Book of Common Prayer
સુલેમાનનું ગીત.
1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
આબાદી ને સમૃદ્ધિ લાવશે.
4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
6 જેમ ખેતરો પર વરસાદ પડે છે,
વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
7 તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
9 તેની સમક્ષ રણવાસીઓ નમશે,
અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ,
તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 સર્વ રાજાઓ તેને નમન કરશે,
અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરશે.
12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે,
પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે,
અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે;
તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે,
રાજા ઘણું લાંબુ જીવો!
તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે;
ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 દેશમાં પર્વતોનાં શીખરો પર
પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે,
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ,
ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે;
અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે;
તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે;
તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.
18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!
20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.
યોદ
73 તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે;
તમારી આજ્ઞાઓ શીખવો;
અને તેનું પાલન કરવાની સમજ આપો.
74 તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે;
કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.
75 હે યહોવા, હું જાણું છું કે તમે આપો છો તે વચનો સાચા અને ન્યાયી હોય છે.
અને મને પીડા આપવાનું તમારા માટે ન્યાયી હતું.
76 તમારા વચન પ્રમાણે તમારા સેવકને
તમારી કૃપાથી આશ્વાસન ને પ્રેમ મળો.
77 હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો,
તમારો નિયમ એ જ મારો આનંદ છે.
78 ભલે અભિમાનીઓ લજ્જા પામો, તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે
અને ખોટી રીતે મારા પર આક્ષેપ કર્યા છે.
છતાં હું તો તમારા શાસનોનું મનન કરું છું.
79 ભલે તમારા ભકતો, જેઓ તમારો આદર કરે છે
અને જેમને તમારા સાક્ષ્યો વિષે જ્ઞાન છે;
તેઓ મારી પાસે આવો.
80 તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિર્દોષ શુદ્ધ રહો;
તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો;
જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.
કાફ
81 મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે.
પણ હું તમારા વચનની આશા રાખું છું.
82 તમે જે બાબતો માટે વચન આપેલું તેના માટે રાહ જોવાનું મેં ચાલુ રાખ્યું છે.
જેને કારણે મારી આંખો નબળી થઇ રહી છે.
તમે મને ક્યારે આશ્વાસન આપશો?
83 હું કચરાના ઢગલા પર પડેલી સૂકાયેલા ચામડાની કોથળી જેવો થઇ ગયો છું,
પણ હું તમારા નિયમોને ભૂલતો નથી.
84 કેટલા દિવસ છે તારા સેવકના?
તમે મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?
85 જે ગવિર્ષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા;
તેઓએ ખાડા ખોદ્યા છે મારા માટે.
86 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે.
તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
87 તેઓએ લગભગ મને મારી નાખ્યો,
છતાં મેં તમારા શાસનોનું પાલન કરવાનું છોડ્યું નહિ.
88 તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો;
એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
લામેદ
89 હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે;
તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.
91 તમારા ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજની સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ,
તે સર્વ તમારા સેવકો છે.
92 જો મેં આનંદ માણ્યો ન હોત તમારા નિયમમાં;
તો હું મારા દુ:ખમાંજ નાશ પામ્યો હોત.
93 હું કદી ભૂલીશ નહિ તમારા શાસનોને,
કારણકે તમે મને તેઓથીજ જિવાડ્યો છે.
94 હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ,
મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.
95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઇ રહ્યા છે;
છતાં હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે,
પરંતુ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
મીખાયાની આહાબને ચેતવણી
22 ત્રણ વર્ષ સુધી અરામીઓ અને ઇસ્રાએલીઓ વચ્ચે કોઈ લડાઈ થઈ નહિ. 2 પરંતુ ત્રીજે વર્ષે યહૂદાનો રાજા યહોશાફાટ ઇસ્રાએલના રાજાને મળવા ગયો.
3 ઇસ્રાએલના રાજાએ પોતાના અમલદારોને કહ્યું, “તમે જાણો છો કે અરામના રાજાએ હજી સુધી રામોથ-ગિલયાદને પોતાના કબજા હેઠળ રાખ્યું છે જે આજે પણ આપણાં છે અને આપણે હજી સુધી કશું કર્યા વગર શાંત બેસી રહ્યા છીએ.” 4 પછી યહોશાફાટ તરફ ફરીને તેણે કહ્યું, “તમે રામોથ-ગિલયાદ પર ચડાઈ કરવા માંરી સાથે આવશો?”
