Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે.
તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
2 કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે.
તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.
3 કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે.
અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
4 હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું
અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
5 તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો.
તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
6 કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો.
અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે.
અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો
અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
9 જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ
તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે.
યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે
અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે;
માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે.
છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે.
તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.
13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ;
અને તમારા મહાન કર્મોની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.
દાઉદનું ગીત.
1 યહોવાએ મારા પ્રભુને કહ્યું,
“જ્યાં સુધી; હું તારા દુશ્મનોને હરાવું અને તેઓને તારી સમક્ષ નીચા નમાવું,
ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”
2 યહોવા સિયોનમાંથી તારા સાર્મથ્યનો રાજદંડ મોકલશે;
તારા શત્રુઓ પર રાજ કર.
3 તારા લોકો તારા યુદ્ધને દિવસે
તારી સાથે જોડાવવા ઇચ્છશે.
સવારે તેં તારા પવિત્ર વસ્રો
ધારણ કરેલા છે.
તારી યુવાવસ્થાનું જોર
તને દોરવે છે.
4 યહોવાએ પ્રતિજ્ઞા કરી,
“તું મલ્ખીસદેકની જેમ,
સદાને માટે યાજક છે;
તેમનું આ વચન તે કદી રદબાતલ કરશે નહિ.”
5 તારી રક્ષા માટે, તારી પાસે પ્રભુ તારા જમણા હાથે ઊભા છે;
તે ધણા રાજાઓનો પોતાના ક્રોધને દિવસે નાશ કરશે.
6 તે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે;
અને તેમની પ્રજાઓના પ્રદેશ મૃતદેહથી ભરી દેશે,
અને તેની વિશાળ ભૂમિમાં માથાઓને છૂંદી નાંખશે.
7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે;
નવી તાજગી સાથે પોતાનું માથું ઊંચુ કરશે.
1 યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
2 તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
3 મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો;
મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
4 ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો,
“હે યહોવા મને બચાવો.”
5 યહોવા ન્યાયી અને કૃપાળુ છે;
આપણા દેવ ખરેખર માયાળુ છે.
6 યહોવા અસહાયનું રક્ષણ કરે છે;
હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.
7 હે મારા આત્મા, વિશ્રામ કરો!
કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
8 તમે મારા પ્રાણને મૃત્યુથી
અને મારી આંખોને આંસુથી
અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
9 હું જીવલોકમાં જીવતો રહીશ;
અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.
10 “હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું
ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
11 મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે,
“સર્વ માણસો જૂઠાઁ છે.”
12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.
15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.
યહોવાની સ્તુતિ થાઓ.
1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!
યહોવાની સ્તુતિ હો.
યરૂશાલેમનો વિનાશ
8 બાબિલના રાજા નબૂખાદનેસ્સારના શાસનના ઓગણીસમાં વર્ષમાં, પાંચમા મહિનાના સાતમા દિવસે, રાજાના અંગરક્ષકો, તેમનો સરદાર, નબૂઝારઅદાન અને તેના મંત્રીઓ યરૂશાલેમમાં પ્રવેશ્યા, 9 યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરનાં બધાં મકાનોને બાળી મૂક્યાં.
10 તેના લશ્કરે નગરની દીવાલો તોડી નાખી. 11 તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, અને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને દેશવટો દીધો. 12 અને ફકત વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને દ્રાક્ષની વાડીમાં અને ખેતરમાં મજૂરી કરવા માટે પાછળ રહેવા દીધા.
યહૂદાનો શાસન કર્તા ગદાલ્યા
22 બાબિલના રાજા નબૂખાદનેસ્સારે જે લોકોને યહૂદાના પ્રદેશમાં રહેવા દીધા હતા, તેમના પર રાજય કરવાને તેણે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને યહૂદામાં શાસન કર્તા તરીકે નીમ્યો.
