Book of Common Prayer
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
1 તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
કારણકે તે સારું અને ગમતું છે.
2 યહોવા યરૂશાલેમને બાંધે છે;
તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
3 હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
4 તે તારાઓની ગણતરી કરે છે;
અને તેઓને નામ દઇને બોલાવે છે.
5 આપણા પ્રભુ કેવા મહાન છે!
તેમના સાર્મથ્યનો પાર નથી!
તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
6 યહોવા નમ્રજનોને આધાર આપે છે;
પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
7 યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
8 તે આકાશને વાદળોથી ઢાંકે છે;
પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
9 પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.
19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.
યહોવાની સ્તુતિ થાઓ.
1 યહોવાની સ્તુતિ કરો!
ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં
હું ખરા હૃદયથી યહોવાનો આભાર માનીશ.
2 યહોવાના કાર્યો મહાન છે;
લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.
3 તેના કાર્યો તેજસ્વી અને અદ્ભૂત છે.
અને તેની નિષ્પક્ષતા સદાકાળ ટકે છે.
4 દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે.
યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.
5 તે તેના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે,
અને તે પોતાના વચનોને કદી ભૂલતા નથી.
6 તેણે તેના લોકોને બીજા રાષ્ટ્રોની જમીન આપી છે.
અને આ રીતે તેમને તેના સાર્મથ્યભર્યા કૃત્યો દેખાડ્યા છે.
7 તેમણે જે કાંઇ કર્યુ છે તેમાં સત્યતા અને ન્યાય છે;
તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસ યોગ્ય છે.
8 કારણ, આ નિયમો સત્યમાંથી અને વિશ્વાસુપણામાંથી ઉદૃભવ્યા છે;
તેઓ સદાને માટે અચળ છે.
9 દેવે તેના લોકોને ઉદ્ધાર મોકલ્યો છે, અને તેમણે તેઓની સાથે એક સનાતન કરાર બનાવ્યો છે.
તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.
10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.
જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે.
તેના માટે સદાય સ્તુતિના ગાન ગવાતા રહેશે.
1 યહોવાની સ્તુતિ થાઓ!
જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે.
અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે;
અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે;
અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
4 સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે;
તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
5 વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે,
વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
6 તે વ્યકિત કદી પડશે નહિ
તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
7 તે ખરાબ સમાચારથી ડરતો નથી;
અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે;
તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
9 તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે,
અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે;
અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
10 જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે,
તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે;
અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.
1 યહોવાની સ્તુતિ કરો!
હે યહોવાના સેવકો, સ્તુતિ કરો,
યહોવાના નામની સ્તુતિ કરો.
2 યહોવાનું નામ આ સમયથી
તે સર્વકાળ સુધી સ્તુત્ય થાઓ.
3 સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી
યહોવાના નામની સ્તુતિ કરો.
4 યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે;
અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
5 આપણા દેવ યહોવા જેવો છે કોણ?
જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.
6 આકાશો ને પૃથ્વીથી યહોવા ઘણા ઊંચા છે.
પોતાને નીચા નમાવે છે, તેથી તેને જોવા તેમણે નીચું જોવુ પડે.
7 રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે;
અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી.
8 અને બેસાડે છે પોતાના લોકોને અમીર ઉમરાઓ સાથે;
રાજકુમારોની મધ્યે.
9 તે નિ:સંતાન સ્રી ને સંતાન આપે છે;
અને સુખી થશે માતા!
યહોવાની સ્તુતિ થાઓ.
ભૂમિકા
1 યહૂદિયાના રાજા ઉઝિઝયા અને ઇસ્રાએલના યોઆશના પુત્ર રાજા યરોબઆમના સમયમાં, આમોસ તકોઆ જાતિના ભરવાડોમાંનો એક હતો આ ઇસ્રાએલ વિષેના સંદેશાઓ છે જે તેને ધરતીકંપ થયાના બે વર્ષ પહેલા.
અરામને સજા
2 તેણે કહ્યું,
“યહોવા સિયોનમાંથી ગર્જના કરશે,
યરૂશાલેમ મોટેથી કહેશે;
ભરવાડો આક્રંદ કરશે,
અને કામેર્લની ટોચ સૂકાઇ જશે.”