યહોશાફાટે ઇસ્રાએલના રાજાને જવાબ આપ્યો, “આપણે બે કંઈ જુદા નથી. માંરા સૈનિકો એ તમાંરા જ સૈનિકો છે. માંરા ઘોડા એ તમાંરા જ ઘોડા છે. 5 પણ પહેલાં યહોવાને આ બાબતમાં તેમની શી ઇચ્છા છે, તે જાણવા પ્રશ્ર્ન કરો.”
6 આથી ઇસ્રાએલના રાજાએ 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા. અને તેમને પૂછયું, “માંરે રામોથ-ગિલયાદ પર હુમલો કરવો કે રાહ જોવી?”
તેમણે કહ્યું, “હુમલો કરો, યહોવા તેને રાજાના હાથમાં સુપ્રત કરશે.”
7 “પણ યહોશાફાટે પૂછયું, અહીં યહોવાનો બીજો કોઈ પ્રબોધક નથી, જેને આપણે આ પ્રશ્ર્ન પૂછી શકીએ?”
8 ઇસ્રાએલના રાજાએ જવાબ આપ્યો, “બીજો એક પ્રબોધક છે, જેના દ્વારા આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ; પણ હું તેનો તિરસ્કાર કરું છે, કારણ તે કદી માંરે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી. તે ફકત માંરું ખરાબ જ બોલે છે, તેનું નામ મીખાયા છે, ને તે યિમ્લાહનો પુત્ર છે.”
તેથી યહોશાફાટે કહ્યું, “રાજા આહાબ, તમાંરે તેવી વાત ન કરવી જોઇએ.”
9 આથી ઇસ્રાએલના રાજાએ પોતાના એક અમલદારને બોલાવી કહ્યું, “મીખાયાને તાત્કાલિક બોલાવી લાવ.”
10 ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ સમરૂનના દરવાજા પાસે સિંહાસનો પર બેઠા હતા. તેઓએ રાજાનો પોષાક પહેર્યો હતો અને તેમની સામે બધા પ્રબોધકો ભવિષ્યવાણી કરી રહ્યાં હતા. 11 આ બધાં પ્રબોધકોમાં એક પ્રબોધક સિદકિયા હતો, જે કનાઅનાહનો પુત્ર હતો. તેણે લોખંડના શિંગડા બનાવીને જાહેર કર્યું, “યહોવા કહે છે કે ‘આ લોખંડના શિંગડાઓ વાપરીને તમે અરામીઓને ઘાયલ કરશો અને અંતે તેમનો નાશ થશે.’” 12 તમાંમ પ્રબોધકોએ એવું જ ભવિષ્ય ભાખ્યું; તેમણે કહ્યું, “રામોથ-ગિલયાદ પર હુમલો કરો અને વિજય પ્રાપ્ત કરો. યહોવા તેને રાજાના હાથમાં સુપ્રત કરશે.”
13 મીખાયાને તેડવા ગયેલા માંણસે મીખાયાને કહ્યું, “ધ્યાન રાખજો કે બધા જ પ્રબોધકોએ એકી અવાજે રાજાને માંટે સારું ભવિષ્ય ભાખ્યું છે, તમે પણ તેના માંટે તેમના જેવું જ કહેજો.”
14 પરંતુ મીખાયાએ કહ્યું, “યહોવાના સમ હું તો યહોવા કહેશે તે જ પ્રમાંણે કરીશ.”
15 જયારે મીખાયા રાજાની સન્મુખ આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોદ-ગિલયાદ પર હુમલો કરીએ કે રોકાઈ જઈએ?”
તેણે કહ્યું, “હુમલો કરો અને વિજય પામો. યહોવાએ નગર રાજાના હાથમાં સુપ્રત કરી દેશે.”
16 રાજાએ કહ્યું, “યહોવાને નામે માંત્ર સાચું જ બોલવા માંટે માંરે તારી પાસે કેટલી વખત સોગંદ લેવડાવવા?”
