Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 30

મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
    કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
    તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
    અને તમે મને સાજો કર્યો છે.
હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
    તમે મને કબરમાં પડવા દીધો નથી.

હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
    અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
    પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
    પણ સવારમાં હર્ષાનંદ થાય છે.

હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
    હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
હે યહોવા, તમે મારા પર કૃપા કરી
    મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
    તમે મને ભયભીત કર્યો છે.
હે યહોવા, મેં તમને પોકાર કર્યો
    અને મેં તમને વિનંતી કરી.
“હે યહોવા, હું મરી જઇશ તો
    તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
    તમારી સ્તુતિ કરી શકશે?
    શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
    મારી અરજીને સંભળો મને સહાય કરો.”

11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
    મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
    અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
    હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.

ગીતશાસ્ત્ર 32

દાઉદનું ગીત. માસ્કીલ.

જેના દોષને માફી મળી છે,
    તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
    તેને ધન્ય છે અને તે જ સુખી છે.
જેને યહોવા દોષિત ગણતા નથી,
    અને જેના આત્મામાં કંઇ કપટ નથી
    તે માણસ આશીર્વાદિત છે.

હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
    તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
    અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
આખો દિવસ અને આખી રાત,
    તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
    તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.

પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
    મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
    અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.

તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
    ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
    પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
જીવનનાં સર્વ સંકટોમાં
    તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
    મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.

યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
    તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
    હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
    તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”

10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
    પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
    હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.

ગીતશાસ્ત્ર 42-43

ભાગ બીજો

(ગીત 42–72)

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
    તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
    હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
    શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”

હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
    ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
    અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.

હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
    તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    તેમની કૃપા અને મદદ માટે હું હજી
    પણ તેમની પ્રાર્થના કરીશ.
હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
    તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
    અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
    ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
    અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.

અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
    અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
    “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
    શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
    મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
    તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
    તેનું હું હજી સ્તવન કરીશ.

હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
    અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
    તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
    તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
    હું શોક કરતો ફરૂં છું.
હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
    જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
તમે મારા અતિઆનંદ છો,
    તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
    હું તમારી આભારસ્તુતિ ગાઇશ.

હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
    તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
    તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
    અને મદદ માટે પ્રાર્થના કરીશ.

ઉત્પત્તિ 12:9-13:1

ત્યાંથી ઇબ્રામે ફરી યાત્રાનો આરંભ કર્યો અને નેગેબ તરફ આગળ વધ્યો.

ઇબ્રામ મિસરમાં

10 તે દિવસો દરમ્યાન દેશમાં દુકાળ હતો. વરસાદ પડતો ન હતો અને કોઇ પણ જાતનું અનાજ ઊગતું ન હતું. તેથી ઇબ્રામ જીવતો રહેવા માંટે થોડા સમય માંટે મિસર ગયો. 11 ઇબ્રામે જોયું કે, તેની પત્ની સારાય દેખાવમાં રૂપાળી હતી, તેથી મિસરમાં પ્રવેશ કરતાં પહેલા ઇબ્રામે સારાયને કહ્યું, “હું જાણું છું કે, તું દેખાવમાં બહુ રૂપાળી છે. 12 મિસરના લોકો તને જોશે એટલે કહેશે કે, ‘આ સ્ત્રી તેની પત્ની છે.’ અને પછી મને તેઓ માંરી નાખશે અને તને જીવતી રાખશે કારણકે તેઓ તને મેળવવા ઈચ્છશે. 13 એટલા માંટે તું લોકોને કહેજે કે, તું માંરી બહેન છે તેથી તે લોકો મને માંરશે નહિ. તેઓ માંરા પર દયા કરશે કારણકે તે લોકો સમજશે કે, હું તારો ભાઈ છું. જેથી તારા કારણે એ લોકો માંરી સાથે સારો વ્યવહાર રાખશે. આ રીતે તું માંરો જીવ બચાવી શકીશ.”

