Book of Common Prayer
આસાફના સ્તુતિગીતોમાંનુ.
1 હે દેવ, તમે છાના ન રહો;
હે દેવ, તમે ચૂપ ન રહો;
અને શાંત ન રહો.
2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
4 તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
5 તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે;
તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
6 તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
7 ગબાલ, તથા આમ્મોન ને અમાલેક;
અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
8 તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
અને લોતના વંશજોને સહાય કરી છે.
9 તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો;
સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે
દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા;
અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે,
અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી
તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો.
હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
“યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
કારણકે તે સારું અને ગમતું છે.
2 યહોવા યરૂશાલેમને બાંધે છે;
તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
3 હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
4 તે તારાઓની ગણતરી કરે છે;
અને તેઓને નામ દઇને બોલાવે છે.
5 આપણા પ્રભુ કેવા મહાન છે!
તેમના સાર્મથ્યનો પાર નથી!
તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
6 યહોવા નમ્રજનોને આધાર આપે છે;
પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
7 યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
8 તે આકાશને વાદળોથી ઢાંકે છે;
પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
9 પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.
19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.
યહોવાની સ્તુતિ થાઓ.
નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત
1 હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
2 તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
3 તેથી હવે તમારા કોપનો ભસ્મ
કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
4 હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
6 હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
અને અમને તમારું તારણ પમાડો.
8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
9 જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.
દાઉદની પ્રાર્થના.
1 હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
2 મારા જીવનની રક્ષા કરો,
કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
3 હે યહોવા, મારા પર દયા કરો,
કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
4 હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
5 હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
6 હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
7 મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
8 હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
9 હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
અને દિલાસો આપ્યો છે.
એસાવને “આશીર્વાદ”
30 ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપવાના પૂરા કર્યા. પછી તરત જ યાકૂબ પિતા ઇસહાક પાસેથી ચાલ્યો ગયો. તે જ સમયે એસાવ શિકાર કરીને અંદર આવ્યો. 31 એસાવે પોતાના પિતાની પસંદગીનું વિશિષ્ટ ભોજન બનાવીને પોતાના પિતા પાસે મૂકયું. તેણે તેના પિતાને કહ્યું, “પિતાજી, ઊઠો અને ભોજન કરો. તમાંરા પુત્રએ તમાંરા માંટે શિકાર કર્યો છે, તે જમો. પછી તમે મને આશીર્વાદ આપી શકો છો.”
32 પરંતુ ઇસહાકે તેને કહ્યું, “તું કોણ છે?”
તેણે જવાબ આપ્યો, “હું આપનો મોટો પુત્ર એસાવ.”
33 પછી ઇસહાક ખળભળી ઊઠયો, તેણે પૂછયું, “તો પછી તું આવ્યો તે પહેલાં શિકાર કરીને માંરી આગળ લઈ આવ્યો તે કોણ? મેં તો ખાઈને તેને આશીર્વાદ પણ આપ્યો! આશીર્વાદને પાછો ખેંચવાનો સમય તો જતો રહ્યો. અને એ તો હવે કાયમ જ રહેશે.”
34 એસાવે પોતાના પિતાનાં વચનો સાંભળ્યા. તેનું મન કડવાશ અને ગુસ્સાથી ભરાઈ ગયું. તેણે ખૂબ મોટેથી કારમી બૂમ પાડીને પોતાના પિતાને કહ્યું, “પિતાજી, તો પછી મને પણ આશીર્વાદ આપો.”
35 ઇસહાકે કહ્યું, “તારા ભાઈએ માંરી સાથે છળ કરીને તારા આશીર્વાદ લઈ ગયો.”
36 એસાવે કહ્યું, “એનું નામ જ યાકૂબ કપટી છે. તે નામ તેને યોગ્ય છે. તેને એ નામ બરાબર આપવામાં આવ્યું છે. તેણે માંરી સાથે બે વાર કપટ કર્યુ છે; તેણે માંરો જ્યેષ્ઠપુત્ર તરીકેનો હક્ક તો લઈ જ લીધો હતો અને હવે માંરે લેવાના આશીર્વાદ પણ તેણે લઈ જ લીધા. શું તમે માંરા માંટે કોઈ આશીર્વાદ રાખ્યા છે?”
37 ઇસહાકે જવાબ આપ્યો, “નાજી, હવે તો ઘણું મોડું થઇ ગયું છે. મેં યાકૂબને તારા પર શાસન કરવાનો અધિકાર આપી દીધો છે. મેં એમ પણ કહી દીધું છે કે, બધા ભાઇઓ એના સેવક બનશે. મેં તેને પુષ્કળ અનાજ અને દ્રાક્ષારસની જોગવાઇના આશીર્વાદ આપ્યા છે. બેટા, તને આપવા માંટે હવે માંરી પાસે કશું જ રહ્યું નથી.”
38 પરંતુ એસાવ પોતાના પિતા પાસે માંગતો જ રહ્યો, “પિતાજી, શું તમાંરી પાસે એક પણ આશીર્વાદ નથી? પિતાજી, મને પણ આશીર્વાદ આપો.” એમ કહીને એસાવ મોટા સાદે રડવા લાગ્યો.
