Book of Common Prayer
આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, તમે છાના ન રહો;
હે દેવ, તમે ચૂપ ન રહો;
અને શાંત ન રહો.
2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
4 તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
5 તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે;
તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
6 તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
7 ગબાલ, તથા આમ્મોન ને અમાલેક;
અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
8 તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
અને લોતના વંશજોને સહાય કરી છે.
9 તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો;
સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે
દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા;
અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે,
અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી
તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો.
હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
“યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.
ભાગ બીજો
(ગીત 42–72)
નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.
1 હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
2 મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
3 મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”
4 હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.
5 હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
તેમની કૃપા અને મદદ માટે હું હજી
પણ તેમની પ્રાર્થના કરીશ.
6 હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.
8 અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
9 દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
“તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.
11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
તેનું હું હજી સ્તવન કરીશ.
1 હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
2 કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
હું શોક કરતો ફરૂં છું.
3 હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
4 તમે મારા અતિઆનંદ છો,
તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
હું તમારી આભારસ્તુતિ ગાઇશ.
5 હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
અને મદદ માટે પ્રાર્થના કરીશ.
નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત
1 હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
2 તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
3 તેથી હવે તમારા કોપનો ભસ્મ
કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
4 હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
6 હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
અને અમને તમારું તારણ પમાડો.
8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
9 જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.
દાઉદની પ્રાર્થના.
1 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
2 મારા જીવનની રક્ષા કરો,
કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
3 હે યહોવા, મારા પર દયા કરો,
કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
4 હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
5 હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
6 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
7 મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
8 હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
9 હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
અને દિલાસો આપ્યો છે.
ઇસ્રાએલની ઉપાસના
46 એટલા માંટે ઇસ્રાએલે પોતાની મિસરની યાત્રાનો પ્રારંભ કર્યો. પહેલાં તે બેર-શેબા પહોંચી ગયો. ત્યાં તેમણે પોતાના પિતા ઇસહાકના દેવની ઉપાસના કરીને યજ્ઞો અર્પણ કર્યા. 2 રાત્રે દેવે ઇસ્રાએલને સ્વપ્નમાં કહ્યું, “યાકૂબ, યાકૂબ.”
અને ઇસ્રાએલે જવાબ આપ્યો, “હું અહીં છું.”
3 પછી દેવે કહ્યું, “હું દેવ છું. તમાંરા પિતાનો દેવ. મિસર જતાં જરા પણ ગભરાઈશ નહિ, કારણ કે હું ત્યાં તારાથી એક મોટી પ્રજા નિર્માંણ કરીશ; 4 હું તારી સાથે મિસર આવીશ; અને હું ચોક્કસ તને પાછો લાવીશ; અને યૂસફને હાથે જ તારી આંખો મીંચાશે.”
ઇસ્રાએલનું મિસર જવું
5 પછી યાકૂબે બેર-શેબા છોડયું અને મિસર સુધી યાત્રા કરી. તેને લેવા માંટે ફારુને જે ગાડાં મોકલ્યાં હતાં તેમાં ઇસ્રાએલના પુત્રો પોતાના પિતા યાકૂબને, પોતાના પુત્રોને અને વહુઓને લઈ ગયાં. 6 તેઓ પોતાનાં ઢોરઢાંખર તથા માંલમિલકત જે કનાન દેશમાંથી પ્રાપ્ત કરી હતી તે લઈને યાકૂબ તથા તેમનું આખું કુટુંબ તેમની સાથે મિસર આવ્યું. 7 એટલે તેના પુત્રો તથા તેની સાથે તેના પુત્રોના પુત્રો, ને તેની પુત્રીઓ તથા તેના પુત્રોની પુત્રીઓને તથા તેનાં સર્વ સંતાનને તે પોતાની સાથે મિસરમાં લાવ્યો.