14 આ રીતે ઇબ્રામ મિસર પહોંચ્યો. મિસરવાસીઓએ જોયું કે, સારાય એક ખૂબ રૂપાળી સ્ત્રી છે. 15 મિસરના કેટલાક અધિકારીઓએ પણ તેને જોઈ. તે અધિકારીઓ તે સ્ત્રીને ફારુનના ઘરમાં લઈ ગયા. અને તેનાં વખાણ કર્યા કે, તે સ્ત્રી ખૂબ રૂપાળી છે. 16 ફારુન ઇબ્રામ પ્રત્યે દયાળુ હતો કારણ કે તે સારાયનો ભાઈ છે એમ તેણે ભાળ્યું હતું. અને એ સ્ત્રીને કારણે ફારુન ઇબ્રામ સાથે સારું વત્ર્યો અને તેને ઘેટાં, બકરાં, ઢોરઢાંખર, ગધેડાઓ, ગુલામો અને ઊટો આપ્યાં.

17 ફારુને ઇબ્રામની પત્નીને રાખી તેથી યહોવાએ ફારુન અને તેના પરિવારના માંણસો પર ખરાબ બિમાંરીઓ ફેલાવી. 18 તેથી ફારુને ઇબ્રામને બોલાવીને કહ્યું, “તેં માંરી સાથે બહુજ ખોટું કર્યું છે. તેં મને કેમ કહ્યું નહિ કે, સારાય તારી પત્ની છે? 19 તેં એમ શા માંટે કહ્યું કે, ‘એ માંરી બહેન છે?’ મેં એને એટલા માંટે રાખી કે, તે માંરી પત્ની થશે. પરંતુ હવે હું તને તારી પત્ની પાછી આપું છું તેને લઈ જા.” 20 પછી ફારુને પોતાના પુરુષોને આજ્ઞા કરી કે, ઇબ્રામને મિસરની બહાર પહોંચાડી દો. આમ, ઇબ્રામ અને તેની પત્નીએ તે જગ્યા છોડી. અને જે વસ્તુઓ પોતાની હતી તે પોતાની સાથે લઈ ગયા.

ઇબ્રામ કનાન પાછો ફર્યો

13 ઇબ્રામે મિસર છોડયું. તે પોતાની પત્ની અને પોતાનો બધો સામાંન સાથે લઈને મિસરથી નેગેબ તરફ પાછો ગયો. લોત પણ તેની સાથે હતો.

હિબ્રૂઓ 7:18-28

18 પહેલાનો નિયમ એટલા માટે રદ કરવામાં આવ્યો કે તે નિર્બળ અને વ્યર્થ હતો. 19 મૂસાના નિયમશાસ્ત્રથી કશું પૂર્ણ થઈ શક્યુ નથી. અને હવે આપણને વધારે સારી આશા છે. અને તે આશા દ્ધારા આપણે દેવની નજીક આવી શકીએ છીએ.

20 એ વાત પણ એટલી જ અગત્યની છે કે દેવે વચન દ્ધારા ઈસુને પ્રમુખ યાજક બનાવ્યો. જ્યારે બીજા માણસો યાજક બન્યા, ત્યારે દેવે આવા કોઈ સમ લીધા નહોતા. 21 પણ ઈસુ તો દેવના વચન સાથે યાજક બન્યો. દેવે તેને કહ્યું:

“પ્રભુએ સમ ખાધા છે,
    તે તેનો વિચાર કદી બદલશો નહિ:
તું સનાતન યાજક છે.” (A)

22 તેથી દેવના સમ દર્શાવે છે કે તેના લોકો માટે દેવ તરફથી ઈસુ ઉત્તમ ખાતરીબદ્ધ કરાર છે.

23 અને જ્યારે આવા ઘણા યાજકો હતા ખરા, કારણ કે યાજક વર્ગમાં તેમને ચાલુ રહેતા મૃત્યુએ અટકાવી દીધા હતા. 24 પણ ઈસુ સદાકાળ રહે છે તે માટે એનું યાજકપદ અવિકારી છે. 25 આથી જે લોકો ખ્રિસ્ત મારફતે દેવની નજીક આવશે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે અનંત અને અમર હોવાથી આ તે કરી શકશે. તેઓ માટે તેમના તરફથી ઈસુ દેવ સમક્ષ મધ્યસ્થતા કરશે.

26 ઈસુ એ પ્રમુખયાજક છે કે જેની આપણને જરુંર છે. તે પવિત્ર છે તેનામાં પાપ નથી. તે શુદ્ધ છે અને કોઈ પણ પાપીઓના પ્રભાવથી દૂર છે અને તેને આકાશથી પણ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે. 27 તે બીજા પ્રમુખયાજકો જેવો ન હતો. તેને પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન અર્પણ કરવાની અગત્ય રહેતી નથી. કારણ કે તેણે આ બધા માટે આ કામ એક જ વખત કર્યુ. જ્યારે તેણે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું. 28 જૂના નિયમો પ્રમાણે પસંદ કરવામાં આવતા પ્રમુખ યાજકો નિર્બળ અને અધૂરા હતા. પરંતુ દેવના સમનું વચન નિયમશાસ્ત્ર પછી આપવામાં આવ્યું હતુ. તેણે પોતાના પુત્રને સદાકાળ માટે સંપૂર્ણ પ્રમુખયાજક તરીકે નીમ્યો છે.

