Book of Common Prayer
સંગીત નિર્દેશક માટે, બંસરી વાદ્ય માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી પ્રાર્થના પર કાન ઘરીને
જરા મારા ચિંતન પર લક્ષ રાખો.
2 હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ,
હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ.
3 હે યહોવા, નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો,
જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું.
અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છુ.
4 હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી;
તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.
5 તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો,
અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.
6 હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ
અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.
7 પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ.
હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.
8 હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માર્ગે મને ચલાવો.
કારણ કે મારા દુશ્મનો મારા દરેક
પગલાં પર નજર રાખે છે;
મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.
9 કારણ, તેમની વાણીમાં કોઇ સચ્ચાઇ નથી,
તેઓનું હૃદય નીચતાથી ભરેલું છે.
તેઓ મધુરભાષી છે!
તેઓનું ગળું એક ઉધાડી કબર જેવુ છે.
તે પોતાની જીભે પ્રશંસા કરે છે.
10 હે દેવ, એ સૌને તમે દોષી ગણો,
અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો,
તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા
દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે.
11 પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો-તેમને હંમેશ માટે આનંદિત કરો,
તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.
12 હે યહોવા, જ્યારે તમે સજ્જન લોકોને આશીર્વાદ આપો છો
ત્યારે તમે તેની આજુબાજુ રક્ષણ કરતી ઢાલ જેવા છો.
નિર્દેશક માટે; તારવાળાં વાજીંત્રો સાથે અને શમીનીથ સાથે ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ,
અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ.
2 હે યહોવા, મારા પર દયા કરો, કારણ,
હું માંદો અને દુર્બળ છું.
હે યહોવા, મને સાજો કરો,
કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે.
3 હું ઘણો ભયભીત છું;
મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે.
હે યહોવા, મને મદદ કરવામાં
ક્યાં સુધી વિલંબ કરશો?
4 હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો.
કરી દયા દાખવી મને મરણથી બચાવો.
5 લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી,
મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.
6 આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું,
રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું.
7 મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને
કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે.
8 ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ,
યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
9 યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે,
યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે.
10 મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે.
ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.
1 હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો?
સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે,
તમે પાછા કયાં સંતાઇ ગયા છો?
2 દુષ્ટ ઉધ્ઘત પ્રપંચીઓ ગરીબોને સતાવે છે
અને ગરીબ લોકો દુષ્ટ લોકોની યોજનાઓમાં ફસાઇ જાય છે.
3 ખરેખર દુષ્ટ લોકો તેમની દુષ્ટ ઇચ્છાઓનું અભિમાન કરે છે;
લોભીઓને યહોવામાં વિશ્વાસ હોતો નથી, અને તેઓ તેમની નિંદા કરે છે.
4 દુષ્ટ, અતિ અભિમાની, ઉદ્ધત માણસો માને છે કે દેવ છે જ નહિ;
દેવ તરફ ફરવાનો વિચાર સુદ્ધાં જરાય તેઓ કરતાં નથી.
5 તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે;
અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે.
દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.
6 “હું ડગનાર નથી, મને અથવા મારા વંશજોને પેઢીઓ
સુધી કોઇ વિપત્તિ નહિ આવે.” એવી બડાઇ તેઓ હાંકે છે.
7 તેમનું મોઢું જુઠ્ઠાણાંઓથી અને શ્રાપોથી ભરેલું છે.
તેમની જીભ દુષ્ટ યોજનાઓને જન્મ આપે છે.
8 નિર્દોષ લોકોને ઓચિંતો હુમલો કરીને મારી નાખવા માટે ગુપ્ત જગ્યાઓમાં બેસે છે.
કોઇ કમનસીબ વ્યકિતને પસાર થતો જોવા
માટે તેઓ છુપાઇ જાય છે.
