Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 1-4

ભાગ પહેલો

(ગીત 1–41)

દુષ્ટ લોકોની સલાહ જેઓ સ્વીકારતાં નથી,
    પાપીઓનાં માર્ગમાં જેઓ ઉભા રહેતા નથી,
દેવની હાંસી ઉડાવનારા સાથે બેસતા નથી,
    તેઓ સાચેજ સુખી છે, તેઓને ધન્ય છે.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે,
    રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે;
    અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે,
    એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે;
તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી.
    તેઓ જે કાઇ કામ કરે છે,
તેમાં સફળ થાય છે.

પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે.
    તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે.
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ;
    ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે;
    પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે?
    શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?
કારણ, આ રાષ્ટના રાજાઓ અને નેતાઓ,
    યહોવા અને તેણે પસંદ કરેલા રાજાઓની વિરુદ્ધ જોડાયા છે.
તેઓ કહે છે, “આવો આપણે દેવના બંધન તોડી પાડીએ,
    ગુલામીમાંથી મુકત થઇ જઇએ.”

આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે.
    મારો માલિક તેમની મજાક કરે છે.
અતિ ક્રોધમાં બોલી તેઓને ઠપકો આપશે,
    દેવના પ્રકોપથી તેઓ અતિ ત્રાસ પામશે.
યહોવા કહે છે, “મારા પવિત્ર સિયોન પર્વત પર
    મેં મારા રાજાને અભિષિકત કર્યો છે.”

મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ.
યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે,
    આજે હું તારો પિતા થયો છુ.”
તું મારી પાસે માગ,
    એટલે હું તને સર્વ જાતની પ્રજાઓ આપીશ.
તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે
    જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.

10 પૃથ્વીના રાજાઓ, તમે સૌ સમજણ રાખો, હજુ સમય છે,
    સત્તાધીશો તમે હવે આ બોધ લો.
11 યહોવાની સેવા આદર અને પ્રેમથી કરો, અને ભયથી થર થર કાંપો.
12 તેના પુત્રને ચુંબન કરો,
    જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય.
કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે.
    જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.

પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત.

હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે;
    ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
“મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.

પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો;
    તમે મારું ગૌરવ છો;
    શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.

હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું,
    ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.

પછી હું શાંતિથી સૂઇ જાઉં છું,
    સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.

જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે
    તેઓથી હું જરાય ડરીશ નહિ.

હે યહોવા, ઉઠો;
    મારું તારણ કરો મારા દેવ;
એમ હું તમને હાંક મારીશ;
    કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.

યહોવાની પાસે તારણ છે,
    લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

નિર્દેશક માટે, તારવાળાં વાજીંત્રો સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે,
    મને ઉત્તર આપજો,
મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો,
    મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.

હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો?
    ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.

તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે.
    તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.

તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ
    ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો,
    અને યહોવા પર ભરોસો રાખો.

એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે?
    હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે.
    પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ;
    હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.

ગીતશાસ્ત્ર 7

દાઉદનું બિન્યામીનીતે કૂશના પુત્ર શાઉલના સંદર્ભમાં ગાયેલું યહોવાનું ગીત.

હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું.
    મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે,
    મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય;
    તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,
અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય,
    અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય
    અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.
તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે,
    અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે!
    અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

હે યહોવા, કોપ કરીને ઉઠો,
    મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ,
    હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.
હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો.
    તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.
હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો,
    મને જાહેરમાં ન્યાયી ઠરાવો,
    અને તેઓ સમક્ષ મને તમે નિર્દોષ ને પ્રામાણિક સાબિત કરો.
હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો.
    ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો,
કારણ કે તમે ન્યાયી દેવ છો,
    અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

10 દેવ મારી ઢાલ છે, જે સત્ય
    અને ન્યાયી હૃદયવાળાને તારે છે.
11 દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે;
    તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.
12 જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે,
    તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે.
તેણે પોતાના ધનુષ્યને
    તાણીને સિદ્ધ કર્યુ છે.
13 યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે.
    અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

14 એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે.
    તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે
    અને જૂઠને જન્મ આપે છે.
15 તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે.
    અને તે પોતેજ તેમાં જઇને પડશે.
16 પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે;
    તે પોતાની ઉગ્રતાથી
    પોતેજ ત્રાસ સહન કરશે.

