Book of Common Prayer
દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.
1 હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
2 મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
3 આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
અને તેના નામનો મહિમા વધારીએ.
4 યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
5 જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
6 આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
7 યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
8 યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
9 યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે;
કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
10 અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે,
પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
11 મારા બાળકો આવો, મારું સાંભળો;
“હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે?
અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
13 તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો;
ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
14 દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો.
શાંતિ શોધી તેની પાછળ લાગો.
15 યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે.
તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી
ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.
17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે,
અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
18 યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે.
જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.
1 હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ;
શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
2 વીણા વગાડી યહોવાની સ્તુતિ કરો, દશ તારનું વાજીંત્ર વગાડી ગાઓ;
સ્તુતિના મધુર ગીતો આનંદથી ગાઓ.
3 યહોવાના નૂતન ગીતો ગાઓ;
વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.
4 યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે,
તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે.
5 તે ન્યાય અને નિષ્પક્ષતાને ચાહે છે.
પૃથ્વી યહોવાની કૃપાથી ભરાઇ ગઇ છે.
6 એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું,
અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.
7 તેમણે સમુદ્રો બનાવ્યાં અને મશકની માફક પાણી ભેગા કર્યાર્
અને તેના અતિશય ઊઁડાણોને વખારોમાં ભરી રાખે છે.
8 સમગ્ર પૃથ્વી યહોવાથી બીઓ,
અને પૃથ્વીવાસી તેનું ભય રાખો અને આદર કરો.
9 કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ;
અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.
10 યહોવા તેમનો વિરોધ કરતી પ્રજાઓની યોજનાઓને નિષ્ફળ બનાવે છે.
જુઓ, યહોવા બધા લોકોની યોજનાઓને નિરર્થક બનાવે છે.
11 યહોવાની યોજનાઓ સદાકાળ ટકે છે.
તેમણે કરેલી ઘારણા પેઢી દર પેઢી રહે છે.
12 જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.
તેઓને ધન્ય છે.
13 યહોવાનું નિવાસસ્થાન આકાશમાં છે,
ત્યાંથી તે સર્વ માનવજાત પર નજર રાખે છે.
14 હા, તે આકાશમાંથી સૃષ્ટિમાં વસતા
સર્વ જીવોને ધ્યાનથી જુએ છે.
15 યહોવા સર્વના હૃદયના સરજનહાર છે,
અને તેઓ જે કાંઇ કરે છે તે એ સમજે છે.
16 રાજા ફકત તેના સુસજ્જ સૈન્યના બળથી જીતી ન શકે.
બળવાન યોદ્ધો ફકત પોતાની બહાદુરીથી બચી જતો નથી.
17 યુદ્ધમાં વિજય માટે ધોડાઓ પર આધાર રાખવો વ્યર્થ છે,
તેઓ પોતાના બાહુબળથી કોઇને ઉગારી શકતા નથી.
18 યહોવા તેઓની નજર અને સંભાળ રાખે છે જેઓ તેનો ભય રાખે છે;
અને તેમનો આદર કરે છે જેઓ તેમની કૃપાની રાહ જુએ છે.
19 તે તેઓના જીવને મૃત્યુથી બચાવે છે,
અને દુકાળ સમયે તેઓને જીવતાઁ રાખે છે.
20 અમે પૂર્ણ શ્રદ્ધાથી અમારી રક્ષા માટે યહોવાની પ્રતિક્ષા કરીએ છીએ, તે અમારા સાચા સહાયક છે,
અને તે અમારી ઢાલ છે.
21 અમે યહોવામાં આનંદિત છીએ.
અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ.
અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.
22 હે યહોવા, અમે રાહ જોઇ અને તમારી આશા રાખી છે
કે તમારી કૃપા અમારા પર થાય.
સિનાઇ પર્વત પર એલિયા
19 એલિયાએ જે કંઈ કર્યું હતું તે, ને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તરવારથી માંરી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝેબેલને કહ્યું, 2 પછી ઈઝેબેલે કાસદ મોકલી એલિયાને કહેવડાવ્યું કે, “તેં જેમ તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું તારા પ્રાણ આવતી કાલે રાત્રે બરાબર આવી જ રીતે આ સમય પહેલા હું તને માંરી નાખીશ. જો હું તેમ નહિ કરૂં તો, ભલે દેવ તેવું જ અને તેનાથી વધારે ખરાબ માંરા પ્રત્યે કરે.”
3 તેથી એલિયા ડરી ગયો, ને જીવ બચાવવા યહૂદામાં આવેલા બેર-શેબા નગરમાં દોડી ગયો, પછી તેણે પોતાના નોકરને ત્યાં છોડી દીધો. 4 અને તેણે એક આખો દિવસ મુસાફરી કરી, ત્યાં તે એક ઝાડ નીચે બેઠો અને પ્રાર્થના કરી કે પોતે મરી જાય, તેણે કહ્યું “યહોવા દેવ, માંરા પ્રાણ લઇ લો, હું માંરા પિતૃઓથી જરાય સારો નથી.”
