Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 87

કોરાહના પરિવારનાં સ્તુતિગીતોમાંથી એક.

તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
    યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.

જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ;
    મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
વળી સિયોન વિષે કહેવાશે કે:
    “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.”
    દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે,
    જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.

વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે,
    “મારું સર્વસ્વ તારામાં છે.”

ગીતશાસ્ત્ર 90

ભાગ ચોથો

(ગીત 90–106)

દેવના ભકત મૂસાની પ્રાર્થના.

હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
    તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
    તે પહેલાંથી તમે જ દેવ છો;
    તમારી શરૂઆત નથી કે અંત નથી.

તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
    અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
    અને રાતના એક પહોર જેવાં છે!
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
    અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
તે સવારે ખીલે છે અને વધે છે;
    સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે,
    અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
તમે અમારાં બધાં પાપો,
    અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો
    અને તે બધાં તમે જોઇ શકો છો.
તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
    નિસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે;
    કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે.
તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે;
    કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11 તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે?
    અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો,
    જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
    પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
    જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
    અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
    અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
    અને અમને સફળતા આપો;
    અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.

ગીતશાસ્ત્ર 136

યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
    કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
    કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

ગણના 11:16-17

16 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના સિત્તેર વડીલોને માંરી સમક્ષ મુલાકાત મંડપ આગળ લઈ આવ જેઓને વિષે તને ખાતરી હોય, અને ત્યાં તારી સાથે ઊભા રહેવાનું તેઓને કહે. 17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્માં આપ્યો છે તેમાંથી લઈને હું એ લોકોને આપીશ તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, પછી તારે એકલાએ તે ભાર સહન કરવો પડશે નહિ.”

ગણના 11:24-29

24 પછી મૂસાએ બહાર આવીને યહોવાએ જે કહ્યું હતું તે લોકોને કહી સંભળાવ્યું. તેણે લોકોમાંથી સિત્તેર વડીલો પસંદ કરીને ભેગા કર્યા. અને તેઓને તંબુની આજુબાજુ ઊભા રાખ્યા. 25 ત્યારબાદ યહોવા વાદળમાંથી ઊતરી આવ્યા અને મૂસા સાથે વાત કરી, પછી તેમણે મૂસાને જે આત્માં આપ્યો હતો તે લઈ અને તે સિત્તેર વડીલોને આપ્યો એટલે તેઓનામાં આત્માંનો સંચાર થયો. એટલે થોડા સમય સુધી પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કર્યો, પણ ત્યાર પછી તેઓએ એમ કર્યુ નહિ.

26 પરંતુ સિત્તેર પસંદગી પામેલા વડીલોમાંથી બે એલ્દાદ અને મેદાદ હજુ છાવણીમાં જ હતા, તેઓ તંબુ આગળ ગયા નહોતા તેમ છતાં તેઓનામાં પણ આત્માંનો સંચાર થયો જેણે તેમને પ્રબોધ કરાવ્યો. 27 એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કરી રહ્યા છે.”

28 નૂનના પુત્ર યહોશુઆ, જે નાનો હતો ત્યારથી મૂસાની સેવામાં રહ્યો હતો, તેણે વિરોધ દર્શાવતાં કહ્યું, “માંરા ધણી, મૂસા, મહેરબાની કરી તેમને રોકો.”

29 પણ મૂસાએ પ્રત્યુત્તર આપ્યો, “શું તને માંર પ્રતિષ્ઠાની ચિંતા છે? હું તો ઈચ્છું છું કે યહોવાના બધા લોકો પ્રબોધકો થાય યહોવા સૌને આત્માં આપે.”

એફેસીઓ 2:11-22

ખ્રિસ્તમાં એક

11 તમે બિનયહૂદિ તરીકે જન્મ્યા છો કે જેમને યહૂદિઓ “સુન્નત વગરના” કહે છે. તે યહૂદિઓ કે જે તમને “સુન્નત વગરના” કહે છે તો પોતાની જાતને “સુન્નતવાળા” કહે છે. (તેમની સુન્નત તેઓ પોતે પોતાના શરીર પર કરે છે.) 12 યાદ રાખજો કે ભૂતકાળમાં તમે ખ્રિસ્ત વિહીન હતા. તમે ઈસ્રાએલના[a] નાગરિક નહોતા. અને દેવે લોકોને જે વચન આપ્યું હતું, તેની સાથે તમે કરારબદ્ધ નહોતા. તમે દેવને ઓળખતા નહોતા અને તમારી પાસે કોઈ આશા નહોતી. 13 હા, કોઈ એક સમયે તમે દેવથી ઘણા દૂર હતા પરંતુ હવે ખ્રિસ્ત ઈસુ થકી તમે દેવની નજીક આવ્યા છો. ખ્રિસ્તના રક્તથી તમે દેવની સાનિધ્યમાં આવ્યા.