39 પછી ઇસહાકે તેને કહ્યું,
“તારો વાસ સારી ફળદ્રુપ ભૂમિ પર નહિ હોય, જયાં જમીન ફળતી નહિ હોય અને આકાશમાંથી ઝાકળ પણ વરસતું નહિ હોય.
તારી પાસે વધારે અનાજ પણ નહિ હોય.
40 તારે જીવવા માંટે સંઘર્ષ કરવો પડશે,
તારે તારા ભાઈનો સેવક બની જવું પડશે.
પરંતુ તું સ્વતંત્રતા માંટે લડીશ
અને તેની ઝૂંસરી ફગાવીને મુકત થઈ જઈશ.”
યાકૂબ પત્નીની શોધમાં
41 તે પછી આ આશીર્વાદને કારણે એસાવ યાકૂબની ઘૃણા કરતો રહ્યો. તેણે મનોમન વિચાર્યુ, “માંરા પિતા જલદીથી મૃત્યુ પામશે અને હું તેનો શોક મનાવીશ. પરંતુ તે પછી હું યાકૂબને માંરી નાખીશ.” એસાવના મનમાં યાકૂબ પ્રત્યે વેરવૃત્તિ જાગી હતી.
42 રિબકાને એસાવ દ્વારા યાકૂબને માંરી નાખવાના ષડયંત્રની જાણ થઈ. તેણે યાકૂબને બોલાવીને કહ્યું, “સાંભળ, તારો ભાઈ એસાવ તને માંરી નાખવાનું ષડયંત્ર કરી રહ્યો છે. 43 તેથી હવે, હે પુત્ર, હું કહું તેમ કરજે, માંરો ભાઈ લાબાન હારાનમાં રહે છે. તેની પાસે જા અને ત્યાં છુપાઈને રહે. 44 તારા ભાઈનો ક્રોધ ના શમે ત્યાં સુધી થોડો સમય તું તેની પાસે રહે. 45 થોડા સમય પછી તેં જે કાંઈ કર્યુ છે તે તારો ભાઈ ભૂલી જશે પછી હું તને તેડાવી લઈશ. હું એક જ દિવસે તમને બન્નેને ગુમાંવવા માંગતી નથી.”
9 તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો. 10 જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. 11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. 12 ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો. 13 દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો.
14 જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો. 15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો. 16 એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો. 18 સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો. 19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”(A) એમ પ્રભુ કહે છે. 20 પરંતુ તમારે આમ કરવું જોઈએ:
“જો તારો દુશ્મન ભૂખ્યો હોય
તો એને ખવડાવ.
જો તારો દુશ્મન તરસ્યો હોય
તો તેને પાણી પા;
આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” (B)
21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
યહૂદિઓ ઈસુ વિષે સમજતા નથી
21 ફરીથી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને છોડીશ. તમે મારી શોધ કરશો, પણ તમે તમારા પાપ સાથે મૃત્યુ પામશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”
22 તેથી યહૂદિઓએ તેમની જાતે પૂછયુ, “તમે ધારો છો કે ઈસુ આત્મહત્યા કરશે? તો પછી આ બાબત હોવી જોઈએ. કારણ કે તેણે કહ્યું, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકશો નહિ’?”
23 પણ ઈસુએ પેલા યહૂદિઓને કહ્યું, “તમે નીચેની દુનિયાના છો, હું ઉપરની દુનિયાનો છું. તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી. 24 તેથી મેં તમને કહ્યું છે કે તમે તમારા પાપોમાં મૃત્યુ પામશો. હા, હું (તે) છું એવો તમે વિશ્વાસ નહિ કરો તો તમે તમારાં પાપોમાં મૃત્યુ પામશો.”
25 યહૂદિઓએ પૂછયું, “તો પછી તું કોણ છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમને શરુંઆતથી જે કહ્યું છે તે હું છું. 26 મારી પાસે તમારા વિષે કહેવાની ઘણી બાબતો છે. હું તમારો ન્યાય કરી શકું છું તો પણ જેણે મને મોકલ્યો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે જ ફક્ત હું લોકોને કહું છું અને તે સત્ય કહું છું.”
27 ઈસુ કોના વિષે વાત કરતો હતો તે લોકો સમજતા ન હતા. ઈસુ તેઓને પિતા (દેવ) વિષે વાત કરતો હતો. 28 તેથી ઈસુએ લોકોને કહ્યું, “તમે માણસના દીકરાને ઊચો કરશો (મારી નાખશો) પછી તમે હું તે જ છું તે તમે જાણી શકશો અને હું મારી પોતાની જાતે કઈ કરતો નથી પણ જેમ પિતાએ જે મને શીખવ્યું છે, તેમ હું એ વાતો તમને કહું છું. 29 જેણે (દેવે) મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેને જે ગમે છે તે હું હમેશા કરું છું. તેથી તેણે મને એકલો છોડ્યો નથી.” 30 જ્યારે ઈસુ આ વાતો કહેતો હતો ત્યારે, ઘણા લોકોએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો. ઈસુ પાપમાંથી છુટકારા વિષે વાત કરે છે.
પાપ વિષે ચેતવણી
31 તેથી જે યહૂદિઓએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા બોધને માનવાનું ચાલુ રાખશો તો પછી તમે મારા સાચા શિષ્યો છો. 32 પછી જ તમને સત્ય સમજાશે અને સત્ય તમને મુક્ત કરશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International