Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 97

યહોવા શાસન કરે છે.
    હે પૃથ્વી, આનંદિત થાઓ!
હે દૂરનાં પ્રદેશો,
    સુખી થાઓ!
તેની આસપાસ મેઘ ને અંધકાર છે;
    ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
અગ્નિ તેમની આગળ ચાલે છે
    અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.
તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે;
    તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના
    પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.
તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે;
    અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.

મૂર્તિઓનું પૂજન કરનારા
    અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ,
તેમના “દેવો” નમશે
    અને યહોવાની ઉપાસના કરશે.
હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું,
    તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.
હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો;
    અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
10 હે યહોવા, પર પ્રેમ કરનારાઓ,
    તમે દુષ્ટતાને ધિક્કારો,
તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે.
    તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
11 સજ્જનો પર તેજ પ્રકાશે છે,
    જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.
12 હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો;
    અને તેનાં પવિત્ર નામને માન આપો!

ગીતશાસ્ત્ર 99-100

યહોવા રાજ કરે છે,
    પ્રજાઓ તેમની સમક્ષ કાઁપો,
કરૂબીમ પર તે બિરાજે છે,
    સમગ્ર પૃથ્વી કાપો.
સિયોનમાં યહોવા મહાન છે
    તે સર્વ પ્રજાઓમાં પ્રતિષ્ઠિત છે!
તેઓ તમારા મહાન
    અને ભયાવહ નામની સ્તુતિ કરો;
    તે પવિત્ર છે.
સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ,
    તમે ભલાઇનું સર્જન કર્યુ છે
    અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.
આપણા દેવ યહોવા મોટો મનાવો,
    અને તેમના ચરણોમાં તેમના પાયાસન પાસે આવો
    અને તેની ઉપાસના કરો, તે પવિત્ર છે.
તેમના યાજક, મૂસા, હારુન અને શમુએલે,
    સહાયને માટે યહોવાને વિનંતી કરી;
    ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો.
તેમણે મેઘસ્તંભમાંથી તેમની સાથે વાત કરી,
    તેઓ તેમને આપેલા તેના આદેશો
    અને કાયદાને અનુસર્યા.
હે યહોવા, અમારા દેવ, તેં તેઓને ઉત્તર દીધો;
    જો કે તેં તેઓના કામનો બદલો વાળી દીધો.
    તો પણ તેઓને ક્ષમા કરનાર દેવ તો તું હતો.
આપણા યહોવા દેવને પ્રતિષ્ઠિત કરો.
    પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરો,
    કેમ કે આપણા દેવ યહોવા પવિત્ર છે.

આભારસ્તુતિનું ગીત.

હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!
આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં;
    તેમની સમક્ષ આવો.
અને તમે જાણો, યહોવા તે જ દેવ છે;
    તેણે આપણને ઉત્પન્ન કર્યા છે, અને આપણે તેનાં જ છીએ;
    આપણે તેમનાં લોકો અને આપણે તેમનાં ઘેટા છીએં.
આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો,
    અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો;
    આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.
કારણ, યહોવા ઉત્તમ છે,
    તેમની કૃપા સર્વકાળ છે;
    અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.

ગીતશાસ્ત્ર 94-95

હે દેવ યહોવા, ખોટું કરનારને તમે શિક્ષા કરો છો,
    હે બદલો લેનારા દેવ! દર્શન આપો!
હે પૃથ્વીના ન્યાયાધીશ,
    ઊઠો અને ગવિર્ષ્ઠોને યોગ્ય શિક્ષા કરો.
હે યહોવા, ક્યાં સુધી તમે દુષ્ટ લોકોને તેમની હસીમજાક કરવા દેશો?
    કેટલી વધારે?
તેઓ અભિમાન યુકત વાતો કરે છે;
    અને સર્વ અન્યાય કરનારા વડાઇ કરે છે.
હે યહોવા, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે;
    અને તેઓ તમારા વારસાને દુ:ખ દે છે.
તેઓ વિધવાઓ અને વિદેશીઓની ભારે હત્યા કરે છે;
    અનાથની હત્યા કરે છે.
તેઓ કહે છે, “યહોવા અમને જોતા નથી.
    યાકૂબના દેવ ધ્યાન આપતા નથી.”