14 ખ્રિસ્તને કારણે હવે આપણને શાંતિ પ્રદાન થઈ છે. યહૂદી અને બિનયહૂદીઓ અત્યાર સુધી એકબીજાથી વિમુખ હતા જાણે કે તેઓની વચ્ચે એક દીવાલ ઊભી ના હોય! પરંતુ ખ્રિસ્તે આ બને લોકોને (યહૂદી અને બિનયહૂદી) એકતાનો અનુભવ કરાવ્યો. ખ્રિસ્તે પોતાના શરીરનું બલિહાન આપી આ બને પ્રજા વચ્ચેની ધિક્કારની દીવાલનો નાશ કર્યો. 15 યહૂદી નિયમમાં ઘણી આજ્ઞાઓ અને નિયંત્રણો હતાં. પરંતુ ખ્રિસ્તે આ નિયમનો જ અંત આણ્યો, ખ્રિસ્તનો હેતુ બે ભિન્ન પ્રકારના જનસમૂહને (યહૂદી અને બિનયહૂદી) એક નૂતન જનસમૂહના રૂપે તેનામાં પ્રસ્થાપિત કરવાનો હતો. અને આમ કરીને ખ્રિસ્તે શાંતિ સ્થાપી. 16 વધસ્તંભના બલિદાનથી ખ્રિસ્તે બે સમૂહ વચ્ચેના ધિક્કારનો અંત આણ્યો. અને બે સમૂહને એક અંગભૂત બનાવ્યા, તેથી તે તેઓને દેવ સમક્ષ લાવી શકે. અને વધસ્તંભ ઉપરના પોતાના મૃત્યુથી ખ્રિસ્તે આમ કર્યુ. 17 તમે લોકો જે દેવથી ઘણા જ વિમુખ હતા, તેઓને ખ્રિસ્તે શાંતિની સુવાર્તા આપી, અને જે લોકો દેવની નજીક હતા તેઓને પણ શાંતિની સુવાર્તા આપી. 18 હા, ખ્રિસ્ત થકી જ આપણને બન્નેને એક આત્મા વડે બાપના સાનિધ્યમાં આવવાનો અધિકાર છે.

19 તો હવે તમે બિનયહૂદીઓ, દેવના પવિત્રો માટે મહેમાન કે અજાણ્યા નથી. હવે તમે દેવના પવિત્રો સાથે નાગરિક છો. દેવના કુટુંબના સભ્ય છો. 20 તમે વિશ્વાસીઓ, પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર કંડારી કાઢેલી આધારશીલા પર રચાયેલા દેવના આવાસ જેવા છો. ખ્રિસ્ત પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે. 21 આ આખો આવાસ ખ્રિસ્તમાં એકબીજાની સાથે સંયોજિત છે. અને ખ્રિસ્તના પ્રયત્નોથી તેનો વિકાસ થાય છે અને પ્રભૂમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે. 22 અને ખ્રિસ્તમાં તમે લોકો અન્ય બીજા સાથે જોડાઈ ગયા છો. તમને તે જગ્યાએ સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યાં આત્મા દ્વારા દેવનો વાસ છે.

માથ્થી 7:28-8:4

28 ઈસુએ જ્યારે આ વચનો કહેવાનું પુરું કર્યુ, ત્યારે તેના ઉપદેશથી લોકો અચરત પામ્યા. 29 કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ.

ઈસુ માંદા માણસને સાજો કરે છે

(માર્ક 1:40-45; લૂ. 5:12-16)

ઈસુ પર્વત પરથી નીચે ઉતર્યો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ પાછળ ગયો. પછી એક કોઢથી પીડાતો માણસ તેની પાસે આવ્યો, પગે પડ્યો અને કહ્યુ, “હે પ્રભુ, તું ઈચ્છે તો મને સાજો કરવાની શક્તિ તારી પાસે છે.”

ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું કે, “હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!” અને તરત જ તે માણસ કોઢથી સાજો થઈ ગયો. ઈસુએ તેને કહ્યું કે, “જે કાંઈ બન્યું છે તે વાત કોઈને પણ કરતો નહિ. અહીંથી સીધો જ યાજક પાસે જા અને ત્યાં તારી જાતને બતાવ. મૂસાના આદેશ પ્રમાણે અર્પણ ચઢાવ જેથી લોકો જાણી શકે કે તું સાજો થયો છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International