Book of Common Prayer
1 યહોવા રાજ કરે છે,
ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
કે તે અચળ રહેશે.
2 હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
3 હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
4 તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
5 તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.
1 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
2 તેમના નામને ધન્યવાદ આપો;
દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
3 પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
4 કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
સર્વ “દેવોની” ઉપર છે.
5 લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
6 ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
7 હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
8 યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
9 પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10 પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.
દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.
1 હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
2 મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
3 આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
અને તેના નામનો મહિમા વધારીએ.
4 યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
5 જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
6 આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
7 યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
8 યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
9 યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે;
કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
10 અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે,
પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
11 મારા બાળકો આવો, મારું સાંભળો;
“હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે?
અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
13 તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો;
ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
14 દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો.
શાંતિ શોધી તેની પાછળ લાગો.
15 યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે.
તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી
ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.
17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે,
અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
18 યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે.
જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.
ભૂમિને માંટે વિશ્રામનો સમય
25 સિનાઈ પર્વત પર યહોવાએ મૂસાને કહ્યું, 2 “તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: તમને જે દેશ હું આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો અને વસો ત્યારે તે દેશને પણ યહોવાના માંનમાં વિશ્રામ પાળવા દેવો. 3 છ વર્ષ સુધી તમાંરે તમાંરા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમાંરે દ્રાક્ષની વાડીઓને છાંટવી, અને તમાંરી પાકની કાપણી કરવી, 4 પરંતુ સાતમે વર્ષે જમીનને યહોવાના માંનમાં સંપૂર્ણ વિશ્રામ પાળવા દેવો. એ વર્ષે ન તો ખેતરમાં કંઈ વાવવું કે ન તો દ્રાક્ષની વાડીઓ છાંટવી. 5 જમીન પર પડેલા દાણામાંથી જે કંઈ પાકે અથવા છાંટયા વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમાંરે લેવાં નહિ, એ વર્ષે જમીનને સંપૂર્ણ વિશ્રામ આપવો.
6 “એ વિશ્રામના વર્ષમાં ખેડયા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમને તેમજ તમાંરાં સ્ત્રીપુરુષ, ચાકરોને, તમે મજૂરીએ રાખેલા માંણસોને, તમાંરા ઘરમાં રહેતા વિદેશીઓને, 7 તમાંરાં ઢોરોને તથા દેશના જંગલી જાનવરોને ખાવા કામ લાગશે, તેથી જે કંઈ આપોઆપ પેદા થાય તેનો ખાવામાં ઉપયોગ કરી શકશો.
જુબિલી અર્થાત્ મુક્તિનું વર્ષ
8 “તમાંરે પોતાના માંટે સાત વર્ષનાં સાત જૂથ ગણવાં, એટલે કે સાત વાર સાત વરસ, એટલે 49 વર્ષ. તે સમય દરમ્યાન ભૂમિને સાત વરસનો વિશ્રામ રહેશે 9 પછી સાતમાં મહિનાના દશમે દિવસે પ્રાયશ્ચિતને દિવસે તમાંરે આખા દેશમાં ઘેટાનું શિંગ વગડાવવું. 10 અને પચાસમાં વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માંટે ઘોષણા કરવી. તમાંરા માંટે એ રણ શિંગડાનું જુબિલીનું વર્ષ છે. જો કોઈની મિલકત વેચાઈ ગઈ હોય તો એ વર્ષે છૂટી થઈ જાય અને મૂળ માંલિકને પાછી મળે, વળી જો કોઈ ચાકર તરીકે વેચાયો હોય તો તે છૂટો થઈ પોતાના પરિવારમાં પાછો જાય. 11 એ પચાસમું વર્ષ તમાંરા માંટે ખાસ ઉજવણીનું વર્ષ છે, એ વર્ષે તમાંરે કાંઈ વાવવું નહિ, અને આપોઆપ જે ઊગ્યું હોય તે લણવું નહિ, તેમજ છાંટયા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ ઉતારવી નહિ, 12 કારણ, તમાંરા માંટે એ રણશિંગડાનું પવિત્ર મુક્તિવર્ષ છે, અને તમાંરે તેને પવિત્ર રાખવાનું છે એટલે એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમાંરે ખાવાના ઉપયોગમાં લેવો. 13 આ મુક્તિ વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતાને ઘેર, પોતાના પરિવારની મિલકતવાળા મકાનમાં પાછા ફરવું, જો તેણે તે વેચી દીધું હોય, તો તે ફરીથી તેને પ્રાપ્ત થશે.
14 “એટલે તમે અરસપરસ જમીન વેંચો કે ખરીદો ત્યારે કોઈ પણ પક્ષે એક બીજાને છેતરવો નહિ. 15 જમીનની કિંમત ઉત્સવના પછીના વર્ષોની ગણતરી પર થાય છે, કેમકે માંલિક ફકત આવતા ઉત્સવ સુધીનો કાપણીનો હક્ક વેચે છે. 16 જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને વર્ષ ઓછા બાકી હોય તો કિમત ઓછી ઠરાવવી, કારણ જે વેચાય છે તે અમુક પાક કુલ મળશે તે છે, અને નહિ કે જમીન. 17 આથી તમાંરે એકબીજાને છેતરવા નહિ, દેવથી ડરીને ચાલવું. હું તમાંરો દેવ યહોવા છું.