23 જયારે લશ્કરી ટુકડીઓના સેનાપતિઓએ અને તેમના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને શાસન કર્તા નીમ્યો છે, ત્યારે તેઓ તેને મળવા મિસ્પાહ ગયા, એટલે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહનો પુત્ર યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો પુત્ર સરાયા, માઅખાથીનો પુત્ર યાઅઝાન્યા, અને તેઓના માણસો ગદાલ્યાને મળ્યા. 24 તેમની અને તેમના માણસોની સામે ગદાલ્યાએ વચન આપીને કહ્યું કે, “બાબિલવાસીઓથી ડરશો નહિ, દેશમાં શાંતિથી રહો અને બાબિલના રાજાનું પ્રભુત્વ સ્વીકારો, એટલે તે તમારી પ્રત્યે સારો રહેશે.”
25 સાતમા મહિનામાં રાજવંશના એલીશામાનો અને નથાન્યાના પુત્ર ઇશ્માએલે દસ માણસો સાથે ગદાલ્યા પાસે આવીને તેમજ મિસ્પાહમાં તેની સાથે રહેતા યહૂદાવાસીઓને અને બાબિલવાસીઓને મારી નાખ્યા. 26 ત્યારબાદ નાનાંમોટાં બધાંજ લોકો ઇસ્રાએલીઓ તથા લશ્કરના અમલદારો બાબિલવાસીઓની બીકથી મિસર ભાગી ગયા.
મૃત્યુમાંથી આપણે ઊઠીશું
12 ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊઠયો છે તેવો ઉપદેશ આપવામાં આવે છે તો તમારામાંના કેટલાએક એમ શા માટે કહે છે કે મૂએલાનું પુનરુંત્થાન નથી? 13 જો મૂએલાનું પુનરુંત્થાન નથી તો એનો અર્થ એ કે ખ્રિસ્ત મૃત્યુમાંથી કદી પણ ઊઠયો નથી. 14 અને જો ખ્રિસ્ત કદી પણ ઊઠયો નથી તો અમારો ઉપદેશ નિરર્થક છે. અને તમારો વિશ્વાસ અર્થહીન છે. 15 અને દેવ વિષે અસત્ય બોલવા માટે અમે ગુનેગાર ઠરીશું. શા માટે? કારણ કે અમે દેવ વિષે એવો ઉપદેશ આપ્યો કે દેવે ખ્રિસ્તને મૂએલામાંથી ઊઠાડયો છે. અને જો લોકો મૂએલામાંથી ઊઠયા ન હોય તો દેવે ખ્રિસ્તને મૂએલામાંથી કદી પણ ઊઠાડયો નથી. 16 જો મૃત લોકો મૂએલામાંથી ઊઠયા નથી તો ખ્રિસ્ત પણ કદી મૂએલામાંથી ઊઠયો નથી. 17 અને જો ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો નથી તો તમારો વિશ્વાસ નિરર્થક છે, પરંતુ તમે તમારાં પાપો માટે હજુ પણ દોષિત છો. 18 અને ખ્રિસ્તમાં જેઓ મરી ગયેલાં છે, તેઓ હંમેશને માટે વિલિન થઈ ગયા છે. 19 જો આપણી ખ્રિસ્તમાંની અભિલાષા માત્ર આ દુન્યવી જીવન પૂરતી મર્યાદિત હોય તો બીજા લોકો કરતાં પણ આપણે વધુ દયાજનક છીએ.
20 પરંતુ હકીકતમાં ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો છે. મૃત્યુની ઘેરી નિંદ્રામાં સૂતેલા તે બધા જ વિશ્વાસઓમાં તે પ્રથમ હતો. 21 કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે. 22 આદમ થકી આપણે સર્વ મૃત્યુ પામીએ છીએ અને તે જ રીતે ખ્રિસ્ત થકી આપણે સર્વ સજીવન થઈશું. 23 પરંતુ દરેક વ્યક્તિ યોગ્ય ક્રમમાં સજીવન થશે. સજીવન થવામાં ખ્રિસ્ત સૌ પ્રથમ હતો. જ્યારે ખ્રિસ્તનું પુનરાગમન થશે ત્યારે જે લોકો ખ્રિસ્તના છે તે લોકો પણ સજીવન થશે. 24 પછી અંત આવશે. ખ્રિસ્ત બધાજ શાસકો, અધિકારીઓ અને સત્તાઓનો ધ્વંશ કરશે, અને પછી તે દેવ પિતાને રાજ્યની સોંપણી કરશે.
