Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 61-62

નિર્દેશક માટે. તારવાળાં વાજીંત્ર સાથે ગાવા માટે. દાઉદનું ગીત.

હે દેવ, મારી પ્રાર્થના સાંભળો
    અને મારી અરજી પર ધ્યાન આપો.
જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે,
    ત્યારે પૃથ્વીને છેડેથી હું આપને પ્રાર્થના કરીશ!
હું પોતે સુરક્ષાનો મજબૂત ખડક ચઢી શકતો નથી,
    તેથી તે પર તમે મને લઇ જજો.
તમે મારૂં આશ્રય છો અને મજબૂત બૂરજ છો જે
    મને મારા શત્રુઓથી બચાવે છે!
હું સદાકાળ તમારા મંડપમાં રહીશ,
    અને તારી પાંખોના આશ્રયે રહીશ.

હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે.
    જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.
રાજાના વર્ષોમાં વૃદ્ધિ કરો જેથી
    તે આવનાર પેઢીઓ સુધી જીવે.
તે સદાકાળ દેવની સંમુખ રહેશે.
    તેની રક્ષા કરવા સત્ય ને કૃપા તૈયાર રાખજો.
હું, નિરંતર તમારા નામની સ્તુતિ ગાઇશ
    અને દરરોજ મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરીશ.

નિર્દેશક માટે. યદૂથૂનની રીત મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.

દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે.
    મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું,
    કારણ ફકત તે જ મારૂં તારણ કરી શકે છે.
હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે;
    સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?

જે વ્યકિત નમી ગયેલી ભીંત
    કે ભાગી ગયેલી વાડ જેવી નિર્બળ છે,
તેના ઉપર તમે સર્વ માણસો
    ક્યાં સુધી આક્રમણ કરશો?
તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે
    પાડી દેવા ચાહે છે;
તેઓ જૂઠથી હરખાય છે,
    અને મુખેથી આશીર્વાદ આપે છે,
    પરંતુ હૃદયથી શાપ આપે છે.

મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી
    અને ધૈર્યથી રાહ જુએ છે.
હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે;
    કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે,
    હું ઉથલાઇ જનાર નથી.
ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે,
    મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો,
    અને તમારી શું મનોકામના છે તે તેને કહો.
    આપણા સૌનો આશ્રય દેવ છે.

ખરેખર લોકો મદદ કરી શકતા નથી,
    દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી;
ફકત તમારી દમન
    અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ.
    લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ.
જો તમે ધનવાન બનો તો,
    તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
11 દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે:
    “સાર્મથ્ય દેવ પાસે છે.”

12 ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે,
    તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.

ગીતશાસ્ત્ર 68

નિર્દેશક માટે. પ્રશઁસાનું દાઉદનું ગીત.

હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ;
    તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો,
    જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે;
તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ;
    હા, સૌ અતિ આનંદ કરો.
દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો;
    જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે.
રણમાં તેમના માટે સડકો બાંધો;
    જેમનું નામ છે યાહ,[a] તેમની સામે ઉલ્લાસ કરો.
આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
દેવ એકાકી લોકોને ઘર આપે છે.
    કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે.
    પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.

હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં,
    અને તમે વેરાન રણમાં કૂચ કરી.
દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં
    અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો;
    અને સૂક્કી જમીનને તાજી કરી.
10 ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો,
    હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
11 જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું.
    લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
12 “ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે
    અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
13 જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી
    અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”

14 જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે,
    તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
15 બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે,
    બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
16 હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો?
    કે જેને યહોવા પોતાને રહેવા
    માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
17 યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે;
    અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
18 જ્યારે તે ઉંચાઇ પર જાય છે,
    તે બંદીવાનોની કૂચને ઘેરે છે,
જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા
    તેમની પાસેથી તથા માણસો[b] પાસેથી ભેટો સ્વીકારવા
    યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
19 ધન્ય છે પ્રભુને,
    કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે,
    અને તેઓજ સૌનું તારણ કરે છે.

20 તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે,
    યહોવા જ આપણા તારણના દેવ છે.
21 પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ,
    તેઓ અપરાધના માર્ગો છોડી દેવાની ના પાડે છે.
22 મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ,
    પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
23 જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો,
    અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”

24 હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે!
    તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
25 આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે.
    તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
26 હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો;
    ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો.
    કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
27 બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે,
    યહૂદાના સરદારો, ઝબુલોન,
    નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.

28 હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ,
    તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
29 યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં
    રાજાઓ ઉપહારો લઇને આવે છે.
30 બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો,
    રાષ્ટ્રોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો,
જેથી તેઓ તમારે શરણે આવે
    અને તમારા માટે ચાંદીની ભેટો લાવે,
યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે.
    કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
32 હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ,
    અને યહોવાનું સ્તવન કરો.