યોહાન 4:27-42

27 તે સમયે ઈસુના શિષ્યો ગામમાંથી પાછા આવ્યા. તેઓ અજાયબી પામ્યા હતા કારણ કે તેઓએ ઈસુને તે સ્ત્રી સાથે વાત કરતો જોયો. પણ તેઓમાંના કોઈએ પૂછયું નહિ, “તારે શું જોઈએ છે?” અથવા “તું શા માટે તેની સાથે વાત કરે છે?”

28 પછી તે સ્ત્રી તેની પાણીની ગાગર ત્યાં મૂકીને ગામમાં પાછી ફરી. તેણે ગામમાં જઈને લોકોને કહ્યું, 29 “એક માણસે મેં જે કંઈ કર્યુ હતું તે બધું મને કહ્યું, આવો, તેને જુઓ, તે જ ખ્રિસ્ત હોવો જોઈએ.” 30 તેથી તે લોકોએ તે ગામ છોડ્યું અને ઈસુને જોવા ગયા.

31 જ્યારે તે સ્ત્રી ગામમાં હતી. ઈસુના શિષ્યો તેને વિનંતી કરતા હતા, “રાબ્બી જમ!”

32 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “મારી પાસે ખાવા ખોરાક છે પણ તમે તેના વિષે જાણતા નથી.”

33 તેથી શિષ્યોએ પોતાની જાતને પૂછયું, “શું કોઈ ઈસુ માટે કંઈ ખાવાનું લાવ્યા હશે?”

34 ઈસુએ કહ્યું, “જેણે મને મોકલ્યો છે, તેની ઈચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારું અન્ન છે. 35 જ્યારે વાવો છો ત્યારે તમે વારંવાર હંમેશા કહો છો, ‘અનાજના દાણા ભેગા કરતાં પહેલા ચાર મહિના રાહ જોવાની છે.’ પણ હું તમને કહું છું, તમારી આંખો ખોલો, લોકો તરફ જુઓ, તેઓ હવે પાક માટે તૈયાર ખેતરો જેવાં છે. 36 છતાં પણ, હમણા તે વ્યક્તિ પાકની કાપણી કરે છે તેને ચુકવણી પણ કરવામાં આવેલ છે. તે અનંતજીવન માટે પાકને ભેગો કરે છે. તેથી જે વ્યક્તિ વાવે છે તે કાપણી કરનાર વ્યક્તિ સાથે સુખી થઈ શકે છે. 37 તે સાચું છે જે આપણે કહીએ છીએ, ‘એક વ્યક્તિ વાવે છે, પણ બીજી એક વ્યક્તિ પાકની કાપણી કરે છે.’ 38 મેં તમને પાકની કાપણી કરવા મોકલ્યા છે. જેને માટે તમે કામ કર્યુ નથી. બીજા લોકોએ કામ કર્યુ અને તમે તેઓનાં કામમાંથી ફળ મેળવો છો.”

39 તે ગામના ઘણા સમરૂની લોકોએ ઈસુમાં વિશ્વાસ કર્યો. તે સ્ત્રીએ ઈસુ વિષે તેઓને જે કહ્યું તેને કારણે તેઓએ વિશ્વાસ કર્યો. તેણીએ તેઓને કહ્યું, “તેણે (ઈસુએ) જે બધું મેં કર્યું, તે મને કહ્યું,” 40 તે સમરૂનીઓ ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને તેઓની સાથે રહેવા વિનંતી કરી. તેથી ઈસુ ત્યાં બે દિવસ રહ્યો. 41 ઈસુએ જે વાતો કહીં, તેને કારણે ઘણા વધારે લોકોએ વિશ્વાસ કર્યો.

42 તે લોકોએ તે સ્ત્રીને કહ્યું, “તેં અમને જે કહ્યું તેને કારણે પ્રથમ અમે ઈસુમાં વિશ્વાસ કર્યો. પણ હવે અમે વિશ્વાસ કર્યો કારણ કે અમે અમારી જાતે તેને સાંભળ્યો. હવે અમે જાણ્યું કે તે નિશ્ચય એ જ છે જે જગતનો ઉદ્ધારક છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International