Book of Common Prayer
નિર્દેશક માટે. રાગ: “કમળ નો કરાર.” આસાફનું સ્તુતિગીત.
1 હે ઇસ્રાએલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો;
તમે તે જાણો છો જેણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા.
કરૂબ દેવદૂત પર બેઠેલા હે દેવ,
અમને પ્રકાશ આપો!
2 એફાઇમ, બિન્યામીન અને મનાશ્શા આગળ તમારું સાર્મથ્ય બતાવો!
અમને તારવાને આવ.
3 હે દેવ, અમને તમે ફેરવો;
તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.
4 હે સૈન્યોના યહોવા દેવ,
ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?
5 તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે
અને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે;
અમરા શત્રુઓ અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો,
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો,
જેથી અમારો ઉદ્ધાર થાય.
8 તમે વિદેશી રાષ્ટ્રોને હાંકી કાઢયા
અને અહીં “દ્રાક્ષાવેલો” રોપ્યો.
9 તમે ભૂમિને તેને વાસ્તે સાફ કરી,
તેમાં દ્રાક્ષાવેલાના મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 તેની છાયાથી પર્વતો ઢંકાઇ ગયા,
અને તેની વિશાળ લાંબી ડાળીઓથી દેવદારનાં વૃક્ષો ઢંકાઇ ગયા.
11 તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી
અને તેની ડાંખળીઓ નદી સુધી પ્રસારી.
12 તમે તેનો કોટ એવી રીતે કેમ તોડ્યો છે
કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે,
અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.
14 હે સૈન્યોના દેવ, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો,
અને આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે,
જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.
16 તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે.
તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
17 તમારા જમણા હાથે જે માણસ છે,
અને તમે તમારા પોતાના માટે જે માનવપુત્રને બળવાન કર્યો છે તેના પર તમારો હાથ રાખો.
18 તમારાથી અમે કદી વિમુખ થઇશું નહિ;
અમને પુર્નજીવન આપો, અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 હે સૈન્યોના દેવ યહોવા, અમને પાછા ફેરવો;
તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.
નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.
1 મે યહોવાને મદદ માટે પોકાર કર્યો;
મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.
2 જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી.
મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી
જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.
3 હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું.
મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું,
પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.
4 તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો
હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.
5 હું અગાઉના દિવસો
અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
6 તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી,
હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.
7 “શું યહોવા સર્વકાળ માટે તજી દેશે?
ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?
8 શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ?
શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”
9 અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં?
શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?
10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે
અસ્વસ્થ કરે છે તે આ છે.”
11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે?
અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.
12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ,
અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે,
તમારા જેવા મહાન કોઇ દેવ નથી!
14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો,
તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.
15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને
તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.
16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો,
અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.
17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં;
વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.
18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો;
વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ.
અને પૃથ્વી કંપી તથા ડોલી.
19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં;
તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે,
તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.
નિર્દેશક માટે. આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, વિદેશી રાષ્ટ્રોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે.
અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે.
અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.
2 તેઓએ તમારા સેવકોનાં મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યાં છે
અને તેઓએ તમારા વફાદાર અનુયાયીઓના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓ છોડ્યા છે.
3 તેઓએ, યરૂશાલેમની આસપાસ, પાણીની રેલની જેમ રકત વહેવડાવ્યું છે;
ત્યાં મૃતદેહોને દફનાવનાર કોઇ નથી.
4 અમારી આસપાસ આવેલી પ્રજાઓ અમારી નિંદા,
તિરસ્કાર કરે છે, અને અમારા પડોશીઓ મશ્કરી કરે છે.
5 હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો?
તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
6 તમે જે વિદેશીઓ જાણતા નથી તેઓ ઉપર તમારો ક્રોધ ઉતારો,
જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી.
7 કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે
અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.
8 હે યહોવા, અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ કારણ,
અને બહુ દુર્દશામાં આવી પડ્યાં છીએ.
9 હે અમારા તારણના દેવ,
અમારી સહાય કરો,
તમારા નામના મહિમાને માટે,
હે દેવ અમારી રક્ષા કરો,
તમારા નામની માટે,
અમને અમારા પાપોની માફી આપો.