17 હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ.
    કારણ, તે ન્યાયી છે.
    હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

નિર્ગમન 14:21-31

21 મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર ઉપર લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ સૂકી જમીન બનાવી હતી. 22 ઇસ્રાએલના લોકો સૂકી જમીન પર ચાલીને સમુદ્રમાંથી પાર ગયા. ઇસ્રાએલીઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીત બની ગઈ હતી. 23 અને મિસરીઓ તેમની પાછળ પડયા. ફારુનના બધા જ રથો, ઘોડાઓ અને ઘોડેસવારો તેમની પાછળ તેઓ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા. 24 પછી પ્રભાતના પ્રથમ પહોરમાં વાદળ અને અગ્નિના સ્તંભમાંથી યહોવાએ મિસરીઓના સૈન્ય પર દૃષ્ટિપાત કરીને તેમના પર હુમલો કરી તેમનો પરાજય કર્યો. 25 યહોવાએ તેમના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે માંડ માંડ ફરતાં હતા. આથી તેઓ બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવા ઇસ્રાએલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યાં છે. ચાલો, આપણે પાછા ફરીએ.”

26 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હવે તું તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ. જેથી મિસરવાસીઓ પર, તેમના રથો પર અને તેમના ઘોડેસવારો પર પાછાં પાણી ફરી વળે.”

27 એટલે દિવસ બરાબર શરૂ થાય તે પહેલાં મૂસાએ સમુદ્ર ઉપર હાથ લાંબો કર્યો અને સવાર થતાં જ સમુદ્ર પહેલાં જેવો હતો તેવો પાછો થઈ ગયો. મિસરવાસીઓએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી અને યહોવાએ સમુદ્રમાં વચ્ચોવચ્ચ તેમનો ઘાણ કાઢી નાખ્યો, સૌને ડુબાડી દીધા. 28 સમુદ્રના પાણીએ પાછાં વળીને, રથોને, ઘોડેસવારોને અને ઇસ્રાએલીઓનો પીછો પકડી સમુદ્રમાં ઘસી ગયેલા ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી એક પણ બચી શકયો નહિ.

29 પરંતુ ઇસ્રાએલના લોકો સમુદ્રની વચ્ચેથી સૂકી જમીન પર થઈને ચાલ્યા ગયા હતા. અને પાણીની ભીંત તેમની ડાબી અને જમણી બાજુએ થઈ ગઈ હતી. 30 આ રીતે તે દિવસે યહોવાએ ઇસ્રાએલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇસ્રાએલીઓએ મિસરીઓને સમુદ્ર કિનારે મૃત હાલતમાં પડેલા જોયા. 31 અને યહોવાએ મિસરીઓ વિરુધ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને તેઓ ગભરાઈ ગયા અને યહોવા પર અને તેના સેવક મૂસા પર તેમને વિશ્વાસ બેઠો.

1 પિતર 1:1-12

ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર, તરફથી કુશળતા હો.

દેવની પસંદગી પામેલા લોકો જોગ જેઓ તેઓના ઘરથી દૂર પોન્તસ, ગલાતિયા, કપ્પદોકિયા, આસિયા અને બિથૂનિયાના વિવિધ વિસ્તારોમાં પથરાયેલા છે. દેવ બાપે ઘણા સમય પહેલા તેના પવિત્ર લોકો બનાવવા તમને પસંદ કર્યા હતા. તમને પવિત્ર કરવાનું કામ આત્માનું છે. દેવ ઈચ્છતો હતો કે તમે તેને આજ્ઞાંકિત બનો. અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્ધારા તમે શુદ્ધ બનો.

