Book of Common Prayer
દાઉદનું મિખ્તામ.
1 હે યહોવા, મારી રક્ષા કરો, કારણ કે હું તમને આધીન છુ.
2 મે યહોવાને કહ્યુ છે,
“તમે મારા માલિક છો.
મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.”
3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે,
“એવાં સ્રી પુરુષના સંગમાંજ
મને આનંદ મળે છે.”
4 જેઓ યહોવાને બદલે બીજા દેવોની પૂજા કરવા દોડે છે તે સર્વ દુ:ખના દરિયામાં ડૂબી જશે.
હું તેઓની મૂર્તિ પર ચડાવાતા લોહીના પેયાર્પણમાં જોડાઇશ નહિ.
હું તેમના દેવોના નામ કદી પણ ઉચ્ચારીશ નહિ.
5 યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો.
હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો!
6 આનંદદાયક સ્થાનમાં મારા સુશોભિત
વારસાનો ભાગ મને મળ્યો છે.
7 મને બોધ આપવા માટે હું યહોવાની પ્રશંસા કરું છું.
રોજ રાત્રે તે મને જ્ઞાન આપે છે અને મારે શું કરવું તે મને જણાવે છે.
8 મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે
તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી.
હું તેમના જમણા હાથ પાસે જ છું,
ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
9 તેથી મારું હૃદય ભરપૂર આનંદમાં છે.
અને મારો આત્મા પણ ખુશ છે;
તેથી મારું શરીર સુરક્ષિત રહેશે.
10 કારણ, તમે મારો આત્મા,
શેઓલને સોંપશો નહિ.
તમે તમારા ભકતોને કબરમાં જવા દેશો નહિ.
11 તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માર્ગે મારે જવું.
તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે.
તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.
દાઉદની પ્રાર્થના.
1 હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની
મારી પ્રાર્થના પર ધ્યાન આપો;
કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ,
જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
2 હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે,
તમે સત્યને જોઇ શકો છો.
3 તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે.
તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે
અને મારો કોઇ દોષ કાઢયો નથી.
હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
4 મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું.
ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
5 મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે,
અને મારો પગ કદી લપસ્યો નથી.
6 હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો
અને તેનો જવાબ આપો.
7 ભરોસો રાખીને જેઓ તમારી પાસે,
શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે;
તેઓને તમે તમારા જમણાં હાથે
તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
8 તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો.
અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
9 મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો,
મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો.
10 તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે,
તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.
11 તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે.
તેઓની આંખો અમને ભૂમિ પર
પછાડવાને તાકી રહી છે.
12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે.
અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.
13 હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ,
તેઓને પાડી નાખી પરાજીત કરી દો
અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.
14 હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી,
આ સજીવોની દુનિયામાંથી દૂર કરો.
પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે,
હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે
પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.
15 પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી
હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.
નિર્દેશક માટે. ઢાળ: “પરોઢનું હરણ.” દાઉદનું ગીત.
1 હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે?
મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો?
શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
2 હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું,
પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી.
હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
3 દેવ, તમે પવિત્ર છો.
તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
4 અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો.
અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
5 જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં.
તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
6 હું માણસ નથી પણ માત્ર કીડો છુ.
સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે.
અને મને તુચ્છ ગણે છે.
7 જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે.
અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
8 તેઓ મારી મશ્કરી કરતાં કહે છે,
“તે જરૂર તને ઉગારશે કારણ
તે તને ખૂબ પસંદ કરે છે.”
9 હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી.
તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા.
હું જ્યારે મારી માતાને ધાવતો હતો
ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું.
મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે.
અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે.
બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે,
તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.
14 જેમ પાણી વહી જાય તેમ,
મારી શકિત પણ ચાલી ગઇ છે.
જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે,
તેમ મારું હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડાં જેવુ સુકું થઇ ગયું છે;
મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે;
અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
16 કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે;
અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે
અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17 હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું.
આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે!
તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!
18 તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે
અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.
19 હે યહોવા, મારાથી દૂર ન જશો.
હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.
20 મને આ તરવારથી બચાવો,
મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.
21 મને સિંહોના જડબામાંથી બચાવો.
તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.[a]
22 હું તમારા વિષે મારા બધા ભાઇઓને વાત કરીશ.
હું ભરી સભામાં તમે કરેલી અદભૂત વસ્તુઓ વિષે વાત કરીશ.
23 હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ.
તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો.
હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
24 તે ગરીબને જ્યારે મુસીબતો હોય
ત્યારે કદી એમની અવગણના નથી કરતા.
તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી.
તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.
25 હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું;
સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે,
તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ
અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે.
ભલે રાષ્ટ્રોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 કારણ, યહોવા રાજા છે,
અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે
અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે.
હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે
પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 યહોવાનાં અદ્ભુત કર્મો વિષે આવતી પેઢી પણ સાંભળશે,
અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે.
અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.
લોકો દુષ્ટ થઈ ગયા
6 પૃથ્વી પર મનુષ્યોની વસતી વધતી ગઈ. અને તેમને ત્યાં પુત્રીઓ જન્મી. જયારે દેવના દીકરાઓએ જોયું કે, આ કન્યાઓ સુંદર છે એટલે તેઓએ તેમની ઈચ્છા પ્રમાંણે તેઓની સાથે લગ્ન કર્યા. 2-4 અને આ સ્ત્રીઓએ બાળકોને જન્મ આપ્યા.
