Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9 તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.
1 મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
2 જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
3 હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું.
મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું,
પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
4 તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો
હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
5 હું અગાઉના દિવસો
અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
6 તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી,
હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
7 “શું યહોવા સર્વકાળ માટે તજી દેશે?
ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
8 શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ?
શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
9 અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં?
શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?
10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે
અસ્વસ્થ કરે છે તે આ છે.”
11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.
16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.
નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
3 તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
9 હે અમારા તારણના દેવ,
અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
અમને અમારા પાપોની માફી આપો.
10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે,
“ક્યાં છે તેઓના દેવ?”
તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે,
તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.
11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે,
તેઓને તમે સાતગણી સજા કરો.
13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું,
તમારા લોક તથા ચારાના ઘેટાઁ
પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું.
ચાકરો ઉપર ધણીપણાના નિયમો
35 “અને જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબીમાં આવી પડે અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવાની જવાબદારી તારી છે; તારે ઘેર મહેમાંન તરીકે આવવા માંટે તેને નિમંત્રણ આપ. જેથી તે તમાંરી સાથે રહી શકે. 36 દેવનો ડર રાખીને તારા ભાઈને તારી સાથે રહેવા દે; તેને ધીરેલા પૈસાનું વ્યાજ તમાંરે ન લેવું, અને તમે ધીરેલા કરતા વધારાની આશા તેની પાસે ન કરતા. 37 તમાંરે તેને ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લેવું નહિ, તેમજ વધારે ભાવે અનાજ વેચવું નહિ. 38 તમને કનાનનો પ્રદેશ આપવા માંટે અને તમાંરો દેવ થવા માંટે તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું.
39 “જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમાંરે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ. 40 તેણે નોકરીએ રાખેલ ચાકર અથવા મહેમાંન તરીકેનો વ્યવહાર તેની સાથે કરવો. અને તેને વસવાટી માંણસ જેવો ગણવો. જુબિલી વર્ષ સુધી તે તમાંરું કામ કરશે. 41 પછી તમાંરી સેવા તે છોડી જશે અને પોતાનાં વંશજો સાથે પાછો પોતાના પરિવારમાં જઈ પોતાની મિલકતનો માંલિક બનશે. 42 કારણ કે હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવ્યો હતો એટલે તેઓ માંરા સેવકો છે. ચાકરોની જેમ તેમને વેચી શકાશે નહિ. 43 તમાંરે દેવનો ડર રાખીને એવા માંણસ પાસે ચાકરની જેમ મજૂરી કરાવવી નહિ.
44 “અને જો તમાંરે ચાકરોની જરૂર હોય તો તે તમાંરી આસપાસ રહેતા લોકોમાંથી તમે ખરીદી શકો છો. 45 તદુપરાંત તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓના સંતાનોને તમાંરા દેશમાં જન્મ્યા હોય તો પણ તમે ચાકરો ખરીદી શકો છો. એ લોકો તમાંરી મિલકત ગણાય. 46 અને તમે તે લોકોને તમાંરા વંશજોને વારસામાં આપી શકો છો, તેમજ તમે તેમનો કાયમ માંટે ચાકર તરીકે ઉપયોગ કરી શકો છો, પણ તમાંરા ઇસ્રાએલી ભાઈઓ પાસે ચાકરોની જેમ મજૂરી કરાવી શકો નહિ.
47 “જયારે કોઈ પરદેશી કે તમાંરી સાથે રહેતો વસવાટી ધનવાન થઈ જાય અને તમાંરો ઇસ્રાએલી ભાઈ ગરીબીમાં આવી પડતાં પોતાની જાત તે માંણસને વેચી દે, 48 તેને તેનો એકાદ ભાઈ પાછો ખરીદી શકે છે. 49 અથવા કાકા કે ભત્રીજે કે અન્ય કોઈ નજીકનો સગો તેને પાછો ખરીદી લઈ શકે, અથવા તેની પાસે પૈસા થયા હોય, તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે.
50 “તેના છુટકારાની કિંમત જુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તે પ્રમાંણે ગણવામાં આવે, બાકી રહેલાં વર્ષો માંટે પગારે રાખેલા ચાકરનો ખર્ચ કેટલો થાય તે, 51 જો આગલી જુબિલીને ઘણા વર્ષો બાકી હોય તો વ્યક્તિએ કિંમતનો મોટો ભાગ પાછો આપવો. એ વર્ષોની ગણતરી પર આધારીત છે. 52 ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડોજ ભાગ તેણે પાછો આપવો. 53 તેનો હોદ્દો મજૂરીએ રાખેલા માંણસનો ગણાશે, અને તમાંરે તેના માંલિકને તેની પાસે સખતાઈથી કામ લેવા દેવું જોઈએ નહિ.
54 “જો જુબિલી વર્ષના વચગાળાનાં વરસો દરમ્યાન તેને પાછો ખરીદી લેવામાં ન આવ્યો હોય, તો તેને અને તેનાં બાળકોને જુબિલીના વર્ષમાં છૂટાં કરી દેવાં જોઈએ, 55 કેમ કે, ઇસ્રાએલીઓ માંરા સેવકો છે; હું તેમને ચાકરીમાંથી મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છું; હું યહોવા તમાંરો દેવ છું.