33 પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા,
    એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
34 પરાક્રમ કેવળ દેવનું છે,
    તેમની સત્તા ઇસ્રાએલ પર છે;
    તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
35 હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો,
    ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે.

તેમને ધન્ય હો!

ઉત્પત્તિ 42:1-17

સ્વપ્ન થયું સાકાર

42 એ સમયે યાકૂબના પ્રદેશમાં ભૂખમરો હતો. પરંતુ તેને ખબર પડી કે, મિસરમાં અનાજ વેચાય છે, એટલે યાકૂબે તેના પુત્રોને કહ્યું, “તમે શા માંટે એકબીજાના મોઢા સામે જોયા કરો છો? મને જાણવા મળ્યું છે કે, મિસરમાં અનાજ વેચાય છે, માંટે ત્યાં જાઓ, ને ત્યાંથી આપણા માંટે અનાજ ખરીદી લાવો. જેથી આપણે જીવતા રહીએ, ને ભૂખે ના મરીએ.”

આ સાંભળીને યૂસફના દશ ભાઈઓ અનાજ ખરીદવા માંટે મિસરમાં ગયા. પરંતુ યાકૂબે યૂસફના સગા ભાઈ બિન્યામીનને તેઓ સાથે મોકલ્યો નહિ. કદાચ એની સાથે કોઇ દુર્ભાગ્ય ઘટના થાય.

આમ, કનાનના પ્રદેશમાં દુકાળ હતો એટલે બીજા લોકોની સાથે ઇસ્રાએલના પુત્રો પણ અનાજની ખરીદી માંટે આવ્યા.

મિસર દેશનો શાસનકર્તા યુસફ હતો. દેશના તમાંમ લોકોને તે જ અનાજ વેચાતું આપતો હતો; તેથી યૂસફના ભાઈઓએ તેમની સામે આવીને ભોય લગી મસ્તક નમાંવીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પરંતુ યૂસફે પોતાના ભાઈઓને જોયા અને ઓળખ્યા, છતાં પણ જાણે અજાણ્યો હોય તે રીતે તેઓની સાથે વત્ર્યો. અને કડકાઈથી તેઓને સવાલ કર્યો, “તમે કયાંથી આવો છો?”

તેઓએ જવાબ આપ્યો, “અમો કનાનના પ્રદેશમાંથી અનાજ ખરીદવા આવ્યા છીએ.”

અને યૂસફે તો તેના ભાઈઓને ઓળખ્યા પણ તે લોકોએ તેને ના ઓળખ્યો. પોતાને એ લોકો વિષે જે સ્વપ્નો આવ્યા હતાં તેનું સ્મરણ થયું.

અને યૂસફે તેમને કહ્યું, “તમે જાસૂસ છો; દેશનાં છિદ્રો જોવા આવ્યા છો.”

10 પણ તેમણે કહ્યું, “ના, સાહેબ, અનાજ ખરીદવા માંટે આપના સેવકો આવ્યા છે. 11 અમે બધા એક જ પિતાના પુત્રો છીએ, અમે પ્રામાંણિક લોકો છીએ. આપના સેવકો જાસૂસો નથી.”

12 છતાં યૂસફે કહ્યું, “એમ નહિ, તમે દેશનાં છિદ્રો જોવા જ આવ્યા છો.”

13 તેથી તેઓએ કહ્યું, “અમે, બધા ભાઈઓ છીએ. અમો કુલ 12 ભાઇઓ છીએ, અમે તમાંરી સામે સેવકો જેવા છીએ. અમો કનાન દેશના એક જ માંણસના પુત્રો છીએ; સૌથી નાનો પુત્ર અમાંરા પિતા પાસે છે, અને બીજા એક પુત્રનો કોઈ પત્તો નથી.”

14 અને યૂસફે તેઓને કહ્યું, “મેં કહ્યું તેમ તમે જાસૂસ જ છો. 15 એટલા માંટે તમાંરી પરીક્ષા કરવામાં આવશે; ફારુનના જીવના સમ ખાઈને કહું છું કે, તમાંરો સૌથી નાનો ભાઈ અહીં ન આવે, ત્યાં સુધી તમાંરે અહીંથી જવાનું નથી. તમાંરામાંથી ગમે તે એક જણને મોકલીને તમાંરા ભાઈને બોલાવો. 16 ત્યાં સુધી તમાંરે કારાગારમાં બંદીવાન બનવું પડશે; આમ, તમે સાચું બોલો છો કે, કેમ તેની કસોટી થશે, નહિ તો ફારુનના જીવના સમ ખાઈને કહું છું કે, તમે જાસૂસ જ છો.” 17 અને પછી તેણે તે લોકોને ત્રણ દિવસ સુધી કારાગારમાં રાખ્યા.