તમારા પર કૃપા અને શાંતિ પુષ્કળ થાઓ.

જીવંત આશા

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. દેવ ઘણો કૃપાળુ છે, અને તેની દયાથી આપણને નવજીવન પ્રાપ્ત થયું છે. અને ઈસુ ખ્રિસ્તના મૂએલામાથી પુનરુંત્થાન દ્ધારા આ નવજીવન આપણામાં જીવંત આશા અંકુરિત કરે છે. હવે દેવના બાળકો પ્રત્યેક તેના આશીર્વાદોની આપણને આશા છે. તમારા માટે આ આશીર્વાદો આકાશમાં સ્થાપિત કરાયા છે. આ આશીર્વાદો અવિનાશી છે. તેને નષ્ટ ન કરી શકાય. તે તેમની સુંદરતા ગુમાવતા નથી.

તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે. આ તમને આનંદિત બનાવે છે. પરંતુ હમણા થોડા સમય પૂરતા વિવિધ પ્રકારના પરીક્ષણ તમને કદાચ દુ:ખી બનાવશે. આ મુશ્કેલીઓ શાથી ઉદભવશે? એ સાબિત કરવા કે તમારો વિશ્વાસ શુદ્ધ છે. વિશ્વાસની આ શુદ્ધતા સોના કરતાં પણ વધુ મૂલ્યવાન છે. દેવ અગ્નિથી સોનું પારખી શકે છે, પરંતુ આમ કરવાથી સોનાનો નાશ થશે. તમારા વિશ્વાસની શુદ્ધતા જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરીથી આવશે ત્યારે તમારે માટે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.

તમે ખ્રિસ્તને જોયો નથી, છતાં તમે તેના પર પ્રીતિ રાખો છો. તમે તેને અત્યારે જોઈ શકતા નથી, છતાં તમે તેના પર વિશ્વાસ રાખો છો. ન સમજાવી શકાય તેવા અવર્ણનીય આનંદમાં તમે તળબોળ છો. અને આ આનંદ મહિમાથી ભરપૂર છે. તમારા વિશ્વાસનું ફળ તે તમારા આત્માનું તારણ છે. અને તમે તે ફળ દ્ધારા તમારું તારણ મેળવી રહ્યા છો.

10 પ્રબોધકોએ ખંતથી અભ્યાસ કરીને આ તારણ વિષે સમજવાનો પ્રયત્ન કર્યો. પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે વાત કરી છે. 11 ખ્રિસ્તનો આત્મા તે પ્રબોધકોમાં હતો. અને તે આત્મા ખ્રિસ્તને સહન કરવાની વ્યથા વિષે તેમજ તે વ્યથા પછી આવનાર મહિમા વિષે વાત કરતો હતો. આ આત્મા જે દર્શાવતો હતો તે વિષે સમજવાનો તે પ્રબોધકોએ પ્રયત્ન કર્યો હતો. તેઓ આ ઘટના ક્યારે ઘટશે અને તે વખતે દુનિયા કેવી હશે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

12 તે પ્રબોધકોને સમજાવવામાં આવ્યું હતુ કે તેઓ જે સેવા કરે છે તે તેઓના પોતાના માટે નહિ, પરંતુ તમારા માટે કરે છે. તેઓએ જ કહ્યું તે તમે જ્યારે સાભળ્યું ત્યારે તેઓ તમારી સેવા જ કરી રહ્યા હતા. જે માણસોએ તમને સુવાર્તા આપી તેઓએ તમને આ બધી બાબતો કહી છે. તેઓએ આકાશમાથી મોકલેલા પવિત્રઆત્માની મદદથી તમને આ કહ્યું હતું. તમને જે વાત કહેવામા આવી હતી તે વિશે દૂતો પણ જાણવા ઉત્સુક છે.