વિશ્વાસ અને ડાહપણ
2 મારા ભાઈઓ અને બહેનો, તમને વિવિધ જાતનાં પરીક્ષણો થશે. પરંતુ તમારે ઘણા આનંદથી રહેવું. 3 શા માટે? કારણ કે તમે એ જાણો છો કે તમારો વિશ્વાસ પરીક્ષણમાંથી સફળ થાય છે ત્યારે તમારી ધીરજ વધે છે. 4 અને અંત સુધી તમારી ધીરજને ચાલુ રહેવા દો. જેથી તમે પૂર્ણ બનો. તમારે જેની જરૂરીયાત છે તેની ઉણપ ન રહે.
5 પણ જો તમારામાથી કોઈને પણ ડાહપણની જરુંર હશે, અને તમે દેવ પાસે તે માટે માગણી કરશો, તો તે તમને આપશે. દેવ સર્વને ઉદારતાથી ઠપકો આપ્યા વિના ડાહપણ આપે છે. 6 પરંતુ દેવ પાસે તમે જે કઈ પણ માગો ત્યારે તમારે ખૂબજ વિશ્વાસથી અને તમારા મનમાં શંકા રાખ્યા વિના માગવું જોઈએે. દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે. 7-8 જે વ્યક્તિ શંકા કરે છે તે એક સાથે બે જુદી જુદી વસ્તુઓનો વિચાર કરે છે, એ શું કરે છે તે વિષે તે કંઈ જ નક્કી કરી શકતો નથી. એવા માણસો પ્રભુ પાસેથી કઈક મેળવશે તેવો વિચાર પણ ના કરવો જોઈએ.
16 તેથી મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ વિશે છેતરાશો નહિ. 17 દરેક ઉત્તમ વસ્તુ દેવ પાસેથી જ આવે છે અને બધીજ પરિપૂર્ણ ભેટો પ્રભુ તરફથી આવે છે. સર્વ પ્રકાશોના પિતા પાસેથી આ બધીજ શુભ વસ્તુઓ (સૂરજ, ચંદ્ધ, તારા) આવે છે. દેવ કદી બદલાતો નથી. તે સદાય એ જ રહે છે. 18 દેવે સત્યના વચન દ્ધારા આપણને જીવન આપવા નિશ્ચય કર્યો છે. જગતમાં જે તેણે બનાવ્યું છે તેમાં આપણને એ બધામાં ખૂબજ મહત્વના બનાવ્યા છે.
ઈસુની સ્વાર્થપણા સામે ચેતવણી
13 ટોળામાંના એક માણસે ઈસુને કહ્યું, “ગુરુંજી, હમણા જ અમારા પિતાનું મૃત્યુ થયું છે. મારા ભાઈને કહે કે અમારા પિતાની માલિકીની વસ્તુઓનો ભાગ મને આપે.”
14 પણ ઈસુએ તેઓને કહ્યું, “કોણે કહ્યું કે હું તમારો ન્યાયાધીશ થઈશ કે તમારા પિતાની વસ્તુઓ તમારા બંને વચ્ચે વહેંચવાનો નિર્ણય કરીશ?” 15 પછી ઈસુએ તેઓને કહ્યું, “સાવધાન રહો અને બધાજ પ્રકારના સ્વાર્થીપણા સામે જાગ્રત રહો. વ્યક્તિ તેની માલિકીની ઘણી વસ્તુઓમાંથી જીવન પ્રાપ્ત કરી શકતો નથી.”
16 પછી ઈસુએ આ વાર્તાનો ઉપયોગ કર્યો: “એક ધનવાન માણસ હતો જેની પાસે કેટલીક જમીન હતી. તેની જમીનમાં ઘણી સારી ઉપજ થઈ. 17 તે ધનવાન માણસે તેની જાતે મનમાં વિચાર કર્યો, ‘મારે શું કરવું? મારી પાસે ઉપજ ભરી મૂકવાની જગ્યા નથી.’
18 “પછી પૈસાદાર માણસે કહ્યું, ‘હું જાણું છું કે હું શું કરીશ.’ હું મારી વખારોને પાડી નાંખીને વધારે મોટી વખારો બાંધીશ! હું ત્યાં મારા બધાજ ઘઉં અને સારી વસ્તુઓ એક સાથે નવી વખારમાં મૂકીશ. 19 પછી હું મારી જાતને કહીશ, ‘મારી પાસે ઘણી સારી વસ્તુઓનો સંગ્રહ છે, મેં ઘણાં વરસ માટે પૂરતું બચાવ્યું છે આરામ લે, ખા, પી અને જીવનમાં આનંદ કર!’
20 “પરંતુ દેવે તે માણસને કહ્યું, ‘અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?’
21 “જે વ્યક્તિ તેની જાત માટે જ ફક્ત વસ્તુઓ બચાવે છે તેનું આમ જ થશે. દેવ સમક્ષ તે વ્યક્તિ ધનવાન નથી.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International