Book of Common Prayer
આસાફનું માસ્કીલ.
1 મારા લોકો, મારો નિયમ સાંભળો;
મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
2 હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ,
અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.
3 જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે;
જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
4 યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો,
તેમનું પરાક્રમ અને આશ્ચર્યકર્મો
આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ;
આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.
5 કારણકે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો
અને તેણે ઇસ્રાએલને નિયમ આપ્યો,
તેમણે આપણા પૂર્વજોને આદેશ આપ્યો
કે તેમણે તેમના બાળકોને આ બાબતમાં કહેવું.
6 જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે,
અને તેઓ મોટાઁ થઇને પોતાનાં સંતાનોને તે જણાવે.
7 જેથી તેઓ સહુ દેવનો આશા રાખે,
અને દેવનાં અદભૂત કાર્યોને વિસરી જાય નહિ,
અને તેમની આજ્ઞાઓને પાળે.
8 વળી તેઓ પોતાના
પિતૃઓ જેવા હઠીલા, બંડખોર,
અવિશ્વાસુ અને દેવને પોતાનું અંત:કરણ
સોંપવાનો નકાર કરનાર ન થાય.
9 એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં
છતાં તેઓએ યુદ્ધ દિને પીછેહઠ કરી.
10 કારણ, તેમણે દેવનો કરાર પાળ્યો નહિ;
અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
11 તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ,
છતાં તેમનાં કૃત્યો વિસરી ગયા.
12 તેઓના પિતૃઓએ મિસર દેશમાં, સોઆનનાં મેદાનમાં;
દેવે કરેલા ચમત્કારો જોયા હતાં.
13 તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં,
તેઓને તેમાં થઇને સામે પાર મોકલ્યા હતાં.
તેઓની બંને બાજુએ પાણી દિવાલની જેમ સ્થિર થઇ ગયું હતું,
14 વળી તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત,
અગ્નિનાં પ્રકાશથી દોરતો.
15 તેમણે રણમાં ખડકને તોડીને,
ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
16 પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું,
અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
17 તેમ છતાં તેઓએ દેવ વિરુદ્ધ પાપ કરવાનું ચાલું જ રાખ્યું,
અને અરણ્યમાં પરાત્પર દેવ વિરુદ્ધ બંડ કરતાં રહ્યા.
18 તેઓએ હઠીલાઇ કરીને દેવની કસોટી કરી,
દેવ તેઓને આપતાહતા તે કરતાં જુદા જ ખોરાકની માગણી કરી.
19 તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું,
“શું રણમાં તે ભોજન મોકલી શકે?
20 તેમણે ખડકને લાકડી મારી ને,
પાણીના ઝરણાં વહેવડાવ્યાં તે સાચું છે;
શું તે આપણને રોટલી આપી શકે છે?
અને તેમનાં લોકોને માંસ આપી શકે?”
21 તેઓએ જે કહ્યું તે સાંભળ્યા પછી, યહોવા કોપાયમાન થયા,
તેઓ ઇસ્રાએલ પર ભારે કોપાયમાન થયા
અને યાકૂબ પર બહુ જ ગુસ્સે થયા.
22 કારણ, તેઓએ દેવમાં તેમનો વિશ્વાસ મૂક્યો નહિ,
અને તેમના તારણ પર વિશ્વાસ કર્યો નહિ.
23 છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી,
અને આકાશનાં દ્વાર ખોલી નાખ્યાં.
24 તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી;
અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.
25 તેઓએ દેવદૂતોનો ખોરાક ખાધો!
અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી યહોવાએ ભોજન આપ્યું.
26 દેવે તેમનાં મહાન સાર્મથ્યથી દક્ષિણ
અને પૂર્વનો પવન ફૂંકાવ્યો.
27 તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની
રેતીની જેમ પક્ષીઓ તેમનાં પર વરસાવ્યાઁ.
