Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 66-67

નિર્દેશક માટે. સ્તુતિગીત.

હે સર્વ પૃથ્વીવાસી લોકો,
    તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ.
    સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે!
    શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે,
    અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.

આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો;
    કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
સૂકવી નાખ્યો તેણે સમુદ્રને,
    તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી.
    ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે;
    પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે,
    બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.

હે પ્રજાજનો, આપણા દેવને,
    ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે,
    અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે;
    અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે;
    અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં,
    અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું;
    પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ,
    હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે
    મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં,
    ઘેટાં અને વાછરડાં લાવ્યો છું;
તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.

16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો;
    તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી,
    અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો
    રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે,
    અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની,
    તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી,
    કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.

નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.

હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો;
    ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.

જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે.
    ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે;
    કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો;
    અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.
હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે;
    હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.
પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે.
    હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.
દેવ આપણને આશીર્વાદ આપશે,
    પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.

ગીતશાસ્ત્ર 19

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
    અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
    દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
    કોઇ અવાજ સંભળાતો નથી,
પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
    સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.

તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
    તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
    તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
તે આકાશને એક છેડેથી નીકળી
    અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
    તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.

યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
    તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
    તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
યહોવાના વિધિઓ યથાર્થ છે.
    તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
    જે આંખોને પ્રકાશ આપે છે.

યહોવા માટેનો ભય શુદ્ધ
    અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
    તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
    વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
    અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
    છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
    મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
    અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
    મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.

ગીતશાસ્ત્ર 46

નિર્દેશક માટે. કોરાહના કુટુંબનું ગીત. અલામોથ સાથે ગાવાનું.

દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે;
    આપણે અનુભવ કર્યો છે કે,
સંકટ સમયનાં તેઓ સાથી,
    ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય,
    અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી.
ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે,
    ને પર્વતો ધ્રુજી ઉઠે.

ત્યાં એક નદી છે અને ઝરણાંઓ છે જે દેવનાં નગર પરાત્પર
    દેવના પવિત્રસ્થળમાં સુખને વહેતું રાખે છે.
દેવ સ્વયં તે નગરમાં વસે છે.
    દેવ પરોઢિયે તેની સહાય કરશે,
    તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો;
    જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.

આપણી સાથે આકાશી સૈન્યોના અધિકારી યહોવા છે;
    આપણો આશ્રય યાકૂબનાં દેવ આપણી રક્ષા કરે છે.

આવો અને યહોવાના પરાક્રમો જુઓ.
    તેમણે કરેલાં પ્રભાવશાળી કાર્યો જુઓ.
તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે,
    ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે;
    અને રથોને અગ્નિથી સળગાવી દે છે.
10 દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો,
    કે હું દેવ છું, સવેર્ રાષ્ટ્રો મારો આદર કરશે.
    અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”

11 સૈન્યોના યહોવા આપણી સાથે છે,
    યાકૂબનાં દેવ સદા આપણો બચાવ કરે છે.

નિર્ગમન 3:1-12

સળગતી ઝાડી

હવે મૂસા પોતાના સસરાના એટલે મિધાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં ચરાવતો અને સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને રણની પશ્ચિમ દિશામાં દેવના પર્વત હોરેબ પર દોરી ગયો. ત્યાં યહોવાના દૂતે ઝાડવાંમાંથી નીકળતા ભડકારૂપે તેને દર્શન દીઘાં.

તેણે જોયું તો ઝાડી સળગતી હતી, પણ બળીને ભસ્મ થતી નહોંતી. તેથી મૂસાને વિચાર આવ્યો, “હું નજીક જઈને આ ચમત્કાર જોઉં. આ ઝાડી શા માંટે બળી જતી નથી?”

યહોવાએ જોયું કે મૂસા ઝાડીને જોવા આવી રહ્યો છે, તેથી દેવે ઝાડીમાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!”

અને મૂસાએ જવાબ આપ્યો, “હા, હું અહીં છું.”

ત્યારે યહોવાએ કહ્યું, “નજીક આવીશ નહિ, પગરખાં ઉતારી નાખ, કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે. હું તારા પિતૃઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબનો દેવ છું.”

અને મૂસાએ પોતાનું મુખ છુપાવી દીઘું. કારણ કે દેવ તરફ જોતાં તેને ડર લાગતો હતો.

પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે. હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે. મેં ઇસ્રાએલના લોકોનું રૂદન સાંભળ્યું છે, અને મિસરીઓ તેમના ઉપર જે ત્રાસ અત્યાચાર કરે છે તે મેં નજરે નિહાળ્યા છે. 10 ચાલ, એટલા માંટે હું તને ફારુન પાસે મોકલું છું. જાઓ, તમે ઇસ્રાએલના માંરા લોકોને મિસરમાંથી બહાર લઈ આવો.”

11 પરંતુ મૂસાએ દેવને કહ્યું, “હું કોણ કે ફારુન પાસે જનારો અને ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લાવનારો?”

12 પણ દેવે કહ્યું, “હું ચોક્કસ તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે એની એંધાણી તારા માંટે એ હશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર કાઢી લાવીશ પછી તમે સૌ આ પર્વત પર માંરી ઉપાસના કરશો.”