તે સમય દરમ્યાન અને તે પછી પણ પૃથ્વી પર નેફિલિમ વસતા હતા. તેઓ દેવના પુત્રો અને માંનવોની પુત્રીઓના જાતિય સંબંધથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના વિખ્યાત પુરુષો હતા.
ત્યારે યહોવાએ કહ્યું, “માંરા આત્માંને હું કાયમ માંટે મનુષ્યો દ્વારા દુ:ખી નહિ થવા દઉં, કારણકે તેઓ આખરે તો મનુષ્યો જ છે. તેઓનું આયુષ્ય 120 વર્ષનું થશે.”
5 યહોવાએ જોયું કે, પૃથ્વી પરના લોકો બહુ જ દુષ્ટ છે. યહોવાએ જોયું કે, સતત મનુષ્ય માંત્ર વાતો જ વિચારે છે. 6 ત્યારે પૃથ્વી પર મનુષ્યોને ઉત્પન્ન કરવા માંટે તેમને ખૂબ દુ:ખ થયું. અને પસ્તાવો થયો. 7 આથી યહોવાએ કહ્યું, “મેં બનાવેલ પૃથ્વીના બધાં જ લોકોનો હું વિનાશ કરીશ. હું પ્રત્યેક વ્યકિત, પ્રાણી અને પૃથ્વી પર પેટે ચાલવાવાળા પ્રત્યેક પ્રાણીઓનો નાશ કરીશ. હું આકાશમાં ઊડનારાં પક્ષીઓનો પણ નાશ કરીશ. કારણ કે મને એ બાબતનું દુ:ખ છે કે, મેં આ બધું શા માંટે બનાવ્યું?”
8 પરંતુ પૃથ્વી પર યહોવાને પ્રસન્ન કરવાવાળી એક વ્યકિત હતી અને તેનું નામ નૂહ હતું.
12 માટે હે ભાઈઓ અને બહેનો, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી “આજ” કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ. 14 કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું. 15 શાસ્ત્રમાં કહેલું છે કે:
“જો આજે તમે દેવની વાણી સાંભળો,
તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” (A)
16 દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા. 17 અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા. 18 દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ. 19 અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ. અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા. શા માટે? કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ.
કાના ગામમાં લગ્ન
2 બે દિવસ પછી ગાલીલના કાના ગામમાં એક લગ્ન હતુ, ઈસુની મા ત્યાં હતી. 2 ઈસુ અને તેના શિષ્યોને પણ લગ્નમાં નિમંત્રણ આપ્યુ હતું. 3 લગ્નમાં પૂરતા પ્રમાણમાં દ્રાક્ષારસ ન હતો. બધોજ દ્રાક્ષારસ પૂરો થઈ ગયા પછી ઈસુની માએ તેને કહ્યું, “તેઓ પાસે હવે વધારે દ્રાક્ષારસ નથી.”
4 ઈસુએ ઉત્તર આપ્યો, “વહાલી બાઈ, મારે શું કરવું તે તારે મને કહેવું જોઈએ નહિ. મારો સમય હજુ આવ્યો નથી.”
5 ઈસુની માએ સેવકોને કહ્યું, “ઈસુ તમને જે કરવાનું કહે તે કરો.”
6 તે જગ્યાએ છ મોટા પથ્થરનાં પાણીનાં કુંડાં હતાં. તે યહૂદિઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે આના જેવા પાણીનાં કુંડાંનો ઉપયોગ કરતા. પ્રત્યેક પાણીનાં કુંડાંમાં લગભગ 20 થી 30 ગેલન પાણી સમાતું.
7 ઈસુએ નોકરોને કહ્યું, “આ પાણીના કુંડાંઓને પાણીથી ભરો.” તેથી નોકરોએ કુંડાંઓને છલોછલ ભર્યા.
8 પછી ઈસુએ નોકરોને કહ્યું, “હવે થોડું પાણી બહાર કાઢો. જમણના કારભારી પાસે લઈ જાઓ.”
તેથી નોકરો કારભારીની પાસે પાણી લાવ્યા. 9 પછી લગ્નના જમણના કારભારીએ તે ચાખ્યો. પરંતુ તે પાણી દ્રાક્ષારસ થઈ ગયો હતો. તે માણસને ખબર નહોતી કે દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો. પરંતુ જે નોકરો પાણી લાવ્યા તેઓએ જાણ્યું કે તે ક્યાંથી આવ્યો. લગ્નના કારભારીએ વરરાજાને બોલાવ્યો. 10 તેણે વરરાજાને કહ્યું, “લોકો હંમેશા ઉત્તમ દ્રાક્ષારસ પ્રથમ મૂકે છે ત્યાર બાદ મહેમાનોના સારી પેઠે પીધા પછી સસ્તો દ્રાક્ષારસ આપે છે. પણ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ સાચવી રાખ્યો છે.”
11 ઈસુએ કરેલો આ પ્રથમ ચમત્કાર હતો. ઈસુએ આ ચમત્કાર ગાલીલના કાના ગામમાં કર્યો. તેથી ઈસુએ તેનો મહિમા દેખાડયો. અને તેના શિષ્યોએ તેનામાં વિશ્વાસ મૂક્યો.
12 પછી ઈસુ કફર-નહૂમના નગરમાં ગયો. ઈસુની મા, ભાઈઓ અને તેના શિષ્યો તેની સાથે ગયા. તેઓ બધા કફર-નહૂમમાં થોડા દિવસ રહ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International