હે મૂર્ખ લોકો,
    ડાહ્યાં થાઓ!
ઓ અજ્ઞાની લોકો
    તમે ક્યારે ડાહ્યાં થશો?
જે કાનનો ઘડનાર છે,
    તે નહિ સાંભળે?
આંખનો રચનાર જે છે
    તે શું નહિ જુએ?
10 જે રાષ્ટ્રોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સખત ઠપકો આપતા નથી?
    દેવ લોકોને તેઓ જે જાણે છે તે શીખવે છે.
11 યહોવા સારી રીતે જાણે છે
    કે માનવજાતના વિચારો કેવાં વ્યર્થ અને મર્યાદિત છે!

12 હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો,
    તેઓને આશીર્વાદ મળેલા છે.
13 તમે તેના પર સંકટના દિવસો નથી આવવા દેતા,
    દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી.
14 યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ;
    અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
15 કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે
    અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.

16 મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે?
    દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?
17 યહોવાએ મારી સહાય ન કરી હોત
    તો હું જરૂર મૃત્યુ પામ્યો હોત.
18 જ્યારે મેં વિચાર્યુ કે હું હવે પડવાનો છું
    ત્યારે યહોવા દેવે મને ટેકો આપ્યો.
19 હે યહોવા, મારા મન અને હૃદય ચિંતા અને પરેશાનીથી ભરાઇ ગયા હતાં.
    પરંતુ તમે મને દિલાસો આપ્યો અને મને સુખી બનાવ્યો.

20 હે દેવ, ચોક્કસ, તમે દુષ્ટ શાસકોને ટેકો આપતા નથી જેઓએ
    પોતાના નિયમો દ્વારા લોકોનું જીવન વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
21 તેઓ સારા લોકો પર હુમલો કરે છે;
    તેઓ નિર્દોષને દોષિત ઠરાવીને તેમને મૃત્યદંડ આપે છે.
22 પણ યહોવા મારા ગઢ છે, અને મારો દેવ મારા સાર્મથ્યવાન ખડક છે;
    અને હું તેમનો આશ્રય લઉં છું.
23 દેવ દુષ્ટ માણસોના પાપ પ્રમાણે તેઓને બદલો આપ્યો છે;
    અને તે બધાનો સંહાર કરશે, તેઓની દુષ્ટતાને કારણે,
    યહોવા આપણો દેવ તેઓનો જરૂર સંહાર કરશે.

આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ;
    આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ;
    અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
કારણ, યહોવા મહાન દેવ છે;
    તે સર્વ દેવો પર મહાન રાજા છે.
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે;
    અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ
    પણ બનાવી તેમના તે માલિક છે.
આવો આપણે તેને ભજીએ અને નમીએ;
    ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
કારણ તે આપણા દેવ છે,
    આપણે તેના ચારાના લોક
    અને તેના હાથના ઘેટાં છીએ.

આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
    દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં,
    પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
તમારા પિતૃઓએ મારી કસોટી કરી,
    પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
10 યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું,
    તે લોકો અવિનયી છે.
    તેઓએ મારા માર્ગો કદી શીખ્યાં નથી.
11 મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી
    કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં,
    તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”

2 કાળવૃત્તાંતનું 29:1-3

રાજા હિઝિક્યા દ્વારા મંદિરનું શુદ્ધિકરણ

29 પચીસ વર્ષની ઉંમરે હિઝિક્યા યહૂદાનો રાજા બન્યો અને તેણે યરૂશાલેમમાં 29 વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ અબિયા હતું. તે ઝખાર્યાની પુત્રી હતી. હિઝિક્યાએ પોતાના પિતૃ દાઉદની જેમ યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.

તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે યહોવાના મંદિરના બારણા ખોલી નાંખ્યાં અને તેમની મરામત કરાવી.

