Book of Common Prayer
સંગીત નિર્દેશક માટે, બંસરી વાદ્ય માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના પર કાન ઘરીને
જરા મારા ચિંતન પર લક્ષ રાખો.
2 હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ,
હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ.
3 હે યહોવા, નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો,
જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું.
અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છુ.
4 હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી;
તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.
5 તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો,
અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.
6 હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ
અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.
7 પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ.
હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.
8 હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માર્ગે મને ચલાવો.
કારણ કે મારા દુશ્મનો મારા દરેક
પગલાં પર નજર રાખે છે;
મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.
9 કારણ, તેમની વાણીમાં કોઇ સચ્ચાઇ નથી,
તેઓનું હૃદય નીચતાથી ભરેલું છે.
તેઓ મધુરભાષી છે!
તેઓનું ગળું એક ઉધાડી કબર જેવુ છે.
તે પોતાની જીભે પ્રશંસા કરે છે.
10 હે દેવ, એ સૌને તમે દોષી ગણો,
અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો,
તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા
દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે.
11 પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો-તેમને હંમેશ માટે આનંદિત કરો,
તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.
12 હે યહોવા, જ્યારે તમે સજ્જન લોકોને આશીર્વાદ આપો છો
ત્યારે તમે તેની આજુબાજુ રક્ષણ કરતી ઢાલ જેવા છો.
નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
2 હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
3 હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
ક્યાં સુધી વિલંબ કરશો?
4 હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
કરી દયા દાખવી મને મરણથી બચાવો.
5 લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.
6 આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
7 મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.
8 ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
9 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.
1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
2 દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
3 ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
4 દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
5 તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
7 તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
8 નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
માટે તેઓ છુપાઇ જાય છે.
9 જેમ સિંહ ગુફામાં છુપાઇને
ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
12 હે યહોવા, ઊઠો! હે દેવ,
તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા
માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”
2 કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ,
તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે.
તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે,
અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
3 જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે,
તો પછી સારા લોકો શું કરી શકે?
4 યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે.
યહોવાનું રાજ્યાસન આકાશમાં છે.
તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે
તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
5 યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે
પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
6 દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે
અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
7 કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે,
જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.
માંનવીનું પતન-પાપનો આરંભ
3 યહોવા દેવ દ્વારા બનાવેલાં કોઈ પણ જંગલી પ્રાણી કરતાં સાપ વધારે કપટી હતો. (તે સ્ત્રીને દગો કરવા ઈચ્છતો હતો.) સાપે સ્ત્રીને કહ્યું, “હે સ્ત્રી, તમને દેવે ખરેખર એમ કહ્યું છે કે, તમાંરે બાગનાં કોઈ પણ વૃક્ષનાં ફળ ખાવાં નહિ?”
2 સ્ત્રીએ સાપને કહ્યું, “ના, દેવે એવું કહ્યું નથી. અમે બાગનાં વૃક્ષોનાં ફળ ખાઈ શકીએ છીએ. 3 પણ એક વૃક્ષ છે જેનાં ફળ અમે ખાઈ શકતાં નથી. દેવે અમને કહ્યું છે કે, ‘બાગની વચ્ચોવચ્ચ જે વૃક્ષ છે તેનાં ફળ તમાંરે ખાવાં નહિ, તેમજ તેને અડવું પણ નહિ, નહિ તો મૃત્યુ પામશો.’”
4 પરંતુ સાપે સ્ત્રીને કહ્યું, “તમે મરશો નહિ. 5 દેવને ખબર છે કે, જો તમે એ વૃક્ષનાં ફળો ખાશો તો તમને ખરાખોટાની સમજ પડશે અને તમે દેવ જેવા થઈ જશો.”
6 સ્ત્રીએ જોયું કે, વૃક્ષ સુંદર છે અને તેનાં ફળ પણ ખાવા માંટે સારાં છે અને વૃક્ષ તેને બુદ્વિશાળી બનાવશે. પછી સ્ત્રીએ તે વૃક્ષનું ફળ લીધું અને ખાધું. તેનો પતિ પણ તેની સાથે હતો, તેથી તેણીએ થોડાં ફળ તેને પણ આપ્યાં અને તેણે પણ તે ખાધાં.
7 પછી પુરુષ અને સ્ત્રી બંન્ને બદલાઈ ગયાં. અને તેઓની આંખો ઉઘડી ગઇ. તેઓેએે જોયું કે, તેઓ વસ્રહીન છે; એટલે તેમણે અંજીરીનાં પાંદડાં સીવીને પોતાના અંગ ઢાંકયાં.
