈસુ આ સાંભળી ખૂબજ નવાઈ પામ્યો અને તેની સાથે આવતા લોકોને કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, મેં ઈસ્રાએલમાં પણ કદી કોઈ વ્યક્તિમાં આવો વિશ્વાસ જોયો નથી. 11 હું તમને કહું છું કે પૂર્વ અને પશ્ચિમમાંથી ઘણા લોકો આવશે અને આકાશના રાજ્યમાં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબની સાથે બેસશે. 12 અને જેમના માટે આકાશી રાજ્ય તૈયાર કરવામાં આવેલું છે, તેમને બહારના અંધકારમાં ફેંકી દેવાશે. તેઓ ત્યાં રૂદન કરશે પીડાથી દાંત કચકચાવશે.”

13 પછી ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું કે, “ઘરે જા અને તારો નોકર તેં જે રીતે વિશ્વાસ કર્યો છે તે રીતે તે સાજો થઈ જશે.” અને બરાબર તે જ સમયે તેનો નોકર સાજો થઈ ગયો.

ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા

(માર્ક 1:29-34; લૂ. 4:38-41)

14 જ્યારે ઈસુ પિતરને ઘેર ગયો ત્યારે તેણે તેની સાસુને તાવથી પીડાતી દીઠી. 15 ઈસુએ તેના હાથને સ્પર્શ કર્યો અને તેનો તાવ ઉતરી ગયો. તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી.

16 સાંજ પડી ત્યારે તેઓ ઘણા અશુદ્ધ આત્મા વળગેલા લોકોને ઈસુની પાસે લાવ્યા, ઈસુએ અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા. તેમ જ બધા જ માંદાઓને પણ સાજા કર્યા. 17 ઈસુએ આ કર્યુ જેથી યશાયાએ કહેલ ભવિષ્યવાણી પૂર્ણ થાય:

“તેણે આપણા રોગો લઈ લીધા અને તેણે આપણા મંદવાડ પોતાનામાં સ્વીકાર્યા.” (A)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International