3 યહોવા આ પ્રમાણે કહે છે: “દમસ્કના લોકોએ વારંવાર પાપ કર્યા છે, અને હું તે ભૂલીશ નહિ. હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. જેમ અનાજ ધોકાવાની લોખંડની ગાડીથી ધોકાવાય છે, તેમ ગિલયાદમાં મારા લોકોને તેઓએ માર્યા છે. 4 પરંતુ હું હઝાએલના મહેલને આગ ચાંપીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મીભૂત કરી દેશે.
5 “વળી હું દમસ્કના દરવાજાઓ તોડી નાખીશ, અને આવેનની ખીણમાંના લોકોનો નાશ કરીશ. બેથ-એદેનના નેતાઓને શિક્ષા કરીશ. અરામના લોકો દેશ નિકાલ થયેલની જેમ કીર પાછા ફરશે.” આ યહોવાના શબ્દો છે.
આમ્મોનને સજા
13 યહોવા કહે છે: “આમ્મોનના લોકોએ વારંવાર પાપ કર્યા છે, તેમણે પોતાની સરહદ વિસ્તારવા માટે ગિલયાદમાં ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં છે; આથી હું તેમને જરૂર સજા કરીશ. 14 હું રાબ્બાહની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી મહેલો, ઘરોને નષ્ટ કરી નાખશે. ચારેતરફ યુદ્ધનાદ થશે, અને જાણે પ્રચંડ વાવાઝોડાનો પ્રકોપ થઇ રહ્યો હોય એમ લાગશે. 15 તેઓના રાજાઓ અને તેઓના અમલદારો સાથે દેશવટો લેશે.” આ યહોવાના શબ્દો છે.
મોઆબને સજા
2 યહોવા કહે છે: “મોઆબના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. તેમણે અદોમના રાજાના હાડકાં બાળીને ચૂરો કરી નાખ્યાં હતાં; આથી હું તેમને જરૂર સજા કરીશ. 2 હું મોઆબને આગ લગાડીશ અને આગ કરીયોથના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરી દેશે. યુદ્ધના આક્રંદ અને રણશિંગડાંના અવાજો મધ્યે મોઆબ નાશ પામશે. 3 હું તેના રાજકર્તાને ત્યાંજ મારી નાખીશ અને તેની સાથે તેના સર્વ અમલદારોને મારી નાખીશ.” આ યહોવાના વચન છે.
યહૂદિયાને સજા
4 યહોવા કહે છે: “યહૂદિયાએ વારંવાર પાપ કર્યુ છે હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. એ લોકોએ મારા નિયમોનો અનાદર કર્યો છે, અને મારી આજ્ઞાઓ માની નથી. તેમના પિતૃઓ જે ખોટા દેવોને અનુસરતા હતા તેમણે તેમને ખોટે માર્ગે દોર્યા છે; આથી હું તેમને જરૂર સજા કરીશ. 5 હું યહૂદિયા પર આગ લગાડીશ અને આગ યરૂશાલેમના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરશે.”
ઇસ્રાએલને સજા
6 યહોવા કહે છે: “ઇસ્રાએલના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તે ભૂલીશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેઓએ ન્યાયી લોકોને ચાંદીના બદલામાં વેચ્યા છે અને ગરીબોને બૂટની જોડીના બદલામાં વેચ્યા છે. 7 તેઓએ ગરીબોને ધૂળમાં પગતળે કચડ્યા છે. અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દેવામાં આવ્યાં છે. પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે અને મારું પવિત્ર નામ બગાડ્યું છે. 8 તેઓ વેદીની બાજુમાં ધીરેલા નાણાંની સુરક્ષા તરીકે લીધેલાં કપડાં પર સૂઇ જાય છે. અને તેઓના દેવના મંદિરમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે.
પ્રભુના આગમન માટે તૈયાર રહો
5 હવે, ભાઈઓ અને બહેનો, અમારે તમને સમય અને તારીખો વિષે લખવાની જરુંર નથી. 2 તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે. 3 લોકો કહેશે કે, “અમને શાંતિ છે અને અમે સુરક્ષિત છીએ.” તે સમયે પ્રસૂતાની પીડાની જેમ એકાએક તેઓનો વિનાશ આવી જશે. અને તે લોકો બચી શકશે નહિ.