9 જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ:
કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ; 10 તમે આ બાબતોનો જીવનમાં એ રીતે ઉપયોગ કરો કે જેથી પ્રભુ તેમના વડે સમ્માનિત થાય, અને સર્વ પ્રકારે તેનાથી તે પ્રસન્ન થાય; કે તમે દરેક પ્રકારના સત્કાર્યો કરો અને દેવ અંગેના જ્ઞાનમાં વિકસિત થાવ; 11 દેવ તેના મહિમાના સાર્મથ્ય પ્રમાણે તમને શક્તિશાળી બનાવે, જેથી જ્યારે આપત્તિઓ આવે ત્યારે તમે ડગી ન જાવ અને સહનશીલ બનો.
પછી તમને આનંદ પ્રાપ્ત થશે. 12 અને (દેવ) બાપની આભારસ્તુતિ કરો. જે વસ્તુઓ તેણે તમારા માટે તૈયાર કરી છે, તેને પામવા માટે તેણે જ તમને યોગ્ય બનાવ્યા છે. તેણે આ વસ્તુઓ તેના બધા જ લોકો માટે બનાવી છે, કે જે લોકો પ્રકાશમાં (સારું) જીવે છે. 13 દેવે આપણને અંધકારની (શૈતાન) સત્તામાંથી મુક્ત કર્યા છે. અને તે જ આપણને તેના પ્રિય પુત્ર (ઈસુ) ના રાજ્યમાં લઈ આવ્યો. 14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે.
ઈસુ બીજ વાવનારનું દૃષ્ટાંત કહે છે
(માર્ક 4:1-9; લૂ. 8:4-8)
13 તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરના કિનારે જઈને બેઠો. 2 ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. તેથી તે હોડીમાં પ્રવેશ્યો અને બેઠો. લોકો કિનારે ઊભા રહ્યાં. 3 ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,
“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો. 4 જ્યારે ખેડૂત વાવણી કરતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની બાજુએ પડયાં. પક્ષીઓ આવ્યાં અને તે ખાઈ ગયાં. 5 કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં. 6 પણ સૂર્યના તાપથી બધા જ કુમળા છોડ ચીમળાઈ ગયા અને સુકાઈ ગયા. કારણ તેમનાં મૂળ ઊડાં ન હતાં. 7 કેટલાએક બી કાંટા ઝાંખરામાં પડ્યાં. ઝાંખરા ઉગ્યાં પણ સારા બી ના છોડને ઉગતા જ દબાવી દીધા. 8 કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા. 9 તમે લોકો જે મને સાંભળી રહ્યાં છો, તે ધ્યાનથી સાંભળો!”
ઈસુના ઉપદેશમાં દૃષ્ટાંતનો ઉપયોગ
(માર્ક 4:10-12; લૂ. 8:9-10)
10 પછી ઈસુના શિષ્યોએ તેને આવીને પૂછયું, “તું લોકોને દૃષ્ટાંતો દ્વારા શા માટે શીખવે છે?”
11 ઈસુએ શિષ્યોને કહ્યું, “આકાશના રાજ્ય અને તેના મર્મો વિષે તમને સમજવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તે બીજા લોકોને આપવામાં આવ્યો નથી. 12 જેની પાસે સમજ છે, તેને આપવામાં આવશે અને તેની પાસે તેની જરૂરિયાત કરતાં પણ પુષ્કળ થશે, પણ જેની પાસે સમજ નથી, તેની પાસે જે થોડી ઘણી છે તે પણ ગુમાવી બેસશે. 13 આથી હું દૃષ્ટાંત દ્વારા તેમને કહું છું કે તમે નજર કરશો અને તમને દેખાશે. લોકો જુએ છે પણ હકીકતમાં તેઓ જુએ છે છતાં તેઓ જોતા નથી. તેઓ સાંભળે છે, પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી અને સમજતા પણ નથી. 14 તેથી યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી છે તે સાચી પડી છે:
‘તમે લોકો સાંભળશો અને સાંભળતા જ રહેશો,
પણ કદી સમજશો નહિ.
તમે જોઈ શકશો છતાં પણ કદી પણ જોઈ શકશો નહિ.
અને તમે શું જુઓ છો તે સમજી શકશો નહિ તેમના કિસ્સામાં આ સાચું સાબિત થયું છે.
15 કેમ કે આ લોકોનું હૃદય લાગણી વિહિન થઈ ગયું છે.
તેઓને કાન છે, પણ ભાગ્યે જ સાંભળે છે,
અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે.
કારણ સત્ય જોવું નથી,
નહિ તો તેઓ પોતાની આંખોથી જુએ,
પોતાના કાનથી સાંભળે,
અને પોતાના હૃદયથી સમજી પાછા ફરે તો હું
તેઓને સાજા કરું.’ (A)
16 પણ તમે આશીર્વાદ પામેલા છો, કારણ કે તમારી આંખો જોઈ શકે છે અને તમારા કાન સાંભળી શકે છે. ને સમજી શકે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International