28 તેમણે તેઓની છાવણી મધ્યે
અને તેઓનાં તંબુઓની ચોપાસ પક્ષીઓ પાડ્યાં.
29 લોકો ધરાઇ રહ્યાં ત્યાં સુધી ખાધું,
યહોવાએ તેઓને, માગણી પ્રમાણે આપ્યું.
30 પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યાં નહિ,
અને માંસ હજી પણ તેમના મોંઢાં માઁ હતું.
31 પછી તેમની સામે યહોવાનો કોપ પ્રગટયો,
અને તેમણે ઇસ્રાએલમાં જેઓ સૌથી વધુ શકિતશાળી હતા તેમને મારી નાખ્યાં,
તેમણે શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.
32 આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં,
અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
33 દેવે તેઓના વ્યર્થ જીવનનો
અંત આપત્તિઓ સાથે કર્યો.
34 જ્યારે જ્યારે તેમણે તેમાંના કેટલાંકને મારી નાખ્યા,
ત્યારે બીજાઓ તેમના તરફ વળ્યા, અને તેમની મદદ માંગી.
35 ત્યારે તેઓએ યાદ કર્યુ કે, દેવ તેઓના ખડક છે,
અને પરાત્પર દેવ તેઓના તારક છે.
36 પરંતુ તેઓએ પોતાના મુખે તેની પ્રસંશા કરી,
અને પોતાની જીભે તેની સમક્ષ જૂઠું બોલ્યા.
37 તેઓનાં હૃદય યહોવા પ્રત્યે વિશ્વાસુ નહોતા;
તેઓ કરારને વફાદાર નહોતા.
38 તેમ છતા તેમણેં દયા દર્શાવી,
તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો;
તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો;
અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
39 યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે;
અને એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
40 તેઓએ વર્ષો દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું;
અને રાનમાં દુ:ખી તેમને કર્યા.
41 વારંવાર તેઓએ દેવની કસોટી કરી
અને તેઓએ ઇસ્રાએલના પવિત્ર યહોવાને દુ:ખી કર્યા.
42 તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા,
તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.
43 યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિન્હો
અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
44 તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને
લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ પી ન શકે.
45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા,
અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી,
ને તેઓનો બધો જ પાક તીડો ખાઇ ગયા હતા.
47 તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ,
કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.
48 તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો,
અને ઘેટાનાં ટોળાઁ પર વીજળીઓ પડી.
49 દેવે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર;
તેઓની વિરુદ્ધ નાશ કરનારા દૂતોની માફક મોકલ્યા.
50 તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો;
અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહિ,
પણ તેઓને વિપત્તિ તથા માંદગીને સોંપી દીધા.
51 પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ;
હામના પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.
52 પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં;
અને રણમાં થઇને તેઓને સુરક્ષિત ચલાવ્યા.
53 તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા
કે તેઓ બીધા નહિ,
પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
54 તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં,
ડુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શકિતથી લીધો હતો તેમા ચાલતાં કર્યા.
55 અને તેમણે અન્ય રાષ્ટ્રોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા.
ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.
56 છતાં ત્યારે પણ, તેઓએ પરાત્પર દેવની કસોટી કરવાનું
અને તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓનું અનુસરણ કરવાનો ઇન્કાર કર્યો.
57 તેઓ દેવ પાસેથી દૂર થયા.
તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં.
ફેંકનાર[a] તરફ પાછા ફરતાં,
વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.
58 તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને
અને જૂઠાં દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.
59 જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો,
અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.
60 પછી માણસો મધ્યે તે નિવાસ કરતા;
એ શીલોહના મંડપનો તેમણે ત્યાગ કર્યો.
61 દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવાં દીધા.
દુશ્મનોએ દેવનું “ગૌરવ રત્ન” લઇ લીધું.
62 તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે,
તેમનો ક્રોધ અતિ વધારે હતો.