8 પછી પેલા પુરુષ અને સ્ત્રીએ દિવસના ઠંડા પહોરમાં બાગમાં યહોવા દેવના ફરવાનો અવાજ સાભળ્યો. તેઓ બાગના વૃક્ષોમાં છુપાઈ ગયાં. 9 યહોવા દેવે બૂમ માંરીને મનુષ્યને પૂછયું, “તું કયાં છે?”
10 પુરુષે કહ્યું, “બાગમાં તમાંરો પગરવ સાંભળીને હું ડરી ગયો, હું વસ્રહીન હતો, એટલે સંતાઈ ગયો.”
11 યહોવા દેવે પુરુષને પૂછયું, “તને કોણે કહ્યું કે, તું વસ્રહીન છે? તું શા કારણે શરમાંયો? જે ઝાડનાં ફળ ખાવાની મેં મનાઈ કરી હતી તે ઝાડનાં ફળ તેં ખાધાં તો નથી ને?”
12 પુરુષે કહ્યું, “તમે જે સ્ત્રી માંરા માંટે બનાવી, તેણે મને એ વૃક્ષનાં ફળ આપ્યાં, ને મેં ખાધાં.”
13 પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું, “તેં આમ શા માંટે કર્યું?”
સ્ત્રીએ કહ્યું, “સાપે માંરી સાથે બનાવટ કરી, તેણે મને મૂર્ખ બનાવી અને મેં ફળ ખાધું.”
14 પછી યહોવા દેવે સર્પને કહ્યું:
“તેં આ ઘણું ખરાબ કામ કર્યું છે,
તેથી તારું ખોટું જ થશે.
બીજા જંગલનાં પ્રાણીઓ કરતાં
તારું ભૂંડું વધારે થશે.
તારે જીવનપર્યંત પેટ ઘસડીને ચાલવું પડશે,
અને ધૂળ ફાકીને રહેવું પડશે.
15 હું તારી અને આ સ્ત્રીની વચ્ચે
અને તારાં બાળકો
અને એનાં બાળકો
વચ્ચે દુશ્મનાવટ રખાવીશ.
એનો વંશ તારું માંથું કચરશે
અને તું એના પગને કરડીશ.”
16 પછી યહોવા દેવે સ્ત્રીને કહ્યું,
“તારે ગર્ભાવસ્થા દરમ્યાન ભારે
વેદના વેઠવી પડે એમ હું કરીશ.
તું જયારે બાળકને જન્મ આપીશ ત્યારે
તને અસહ્ય વેદના થશે.
તું તારા પતિને ખૂબ ઈચ્છીશ
પણ તે તારા પર રાજ કરશે.”[a]
17 પછી યહોવા દેવે મનુષ્યને કહ્યું:
“મેં તને આજ્ઞા કરી હતી કે, તું આ વિશિષ્ટ વૃક્ષનાં ફળ ખાઈશ નહિ,
પરંતુ તેં તારી પત્નીની વાત માંની અને તે વૃક્ષનાં ફળ ખાધાં.
એટલે તારે લીધે આ ભૂમિ શ્રાપિત થઈ છે.
જીવનપર્યંત પરિશ્રમ કરીશ ત્યારે તું એમાંથી ખાવા પામીશ.
18 આ ભૂમિ કાંટા અને ઝાંખરાં ઉગાડશે.
તું ખેતરમાં ઉગતા જંગલી છોડવાં ખાઇશ.
19 તારે તારા પોતાનાં ભોજન માંટે ખૂબ પરિશ્રમ કરવો પડશે.
જયાં સુધી પરસેવો ન થાય ત્યાં સુધી તું પરિશ્રમ કરીશ.
જયાં સુધી તારું મૃત્યુ ન થાય ત્યાં સુધી તું સખત પરિશ્રમ કરીશ.
તે સમયે તું ફરીવાર માંટી થઈ જઈશ.
જયારે મેં તને બનાવ્યો ત્યારે માંટીમાંથી જ બનાવ્યો હતો.
અને જયારે તું મૃત્યુ પામીશ ત્યારે એ જ માંટીમાં પાછો મળી જઈશ.”
20 આદમે પોતાની પત્નીનું નામ હવા પાડયું. કારણ કે તે સર્વ માંનવજીવોની જનેતા હતી.
21 પછી યહોવા દેવે આદમ અને તેની પત્ની માંટે પશુઓનાં ચામડાનાં વસ્રો બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં.
22 યહોવા દેવે કહ્યું, “જુઓ, હવે માંણસ આપણામાંના એકના જેવો થઈ ગયો છે; મનુષ્યને સારાનરસાની સમજ આવી છે. અને હવે પુરુષ જીવનના વૃક્ષનાં ફળ પણ લઈ શકે, છે. જો પુરુષ તે ફળને ખાશે તો તે સદા અમર થઈ જશે.”
