Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 45

નિર્દેશક માટે. રાગ: “શોશાન્નિમ.” કોરાહના કુટુંબનું માસ્કીલ. પ્રેમનું ગીત.

મારૂં હૃદય સુંદર શબ્દોથી ભરાઇ ગયું છે.
    મેં રાજા માટે કવિતા રચી છે તે.
હું બોલ છું.
    મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઇ ગઇ છે.

તમે કોઇ પણ માણસ કરતાં વધારે સુંધર છો.
    તમારાં શબ્દો કૃપાથી ભરેલાં છે.
    તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો.
હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો;
    અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો.
તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, સત્ય અને ભલાઇ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ.
    પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શકિતશાળી જમણી બાહુ કેળવાયલી છે.
તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે,
    તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.
હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે;
    અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.
તમને ન્યાયીપણા પર પ્રીતિ છે, અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
    માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે;
    તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિકત કર્યા છે.
હાથીદાંતના મહેલોમાં મારાં વસ્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે,
    ને તારનાં વાદ્યો તને આનંદ આપે છે.
તમારી માનીતી સ્રીઓમાં ઘણી રાજકુમારીકાઓ છે.
    શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે.

10 હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર;
    ને પછી વિચાર કર;
તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા.
11     તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે,
તે તારા સ્વામી છે,
    માટે તેની સેવાભકિત કર.
12 તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો
    લઇને તમને મળવા આવશે.

13 અતિ સુંદર રાજકન્યા, જનાનખાનામાં રાહ જુએ છે;
    તેનાં સુંદર જરીનાં વસ્રોમાં, સોનાના તાર વણેલા છે.
14 તેણીએ સુંદર, શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે.
    તેણીને રાજા પાસે લઇ જવામાં આવે છે.
તમારા માટે લાવવામાં આવેલી
    કુમારિકાઓ તેને અનુસરે છે.
15 જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે
    ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલાં હશે.

16 તારા વંશજો તારા પછી શાસન કરશે.
    તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ.
17 હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ;
    પૃથ્વી પરનાં સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે.

ગીતશાસ્ત્ર 47-48

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો,
    આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના
    રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.
તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં
    અને આપણા શાસન નીચે મૂકે છે.
તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે,
    અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.

હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે,
    યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.
દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ;
    પ્રશંસા કરતાં ગીતો ગાઓ.
દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે.
    તેમની પ્રશંસાના ગીતો ગાઓ.
તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે,
    અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.
ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના
    નેતાઓ ભેગા થયા છે.
બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે,
    દેવ સવોર્ચ્ચ છે.

ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.

યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
    અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
    આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
    આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
તે નગરના મહેલોમાં
    દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
    અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
    જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
    ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
    અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
    તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
    આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.

હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
    પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
    તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
    અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
    અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
    તેના મહેલોની મુલાકાત લો;
    જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
    જે આપણને સદાય દોરી જશે.

1 રાજાઓનું 16:23-34

23 જ્યારે આસા યહૂદાના રાજા તરીકે 31 વર્ષ રહ્યો. ઓમ્રી ઇસ્રાએલનો રાજા બન્યો, અને તેણે 12 વર્ષ રાજ્ય કર્યું. એમાંથી તેણે છ વર્ષ તિર્સાહમાં રાજય કર્યું, 24 ત્યારબાદ તેણે શેમેર નામની વ્યકિત પાસેથી સમરૂનની ટેકરી સમરૂન પર્વત લગભગ 68 કિલો ચાંદી આપીને ખરીદી લીધી અને તેના પર તેણે શહેર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું.

25 ઓમ્રીએ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું; દુષ્ટતામાં તે પોતાના બધા પૂર્વજો કરતાં વધી ગયો. 26 તેણે નબાટના પુ્ત્ર યરોબઆમને માંગેર્ ચાલી, યરોબઆમની જેમ પોતે પાપ કર્યા અને ઇસ્રાએલ પાસે પણ પાપ કરાવ્યાં તથા મૂર્તિની પૂજા કરીને, ઇસ્રાએલના દેવ યહોવાને કોપાયમાંન કર્યા.

27 ઓમ્રીના શાસનના બીજા બનાવો અને તેનાં વિજયો ઇસ્રાએલીઓના રાજાઓના ઇતિહાસ નામક ગ્રંથમાં નોંધેલાં છે. 28 પછી ઓમ્રી પિતૃલોકને પામ્યો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આહાબ ગાદીએ આવ્યો.