10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે,
“ક્યાં છે તેઓના દેવ?”
તેઓએ તમારા લોકોનું લોહી વહેવડાવ્યું છે,
તેમને એવી રીતે શિક્ષા કરો કે અમારી આંખો જુએ અને લોકો તેના વિષે જાણે.
11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
તમારા હાથના પરાક્રમે મૃત્યુદંડ પામેલાઓનું રક્ષણ કરો.
12 હે યહોવા, જે અમારા પડોશી રાષ્ટ્રો તમારું અપમાન કરે છે,
તેઓને તમે સાતગણી સજા કરો.
13 પછી નિરંતર અમે તમારી આભારસ્તુતિ કરીશું,
તમારા લોક તથા ચારાના ઘેટાઁ
પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું.
યહૂદાનું બિન્યામીનને માંટે વિનવવું
18 પછીથી યૂસફ પાસે જઈને યહૂદાએ કહ્યું, “ઓ માંરા ધણી, કૃપા કરીને આપના આ સેવકને ખાનગીમાં આપની સાથે બે વાત કરવા દો, અને આપના સેવક પર ક્રોધ ન કરશો. માંરા માંટે તો આપ પોતે ફારુન સમાંન છો. 19 માંરા ધણીએ સેવકોને સવાલ કર્યો હતો કે, ‘તમાંરે પિતા અથવા ભાઈ છે?’ 20 તેથી અમે માંલિકને જવાબ આપ્યો હતો, ‘અમાંરે વૃદ્વ પિતા અને એક નાનો ભાઈ છે, જે એમને પાછલી અવસ્થામાં પ્રાપ્ત થયો હતો. એનો ભાઈ અવસાન પામેલ છે, તેથી તે તેની માંતાનો એકનો એક પુત્ર છે, વળી તેના પિતાને તે ખૂબ વહાલો છે.’ 21 અને તમે અમને સેવકોને જણાવેલું કે, ‘તેને માંરી પાસે લઈને આવો એટલે તેને હું જોઉં તો ખરો.’ 22 અને અમે અમાંરા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને મૂકીને આવી શકે, એમ નથી, કારણ કે જો તે પિતાને મૂકીને જાય તો તેના પિતા મૃત્યુ પામે.’ 23 અને તમે અમને તમાંરા સેવકોને કહ્યું હતું, ‘જો તમે તમાંરા સૌથી નાના ભાઇને તમાંરી સાથે ન લાવો તો તમે માંરું મુખ ફરી નહિ જોશો.’ 24 પછી અમે આપના સેવકો-અમાંરા પિતા પાસે ગયા અને તેમને અમે ધણીના શબ્દો કહી સંભળાવ્યા,
25 “અને પછી જયારે અમાંરા પિતાએ કહ્યું, ‘પાછા જાઓ અને આપણા માંટે થોડું અનાજ ખરીદી લાવો.’ 26 એટલે અમે કહ્યું, ‘અમાંરાથી કેવી રીતે જવાય? અમાંરો સૌથી નાનો ભાઈ જો અમાંરી સાથે આવતો હોય તો જ અમે જઇ શકીએ, કારણ, અમાંરો નાનો ભાઇ અમાંરી સાથે ના હોય, તો અમે તે માંણસનું મુખ જોઈ શકીશું નહિ.’ 27 એટલે તમાંરા સેવકે અર્થાત્ અમાંરા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે, માંરાં પત્નીને બે પુત્રો અવતર્યા હતા. 28 અને તેઓમાંનો એક ગયો ત્યારે મેં કહ્યું કે, “જરૂર એને કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધો હશે.” અને ત્યાર પછી આજપર્યંત મેં તેને ફરી જોયો નથી. 29 અને હવે જો તમે આને પણ માંરી આગળથી લઈ જાઓ, અને જો તેની સાથે કઇ ખોટું થાય તો હું મરવા જેટલો દુ:ખી થઇશ.’ 30 તેથી કરીને હવે તમાંરા સેવકની એટલે કે, માંરા પિતાની પાસે હું જાઉં, અને એ છોકરો અમાંરી સાથે નહિ હોય તો 31 તેનો જીવ એટલો બધો એ છોકરામાં છે કે, અમાંરી સાથે એ છોકરો નથી એ જોતાંની સાથે જ એનું મોત થશે; અને આપના આ સેવકોએ આપના સેવક અમાંરા પિતાને ઘરડેઘડપણ શોક કરતા દફનાવવા પડશે.