63 તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં;
અને તેઓની કન્યાઓ તેઓનાં લગ્નગીતો ગવાય તે પહેલાં જ મૃત્યુ પામી.
64 યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ
તેઓ માટે રૂદન કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.
65 ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ,
તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરૂષને શૂરાતન આવે તેમ યહોવા ઊઠયા.
66 તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા
અને તેઓને કાયમ માટે હિણપદ કર્યા.
67 દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો,
અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.
68 પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા
તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.
69 ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી
પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
70 તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને
પોતાના સેવક તરીકે પસંદ કર્યો.
71 જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો,
યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.
72 દાઉદે તેમને શુદ્ધ હૃદયથી
અને કૌશલ્ય સભર શાણપણથી દોર્યા.
26 પરંતુ આ બધુંય હોવા છતાં તેઓ તમને આધીન રહ્યા નહિ.
અને તારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ.
તેઓએ તમારા નિયમશાસ્ત્રને નકાર્યા.
અને જે પ્રબોધકોએ તેઓને તારા તરફ
પાછા ફરવા કહ્યું તેઓને તેઓએ મારી નાખ્યા.
વળી તેઓએ બીજાં અનેક ભયંકર કૃત્યો કર્યા.
27 માટે તેં તેઓને તેમના શત્રુઓનાં હાથમાં સોંપી દીધા,
જેઓએ તેમને ત્રાસ આપ્યો.
તેઓએ પોતાના સંકટ સમયે તારી આગળ પોકાર કર્યો,
ત્યારે તેં સ્વર્ગમાંથી સાંભળ્યું;
અને મહાન દયાળુ હોવાથી
તેં તેઓને ઉદ્ધારકો આપ્યા કે,
જેમણે તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.
28 પરંતુ તેઓએ પછી આરામ કર્યો,
અને ફરી તેઓએ તારી સંમુખ દુષ્કૃત્યો કર્યા;
તે માટે તેં તેઓને તેમના દુશ્મનોના હાથમાં સોપી દીધા.
જેથી તેમના દુશ્મનો તેમના ધણી બન્યાં,
પરંતુ જ્યારે ફરીથી તે લોકોએ
તને પોકાર કર્યો ત્યારે તેઁ આકાશમાંથી સાંભળ્યું
અને તને તેઓને કેટલીયે વાર બચાવ્યા કેમકે તું દયાળુ છે.
29 અને તેં તેમને તારી સંહિતાનું પાલન
કરવા માટે ફરી ચેતવણી આપી.
પરંતુ ઘમંડી વર્તણૂક કરીને તેઓએ
તારા વિધિઓનું પાલન ન કર્યુ;
જેના પાલનથી મનુષ્યને જીવન મળે છે
એવા તારા નિયમોના વિરૂદ્ધ તેમણે પાપ કર્યુ,
ને તેઓના ખભા હઠીલા હતા,
તેઓની ગરદન અક્કડ હતી
અને તેમણે તારું કહ્યું માન્યું નહિ.
30 “છતાં પણ તેં ઘણાં વરસો સુધી ધીરજ રાખી,
તારા આત્મા દ્વારા
અને તારાં પ્રબોધકો દ્વારા
તેં તેમને ચેતવ્યા,
પણ તેમણે કાને ન ધર્યુ.
ત્યારે તેં તેમને વિદેશીઓના હાથમાં સોંપી દીધા.
31 “છતાં પણ તું મહાન દયાળુ દેવ હોવાથી
તે લોકોનો છેક અંત આણ્યો નહિ.
કે તેઓનો ત્યાગ કર્યો નહિ, કારણકે
તું કૃપાળુ તથા દયા કરનારો દેવ છે.
32 હે અમારા દેવ, હે મહાન શકિતશાળી
અને ભયાવહ દેવ;
અનંત પ્રેમથી
તું કરારનું પાલન કરે છે.