9 જેમ સિંહ ગુફામાં છુપાઇને
ગુપ્ત જગામાં ભરાઇ રહે છે;
અને જેમ શિકારી શિકારને ફસાવે છે
તેમ તે ગરીબોને પોતાની જાળમાં ફસાવે છે.
10 તેઓના બળ આગળ ગરીબો દબાઇને નીચા નમી જાય છે,
અને લાચાર બની તેઓના પંજામાં સપડાઇ જાય છે.
11 તે પોતાના હૃદયમાં વિચાર કરે છે “આ શું થઇ રહ્યું છે?
દેવ ભૂલી ગયા છે?
તેમણે પોતાનું મુખ જોયુ નથી,
સંતાડી રાખ્યુ છે. અને શું તે કદી જોશે નહિં?”
12 હે યહોવા, ઊઠો! હે દેવ,
તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો
અને ગરીબને ભૂલશો નહિ.
13 હે દેવ, દુષ્ટો શા માટે તમારો દુરુપયોગ કરે છે?
શા માટે તેઓ તેમનાં હૃદયમાં વિચારે છે કે દેવ તેમની પાસે કયારેય જવાબ નહિ માગે?
14 હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો.
તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે,
તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે.
તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો,
હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે
તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.
15 દુષ્ટ લોકોના હાથ તમે તોડી નાખો.
તેમાંથી એકને પણ છોડશો નહિ અનિષ્ટ કરનારાઓનો
દુષ્ટતાથી નાશ કરો જ્યાં સુધી તેમાંનો એક પણ બાકી ન રહે.
16 યહોવા સદાકાળનો રાજા છે.
વિદેશી રાષ્ટ્રોને તેના દેશમાંથી ભૂંસી નાખ્યા છે.
17 હે યહોવા, તમે નમ્રની અભિલાષા જાણો છો;
તમે તેઓના પોકારો સાંભળશો અને સહાય કરશો.
અને તેઓના વ્યથિત હૃદયોને દિલાસો આપશો.
18 અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ
પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 યહોવા પર હું ભરોસો રાખું છું, તો પછી “શા માટે તમે મને સુરક્ષા
માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”
2 કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ,
તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે.
તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે,
અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
3 જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે,
તો પછી સારા લોકો શું કરી શકે?
4 યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે.
યહોવાનું રાજ્યાસન આકાશમાં છે.
તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે
તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
5 યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે
પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
6 દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે
અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
7 કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે,
જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.
38 એ પછી યાજક સાદોક પ્રબોધક નાથાન. યહોયાદાના પુત્ર બનાયા અને રાજાના અંગરક્ષકોએ જઈને સુલેમાંનને રાજા દાઉદના ખચ્ચર પર બેસાડયો અને તેને લઈને તેઓ ગીહોન ગયા. 39 યાજક સાદોકે એક તેલનું શિંગડુ લીધું અને સુલેમાંનના માંથા પર તેનો રાજા તરીકે અભિષેક કરવા રેડ્યું. તેમણે રણશિંગડું વગાડયું; અને બધા લોકો બોલી ઊઠયા. “રાજા સુલેમાંન ઘણું જીવો.” 40 પછી બધા લોકો વાંસળી વગાડતા અને ધરતીકંપ કરતા પણ મોટા અવાજે બૂમો પાડતા આનંદ કરતા તેની સાથે ઉપર ગયા.
41 તે વખતે અદોનિયા અને તેના મહેમાંનોએ ભોજન પૂરું કર્યુ, ત્યાં તેમણે સૌએ આ અવાજ સાંભળ્યો. રણશિંગડાનો નાદ સાંભળીને યોઆબ બોલી ઊઠયો. “શહેરમાં આ શોરબકોર શાનો છે?”
42 તે હજી બોલતો હતો, એટલામાં જ, યાજક અબ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ, તું પ્રામાંણિક માંણસ છે અને શુભ-સંદેશ જ લાવ્યો હશે.”