2 કાળવૃત્તાંતનું 30

હિઝિક્યા પાસ્ખાપર્વ ઉજવે છે

30 એ પછી હિઝિક્યાએ સમગ્ર ઇસ્રાએલના અને યહૂદાના લોકોને સંદેશો મોકલ્યો અને એફ્રાઇમ અને મનાશ્શાના લોકોને પત્રો લખ્યા અને તેમને ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા યરૂશાલેમમાં યહોવાના મંદિરમાં આવવા જણાવ્યું. રાજા, તેના અધિકારીઓ અને યરૂશાલેમના લોકોએ નિર્ણય કર્યો કે વર્ષના બીજા મહિનામાં, પાસ્ખાપર્વ ઉજવવો. પરંતુ પૂરતી સંખ્યામાં યાજકો પવિત્ર થયા ન હતા, અને યરૂશાલેમમાં ઘણા લોકો નહોતા, તેથી તેઓ પ્રથમ મહિનામાં સમયસર પાસ્ખા પર્વ ઉજવી ન શક્યા. આ કરાર રાજાને તેમજ સમગ્ર સભાને સ્વીકાર્ય હતો. આથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેર-શેબા સુધી સમગ્ર ઇસ્રાએલમાં એવો ઢંઢેરો કરાવવો કે, બધા લોકોએ ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા માટે યરૂશાલેમ આવવું, કારણ, બહુ ઓછા માણસોએ નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ મુજબ ઉજવ્યું હતું. રાજાના અને તેના અમલદારોના પત્રો લઇને કાસદો સમગ્ર ઇસ્રાએલમાં અને યહૂદામાં પહોંચી ગયા. રાજાની આજ્ઞા પ્રમાણે કહ્યું કે,

“હે ઇસ્રાએલ પુત્રો, તમો ઇબ્રાહિમ, ઇસહાક અને ઇસ્રાએલના દેવ યહોવા પ્રત્યે પાછા વળો, જેથી આશ્શૂરના રાજાઓના પંજામાંથી તમારામાંના જે બચી ગયા છે, તેમના પ્રત્યે યહોવા પાછો વળે. તમારા પૂર્વજોએ- વડીલો અને દેશબંધુઓ જેવા થશો નહિ; એમણે તો પોતાના પિતૃઓના દેવ યહોવાનો દ્રોહ કર્યો હતો અને યહોવાએ તેમને વિનાશના મોંમા સોંપી દીધા હતા તે તમે જોયું છે; હવે તમે અમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. યહોવાને તાબે થાઓ. સદાને માટે એણે જેને પવિત્ર કર્યું છે તે પરમપવિત્રસ્થાનમાં આવો, તમારા દેવ યહોવાની સેવા કરો, જેથી તેનો રોષ તમારા ઉપરથી ઊતરી જાય. જો તમે સાચા દિલથી યહોવા તરફ પાછા વળશો તો, તમારા દેશબંધુઓ અને તમારા પુત્રો ઉપર તેમને બાન પકડનારાઓ દયા કરશે અને તેઓ પાછા આ ભૂમિમાં આવી શકશે, કારણ, તમારો દેવ યહોવા કૃપાળુ અને દયાળુ છે. તમે જો તેના તરફ પાછા વળશો તો, એ તમારાથી વિમુખ નહિ રહે.”

10 સંદેશવાહકો એફ્રાઇમ અને મનાશ્શા અને ઠેઠ ઝબુલોન સુધી ગામેગામ ફરી વળ્યા, પણ લોકોએ તેમની હાંસી ઉડાવી અને હસી કાઢયા. 11 જો કે આશેર મનાશ્શા અને ઝબુલોનમાં થોડા માણસો સમજી ગયા અને તેઓ યરૂશાલેમમાં આવ્યા. 12 પણ દેવે યહૂદાના લોકોને એવી પ્રેરણા કરી કે રાજાએ અને તેના અમલદારોએ યહોવાની આજ્ઞાથી જે ફરમાવ્યું હતું તે એક મતે તેમણે માથે ચઢાવ્યું.

13 બેખમીર રોટલીનું પર્વ મે માસમાં કરવા માટે મોટો લોકસમુદાય યરૂશાલેમમાં એકત્ર થયો. 14 તેઓએ યરૂશાલેમમાં આવેલી અન્ય દેવોની વેદીઓનો નાશ કર્યો, સર્વ ધૂપવેદીઓ તોડી નાખી અને તેઓને કિદ્રોન નાળામાં નાખી દીધી. 15 લોકોએ બીજા મહિનાના ચૌદમાં દિવસે પાસ્ખાનાં હલવાન વધ કર્યા. યાજકો અને લેવીઓ શરમીંદા થઇ ગયા હતા અને તેઓએ પોતાને પવિત્ર કર્યા અને યહોવાનાં મંદિરમાં દહનાર્પણો કર્યા. 16 પછી તેઓ, મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી રકત લઇને વેદી પર છાંટયું. 17 જે લોકો ભેગા થયા હતા તેઓમાંના ઘણાએ વિધિપૂર્વક દેહશુદ્ધિ કરી નહોતી, એટલે એ લોકો રિવાજ પ્રમાણે પાસ્ખાના હલવાન ચઢાવી શકે એમ નહોતા. આથી તેમના વતી યહોવા માટે હલવાનો પવિત્ર કરીને, પાસ્ખાના બલિ ચઢાવવાનું કામ લેવીઓને સોંપવામાં આવ્યું.