હિબ્રૂઓ 12:18-29

18 તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા. 19 તે સમયે રણશિંગડાના ભયંકર અવાજ સાથે દેવની વાણી સાંભળવામાં આવી પછી તે વિષે તેમણે ફરી કાંઈજ સાંભળ્યું નહિ. તે માટે લોકોએ પ્રાર્થના કરી. 20 તેઓ ફરી આજ્ઞા સાંભળવાનું સહન કરી શકે તેમ નહોતું: કારણ કે, “જો કોઈ જાનવર પહાડને અડકે તો તે પથ્થરથી માર્યુ જાય.”(A) એવી આજ્ઞાથી તેઓ ધ્રુંજી ઉઠ્યા. 21 લોકોએ જે દશ્ય જોયું તે ખૂબજ ભયાનક હતું કે મૂસાએ પોતે પણ કહ્યું, “હું ભયથી ધ્રૂજું છું.”(B)

22 પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત દેવના નગર સ્વર્ગીય યરૂશાલેમ અને હજારોહજાર દૂતોની પાસે, 23 પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે, 24 અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો. એ રક્ત હાબેલના રક્તની જેમ વેર લેવાનું કહેતું નથી. તેના કરતાં કાંઇક વિશેષ કહેવા માગે છે.

25 સાવધાન રહો અને જ્યારે તમારી સાથે દેવ બોલે ત્યારે સાંભળવાની ના પાડશો નહિ. યહૂદિઓ ચેતવણી સાંભળવાની ના પાડે છે જે તેઓને પૃથ્વી પર અપાઈ હતી. અને તેઓ તેમાથી બચ્યા નથી. હવે દેવ આકાશમાંથી આપણને કહે છે. જો આપણે તેને સાંભળવાનો અનાદર કરીએ તો આપણે તેમાંથી કેવી રીતે બચી શકીશું? 26 સિનાઈ પર્વત પરથી દેવ જ્યારે બોલ્યો, તે સમયે તેની વાણીએ પૃથ્વીને પણ ધ્રુંજાવી નાખી હતી, હવે તેણે વચન આપ્યું છે. “ફરી એક વાર પૃથ્વીની સાથે આકાશને પણ હું ધ્રુંજાવીશ.” 27 આ શબ્દો “ફરીથી એકવાર” સ્પષ્ટ દર્શાવે છે કે કંપાયમાન થયેલી વસ્તુઓની સાથે જે કાંઇ બનાવેલ છે તેનો નાશ થશે. અને જે કાંઇ સ્થિર છે અને જે ધ્રુંજાવી શકાશે નહિ તે રહેશે.

28 આપણે દેવનો આભાર માનવો જોઈએ કે આપણને એવું અવિચળ રાજ્ય આપે છે જેને ધ્રુંજાવી શકાતું નથી. તેથી આપણે દેવની સેવા ભય અને આદરભાવથી કરવી જોઈએ જેથી તે પ્રસન્ન થાય. 29 કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.

લૂક 10:17-24

શેતાનની પડતી

17 જ્યારે 72 માણસો તેઓનો પ્રવાસ કરીને પાછા ફર્યા ત્યારે તેઓ ઘણા પ્રસન્ન હતા. તેઓએ કહ્યું, “પ્રભુ, જ્યારે અમે તારા નામનો ઉપયોગ કર્યો ત્યારે ભૂતો પણ અમને તાબે થયા.”

18 ઈસુએ તે માણસોને કહ્યું, “મેં શેતાનને આકાશમાંથી વીજળીની પેઠે પડતો જોયો. 19 ધ્યાનથી સાંભળો! મેં તમને સર્પો અને વીંછીઓ પર ચાલવાનો અધિકાર આપ્યો છે. મેં તમને શત્રુંની બધી જ તાકાત કરતાં વધારે તાકાત આપી છે. તમને કશાથી ઇજા થનાર નથી. 20 પણ આનંદ કરો. આત્માઓ તમને તાબે થયા તેથી આનંદી થશો નહિ. એટલે નહિં કે તમારી પાસે સામથ્યૅ છે, તેને બદલે તમારા નામ આકાશમાં લખેલાં છે તેથી આનંદ પામો.”

ઈસુ બાપને પ્રાર્થના કરે છે

(માથ. 11:25-27; 13:16-17)

21 પછી પવિત્ર આત્માથી ઈસુને વધારે આનંદનો અનુભવ થયો. ઈસુએ કહ્યું, “હે બાપ આકાશ અને પૃથ્વીના ધણી, હું તારો આભાર માનુ છું. હું તારી સ્તુતી કરું છું કારણ કે તેં ડાહ્યા અને બુદ્ધીશાળી લોકોથી આ વાતો ગુપ્ત રાખી છે. પણ તેં એ વાતો એવા લોકો કે જે નાનાં બાળકો જેવા છે તેમને તેં પ્રગટ કરી છે. હા બાપ, તેં આ કર્યુ છે કારણ કે તું ખરેખર જે કરવા ઈચ્છતો હતો તે આ જ છે.

22 “મારા બાપે મને બધી વસ્તુઓ આપી છે. દીકરો કોણ છે એ માણસ જાણતો નથી. ફક્ત બાપ જ જાણે છે અને દીકરો જાણે છે કે બાપ કોણ છે. ફક્ત તે લોકો જ જાણશે કે બાપ કોણ છે. તે એ લોકો છે જેને દીકરો તેમને પ્રગટ કરવા પસંદ કરે છે.”

23 ઈસુ તેના શિષ્યો સાથે પાછો ફર્યો. તેઓ ત્યાં ઈસુની સાથે એકલા જ હતાં. ઈસુએ કહ્યું, “તમે હમણા જે જુઓ છો તે જોવા તમને ધન્ય છે! 24 હું તમને કહું છું કે તમે હમણા જે જુઓ છો તે જોવા માટે પ્રબોધકો અને રાજા ઈચ્છતા હતા. પણ તેઓ આ વસ્તુઓ જોઈ શક્યા નથી. અને ઘણા પ્રબોધકો અને રાજાઓ તમે જે હમણા સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા, પણ તેઓ આ બાબતો સાંભળી શક્યા નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International