25 જ્યાં સુધી દેવ બધાજ દુશ્મનોને ખ્રિસ્તના અંકુશ નીચે ન લાવે ત્યાં સુધી ખ્રિસ્તે શાસન કરવું જોઈએ. 26 મૃત્યુ તે આખરી દુશ્મન હશે જેનો નાશ થશે. 27 શાસ્ત્રલેખ કહે છે કે, “દેવ બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે.”(A) જ્યારે શાસ્ત્રલેખ, “બધીજ વસ્તુઓ” ને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે ત્યાં એ સ્પષ્ટ છે કે દેવનો આમાં સમાવેશ થતો નથી. કારણ કે દેવ તે એક છે કે જે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે. 28 જ્યારે ખ્રિસ્તના નિયંત્રણ નીચે બધી જ વસ્તુઓ આવશે. પછી પુત્ર પોતે જ જેવના નિયંત્રણને આધીન થશે. દેવ તે એક છે કે જે બધી વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે તેથી દેવ બધી જ વસ્તુઓના સંપૂર્ણ શાસક બનશે.
29 જો લોકોને મૂએલામાંથી કદી પણ ઊઠાડયા ન હોય તો મૃત્યુ પામેલા લોકોના વતી જે લોકો બાપ્તિસ્મા પામ્યા છે તેઓ શું કરશે? જો મૃત્યુ પામેલા લોકો કદી પણ ઊઠયા ન હોય તો તેઓના માટે લોકો શા માટે બાપ્તિસ્મા લે છે?
7 યોહાનના શિષ્યો પાછા ફરવા તૈયાર થયા, ઈસુએ લોકોને શું જોવા ઈચ્છો છો તે પૂછયું અને કહ્યું, “તમે ઉજજડ પ્રદેશમાં યોહાન પાસે ગયા ત્યારે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને જોવા ગયા હતા? ના! 8 તો તમે ત્યાં શું જોવા ગયા હતાં? શું જેણે ખૂબ સારા વસ્ત્રો પહેર્યા હતા તેવા માનવીને? ના! આવા સુંદર કપડા પહેરે છે તે તો રાજાના રાજમહેલમાં રહે છે. 9 તો પછી તમે શું જોવા ગયા હતાં? શું દેવના પ્રબોધકને જોવા ગયા હતાં? હા, હું તમને કહું છું, યોહાન તો પ્રબોધક કરતાં ઘણો અધિક છે. 10 યોહાન વિષે લખ્યું છે તે આ છે:
‘ધ્યાનથી સાંભળો! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
તે તમારા માટે માર્ગ તૈયાર કરશે.’ (A)
11 “હું તમને સત્ય કહું છું કે આજદિન સુધીમાં પૃથ્વી પર જન્મયા છે તેમાં યોહાન જેવો કોઈ ઉત્પન્ન થયો નથી, પણ આકાશના રાજ્યમાં સૌથી નાનો છે તે યોહાન કરતાં પણ મોટો છે. 12 યોહાન બાપ્તિસ્તના સમયથી આજદિન સુધી આકાશનું રાજ્ય આઘાત ઝીલતું રહ્યું છે, અને હિંસક સાધનોથી તેને છીનવી લેવાના પ્રયત્નો થયા છે. 13 બધાજ પ્રબોધકોએ અને નિયમશાસ્ત્રે યોહાન આવ્યો ત્યાં સુધી જે કાંઈ બનવાનું છે તે સંદેશ આપ્યો છે. 14 અને જો તમે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોએ જે કહ્યું છે તે સ્વીકારતા હો તો પછી તમારે તેનો સ્વીકાર કરવો હોય તો તે અગાઉ જણાવ્યા પ્રમાણે આવનાર એલિયા તે એ જ છે. 15 તમે લોકો મને સાંભળી શકો છો, તો ધ્યાનથી સાંભળો!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International