18 ખરું જોતાં, એફ્રાઇમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલોનના ઘણાંખરાં માણસોએ દેહશુદ્ધિ કરી નહોતી, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસ્ખાનું ભોજન લીધું હતું. પણ હિઝિક્યાએ તેમને માટે પ્રાર્થના કરી કે, 19 “કૃપાળુ યહોવા જે કોઇ પોતાના પિતૃઓના દેવ યહોવાની અંત:કરણથી ઉપાસના કરે છે તેના દોષ માફ કરો- પછી ભલે તેણે વિધિપૂર્વક દેહશુદ્ધિ ન કરી હોય.” 20 યહોવાએ હિઝિક્યાની પ્રાર્થના સાંભળી અને લોકોને કશી ઇજા ન કરી. 21 આ રીતે ઇસ્રાએલી લોકોએ યરૂશાલેમમાં સાત દિવસ સુધી બહુ આનંદ સાથે બેખમીર રોટલીના પાસ્ખાપર્વની ઉજવણી કરી. તે દરમ્યાન લેવીઓ અને યાજકો દરરોજ ગીતો અને વાજિંત્રો સાથે યહોવાની સ્તુતિ કરતા હતા. 22 હિઝિક્યા રાજાએ લેવીઓને દેવળમાં ઉત્તમ સેવા આપવા બદલ અત્યંત પ્રશંસા કરી. આમ સાત દિવસ સુધી ઉજવણી ચાલુ રાખી, અને શાંત્યર્પણોના બલિદાન અર્પવામાં આવ્યાં અને લોકોએ તેઓના પિતૃઓના દેવ યહોવાનો આભાર માન્યો અને તેમની સ્તુતિ કરી.

23 ત્યારબાદ સમગ્ર સંઘ બીજા સાત દિવસ સુધી ઉત્સવ ઉજવવા માટે સંમત થયો. અને તેમણે બીજા સાત દિવસ સુધી આનંદોત્સવ કર્યો. 24 કારણકે, યહૂદાના રાજા હિઝિક્યાએ સંઘ તરફથી ધરાવવા માટે 1,000 બળદો અને 7,000 ઘેંટા પૂરા પાડ્યા હતા, અને તેના અમલદારોએ એ ઉપરાંત બીજા 1,000 બળદો અને 10,000 ઘેંટા આપ્યા હતા અને યાજકોએ મોટી સંખ્યામાં દેહશુદ્ધિ કરી હતી. 25 એ યાજકો અને લેવીઓ સહિત યહૂદાના સમગ્ર સંઘે તેમજ ઇસ્રાએલથી આવેલા સમગ્ર સંઘે તથા જે વિદેશીઓ ઇસ્રાએલથી આવ્યા હતા તેમજ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ માણ્યો. 26 યરૂશાલેમમાં પણ ભવ્ય આનંદ ઉત્સવ ઉજવાયો. જે ઇસ્રાએલના રાજા સુલેમાનના સમય પછી કદી થયો જાણ્યો નથી. 27 ત્યારબાદ યાજકો અને લેવીઓએ ઊભા થઇ આશીર્વાદ આપ્યા, તેમનો અવાજ દેવના પવિત્ર નિવાસમાં-સ્વર્ગમાં પહોંચ્યો અને દેવે તેમની પ્રાર્થના સ્વીકારી.

1 કરિંથીઓ 7:32-40

32 તમે ચિંતામાથી મુક્ત થાવ તેવું હું ઈચ્છું છું. જે માણસ વિવાહિત નથી તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. 33 પરંતુ જે માણસ વિવાહિત છે, તે દુન્યવી બાબતોમાં સંકળાયેલો છે. તે પોતાની પત્નીને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 34 તેણે તે બે વસ્તુઓ વિષે વિચારવું જોઈએ. પત્નીને ખુશ કરવી અને પ્રભુને પ્રસન્ન કરવા. જે સ્ત્રી અવિવાહિત છે અથવા તો એ કન્યા કે જેણે કદી લગ્ન કર્યુ જ નથી, તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે હેતુપૂર્વક તે શરીર તથા આત્મામાં પવિત્ર થવા માગે છે. પરંતુ પરણેલી સ્ત્રી દુન્યવી બાબતોમાં વ્યસ્ત છે. તે પોતાના પતિને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે. 35 તમને મદદ કરવાના હેતુથી આ બાબતો હું કહી રહ્યો છું. હું તમને સીમાબદ્ધ કરવા નથી માગતો. પરંતુ તમે યોગ્ય રીતે જીવન જીવો તેમ હું ઈચ્છું છું. અને તમે બીજી કોઈ દુન્યવી બાબતમાં સમય નષ્ટ કર્યા સિવાય તમારી સંપૂર્ણ જાતને પ્રભુને સમર્પિત કરી દો એમ હું ઈચ્છું છું.