43 યોનાથાને જવાબ આપ્યો “નાજી, એમ નથી. આપણા નામદાર રાજા દાઉદે સુલેમાંનને રાજા બનાવ્યો છે. 44 તેણે યાજક સાદોક, પ્રબોધક નાથાન અને યહોયાદાના પુત્ર બનાયા તથા રાજાના અંગરક્ષકોને તેની સાથે મોકલ્યા છે. તેમણે તેને રાજાના ખચ્ચર પર બેસાડયો છે. 45 ત્યાં યાજક સાદોકે અને પ્રબોધક નાથાને સુલેમાંનના માંથા પર, તેલ રેડીને તેને રાજા બનાવવા અભિષેક કર્યો છે, તેઓ હમણા જ ગીહોન ઝરણાથી નગરમાં પાછા આવ્યા છે, અને સમગ્ર નગર હષોર્લ્લાસથી ઉત્સવ ઊજવી રહ્યું છે, અત્યારે શહેરમાં ભારે કોલાહલ મચી રહ્યો છે તમે જે સાંભળો છો તે એનો જ અવાજ છે. 46 સુલેમાંન હવે રાજગાદી પર બેસે છે. 47 એટલું જ નહિ, બધા જ દરબારીઓ અને પ્રજાજનો રાજા દાઉદને અભિનંદન આપતાં કહે છે, ‘દેવ સુલેમાંનને તમાંરા કરતા પણ વધુ પ્રસિદ્ધ બનાવે. તમાંરા રાજય કરતાં સુલેમાંનનું રાજ્ય દેવ વધારે પ્રતાપી બનાવો.’ રાજા દાઉદે પલંગમાંથી જ દેવને પ્રણામ કર્યા. 48 અને કહ્યું, ‘ઇસ્રાએલના દેવ યહોવાનો જય હો! માંરા એક વંશજને માંરી રાજગાદી પર બેઠેલો હું માંરી નજરે જોઈ શકયો છું.’”
49 આ સાંભળીને અદોનિયાના બધા મહેમાંનો ભયભીત બની, એકદમ ઊઠીને સૌ પોતપોતાને ધેર ગયાં. 50 અદોનિયા પણ વેદી પાસે દોડી ગયો અને તેણે વેદીના શિંગ પકડી લીધાં. 51 સુલેમાંનને સમાંચાર આપવામાં આવ્યા કે, “અદોનિયા સુલેમાંનથી ડરતો હતો અને વેદીનાં શિંગ પકડીને કહેતો હતો, ‘સુલેમાંન પહેલાં મને વચન આપો કે પોતે આ સેવકનો વધ નહિ કરો,’”
52 પછી સુલેમાંને કહ્યું, “જો તે સારી રીતે વર્તશે તો તેને આંચ નહિ આવે; પણ જો એ પ્રતિકારપૂર્વક વર્તશે તો એને માંરી નખાશે.” 53 ત્યારબાદ રાજા સુલેમાંને તેને માંણસો મોકલીને યજ્ઞવેદી પરથી તેડાવી મંગાવ્યો. તેણે આવીને રાજા આગળ પ્રણામ કર્યા; અને સુલેમાંને તેને કહ્યું કે, “તું તારે ઘેર જા.”