5 પછી તે વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દેવદૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે,” 6 તેણે જોયું, તો તેના માંથા આગળ હૂંફાળો રોટલો અને પાણીનો કૂજો હાજર હતો, તે ખાઈ પીને પાછો સૂઈ ગયો.
7 યહોવાના દૂતે ફરી આવીને તેને બીજી વાર સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ, ને ખાઈ લે, તારે લાંબો પંથ કાપવાનો છે.” 8 તેણે ઊઠીને ખાઈને પાણી પીધું અને તે ખોરાકને આધારે 40 દિવસ અને ચાળીસ રાતનો પંથ કાપીને તે યહોવાનો પર્વત જે હોરેબ પર્વત કહેવાય છે ત્યાં સુધી પહોંચી ગયો.
શરીરની એક્યતા
4 હું પ્રભુમાં આધિન છું તેથી હું બંદી ગૃહમાં છું અને દેવે તમને તેના લોકો તરીકે પસંદ કર્યો છે. હું તમને કહું છું દેવના લોકો જેવું જીવન જીવો. 2 હમેશા વિનમ્ર અને દીન બનો. ધીરજવાન બનો અને પ્રેમથી એકબીજાનું સહન કરો. 3 આત્મા દ્વારા તમે શાંતિમાં એક થયા છો. સંગઠીત રહેવાનો પ્રયત્ન ચાલુ રાખો. શાંતિ તમને એકસૂત્રમાં રાખે. 4 જે રીતે એક શરીર અને એક આત્મા છે તે જ રીતે દેવે તમને એક આશા રાખવા બોલાવ્યા છે. 5 એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે. 6 દેવ ફક્ત એક જ છે અને તે સર્વનો પિતા છે. તે બધું જ ચલાવે છે. તે સર્વત્ર અને બધામાં સ્થિત છે.
7 ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે. 8 તેથી ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે,
“તે ઊંચે આકાશમાં બંદીવાનો સાથે ગયો,
અને લોકોને દાન આપ્યાં.” (A)
9 “તે ઊંચે ચઢયો,” તેના અર્થ શું? એનો અર્થ એ કે પહેલા તે પૃથ્વી પર નીચે આવ્યો. 10 તેથી ખ્રિસ્ત પૃથ્વી પર નીચે આવેલો, તેનું જ ઉર્ધ્વગમન થયું. ખ્રિસ્ત બધી વસ્તુઓને તેનાથી ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊચે ચઢયો. 11 અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું. 12 દેવે આ દાન આપ્યો કે જેથી સેવા માટે સંતો તૈયાર થઈ શકે. તેણે ખ્રિસ્તના શરીરને વધુ શક્તિશાળી બનાવવા આ દાનો આપ્યાં. 13 આ કાર્ય ચાલુ રહે જ્યાં સુધી આપણે એક વિશ્વાસમાં અને દેવપુત્રના એક જ જ્ઞાન વિષે એકસૂત્રી ન બનીએ. આપણે પરિપક્વ માણસ (સંપૂર્ણ) જેવું બનવું જ જોઈએ-એટલે કે આપણો એટલો વિકાસ થવો જોઈએ કે જેથી ખ્રિસ્ત જેવા સર્વ સંપૂર્ણ બનીએ.
14 પછી આપણે બાળક જેવા અથવા મોજાની અસરથી દિશાશૂન્ય અથડાતા વહાણ જેવા નહિ હોઈએ. આપણે આપણને ઠગવાનો પ્રયત્ન કરતાં અને ભિન્ન પ્રકારનો ઉપદેશ આપતા માણસોથી પ્રભાવિત નહિ થઈએ. આ લોકો છેતરપીંડી કરીને લોકોને ખોટે માર્ગ અનુસરવા માટે યુક્તિનું આયોજન કરે છે. 15 ના! આપણે પ્રેમથી સત્ય બોલીશું. અને દરેક રીતે ખ્રિસ્ત જેવા બનવા આપણે વિકાસ કરીશું. ખ્રિસ્ત શિર છે અને આપણે શરીર છીએ. 16 આખું શરીર ખ્રિસ્ત ઉપર આધારિત છે. અને શરીરના પ્રત્યેક અવયવો એકબીજા સાથે સંગઠીત અને સંલગ્ન છે. દરેક અંગ પોતાનું કાર્ય કરે છે જેને કારણે આખા શરીરનો વિકાસ થાય છે અને તે પ્રેમ સાથે વધુ શક્તિશાળી બને છે.
ઈસુ 5,000થી વધારે લોકોને જમાડે છે
(માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂ. 9:10-17)
6 એ પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર). 2 ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું. 3 ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. 4 હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
5 ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?” 6 (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
7 ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.”
8 બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું, 9 “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા. 11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.” 13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International