યોહાન 14:1-17

ઈસુ તેના શિષ્યોને દિલાસો આપે છે

14 ઈસુએ કહ્યું, “તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. દેવમાં વિશ્વાસ રાખો અને મારામાં વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં ત્યાં ઘણાં ઓરડાઓ છે. જો તે સાચું ના હોત તો હું તમને આ કહેત નહિ. હું તમારા માટે જગ્યાની તૈયારી કરવા જાઉં છું. ત્યાં જઈને તમારા માટે જગ્યાની તૈયારી કર્યા બાદ, હું પાછો આવીશ. પછી હું તમને મારી સાથે લઈ જઈશ. તેથી કરીને હું જ્યાં હોઈશ ત્યાં તમે પણ હશો. હું જ્યાં જાઉ છું તે જગ્યાનો માર્ગ તમે જાણો છો.”

થોમાએ કહ્યું, “પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતાં નથી. તેથી અમે તે માર્ગ કેવી રીતે જાણી શકીએ?”

ઈસુએ ઉત્તર આપ્યો, “હું માર્ગ છું. હું સત્ય છું અને જીવન છું. પિતા પાસે જવાનો માર્ગ ફક્ત મારા દ્વારા છે. જો તમે મને ખરેખર ઓળખતા હોત, તો પછી તમે મારા પિતાને પણ જાણશો. હવેથી તમે એને જાણશો. તમે તેને જોયો છે.”

ફિલિપે ઈસુને કહ્યું, “પ્રભુ, અમને પિતા બતાવ. અમારે જે બધું જોઈએ છે તે એ છે.”

ઈસુએ ઉત્તર આપ્યો, “ફિલિપ, ઘણા લાંબા સમય સુધી હું તારી સાથે છું. તેથી તારે મને ઓળખવો જોઈએ. જે વ્યક્તિએ મને જોયો છે તેણે મારા પિતાને પણ જોયો છે. તેથી તું શા માટે કહે છે, અમને પિતા બતાવ? 10 શું તમે ખરેખર માનો છો કે હું પિતામાં છું અને પિતા મારામાં છે? તમને મેં જે બધી વાતો કહી છે તે મારામાંથી આવી નથી. પિતા મારામાં રહે છે તે તેનું પોતાનું કામ કરે છે. 11 મારામાં વિશ્વાસ કરો જ્યારે હું કહું કે હું પિતામાં છું અને પિતા મારામાં છે. અથવા કામોને લીધે જ મારામાં વિશ્વાસ કરો.”

12 હું તમને સત્ય કહું છું, જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તે મેં જે કામો કર્યા છે તેવાં જ કરશે. હા! તે મેં કર્યા છે તેનાં કરતાં વધારે મહાન કામો પણ કરશે. શા માટે? કારણ કે હું પિતા પાસે જાઉં છું. 13 અને જો તમે મારા નામે જે કંઈ માગશો તો હું તમારા માટે તે કરીશ. પછી દીકરા દ્વારા પિતા મહિમાવાન દર્શાવાશે. 14 જો તમે મારા નામે કંઈ મારી પાસે માગશો તો હું તે કરીશ.

પવિત્ર આત્માનું વચન

15 “જો તમે મારા પર પ્રેમ કરો છો, તો પછી હું તમને જે આજ્ઞાઓ કરું તેનું પાલન કરશો. 16 હું પિતાને પૂછીશ, અને તે મને બીજો સંબોધક[a] આપશે. તે તમને આ સંબોધક હંમેશા તમારી સાથે રહેવા માટે આપશે. 17 તે સંબોધક સત્યનો આત્મા[b] છે. જગત તેનો સ્વીકાર કરી શકતું નથી. શા માટે? કારણ કે જગત તેને જોતું નથી કે તેને ઓળખતું નથી. પણ તમે તેને ઓળખો છો. તે તમારી સાથે રહે છે અને તે તમારામાં રહેશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International