અમારા પર, અમારા રાજાઓ,
અમારા આગેવાનો,
અમારા યાજકો,
અમારા પ્રબોધકો
અને તમારી આ સમગ્ર પ્રજા
પર આશ્શૂરના રાજાઓના સમયથી આજપર્યંત જે યાતનાઓ થઇ છે,
તે ઓછી છે એમ ન ગણીશ.
33 અમારા પર જે કઇં વીત્યું છે,
તેમાં તું દેવ તો ન્યાયી જ રહ્યો છે.
તેં તો તારુ ન્યાયપણુ સાચવ્યું છે,
ખોટું તો અમે કર્યુ છે.
34 અમારા રાજાઓ, અમારા અધિકારીઓ, અમારા યાજકો અને અમારા પિતૃઓએ
તારી વિધિઓને અનુસર્યા નહિ કે
તારી ચેતવણીઓ કે હુકમો પ્રત્યે ધ્યાન આપ્યું નહિ.
35 જ્યારે તેઓ પોતાનાજ રાજ્યમાં હતાં અને મહાન ઉદારતા ધરાવતાં હતાં,
ત્યારે તેં તેઓને વિશાળ ફળદ્રુપ જમીન આપી,
ત્યારે તેઓએ તારી સેવા ના કરી
અને તેઓએ પોતાની ભૂંડાઇથી પાછા
ફરવાનો પણ ઇન્કાર કર્યો.
36 પરંતુ અમારી તરફ જુઓ,
અમે તે જમીનમાં ગુલામ છીએ,
જે તેં અમારા પૂર્વજોને આપી હતી,
જેથી તેઓ એના ફળો
અને ઉત્તમ ઉપજનો આનંદ માણી શકે.
37 અમારાં પાપોને કારણે જે રાજાઓને તેં અમારા પર વિજય અપાવ્યો છે,
તેઓ આ દેશમાંથી પુષ્કળ ઊપજ પ્રાપ્ત કરે છે,
તેઓનો અમારા શરીરો તથા અમારાં ઢોરઢાંખર પર અધિકાર છે
અને અમે તેઓની ઇચ્છા મુજબ તેઓની સેવા કરીએ છીએ.
અમે મોટાં સંકટમાં આવી પડ્યાં છીએ!
38 આ બધી બાબતોને લીધે અમે
ફરીથી એક કરાર કરીએ છીએ.
અને તેની નોંધ કરીને
તેના પર અમારા અધિકારીઓ, અમારા લેવીઓ
અને યાજકો પોતપોતાની મહોર મારે છે.”
9 પૃથ્વીના રાજાઓ, જેમણે તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા અને તેની સંપત્તિમાં ભાગ પડાવ્યો તેઓ તેની આગનો ધૂમાડો જોશે. પછી તે રાજાઓ તેના મૃત્યુને કારણે રડશે અને દુ:ખી થશે. 10 તેની વેદનાના ભયથી તે રાજાઓ દૂર ઊભા રહેશે. તે રાજાઓ કહેશે કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર, મહાન બાબિલોન નગર,
બાબિલોનનું બળવાન નગર!
તારી શિક્ષા એક કલાકમાં થઈ!”
11 અને પૃથ્વી પરના વેપારીઓ તેના માટે શોક કરશે અને તેને માટે દુ:ખી થશે. તેઓ દિલગીર થશે કારણ કે હવે તેઓ જે વેચે છે તેને ખરીદનારા ત્યાં કોઈ નથી. 12 તેઓ સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, સુંદર બારીક શણના કપડાં, જાંબુડી કાપડ, રેશમી તથા કિરમજી કાપડ સર્વ જાતના સુગંધીદાર કાષ્ટ, હાથીદાંતની મૂલ્યવાન કાષ્ટની, પિતળની, લોઢાની તથા સંગેમરમરની, સર્વ જાતની વસ્તુઓ વેચતાં. 13 તે વેપારીઓ, તજ, તેજાનાં, ધૂપદ્ધવ્યો, અત્તર, લોબાન, દ્ધાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, ઘઉં, તથા ઢોરઢાંકર, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, પણ તેઓ વેચતા. તે વેપારી માણસો રડશે અને કહેશે કે:
14 “ઓ બાબિલોન, તમે જે સારી વસ્તુઓની ઈચ્છા છે તે તારી પાસેથી દૂર થઈ છે.