36 જો કોઈ માણસ એમ વિચારે કે તે તેની કુંવારી પુત્રી કે જેણે લગ્ન કરવા માટેનો ઉત્તમ સમય લગભગ પસાર કરી દીધો છે, તેની તરફનો તેનો વ્યવહાર યોગ્ય નથી તો તે વિચાર કરી શકે કે લગ્ન આવશ્યક છે. તે જે ઈચ્છે તેવું તેણે કરવું જોઈએ. તેણે તેઓને પરણવા દેવા જોઈએ. તે પાપ નથી. 37 પરંતુ બીજી વ્યક્તિ તેના વિચારમાં વધુ મક્કમ હોઈ શકે. લગ્ન માટેની કોઈ જરુંર નથી, તેથી તે જે કરવા ઈચ્છે તેના માટે તે મુક્ત છે. જો આ વ્યક્તિએ તેના હૃદયમાં તેની કુમારિકાને અવિવાહિત રાખવાનો નિર્ણય કર્યો હોય તો તે સારું કરી રહી છે. 38 તેથી વ્યક્તિ કે જે તેની કુમારિકાને લગ્ન માટે સોંપે છે તે યોગ્ય જ કરે છે, અને વ્યક્તિ કે જે તેની કુમારિકાને લગ્ન માટે સોંપતો નથી તે વધારે યોગ્ય કાર્ય કરે છે.

39 સ્ત્રીએ જ્યાં સુધી તેનો પતિ જીવિત હોય ત્યાં સુધી તેણે તેના પતિ સાથે રહેવું જોઈએ. પરંતુ જો પતિ મૃત્યુ પામે તો પત્ની ઈચ્છે તો તે સ્ત્રી કોઈ પણ માણસને પરણવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેણે પ્રભુમાં લગ્ન કરવું જોઈએ. 40 જો તે સ્ત્રી ફરીથી લગ્ન ન કરે તો તે વધુ પ્રસન્ન રહેશે. આ મારો અભિપ્રાય છે, અને હું માનું છું કે મારામાં દેવના આત્માનો નિવાસ છે.

માથ્થી 7:1-12

ઈસુ બીજાને દોષિત ન ઠરાવવા વિષે શિક્ષણ આપે છે

(લૂ. 6:37-38, 41-42)

“બીજાઓને દોષિત ન ઠરાવો, અને દેવ તમને દોષિત ઠરાવશે નહિ. તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.

“જો તારી આંખમાં ભારોટિયો હોય તે તું જોઈ નથી શકતો તો તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? તું તારા ભાઈને કેવી રીતે કહી શકે, ‘તારી આંખમાં જે તણખલું છે તે મને કાઢવા દે?’ જ્યારે તારી આંખમાં મોટો ભારોટિયો હોય! ઓ ઢોંગી તું પહેલાં તારી આંખમાંનો મોટો ભારોટિયો દૂર કર, પછી તું સારી રીતે જોઈ શકીશ. અને તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢી શકીશ.

“જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ના નાંખો અને ભૂંડોની આગળ મોતી ન વેરો. કદાચ તેઓને પગ નીચે કચડી નાંખે અને તમારા તરફ પાછા ફરી તમને ફાડી નાખે.

જે જોઈએ છે તેના માટે દેવને પ્રાર્થના કરો

(લૂ. 11:9-13)

“દેવ પાસે માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે, શોધવાનું ચાલું રાખો, અને તમને જડશે. ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે. કારણ કે જે માંગે છે તેને એ જરૂરથી મળે છે, જે શોધતા રહે છે તેમને જરૂરથી પ્રાપ્ત થાય છે. અને જે ખટખટાવે છે, તેમને માટે દરવાજા અવશ્ય ઉઘડી જાય છે.

“તમારામાંના કોઈ એકને દોકરો છે? જો તારો દીકરો તારી પાસે રોટલી માંગે તો શું તું તેને પથ્થર આપીશ? ના! 10 જો તારો દીકરો તારી પાસે માછલી માંગે તો તું તેને સર્પ આપશે? ના! 11 તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે.

અગત્યનો નિયમ

12 “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International