દાઉદનુ મૃત્યુ
2 રાજા દાઉદના જીવનનો અંત જયારે નજીક આવ્યો ત્યારે; તેણે પોતાના પુત્ર સુલેમાંનને બોલાવ્યો અને તેને આ પ્રમાંણે હુકમ કર્યો: 2 “જગતના સૌ માંનવીઓને જયાં જવાનું છે ત્યાં હું પણ હવે જાઉં છું. તું બળવાન બનજે અને વીરની જેમ વર્તજે. 3 તમાંરા દેવ યહોવાએ તમને જેનું પાલન કરવા કહ્યું છે તેનું પૂર્ણ પાલન કરજે. મૂસાના નિયમશાસ્રમાં લખેલી દેવ યહોવાના પ્રત્યેક કાનૂન અને આજ્ઞાને આધીન થજે, જેથી તું જે કામ કરે ને જયાં જાય ત્યાં તેમાં તને સફળતા પ્રાપ્ત થાય. 4 જો તું એમ કરીશ તો યહોવા મને આપેલું વચન પાળશે, યહોવાએ મને કહ્યું છે, ‘જો તારા પુત્રો ધ્યાનપૂર્વક વફાદારીથી અને સાચા અંત:કરણથી મને અનુસરશે તો ઇસ્રાએલનો રાજા સદા તમાંરા પરિવારમાંથી જ આવશે,’”
પાઉલનો અગ્રીપાને સમજાવવાનો પ્રયત્ન
24 જ્યારે પાઉલ તેની જાતે બચાવમાં આ વાતો કહેતો હતો ત્યારે ફેસ્તુસે પોકાર કર્યો, “પાઉલ, તું ઘેલો છે! વધુ પડતી વિધાએ તને ઘેલો બનાવ્યો છે!”
25 પાઉલે કહ્યું, “નેકનામદાર ફેસ્તુસ, હું ઘેલો નથી. હું જે વાતો કહું છું તે સાચું છે. મારાં વચનો એ એક મૂર્ખ માણસનાં વચનો નથી. હું ગંભીર છું. 26 રાજા અગ્રીપા આ વસ્તુઓ વિષે જાણે છે કે હું તેની સાથે મુક્ત રીતે વાત કરી શકું છું. હું જાણું છું કે તેણે આ બધી વાતો વિષે સાંભળ્યું છે. શા માટે? કારણ કે આ વાતો જ્યાં બધા લોકો જોઈ શકે ત્યાં બને છે. 27 રાજા અગ્રીપા, પ્રબોધકોએ જ લખ્યું છે તે વાતોમાં તને વિશ્વાસ છે? હું જાણું છું કે તું વિશ્વાસ કરે છે!”
28 રાજા અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું એમ વિચારે છે કે મને આટલી સહેલાઇથી ખ્રિસ્તી થવા માટે સમજાવી શકીશ?”
29 પાઉલે કહ્યું, “એ બહુ મહત્વનું નથી કે તે સહેલું છે કે કઠિન છે, હું દેવને પ્રાર્થના કરું છું કે માત્ર તું જ નહિ પરંતુ પ્રત્યેક વ્યકિત્ જે આજે મને ધ્યાનથી સાંભળે છે તેઓ બચાવાશે-મારે જે બેડીઓ છે તે સિવાય મારા જેવા થશે!”
30 રાજા અગ્રીપા, હાકેમ ફેસ્તુસ, બરનિકા, અને તેઓની સાથે બેઠેલા બધા લોકો ઊભા થઈ ગયા. 31 અને ખંડ છોડી ગયા. તેઓ એક બીજા સાથે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ માણસને દેહાંતદંડ કે કારાવાસમાં નાખવો જોઈએ નહિ, ખરેખર તેણે કંઈ ખોટું કર્યું નથી!” 32 અને અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું, “જો તેણે કૈસર પાસે દાદ માંગી ના હોત તો આપણે આ માણસને જવા માટે મુક્ત કરી શક્યા હોત.”
પાઉલની રોમની યાત્રા
27 તે નિર્ણય કરવામાં આવ્યો કે આપણે ઇટાલી તરફ વહાણ હંકારવું. જુલિયસ નામનો લશ્કરી સૂબેદાર પાઉલ અને બીજા કેટલાએક બંદીવાનોની ચોકી કરતો હતો. જુલિયસ પાદશાહના સૈન્યમાં સેવા કરતો હતો. 2 અમે વહાણમાં બેઠા અને વિદાય થયા. વહાણ અદ્રમુત્તિયાના શહેરમાંથી આવ્યું હતું. અરિસ્તાર્ખસ અમારી સાથે હતો. તે મકદોનિયાના થેસ્સલોનિકા શહેરનો માણસ હતો.