ઇસ્રાએલનો રાજા આહાબ

29 યહૂદાના રાજા આસાના અમલમાં આડત્રીસમે વર્ષે ઓમ્રીનો પુત્ર આહાબ ઇસ્રાએલનો રાજા બન્યો; અને તેણે સમરૂનમાં 22 વર્ષ રાજ કર્યું. 30 ઓમ્રીના પુત્ર આહાબે યહોવાની નજરે અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. અને પોતાના બધા પૂર્વજો કરતાં પણ તે વધારે ખરાબ નીવડયો. 31 તેને માંટે નબાટના પુત્ર યરોબઆમના પગલે ચાલવું એ પૂરતું ન હતું. તેથી તેણે ઇઝેબેલ સાથે લગ્ન કર્યા જે સિદોનના રાજા એથ્બઆલની પુત્રી હતી, અને બઆલ દેવની પૂજા કરી હતી. 32 તેણે સમરૂનમાં બઆલ દેવની પૂજા માંટે એક મંદિર બંધાવી તેમાં એક વેદી ચણાવી. 33 આહાબે અશેરાહ દેવીની પણ એક મૂર્તિ ઊભી કરી, અને બીજાં પાપો પણ કર્યા, પરિણામે તેણે તેની સામે બીજા ઇસ્રાએલી રાજાઓ કરતાં પણ વધુ ઇસ્રાએલના દેવ યહોવાનો કોપ વહોરી લીધો.

34 તેના સમય દરમ્યાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું, તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબીરામ મરી ગયો, અને પોતાનો સૌથી નાનો પુત્ર સગૂબ જ્યારે તેના દરવાજાઓ ઊભા કર્યા ત્યારે મરી ગયો. નૂનના પુત્ર યહોશુઆના શબ્દો, કે જે યહોવાની ભવિષ્યવાણી હતી, આ રીતે સાચી પડી.

ફિલિપ્પીઓ 1:12-30

પાઉલની મુશ્કેલી પ્રભુના કાર્યને મદદરૂપ

12 ભાઈઓ અને બહેનો, હું તમને જણાવવા માગું છું કે મારી સાથે જે દુઃખદ બન્યું છે તે સુવાર્તાના ફેલાવામાં મદદરૂપ બન્યું છે. 13 હું ખ્રિસ્તમાં વિશ્વાસ ઘરાવું છું તેથી હું જેલમાં છું તે વાત સ્પષ્ટ બની છે. બધાં જ રાજ્ય દરબારનાં રક્ષકો અને બધા લોકો આ વાતથી જ્ઞાત છે. 14 હું હજુ જેલમાં છું પરંતુ તે વિષે હવે મોટા ભાગના વિશ્વાસીઓને કાંઈક સારું લાગે છે અને તેઓ ખ્રિસ્તની સુવાર્તા લોકોને કહેવા માટે વધુ હિમંતવાન બન્યા છે.

15 કેટલાક લોકો એદેખાઈ તથા વિરોધથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. જ્યારે બીજા લોકો મદદ કરવાનું ઈચ્છે છે તેથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. 16 આ લોકોમાં પ્રેમની લાગણી છે અને તેઓ જાણે છે કે દેવે મને સુવાર્તાનો બચાવ કરવાનું કામ સોપ્યું છે. તેથી તેઓ ઉપદેશ આપે છે. 17 પરંતુ પેલા બીજા લોકો સ્વાર્થી છે તેથી ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપવા માટેનું તેમનું કારણ ખોટું છે. તેઓ મારા માટે કેદખાનામાં મુશ્કેલીઓ ઊભી કરવા માંગે છે. 18 મારે માટે તેઓ મુશ્કેલી ઊભી કરે તેની હું દરકાર કરતો નથી. પરંતુ મહત્વનું એ છે કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. અને મારી એ ઈચ્છા છે કે તેઓ આમ કરે, પરંતુ તેઓએ યોગ્ય કારણથી આમ કરવું જોઈએ. જો કે તેઓ ખોટા અને ખરાબ કારણથી પણ આ કરે તેમા હું ખુશ છું.