4 પરંતુ તમે, ભાઈઓ અને બહેનો, તમારે અંધકારમાં (પાપ) જીવન જીવવું ના જોઈએ. અને તે દિવસ ચોરની જેમ તમારા પર આવી પડે તો તમે આશ્ચર્ય પામશો નહિ. 5 તમે બધા અજવાળાના (સારાં) સંતાન છો. તમે દહાડાના સંતાન છો. આપણે રાતના કે અંધકારના (શેતાન) સંતાન નથી. 6 તેથી આપણે અન્ય લોકો જેવા ન બનવું જોઈએ. આપણે ઊંધી ન રહેવું જોઈએ. આપણે જાગ્રત અને સ્વ-નિયંત્રણમાં રહેવું જોઈએ. 7 જે લોકો ઊંધે છે, તે રાતે ઊંધે છે. જે લોકો મદ્યપાનથી ચકચૂર બને છે, તે રાત્રે મદ્યપાનથી ચકચૂર બને છે. 8 પરંતુ આપણે તો દિવસ (સારાપણું) સાથે જોડાયેલા છીએ, તેથી આપણે આપણી જાતને નિયંત્રણમાં રાખવી જોઈએ. આપણે આપણી જાતનું રક્ષણ કરવા વિશ્વાસ, અને પ્રેમનું બખતર પહેરવું જોઈએ. અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.
9 દેવે તેના ક્રોધનો અભિશાપ બનવા આપણને પસંદ કર્યા નથી. દેવે તો આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે પસંદ કર્યા છે. 10 આપણે તેની સંઘાતે જીવી શકીએ તેથી ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. જ્યારે ઈસુનું આગમન થાય ત્યારે આપણે જીવિત હોઈએ કે મૃત તેનું કોઈ મહત્વ નથી. 11 તેથી એકબીજાને હિંમત આપીએ. અને દૃઢ બનવા માટે એકબીજાને મદદ કરીએ.
મંદિરનો વિનાશ
(માથ. 24:1-14; માર્ક 13:1-13)
5 કેટલાએક લોકો મંદિર વિષે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ એક સુંદર મંદિર ઉત્તમ પથ્થરોથી બાંધેલું છે. દેવને દાનમાં અપાયેલ ઘણી સુંદર ભેટો તો જુઓ!”
6 પણ ઈસુએ કહ્યું, “સમય આવશે ત્યારે તમે જે બધું અહી જુઓ છો તેનો નાશ થશે. આ મકાનનો પ્રત્યેક પથ્થર જમીન પર પાડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ!”
7 કેટલાએક શિષ્યોએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, આ વસ્તુઓ ક્યારે બનશે? આપણને કેવી રીતે ખબર પડશે કે તે થવાનો સમય આવ્યો છે?”
8 ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ. 9 જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.”
10 પછી ઈસુએ તેમને કહ્યું, “એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે લડશે. એક રાજ્ય બીજા રાજ્યની સામે લડશે. 11 ત્યાં મોટા ધરતીકંપ, મંદવાડ અને દુ:ખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે. બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય, ભયંકર બનાવો બનશે. આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે.
12 “પરંતુ આ બધી વસ્તુઓ બનતા પહેલાં, લોકો તમને પકડશે અને તમારું અહિત કરશે. લોકો તેમની સભાસ્થાનોમાં તમારો ન્યાય કરશે. અને તમને કેદ કરશે, તમને જબરજસ્તી રાજાઓ અને શાસનકર્તાઓ સમક્ષ ઊભા રાખવામાં આવશે. તમે મને અનુસરો છો તેથી લોકો તમારી સામે આ બધું કરશે. 13 પણ આ તમને મારા વિષે કહેવાની તક આપશે. 14 બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ. 15 તમારો કોઈ પણ દુશ્મન ઉત્તર ન આપી શકે તેવુ કહેવા માટે બુદ્ધિ હું તમને આપીશ. 16 માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તારી વિરૂદ્ધ થશે. તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે. 17 બધા માણસો તમને ધિક્કારશે કારણ કે તમે મને અનુસરો છો. 18 પણ આમાંની કોઈ પણ વસ્તુ તમને ખરેખર નુકશાન કરી શકશે નહિ. 19 જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International