ઇસ્રાએલ મિસર પહોચ્યો
28 યહૂદાને ઇસ્રાએલે પોતાના પહેલાં યૂસફ પાસે મોકલી આપ્યો જેથી યૂસફ તેને ગોશેનમાં મળે. 29 પછી તેઓ ગોશેનમાં પહોચ્યાં. ત્યારે યૂસફ રથ જોડીને તેના પિતા ઇસ્રાએલને મળવા માંટે ગોશેનમાં ગયો; અને તેને જોતાની સાથે જ તે તેને કોટે વળગી પડયો અને તેને ભેટીને ઘણા સમય સુધી રડયો.
30 ઇસ્રાએલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું, તને જીવતો જોયો, હવે ભલે માંરું મરણ શાંતિથી થશે.”
31 પછી યૂસફે પોતાના ભાઈઓને અને પોતાના પિતાના પરિવારને કહ્યું, “હું જઈને ફારુનને જાણ કરું છું કે, ‘કનાનમાં રહેતા માંરા ભાઈઓ અને માંરા પિતાના પરિવારના માંણસો માંરી પાસે આવી પહોંચ્યા છે. 32 એ લોકો ભરવાડ છે, કારણ કે તેઓ પશુ પાલનનો ધંધો કરે છે. એ લોકો પોતાનાં ઘેટાંબકરાં અને ઢોરઢાંખર તથા તમાંમ ઘરવખરી લઈને આવ્યા છે.’ 33 અને કદાચ ફારુન તમને બોલાવે અને પૂછે કે, ‘તમે શો ધંધો કરો છો?’ 34 ત્યારે તમે કહેજો કે, ‘તમાંરા સેવકોનો, એટલે અમાંરો તથા અમાંરા પિતૃઓનો ધંધો નાનપણથી આજપર્યંત ઢોર ઉછેરનો છે;’ કે, જેને કારણે તમે ગોશેન પ્રાંતમાં રહી શકશો. કારણ કે ભરવાડ માંત્રને મિસરીઓ નફરત કરે છે.”
9 હું સ્વતંત્ર માનવ છું! હું પ્રેરિત છું! મેં આપણા પ્રભુ ઈસુનાં દર્શન કર્યા છે. પ્રભુ પરત્વેના મારા કાર્યમાં તમે લોકો એક ઉદાહરણ છો. 2 બીજા લોકો મને પ્રેરિત તરીકે કદાચ ન સ્વીકારે, પરંતુ તમે તો નિશ્ચિતરૂપે મને પ્રેરિત તરીકે સ્વીકારો છો. પ્રભુમાં હું પ્રેરિત છું તેનું તમે લોકો પ્રમાણ છો.
3 કેટલાએક લોકો મારી મૂલવણી કરવા માગે છે. તેથી તેઓને હું આ ઉત્તર પાઠવું છું: 4 આપણને ખાવા-પીવાનો અધિકાર છે. શું નથી? 5 યાત્રા દરમ્યાન વિશ્વાસી પત્નીને આપણી સાથે લાવવાનો આપણને અધિકાર છે. શું નથી? બીજા પ્રેરિતો, અને પ્રભુના ભાઈઓ અને કેફા બધા જ આમ કરે છે. 6 બાર્નાબાસ અને હું જ ફક્ત એવા છીએ કે જેમણે આજીવિકા કમાવા માટે કશુંક કામ કરવું પડે. 7 કોઈ પણ સૈનિક લશ્કરમાં તેની સેવા માટે તેનો પોતાનો પગાર તે પોતે ચૂકવતો નથી. કોઈ પણ વ્યક્તિ કદી દ્રાક્ષના બગીચા લગાવી તેમાંથી થોડી ઘણી દ્રાક્ષ પોતે ને ખાય તેમ બનતું નથી. કોઈ પણ વ્યક્તિ ટોળાંની સંભાળ રાખે ને થોડું દૂધ ન પીએ તેમ બનતું નથી.