હું પ્રસન્ન છું અને રહીશ કારણ કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. 19 તમે મારા માટે પ્રાર્થના કરો છો, અને ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરે છે. તેથી હું જાણું છું કે આ મુશ્કેલી જ મારું તારણ લાવશે. 20 હું જેની આશા રાખું છું અને ઈચ્છુ છું તે એ છે કે હંમેશની જેમ મારામાં, ખ્રિસ્તની મહાનતાનું મારી આ જીંદગીમાં જે મહત્વ છે તે હું દર્શાવી શકું અને ખ્રિસ્તને મારા કાર્યો થકી નિરાશ ન કરું. હું જીવું કે મરું મારે આ કાર્ય કરવું છે. 21 હું કહેવા માગું છું કે ખ્રિસ્ત માત્ર એક જ મારા જીવનમાં મહત્વનો છે. અને મને તો મરણથી પણ લાભ થવાનો છે.[a] 22 જો હું દેહમાં જીવતો હોઈશ તો હું પ્રભુના કાર્યો કરી શકીશ પરંતુ હું નથી જાણતો કે હું શું પસંદ કરું છું, મરવાનું કે જીવવાનું? 23 જીવન અને મરણ વચ્ચેની પસંદગી ઘણી મુશ્કેલ છે. આ જીવન જીવવાનું હું ઈચ્છુ છું, અને ખ્રિસ્ત સાથે થઈશ. કારણ કે તે વધારે સારું છે. 24 તમારા લોકો માટે મને અહીં આ શરીરરૂપે રહેવું વધુ જરૂરી છે. 25 મને ખબર છે કે તમને મારી જરૂર છે અને તેથી હું જાણું છું કે હું તમારી સાથે રહીશ. તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું હું તમને મદદ કરીશ. 26 જ્યારે ફરીથી હું તમારી સાથે હોઈશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં થતો ઘણો જ આનંદ તમે અનુભવશો.

27 એની ચોકસાઈ રાખો કે ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય જીવન તમે જીવો. તેથી હું તમને આવીને મળું કે હું તમારાથી દૂર હોઉં, હું તમારા વિષે સારી વાતો જ સાંભળું, મારે સાંભળવું જોઈએ કે તમે બધા આત્મીય એકતા રાખો છો અને એક ચિત્ત થઈને સાથે મળીને સુવાર્તામાંથી જે વિશ્વાસ આવે છે તે માટે કામ કરો છો. 28 અને જે લોકો તમારી વિરુંદ્ધ છે તેઓનાથી તમે ગભરાતા નથી આ સર્વ વસ્તુઓ દેવની સાબિતી છે કે તમારો ઉદ્ધાર થયો છે અને તમારા દુશ્મનોનો વિનાશ. 29 દેવે તમને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવા સન્માનીત કર્યા છે એટલું જ નહિ, પરંતુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કરવાનું માન પણ તેણે તમને આપ્યું છે. આ બંને વસ્તુ ખ્રિસ્તનો મહિમા વધારે છે. 30 જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે જે લોકો સુવાર્તાની વિરુંદ્ધ હતા તેઓની સાથેનો મારો સંઘર્ષ તમે જોયો હતો. અને અત્યારે મારી સાથે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે વિષે તમે સાંભળો છો. તમે પોતે પણ તે પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો.

માર્ક 16

ઈસુના મૃત્યુમાંથી સજીવન થયાના સમાચાર

(માથ. 28:1-8; લૂ. 24:1-12; યોહ. 20:1-10)

16 વિશ્રામવારના વીતી ગયા પછીના બીજા દિવસે, મરિયમ મગ્દલાની, શલોમી, તથા યાકૂબની મા મરિયમે કટલાક સુગંધીદાર દ્રવ્યો તેને ચોળવા સારું વેચાતાં લીધા. તે અઠવાડિયાના પ્રથમ દિવસે, વહેલી સવારમાં તે સ્ત્રીઓ કબર તરફ જતી હતી. સૂર્યોદય પહેલા તે ઘણા વહેલા હતા. તે સ્ત્રીઓએ અકબીજાને કહ્યું, “ત્યાં એક મોટો પથ્થર હતો જે કબરના પ્રવેશદ્ધારને ઢાંકતો હતો. આપણા માટે તે પથ્થર કોણ ખસેડશે?”

પછી તે સ્ત્રીઓએ નજર કરી અને જોયું તો પથ્થર ખસેડેલો હતો. તે પથ્થર ઘણો મોટો હતો. પરંતુ તે પ્રવેશદ્ધાર પાસેથી દૂર ખસેડાઇ ગયો હતો. સ્ત્રીઓ કબરમાં ગઈ. તેઓએ ત્યાં એક યુવાન માણસને સફેદ ઝભ્ભો પહેરેલો જોયો. તે માણસ કબરની જમણી બાજુએ બેઠેલો હતો. તે સ્ત્રીઓ ડરતી હતી.

પરંતુ તે માણસે કહ્યું, “ડરશો નહિ, તમે નાઝરેથના ઈસુને શોધો છો. જેને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. તે મૂએલામાંથી ઊઠ્યો છે! તે અહીં નથી; જુઓ, અહીં તે જગ્યા છે, તેઓએ તેને મૂક્યો હતો જ્યારે તે મરણ પામ્યો હતો. હવે જાઓ, અને તેના શિષ્યોને કહો અને પિતરને પણ કહો કે તે (ઈસુ) તમને ત્યાં મળશે. શિષ્યોને કહો, ‘ઈસુ ગાલીલમાં જાય છે. તે તમારા પહેલા ત્યાં હશે. અગાઉ તેણે કહ્યાં પ્રમાણે તમે તેને ત્યાં જોશો.’”