23 આથી યહોવા દેવે પુરુષને એદનના બાગને છોડવા માંટે મજબૂર કર્યો, જે માંટીમાંથી આદમ પેદા થયો હતો તે જ પૃથ્વી પર આદમને સખત પરિશ્રમ કરવો પડ્યો. 24 યહોવા દેવે આદમને બાગની બહાર કાઢી મૂકયો. અને પછી દેવે બાગના દરવાજાની ચોકી કરવા માંટે સ્વર્ગના દૂતોને મૂકયા. યહોવા દેવે ત્યાં એક અગ્નિમય સતત વીંઝાતી તરવાર પણ મૂકી, જે તરવાર જીવનના વૃક્ષના માંર્ગની ચોકી કરતી ચારેબાજુએ ચમકતી હતી.
આપણું તારણ નિયમ કરતાં મહાન છે
2 આથી આપણને જે કઈ સત્ય શીખવવામાં આવ્યું છે તેના તરફ ખૂબજ કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ જેથી આપણે સત્યના માર્ગથી દૂર ફંટાઇ ન જઇએ. 2 દેવે દૂતો દ્ધારા જે શિક્ષણ આપ્યું તે સત્ય કરી બતાવ્યું હતું. અને દરેક વખતે જ્યારે યહૂદિ લોકો આ શિક્ષણની વિરૂદ્ધમા કંઈક કરતા તો તેમને આજ્ઞાભંગ માટે શિક્ષા કરવામાં આવતી હતી. 3 જે તારણ આપણને આપવામાં આવેલું છે તે અતિ મહાન છે તેથી ખાતરી પૂર્વકની વાત છે કે જો આપણે પણ તારણની ઉપેક્ષા કરીશું તો આપણને પણ શિક્ષા થશે. પ્રભુએ પોતે લોકોને પ્રથમ તારણની વાત કરી. અને જેમણે તેનું સાંભળ્યું તેમણે એ સાક્ષી પૂરી કે આ તારણ તે સાચું તારણ છે. 4 દેવે પોતે પણ આ સત્યતાને, ચિહ્રનો, અદભૂત કૃત્યો, જુદા જુદા ચમત્કારો અને ભેટો વડે પ્રમાણિત કરી છે, અને તેની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્મા તરફથી દાન મેળવીને સાક્ષી આપતો રહ્યો છે.
તેઓને તારવા ખ્રિસ્તે માનવદેહ ધારણ કર્યો
5 નવી દુનિયા જે આવી રહી હતી તેના ઉપર શાસન કરવા દેવે દૂતોને પસંદ કર્યા નહિ. આપણે જે ભવિષ્યની દુનિયાની વાત કરીએ છીએ તે આ દુનિયા છે. 6 તેમાં કોઈક જગાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે,
“હે દેવ તું માણસોની શા માટે દરકાર કરે છે?
મનુષ્ય પુત્રની પણ શા માટે દરકાર કરે છે?
શું તે એટલો બધો અગત્યનો છે?
7 થોડા સમય માટે તેં તેને દૂતો કરતાં ઊતરતો ગણ્યો છે.
તેં તેને ગૌરવ તથા માનનો મુગટ આપ્યો છે. અને તારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે.
8 સમગ્ર સૃષ્ટિ તેં તેના પગ તળે મૂકી છે.” (A)
તેં તેના પગ તળે સઘળું મૂક્યું છે. તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય તેવું તેણે કશુંય રહેવા દીધું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી દષ્ટિએ દેખાતું નથી. 9 થોડા સમય માટે ઈસુને દૂતો કરતાં ઊતરતો બનાવ્યો હતો, પણ હવે આપણે તેને મહિમા અને માનનો મુગટ પહેરેલો જોઈએ છીએ કારણ કે તેણે મરણનું દુ:ખ સહન કર્યું અને દેવની દયાથી મરણનો અનુભવ સમગ્ર માનવજાત માટે કર્યો હતો.
10 દેવે સર્વસ્વ બનાવ્યું છે. અને તે પોતાના મહિમાને અર્થે બનાવ્યું છે. આ મહિમામાં ઘણા લોકો ભાગ લે તેવું દેવ ઇચ્છતો હતો. તેથી દેવને એક (ઈસુ) પરિપૂર્ણ તારનાર બનાવવો પડ્યો જે ઘણા લોકોને તેમના તારણ તરફ દોરી જાય છે. અને તે ઘણાને તે મુક્તિમાર્ગે દોરી ગયો. દેવે તે કર્યું.
યોહાનનું લોકોને ઈસુ વિષે કહેવું
(માથ. 3:1-12; માર્ક 1:1-8; લૂ. 3:1-9, 15-17)
19 યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?” 20 યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.
21 યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”
યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”
યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”
યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”
22 પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”
23 યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,
“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;
‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.’” (A)
24 આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા. 25 આ માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”
26 યોહાને ઉત્તર આપ્યો, “હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી. 27 તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”
28 યર્દન નદીને પેલે પાર આ બધી વસ્તુઓ બેથનિયામાં બની. આ જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International