3 બીજે દિવસે અમે સદોન શહેરમાં આવ્યા. જુલિયસ પાઉલ તરફ ઘણો સારો હતો. તેણે પાઉલને તેના મિત્રોની મુલાકાત લેવા જવાની છૂટ આપી. આ મિત્રો પાઉલની જરૂરિયાતોના કાળજી રાખતા. 4 અમે સિદોન છોડ્યું અને સૈપ્રસ ટાપુ નજીક વહાણ હંકારી ગયા કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો. 5 અમે કિલીકિયા અને પમ્ફુલિયા પાસેનો સમુદ્ધ ઓળંગ્યો. પછી અમે લૂકિયાના મૂરા શહેરમાં આવ્યા. 6 મૂરામાં લશ્કરના અમલદારને આલેકસાંદ્ધિયાના શહેરનું વહાણ મળ્યું. આ વહાણ ઈટાલી જતું હતું. તેથી તેણે અમને તેમાં બેસાડ્યા.
7 અમે ઘણા દિવસો સુધી ધીમે ધીમે હંકાર્યુ. અમારા માટે કનિદસ પહોંચવું ઘણું કઠિન હતું. કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો અમે તે રસ્તે જરાય આગળ જઈ શક્યા નહિ. તેથી અમે સાલ્મોનીની નજીક ક્રીતની ટાપુની દક્ષિણ બાજુએ હંકારી ગયા. 8 અમે કિનારે કિનારે હંકારી ગયા. પણ હંકારવું ઘણું કઠણ હતું. પછી અમે (સલામત બંદર) (સેફ હાબેર્સ) નામે ઓળખાતી જગ્યાએ આવ્યા. ત્યાં નજીકમાં લસૈયા શહેર છે.
28 “અંજીરીનું વૃક્ષ આપણને એક બોધપાઠ શીખવે છે. જ્યારે અંજીરીના વૃક્ષની ડાળીઓ લીલી અને નરમ બને છે અને નવા પાંદડાં ઊગવાની શરુંઆત થાય છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે. 29 આ વસ્તુઓ સાથે એવું જ છે જે મેં તમને કહ્યું તે બનશે જ. જ્યારે તમે આ બધું બનતું જોશો, ત્યારે તમે જાણશો કે તે સમય[a] નજીક છે. 30 હું તમને સત્ય કહું. જ્યારે આ સમયના લોકો જીવતા હશે ત્યારે જ આ બધી વસ્તુઓ બનશે. 31 આખી પૃથ્વી અને આકાશનો વિનાશ થશે. પણ જે વાતો મેં કહી છે તે કદાપિ નાશ પામશે નહિ.
32 “કોઈ વ્યક્તિ જાણતી નથી કે કયા દિવસે કયા સમયે તે થશે. તે પુત્ર અને આકાશના દૂતો પણ તે જાણતા નથી. ફક્ત પિતા જ જાણે છે. 33 સાવધાન રહો! હંમેશા તૈયાર રહો! તમને ખબર નથી તે સમય ક્યારે આવશે.
34 “એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે. તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે. તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે. તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે. હમણા હું તમને કહું છું તે એ જ છે. 35 તેથી તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ, તમે જાણતા નથી, ઘરનો ધણી સાંજે, મધરાતે કે વહેલી સવારે કે જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે કદાચ આવે. 36 રખેને તે ધણી એકાએક પાછો ઝડપથી પણ આવે. જો તમે હંમેશા તૈયાર રહો તો પછી તે તમને ઊંઘતા જોશે નહિ. 37 હું તમને આ કહું છું, અને હું આ પ્રત્યેક વ્યક્તિને કહું છું: ‘તૈયાર રહો!’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International