17 મીખાયાએ કહ્યું, “મેં બધા ઇસ્રાએલીઓને એક ઘેટાપાળક વગરનાં ઘેટાંના ટોળાની જેમ પર્વતો પર વેરવિખેર થઈ ગયેલા જોયા છે, અને મેં યહોવાને એમ બોલતા સાંભળ્યા છે કે, ‘એ લોકોનો કોઈ ધણી નથી, તેથી તેઓ ભલે શાંતિથી ઘેર જાય.’”
18 આ સાંભળીને ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે, એ કદી માંરા માંટે કંઇ પણ સારુ બોલતો નથી પણ હંમેશા ખરાબ જ બોલે છે!”
19 મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો, મેં યહોવાને તેના સિંહાસન પર આકાશમાં બિરાજેલા જોયા છે. તેમને જમણે અને ડાબે બધા દેવદૂતો તેમની સેવામાં ઊભા છે. 20 યહોવાએ કહ્યું, ‘આહાબને રામોથ ગિલીયાદના ધરે જઇ આમ્મોનિયો વિરુદ્ધ લડાઇ કરવા અને ત્યાં મરવા કોણ લલચાવશે?’ આ વિષે તેમની વચ્ચે ઘણા સૂચનો થયાં, 21 છેવટે એક દૂતે યહોવાની નજીક આવીને કહ્યું, ‘હું એ કામ કરીશ.’ યહોવાએ પૂછયું, કેવી રીતે? 22 તેણે કહ્યું, ‘હું જઈને તેના બધા પ્રબોધકોના મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ પછી યહોવાએ કહ્યું, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થઈશ. જા, અને એ પ્રમાંણે કર.’”
23 આમ, આપ જુઓ છો કે, “યહોવાએ તમાંરા બધા પ્રબોધકો પાસે જૂઠી ભવિષ્યવાણી કરાવડાવી છે, કારણ કે તેણે આપને માંથે આફત ઊતારવાનું નક્કી કર્યુ છે.”
24 એ વખતે કનાઅનાહના પુત્ર સિદિક્યાએ આવીને મીખાયાના મોઢા પર લાફો ચોડી દીધો, અને પૂછયું, “જ્યારે મને તમાંરી પાસે જવા માંટે છોડી મુક્યો ત્યારે યહોવાની શકિત ક્યાં ચાલી ગઇ?”
25 મીખાયાએ સામે જવાબ આપ્યો, “એ તો તું જયારે ભાગીને ઘરના અંદરના ઓરડામાં સંતાઈ જશે ત્યારે તને એની ખબર પડશે.”
26 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “મીખાયાને કેદ પકડો અને નગરના આગેવાન આમોનને અને રાજાના પુત્ર યોઆશને સોંપી દો. 27 અને તેમને કહો કે, રાજાની એવી આજ્ઞા છે કે, આને કેદમાં પૂરી દો, અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી જીવતો રહે એટલાં જ રોટલા અને પાણી સિવાય બીજું કશું આપશો નહિ.”
28 મીખાયાએ કહ્યું કે, “તમે જો સુરક્ષિત પાછા આવો તો સમજવું કે માંરી માંરફતે યહોવા નહોતા બોલ્યા. તેણે એમ પણ કહ્યું તમે બધા લોકો સાંભળો.”
વધસ્તંભ પર ખ્રિસ્ત વિષેનો સંદેશ
2 પ્રિય ભાઈઓ અને બહેનો, જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે મેં તમારી સમક્ષ દેવ વિષેનું સત્ય પ્રગટ કર્યુ. પણ મેં સુશોભિત વચનો કે ઉત્કૃષ્ટ જ્ઞાનનો ઉપયોગ કર્યો ન હતો. 2 મેં નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી હું તમારી સાથે હોઈશ ત્યાં સુધી હું ઈસુ ખ્રિસ્ત અને તેના વધસ્તંભ પરના મૃત્યુ સિવાય દરેક વસ્તુ ભૂલી જઈશ. 3 જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે હું અશક્ત હતો અને ભયથી ધ્રૂજતો હતો. 4 મારી વાણી અને મારો ઉપદેશ લોકો સમજે અને સંમત થાય તેવા જ્ઞાની વચનોથી ભરપૂર ન હતાં. પરંતુ આત્માએ મને જે શક્તિ આપી તે મારા ઉપદેશનું પ્રમાણ હતું. 5 મેં આમ કર્યુ જેથી કરીને તમારો વિશ્વાસ માણસના જ્ઞાન કરતા દેવના સાર્મથ્યમાં જળવાઈ રહે.