8 ફક્ત મનુષ્યો જ આમ વિચારે છે તેમ નથી. દેવનું નિયમશાસ્ત્ર પણ આ જ બાબત કહે છે. 9 હા, મૂસાના નિયમશાસ્ત્રમાં તે લખેલું છે કે: “જ્યારે પગરમાં અનાજને છૂટું પાડવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું મોઢૂં બાંધી દઈને તેને અનાજ ખાતા ન અટકાવો.”(A) જ્યારે દેવે આમ કહ્યું, ત્યારે તે શું માત્ર બળદનો જ વિચાર કરતો હતો? ના. 10 તે ખરેખર આપણા વિષે વિચાર કરતો હતો. હા, તે શાસ્ત્ર આપણા માટે લખાયું છે. વ્યક્તિ કે જે ખેડે છે અને વ્યક્તિ કે જે અનાજને છૂટું પાડે છે તે તેમની મહેનત માટે તેમણે બદલાની આશા રાખવી જોઈએ. 11 અમે તમારામાં આધ્યાત્મિક બીજનું પ્રત્યારોપણ કર્યુ છે. અને તેથી આ જીવન માટે અમે થોડીક વસ્તુનો પાક લણી શકીએ. આ કઈ વધારે પડતી માગણી નથી. 12 બીજા લોકોને તમારી પાસેથી વસ્તુઓ મેળવવાનો હક્ક છે. તે અમને પણ જરુંરથી આ હક્ક છે. પરંતુ અમે આ અધિકારનો ઉપયોગ કરતા નથી. ના, અમે અમારી જાતે બધું સહન કરીએ છે કે જેથી કોઈને પણ ખ્રિસ્તની સુવાર્તાને અનુસરવામાં વિધ્નરુંપ ન બનીએ. 13 તમે ખરેખર જાણો છો કે જે લોકો મંદિરમાં કામ કરે છે તેઓ તેઓને આહાર મંદિરમાંથી મેળવે છે. અને જેઓ વેદી સમક્ષ સેવા કરે છે, તેઓ વેદીને ઘરાવેલા નૈવેદનો અંશ મેળવે છે. 14 જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને માટે પણ આમ જ છે. પ્રભુનો આદેશ છે કે જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને જીવન નિર્વાહ તેઓના આ કાર્ય થકી થવો જોઈએ.
15 પરંતુ આમાના કોઈ પણ અધિકારનો મેં ઉપયોગ કર્યો નથી અને આ વસ્તુ મેળવવાનો હું કોઈ પ્રયત્ન પણ કરતો નથી. તમને લખવાનો મારો આ હેતુ નથી. મને અભિમાન કરવાનું કારણ છીનવી લેવામાં આવે તેના કરતા તો હું મૃત્યુને પસંદ કરીશ.
ઈસુનું 5,000 થી વધારે માણસને જમાડવું
(માથ. 14:13-21; લૂ. 9:10-17; યોહ. 6:1-14)
30 જે પ્રેરિતોને ઈસુએ ઉપદેશ માટે મોકલ્યા હતા, તે ઈસુ પાસે પાછા આવ્યા. તેઓ ઈસુની આજુબાજુ ભેગા થયા અને તેઓએ જે બધી વસ્તુ કરી અને શીખવ્યું તે વિષે તેને કહ્યું. 31 ઈસુ અને તેના શિષ્યો ઘણી ભીડવાળી જગ્યાએ હતાં. અને ત્યાં ઘણા બધા લોકો હતા. ઈસુ અને તેના શિષ્યોને ખાવાનો સમય પણ ન હતો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “મારી સાથે આવો આપણે એકાંત માટે શાંત જગ્યોએ જઈશું. ત્યાં આપણે થોડો આરામ કરીશું.”