32 “વાત એવી છે કે, હું માંરા પિતા આગળ એ છોકરા માંટે જામીન થયો છું કે, ‘જો હું એની તમાંરી પાસેથી એમની પાસે પાછો ન લાવું તો હું એમનો જીવનભર ગુનેગાર ગણાઈશ.’ 33 એટલે હવે કૃપા કરીને આ છોકરાને બદલે તમાંરા સેવકને માંરા ધણી પાસે સેવક થઈને રહેવા દો; અને પેલા છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દો. 34 કારણ કે એ છોકરો જો આપણી સાથે ના હોય, તો આપણાથી પિતા પાસે જવાય શી રીતે? માંરા પિતાનું શું થશે એનો મને બહુ જ ડર લાગે છે.”
લગ્ર કરવા અંગેના પ્રશ્નો
25 હવે હું જે કુવારીઓ છે તેઓના વિષે લખીશ. પ્રભુ તરફથી મને આ અંગે કોઈ આજ્ઞા મળી નથી. પરંતુ હું મારો અભિપ્રાય આપું છું. મારો વિશ્વાસ કરો કારણ કે પ્રભુની દયા મારા પર છે. 26 આ મુશ્કેલીનો સમય છે. તેથી હું માનું છું કે તમે જેવા છો એવી જ સ્થિતિમાં રહો તે તમારા માટે સારું છે. 27 જો તમારે પત્ની હોય, તો તેનાથી છૂટા થવાનો પ્રયાસ ન કરશો. જો તમે વિવાહિત ન હો તો પત્ની શોધવાનો પ્રયાસ ન કરશો. 28 પરંતુ જો તમે લગ્ર કરવાનો નિર્ણય કરો, તો તે પાપ નથી. અને જે કુંવારી કદી પરણી જ નથી, તેવી કુવારી માટે લગ્ન કરવું તે પાપ નથી. પરંતુ જે લોકો પરણશે તેમને આ જીવનમાં વિપત્તિઓ તો થવાની જ છે. હું તમને આ વિપત્તિઓથી મુક્ત કરવા ઈચ્છુ છું.
29 ભાઈઓ અને બહેનો, હું સમજું છું કે: આપણી પાસે હવે ઘણો સમય રહ્યો નથી. તે અત્યારથી શરું કરીને, જે લોકો પાસે પત્નીઓ છે તેમણે એ રીતે દેવની સેવામાં તેમનો સમય વ્યતીત કરવો જોઈએ જાણે તેમને પત્નીઓ છે જ નહિ. 30 લોકો, જે વિષાદગ્રસ્ત છે તેમણે એ રીતે જીવવું જાણે કે તેમને કોઈ વિષાદ છે જ નહિ. લોકો જે આનંદિત છે તેમણે એ રીતે જીવવું જાણે તેઓ આનંદિત છે જ નહિ. લોકો જે વસ્તુઓ ખરીદે છે તેમણે એ રીતે જીવવું જાણે તેમની પાસે કશું જ નથી. 31 લોકો જે દુન્યવી વસ્તુઓનો ઉપભોગ કરે તેમણે તે રીતે જીવવું જાણે તે વસ્તુઓનું તેમને કોઈ મહત્વ જ નથી. તમારે આ રીતે જીવવું, કારણ કે આ જગત જે રીતે અત્યારે છે તે ખૂબ ઝડપથી ચાલ્યું જવાનું છે.
ઈસુનું મૃત છોકરીને સજીવન કરવું અને બિમાર સ્ત્રીને સાજી કરવી
(માથ. 9:18-26; લૂ. 8:40-56)
21 ઈસુ હોડીમાં બેસી સરોવર ઓળંગીને તેની બીજી બાજુએ ગયો. સરોવરની બાજુમાં તેની આજુબાજુ ઘણા લોકો ભેગા થયા હતા. 22 સભાસ્થાનના આગેવાનોમાંનો એક ત્યાં આવ્યો. તેનું નામ યાઈર હતું. યાઈરે ઈસુને જોયો અને તેની આગળ પગે પડ્યો. 23 યાઈરે ઈસુને ઘણી આજીજી કરીને કહ્યું, “મારી નાની દિકરી મરણ પથારી પર છે. કૃપા કરીને તારો હાથ તેના પર મૂક. પછી તે સાજી થઈ જશે અને જીવશે.”
