Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 87

કોરાહના પરિવારનાં સ્તુતિગીતોમાંથી એક.

તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
    યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.

જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ;
    મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
વળી સિયોન વિષે કહેવાશે કે:
    “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.”
    દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે,
    જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.

વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે,
    “મારું સર્વસ્વ તારામાં છે.”

ગીતશાસ્ત્ર 90

ભાગ ચોથો

(ગીત 90–106)

દેવના ભકત મૂસાની પ્રાર્થના.

હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
    તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
    તે પહેલાંથી તમે જ દેવ છો;
    તમારી શરૂઆત નથી કે અંત નથી.

તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
    અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
    અને રાતના એક પહોર જેવાં છે!
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
    અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
તે સવારે ખીલે છે અને વધે છે;
    સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે,
    અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
તમે અમારાં બધાં પાપો,
    અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો
    અને તે બધાં તમે જોઇ શકો છો.
તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
    નિસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે;
    કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે.
તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે;
    કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11 તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે?
    અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો,
    જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
    પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
    જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
    અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
    અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
    અને અમને સફળતા આપો;
    અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.

ગીતશાસ્ત્ર 136

યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
    કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
    કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Error: Book name not found: 1Macc for the version: Gujarati: પવિત્ર બાઈબલ
પ્રકટીકરણ 20:1-6

1,000 વર્ષો

20 મેં એક દૂતને આકાશમાંથી નીચે આવતાં જોયો. તે દૂત પાસે અસીમ ઊંડાણની ચાવી હતી. તેમજ તેના હાથમાં એક મોટી સાંકળ પણ હતી. તે દૂતે તે અજગર એટલે ઘરડા સાપને પકડ્યો. તે અજગર શેતાન છે. દૂતે 1,000 વર્ષ માટે તેને સાંકળથી બાંધ્યો. તે દૂતે તે અજગરને અસીમ ઊંડાણમાં નાખ્યો અને તેને બંધ કર્યું. તે દૂતે તાળું મારી તેના પર મહોર મારી. તે દૂતે આ કર્યું, જેથી તે સાપ 1,000 વર્ષ પૂરા થતાં સુધી પૃથ્વીના લોકોને ફરીથી ભ્રમિત કરી શકે નહિ. (1,000 વર્ષ પછી તે અજગરને થોડાક સમય માટે મુક્ત કરાશે.)

પછી મેં કેટલાંક રાજ્યાસનો અને લોકોને તેઓના પર બેઠેલા જોયા. આ તે લોકો હતા, જેઓને ન્યાય કરવાનો અધિકાર અપાયો હતો અને મેં એ લોકોના આત્માઓ જોયા. જેઓનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ ઈસુના સત્યને અને દેવ તરફથી આવેલ સંદેશને વફાદાર હતા. એ લોકો તે પ્રાણીને કે તેની મૂર્તિને પૂજતા ન હતા. તેઓનાં કપાળ પર કે તેઓનાં હાથો પર પ્રાણીની છાપ ન હતી. તે લોકો ફરીથી સજીવન થયા અને ખ્રિસ્ત સાથે તેઓએ 1,000 વર્ષ રાજ્ય કર્યું. (બીજા મરેલા લોકો 1,000 વર્ષ પૂરાં થતાં સુંધી ફરીથી સજીવન થયા નહિ.)

આ પ્રથમ પુનરુંત્થાન છે. એ લોકો જેનો પ્રથમ પુનરુંત્થાન માં ભાગ છે તે લોકો ધન્ય અને પવિત્ર છે. તે લોકો પર બીજા મૃત્યુનો અધિકાર નથી. તે લોકો દેવના તથા ખ્રિસ્તના યાજકો થશે. તેઓ 1,000 વર્ષ માટે તેની સાથે રાજ કરશે.

માથ્થી 16:21-28

ઈસુના મરણની આગાહી

(માર્ક 8:31–9:1; લૂ. 9:22-27)

21 પછી ઈસુ તે સમયથી તેના શિષ્યોને કહેવા લાગ્યો કે, તેણે યરૂશાલેમ જવું પડશે. ત્યાં વડીલો તથા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે. તેણે તેઓને સમજાવ્યું કે તેને મારી નાખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તે ફરીથી મરણમાંથી સજીવન થશે.

22 પિતર ઈસુને એક બાજુ લઈ ગયો અને કહેવા લાગ્યો, “તને દેવ બધી બાબતોથી બચાવે, પ્રભુ! તારી સાથે આવું બનશે નહિ!”

23 ઈસુ પિતર તરફ ફર્યો અને કહ્યું, “અરે શેતાન, તું મારાથી દૂર ચાલ્યો જા; તું દેવની રીતે નહિ પણ માણસની રીતે વિચારે છે.”

24 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ વ્યક્તિ મારી પાછળ આવવા માંગે છે તો તેણે પોતાની જાતને ભૂલી જઈ તેણે પોતાની વધસ્તંભ ઊઠાવીને મારી પાછળ ચાલવું પડશે. 25 જે માણસ પોતાનું જીવન બચાવવા ઈચ્છે, તે પોતાનું જીવન ગુમાવશે, પણ મારે લીધે જે પોતાનું જીવન ગુમાવશે, તે તેનું જીવન બચાવશે. 26 જો કોઈ એક માણસ આખું જગત મેળવે, પણ જો તેનું જીવન ગુમાવે તો તે શા કામનું? અથવા માણસ પોતાના જીવનને બદલે શું આપશે? 27 માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુદ્ધાં આવશે, તો તે સમયે તે પ્રમાણે તેનો બદલો આપશે. 28 હું તમને સત્ય કહું છું, અહીં ઊભેલામાંથી કેટલાક લોકો માણસના દીકરાને તેના રાજ્ય સાથે આવતો જુએ ત્યાં સુધી જીવતા રહેશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International