32 તેથી ઈસુ અને તેના શિષ્યો એકલા દૂર ચાલ્યા ગયા. તેઓ હોડીમાં જ્યાં કોઈ લોકો ન હતા એવા નિર્જન સ્થળે ગયા. 33 પરંતુ ઘણા લોકોએ તેને જતા દીઠો. લોકોએ તેને ઓળખ્યો કે તે ઈસુ હતો તેથી જ્યાં ઈસુ જતો હતો તે સ્થળે બધાં ગામોમાંથી લોકો પગપાળા દોડી ગયા. ઈસુના આવતા પહેલાં લોકો ત્યાં હતા. 34 જ્યારે ઈસુ ત્યાં આવ્યો, તેણે ઘણા માણસોને વાટ જોતાં જોયા. ઈસુને તેમના માટે દુ:ખ થયું, કારણ કે તેઓ સંભાળ રાખનાર ભરવાડ વિનાના ઘેંટા જેવા હતા. ઈસુએ લોકોને ઘણી વસ્તુઓ શીખવી.
35 હવે દિવસનો નમતો પહોર હતો. તેથી ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “આ જગ્યાએ કોઈ લોકો રહેતા નથી અને અત્યારે ઘણું મોડુ થયું છે, 36 તેથી લોકોને દૂર મોકલો. તેઓ અહીંના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઇને ખાવાનું ખરીદે.”
37 પણ ઈસુએ જવાબ આપ્યો, “તમે તેઓને થોડું ખાવાનું આપો.”
તે શિષ્યોએ ઈસુને કહ્યું, “આપણે આ બધા લોકોને ખવડાવવા માટે પૂરતી રોટલીઓ ખરીદી શકીએ તેમ નથી! આપણે બધાને તેટલી રોટલીઓ ખરીદવા માટે એક મહીના સુધી કામ કરીને પૂરતું કમાવું પડે.”
38 ઈસુએ શિષ્યોને કહ્યું, “તમારી પાસે કેટલી રોટલીઓ છે? જાઓ અને જુઓ.”
શિષ્યોએ તેઓની રોટલીઓ ગણી. તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું, “આપણી પાસે પાંચ રોટલી અને બે માછલીઓ છે.”
39 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “બધા લોકોને લીલા ઘાસ પર જૂદા જૂદા જૂથોમાં બેસવા કહો.” 40 તેથી બધા લોકો સમૂહમાં બેઠા, કેટલાક જૂથોમાં એકસો માણસો હતા તો કેટલાક જૂથોમાં પચાસ માણસો હતા.
41 ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. તેણે ઊંચે આકાશમાં જોયું અને રોટલી માટે દેવનો આભાર માન્યો. પછી ઈસુએ તે રોટલીના ટુકડા કર્યા અને તે તેના શિષ્યોને આપ્યા. ઈસુએ તેના શિષ્યોને તે રોટલી લોકોને આપવા કહ્યું. પછી ઈસુએ બે માછલીના ભાગ કર્યા અને લોકોને માછલી આપી.
42 આમ લોકોએ ખાધું અને તૃપ્ત થયા. 43 લોકોએ ખાવાનું પૂરું કર્યા બાદ શિષ્યોએ છાંડેલા રોટલીના ટુકડાઓથી અને માછલીઓથી બાર ટોપલીઓ ભરી. 44 ત્યાં લગભગ 5,000 પુરુંષોએ ભોજન કર્યુ.
ઈસુ પાણી પર ચાલે છે
(માથ. 14:22-23; યોહ. 6:16-21)
45 પછી ઈસુએ શિષ્યોને હોડીમાં બેસવા માટે કહ્યું. ઈસુએ તેમને બેથસૈદાની પેલે પાર સરોવરની બીજી બાજુએ જવા માટે કહ્યું. ઈસુએ કહ્યું કે તે પાછળથી આવશે, ઈસુએ લોકોને તેમના ઘર તરફ જવાનું કહ્યું. 46 લોકોને શુભ વિદાય કહ્યાં પછી ઈસુ ટેકરી પર પ્રાર્થના કરવા ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International