તારી બધી કિંમતી અને સુંદર વસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ છે.
તને ફરીથી તે વસ્તુઓ કદાપિ મળશે નહિ.”
15 તે વેપારી માણસો તેની વેદનાથી ભયભીત થશે અને તેનાથી દૂર ઊભા રહેશે. આ તે માણસો છે જે વસ્તુંઓ વેચીને તેમાંથી ધનવાન થયા. તે માણસો રડશે અને શોક કરશે. 16 તેઓ કહેશે કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર!
બારીક શણનાં, જાંબુડી તથા કિરમજી રંગના વસ્ત્રોથી વેષ્ટિત
અને સોનાથી, કિંમતી પથ્થરો અને મોતીઓથી અલંકૃત
મહાન નગરને હાય હાય!
17 આ બધી સંપતિ એક કલાકમાં નષ્ટ થઈ!”
સર્વ નાખુદા, બધા લોકો જે વહાણોમાં સફર કરનારા છે, બધા જ ખલાસીઓ અને તે બધા લોકો જે સમુદ્ર માર્ગે પૈસા કમાનારા છે તેઓ બાબિલોનથી દૂર ઊભા રહ્યા. 18 તેઓએ તેના બળવાનો ધૂમાડો જોયો. તેઓએ મોટે સાદે કહ્યું કે: “ત્યાં આના જેવું મહાન નગર કદાપિ હતું નહિ!” 19 તેઓએ પોતાનાં માથાં પર ધૂળ ફેંકી. તેઓ રડ્યા અને વિલાપ કરવા લાગ્યાં. તેઓએ મોટા સાદે કહ્યું કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર તે મહાન નગર!
તે બધા લોકો જેમની પાસે સમુદ્ર પર વહાણો છે, તેઓ તથા તેની સંપતિને કારણે તેઓ ધનવાન થયા.
પરંતુ તેનો વિનાશ એક કલાકમાં થયો!
20 ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ.
સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો.
તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”
ઈસુ બીન યહૂદિ સ્ત્રીને મદદ કરે છે
(માર્ક 7:24-30)
21 પછી એ વિસ્તારમાંથી ઈસુ દૂર તૂર અને સિદોનના પ્રદેશમાં ગયો. 22 ત્યાં રહેતી એક કનાની સ્ત્રીઓ ઈસુ પાસે આવીને જોરથી બૂમ પાડીને વિનંતી કરી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરીને ભૂત વળગેલું છે અને તે કાયમ રિબાયા કરે છે.”
23 પણ ઈસુએ તેને કશો જ ઉત્તર આપ્યો નહિ, શિષ્યોએ ઈસુને વિનંતી કરતાં કહ્યું, “તેને દૂર મોકલી દો. તે આપણી પાછળ આવે છે અને બૂમો પાડે છે.”
24 ઈસુએ કહ્યું, “દેવે મને ઈસ્રાએલના (યહૂદિઓ) ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે મોકલ્યો છે.”
25 પછી તે સ્ત્રી ફરીથી ઈસુ પાસે આવી અને તેને પગે પડી કહેવા લાગી, “પ્રભુ, મને મદદ કર!”
26 ઈસુએ કહ્યું, “છોકરાઓની રોટલી લઈન કૂતરાંઓને આપવી એ બરાબર નથી.”
27 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “હા પ્રભુ, એ તો ખરું છે પરંતુ કૂતરાંઓ પોતાના માલિકના મેજ નીચે પડેલા રોટલીના નાના ટુકડાઓ ખાય છે.”
28 ઈસુએ કહ્યું, “બાઈ, તારો વિશ્વાસ ઘણો છે! તારી ઈચ્છા પ્રમાણે તને થાઓ.” તેની દીકરી તે જ ઘડીએ સાજી થઈ ગઈ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International