દેવનું જ્ઞાન
6 જે લોકો પરિપકવ છે તેમને અમે જ્ઞાનનો ઉપદેશ શીખવીએ છીએ, પરંતુ જે જ્ઞાન અમે આપીએ છીએ તે આ દુનિયાનું નથી. તે આ દુનિયાના શાસકોનું જ્ઞાન નથી કે જે શાસકો તેમની સત્તા ગુમાવી રહ્યા છે. 7 પરંતુ અમે દેવના રહસ્યપૂર્ણ જ્ઞાન વિષે કહીએ છીએ કે જે જ્ઞાન લોકોથી છુપાવવામાં આવ્યું હતું. દેવે આ જ્ઞાન આપણા જ મહિમા માટે આયોજિત કરેલું. જગતનાં પ્રારંભ પૂર્વેથી દેવે આ યોજના કરેલી. 8 આ જગતના કોઈ પણ અધિકારીઓ આ શાણપણનો પાર પામી શક્યા નથી. જો તેઓ તે સમજી શક્યા હોત, તો તેઓ પ્રભુને વધસ્તંભે ન જડત. 9 પરંતુ જે રીતે શાસ્ત્રમાં લખ્યું છે તે રીતે,
“નથી આંખે જોયું,
નથી કાને સાભળ્યું,
નથી કોઈ વ્યક્તિએ કલ્પના કરી કે
તે લોકો જેઓ તેને પ્રેમ કરે છે તેમના માટે દેવે શું તૈયાર કર્યુ છે.” (A)
10 પરંતુ દેવે બધી બાબતો આપણને આત્મા દ્વારા દર્શાવી છે. આત્મા આ બધી બાબતો જાણે છે.
આત્મા તો દેવનાં ઊડા રહસ્યોને પણ જાણે છે. 11 તે આ પ્રમાણે છે: કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિના વિચારો જાણી શક્તી નથી. ફક્ત તે વ્યક્તિમાં રહેલો આત્મા જ તે વિચારો જાણી શકે છે. દેવ સાથે પણ આમ જ છે. દેવના વિચારો કોઈ જાણી શકતું નથી. ફક્ત દેવનો આત્મા જ તે વિચારો જાણે છે. 12 જગતના આત્માને તો આપણે પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ દેવ તરફથી પ્રાપ્ત થયેલા આત્માને આપણે મેળવ્યો છે. આપણે આ આત્મા પ્રાપ્ત કર્યો છે, તેથી દેવે આપેલી વસ્તુઓને આપણે જાણી શકીએ છીએ.
13 જ્યારે અમે આ વાતો કહીએ છીએ ત્યારે અમે મનુષ્યે શીખવેલા શબ્દો વાપરતા નથી. અમે આત્માએ શીખવેલા શબ્દો વાપરીએ છીએ. અમે આત્મિક બાબતો સમજાવવા આત્મિક શબ્દો વાપરીએ છીએ.
ઈસુ દ્વારા કેટલાક પ્રેરિતોની પસંદગી
(માર્ક 1:16-20; લૂ. 5:1-11)
18 ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન (જે પિતર કહેવાતો) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા. તેઓ જાળથી માછલા પકડતા હતાં. તેઓ માછીમાર હતા. 19 ઈસુએ કહ્યું, “ચાલો મારી પાછળ આવો. હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ. તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે.” 20 તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં.
21 ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી. તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે, મારી સાથે ચાલો. 22 બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા.
ઈસુ બોધ કરે છે અને લોકોને સાજા કરે છે
(લૂ. 6:17-19)
23 ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં[a] ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો. તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા. 24 ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા, આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને, તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં; અને ઈસુએ તે બધાને સાજા કર્યા. 25 આથી ગાલીલથી તથા દશનગરથી[b] તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International