તે સ્ત્રીઓ ઘણી ડરી ગઈ હતી અને મુંઝાઇ ગઈ હતી. તેઓ કબર છોડીને દૂર દોડી ગઈ. તે સ્ત્રીઓએ જે કઈ બન્યું હતું તે વિષે કોઈને પણ કઈજ કહ્યું નહિ કારણ કે તેઓ ગભરાતી હતી.[a]

કેટલાક શિષ્યો ઈસુને જુએ છે

(માથ. 28:9-10; યોહ. 20:11-18; લૂ. 24:13-35)

ઈસુ અઠવાડિયાના પ્રથમ દિવસે મૂએલામાંથી ઊઠ્યો. ઈસુએ પોતાની જાતે પ્રથમ મરિયમ મગ્દાલાને દર્શન આપ્યા. એક વખત ભૂતકાળમાં ઈસુએ મરિયમમાંથી સાત અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા હતા. 10 મરિયમે ઈસુને જોયા પછી તેના શિષ્યોને જઇને તેણે કહ્યું, તેના શિષ્યો ઘણા દુ:ખી હતા. અને રૂદન કરતા હતા. 11 પણ મરિયમે તેઓને કહ્યું કે ઈસુ જીવતો છે. મરિયમે કહ્યું કે તેણે ઈસુને જોયો છે. પણ શિષ્યો તેનું માનતા નહોતા.

12 પાછળથી ઈસુએ પોતાના દર્શન આપ્યા. જ્યારે શિષ્યો પોતાના ખેતરમાં ચાલતા જતા હતા ત્યારે થોડા સમય પછી ઈસુએ પોતાની જાતે તે લોકોને દર્શન આપ્યા. પરંતુ ઈસુ મરણ પામતા પહેલા જેવો દેખાતો નહોતો.

13 આ શિષ્યો બીજા શિષ્યો પાસે પાછા ગયા અને જે બન્યું હતુ તે તેમને કહ્યું. ફરીથી શિષ્યોએ એમાનું કોઈનું પણ માન્યું નહિ.

ઈસુ પ્રેરિતો સાથે વાત કરે છે

(માથ. 28:16-20; લૂ. 24:36-49; યોહ. 20:19-23; પ્રે.કૃ. 1:6-8)

14 પાછળથી ઈસુએ પોતાની જાતે અગિયાર શિષ્યો જ્યારે તેઓ ખાતા હતા, ત્યારે દર્શન દીધા. ઈસુએ શિષ્યોને ઠપકો આપ્યો, કારણ કે તેઓને ઓછો વિશ્વાસ હતો. તેઓ કઠણ હૃદયના હતા. અને જે લોકોએ ઈસુને મૂએલામાંથી સજીવન થયેલો જોયો તેઓનું માનવા તેઓ તૈયાર નહોતા.

15 ઈસુએ શિષ્યોને કહ્યું, “દુનિયામાં દરેક જગ્યાએ જાઓ, પ્રત્યેક વ્યક્તિને સુવાર્તા કહો. 16 જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તે તારણ પામશે. પરંતુ જે વ્યક્તિ વિશ્વાસ ધરાવતી નથી તે ગુનેગાર ગણાશે. 17 અને જે લોકો વિશ્વાસ કરે છે તેઓ સાબિતી તરીકે આવા પ્રકારના ચમત્કારો કરવા સમર્થ થશે. તેઓ લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢવા મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કદી શીખ્યા નથી તેવી ભાષાઓમાં બોલશે. 18 ઈજા પામ્યા વગર તેઓ સર્પોને તેમના હાથમાં પકડશે. ઇજા વગર વિષપાન કરશે. તેઓ બિમાર લોકો પર હાથ મૂકશે અને બિમાર લોકો સાજા થશે.”

સ્વર્ગારોહણ

(લૂ. 24:50-53; પ્રે.કૃ. 1:9-11)

19 પ્રભુ ઈસુએ શિષ્યોને આ વાતો કહ્યા પછી, તેને આકાશમાં લઈ લેવાયો. ત્યાં ઈસુ દેવની જમણી બાજુએ બેઠો. 20 તેના શિષ્યો જગતમાં દરેક જગ્યાએ ગયા અને લોકોને સુવાર્તા પ્રગટ કરી. અને પ્રભુએ તેઓને મદદ કરી. પ્રભુએ સિદ્ધ કર્યુ કે તેણે લોકોને આપેલ સુવાર્તા સાચી હતી. તેણે શિષ્યોને ચમત્કારો કરવાનું સામર્થ્ય આપીને આ સાબિત કર્યુ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International