24 તેથી ઈસુ યાઈર સાથે ગયો. ઘણા લોકો ઈસુની પાછળ ગયા. તેઓ તેની આજુબાજુ ઘણા નજીક હોવાથી ધક્કા-ધક્કી થતી હતી.
25 લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો. 26 તે સ્ત્રીએ ઘણું સહન કર્યુ હતું. ઘણા વૈદોએ તેનો ઇલાજ કરવા પ્રયત્ન કર્યો હતો. તેની પાસેના બધા પૈસા ખર્ચાઇ ગયા પરંતુ તેનામાં સુધારો થતો ન હતો. તેની બિમારી વધતી જતી હતી.
27 તે સ્ત્રીએ ઈસુ વિષે સાંભળ્યું. તેથી તે ટોળામાંથી ઈસુની પાછળ લોકો સાથે ગઈ. અને તેના ઝભ્ભાને અડકી. 28 તે સ્ત્રીએ વિચાર્યુ, “જો હું તેના કપડાંને પણ સ્પર્શ કરીશ તો તે મને સાજી કરવા પૂરતું છે.” 29 જ્યારે તે સ્ત્રી તેના ઝભ્ભાને અડકી, ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો. તે સ્ત્રીને લાગ્યું કે તેનું શરીર દર્દમાંથી સાજું થઈ ગયું છે. 30 ઈસુએ જાણ્યું કે તેનામાંથી સાર્મથ્ય બહાર નીકળ્યું. તેથી તે ટોળા તરફ ફર્યો અને પૂછયું, “મારા લૂગડાને કોણે સ્પર્શ કર્યો?”
31 શિષ્યોએ ઈસુને કહ્યું, “તું જુએ છે કે ઘણા લોકો તારી પર પડાપડી કરે છે અને તું પૂછે છે કે, ‘મને કોણે સ્પર્શ કર્યો?’”
32 પરંતુ જે વ્યક્તિએ ઈસુને સ્પર્શ કર્યો તેને જોવાનું ઈસુએ ચાલું રાખ્યું. 33 તે સ્ત્રીએ જાણ્યું કે તે સાજી થઈ ગઈ હતી. તેથી તે આવી અને ઈસુના પગે પડી. તે સ્ત્રી ભયથી ધ્રુંજતી હતી. તેણે ઈસુને આખી વાત કહી. 34 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તને સાજી કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે. શાંતિથી જા. હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે.”
35 ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, “તારી દીકરી મૃત્યુ પામી છે. તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી.”
36 માણસો શું કહે છે તેની ચિંતા પણ ઈસુએ કરી નહિ. ઈસુએ સભાસ્થાનના આગેવાનને કહ્યું, “ગભરાઈશ નહિ; માત્ર વિશ્વાસ રાખ.”
37 ઈસુએ ફક્ત પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને પોતાની સાથે આવવા દીધા. 38 ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યાં ઘણી મુંઝવણ હતી. 39 ઈસુએ ઘરમાં પ્રવેશીને લોકોને કહ્યું, “તમે લોકો શા માટે રડો છો અને આટલો બધો ઘોંઘાટ કરો છે? આ બાળક મરી ગયું નથી. તે તો ફક્ત ઊંઘે છે.” 40 પણ બધા લોકો ઈસુ તરફ હસ્યા. ઈસુએ લોકોને ઘરની બહાર જવા કહ્યું. પછી ઈસુ બાળક જે ઓરડામાં હતું ત્યાં ગયો. તે બાળકના માતાપિતા અને તેના ત્રણ શિષ્યોને તેની સાથે ઓરડામાં લાવ્યા. 41 પછી ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તેને કહ્યું, “ટલિથા કૂમ!” (આનો અર્થ, “નાની છોકરી, હું તને ઊભી થવા કહું છું.”) 42 તે છોકરી ઊભી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા. 43 ઈસુએ પિતા અને માતાને કડક હુકમ કર્યો કે લોકોને આ વિષે કહેવું નહિ. પછી ઈસુએ તે છોકરીને થોડું ખાવાનું આપવા તેઓને કહ્યું.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International