1 કરિંથીઓ 5:1-8

મંડલીમાં એક નૈતિક સમસ્યા

લોકો ખરેખર આમ બોલી રહ્યા છે કે તમારામાં વ્યભિચારનું પાપ છે. અને વ્યભિચારનું એક એવા ખરાબ પ્રકારનું પાપકર્મ છે કે જે લોકો દેવને જાણતા નથી તેવા લોકોમાં પણ વ્યાપ્ત નથી. લોકો આમ કહે છે કે પેલા માણસ સાથે તેના પિતાની પત્ની છે. અને હજુ પણ તમે તમારી જાત માટે ગૌરવ અનુભવો છો! તમારે તો ઉદાસીથી ઘેરાઈ જવું જોઈતું હતું. અને પેલો માણસ કે જેણે આવું કામ કર્યુ તેનો તમારા જૂથમાંથી બહિષ્કાર કરવો જોઈતો હતો. મારું શરીર ત્યાં તમારી સાથે નથી, પરંતુ આત્મા સ્વરૂપે હું તમારી સાથે જ છું અને જે માણસે આવું પાપ કર્યુ છે તેનો મેં ક્યારનો ય ન્યાય કર્યો છે. હું ત્યાં હાજર હોત અને મે તેનો જે ન્યાય કર્યો હોત તે જ પ્રમાણે મેં તેના ન્યાય કર્યો છે. આપણા પ્રભુ ઈસુના નામથી એકઠા થાવ. હું તમારી સાથે આત્મા સ્વરૂપે હોઈશ, અને તમારી સાથે આપણા પ્રભુ ઈસુનું સાર્મથ્ય હશે. તો પછી આ માણસને શેતાનને સોંપી દો, જેથી તેની પાપયુક્ત જાતનો વિનાશ થાય. પછી તેના આત્માનું પ્રભુના દિવસે તારણ થઈ શકે.

તમે અભિમાન રાખો છે તે સારું નથી. તમે આ કહેવત જાણો છો, “થોડુ ખમીર[a] આખા લોંદાને ફુલાવે છે.” તમામ જૂના ખમીરને બહાર કાઢી લો, જેથી કરીને તમે તદન નવા જ લોંદારૂપ બની જાવ. તમે ખરેખર પાસ્ખા ભોજનની બેખમીર રોટલી[b] છો. હા, ખ્રિસ્ત આપણાં પાસ્ખાયજ્ઞ[c] ને ક્યારનો ય મારી નાખવામાં આવ્યો છે. તો ચાલો આપણે આપણું પાસ્ખા ભોજન આરોગીએ, પણ જૂના ખમીરવાળી રોટલીથી નહિ. તે જૂની રોટલી તો પાપની અને અપકૃત્યોની રોટલી છે. પરંતુ જે રોટલીમાં ખમીર નથી એવી રોટલી આપણે આરોગીએ. આ તો સજજનતા અને સત્યની રોટલી છે.

માર્ક 3:19-35

19 યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો.

કેટલાકનો ઈસુમાં શેતાન હોવાનો આક્ષેપ

(માથ. 12:22-32; લૂ. 11:14-23; 12:10)

20 પછી ઈસુ ઘેર ગયો. પણ ફરીથી ત્યાં ઘણા લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેના શિષ્યો ખાઈ શક્યા નહિ. 21 ઈસુના કુટુંબે આ બધી બાબતો વિષે સાંભળ્યું. તેઓ તેને પકડવા ગયા. કારણ કે લોકોએ કહ્યું કે, ઈસુ ઘેલો હતો.

22 યરૂશાલેમના શાસ્ત્રીઓએ કહ્યું, “તેનામાં (ઈસુ) બઆલઝબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.”

23 તેથી ઈસુએ લોકોને બોલાવ્યા. અને લોકોને શીખવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો. ઈસુએ કહ્યું, “શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાણ કરશે નહિ. 24 જે રાજ્ય તેની પોતાની વિરૂદ્ધ લડે છે તે ચાલુ રહી શકતું નથી. 25 અને જે પરિવારમાં ભાગલા પડે છે તે સફળ થઈ શકતું નથી. 26 અને જો શેતાન તેની જાતની વિરૂદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરૂદ્ધ લડે તો તે નભી શકતો નથી. તે શેતાનનો અંત હશે.

27 “જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.

28 “હું તમને સત્ય કહું છું કે લોકોના પાપો માફ થઈ શકે છે. અને લોકો દેવની વિરૂદ્ધ જે બધી ખરાબ વાતો કહે તે પણ માફ થઈ શકે છે. 29 પણ જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ ખરાબ વાતો કહ છે તે કદાપિ માફ થઈ શકશે નહિ. તે હંમેશા તે પાપ માટે દોષિત રહેશે.”

30 ઈસુએ આ કહ્યું કારણ કે શાસ્ત્રીઓ કહેતા હતા કે ઈસુને આત્મા વળગેલા છે.

ઈસુના શિષ્યો એજ તેનો સાચો પરિવાર

(માથ. 12:46-50; લૂ. 8:19-21)

31 પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો. 32 ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, “તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે.”

33 ઈસુએ પૂછયું “મારી મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?” 34 પછી ઈસુએ તેની આજુબાજુ બેઠેલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, “આ લોકો મારી મા અને ભાઈઓ છે! 35 મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International