Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 118

યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે
    તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી,
    “તેમની કૃપા સદાય રહે છે.”
હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ,
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે;
    “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”

મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી;
    તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો?
    પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે;
    તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
માણસો પર ભરોસો રાખીએ તે કરતાં;
    યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં;
    યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.

10 બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે,
    પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો;
    પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
12 તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો;
    પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે.
    હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.

13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી.
    પણ મને યહોવાએ સહાય કરી.
14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે;
    તે જ મારું તારણ થયા છે.
15 સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે,
    યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે;
    અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.

17 હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ;
    અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
18 યહોવાએ મને ભારે શિક્ષા કરી,
    પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ;
    અને યહોવાનો આભાર માનીશ.
20 એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે;
    યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
21 હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે;
    અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.

22 જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો;
    તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23 આ કાર્ય તો યહોવાથી થયું છે;
    આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24 યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે;
    આપણે તેમાં આનંદોત્સવ કરીએ.

25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો;
    હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
26 યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે;
    યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
27 યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે.
    બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.

28 તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ;
    તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે;
    અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 145

દાઉદનું ગીત.

હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
    હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
    અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
    તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
    અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
    હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
    હું તમારી મહાનતા વર્ણવીશ.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
    અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.

યહોવા દયાળુ અને કૃપાળુ છે;
    તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
    અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
    અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
    તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
    તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
    અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.

14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
    બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
    અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
    અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
    અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
    તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
    સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
    પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
    તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!

2 શમુએલનું 17:1-23

અહીથોફેલે દાઉદ વિષે સલાહ આપી

17 અહીથોફેલે આબ્શાલોમને કહ્યું, “આજે રાત્રે મને 12,000 માંણસો પસંદ કરવા દો. હું આજે રાત્રે જ દાઉદનો પીછો કરવા નીકળી પડીશ. જયારે તે થાકેલો અને હતાશ હશે ત્યારે હું તેની પાસે જઇશ અને તેને ગભરાવીશ. અને તેના બધા માંણોસો ભાગી જશે અને હું જ રાજાને માંરી નાખીશ. અને તેના બધા માંણસોને, તારી પાસે પાછા લાવીશ. તમાંરે તો ફકત એક જ માંણસને માંરવાનો છે, બીજા બધા સુરક્ષિત રહેશે.”

આબ્શાલોમ અને ઇસ્રાએલના આગેવાનોને આ સલાહ ગમી. પછી આબ્શાલોમે કહ્યું, “આકીર્ હૂશાયને બોલાવો. આ યોજના સંબંધી તે શું વિચારે છે તે તેને પૂછો.”

હૂશાયનો વિનાશ અહીથોફેલની સલાહ

હૂશાય આવ્યો એટલે આબ્શાલોમે તેને કહ્યું, “અહીથોફેલ કહે છે, તે મુજબ અમે કરીએ? જો તેમ કરવું યોગ્ય ના હોય તો પછી શું કરવું તે તું જ કહે.”

હૂશાયે જવાબ આપ્યો, “આ વખતે અહીથોફેલે જે સલાહ આપી છે તે અયોગ્ય છે.” તને ખબર છે કે, તારા પિતા અને તેના માંણસો બહુ હિંમતવાન છે. જેમ બચ્ચાં છીનવી લીધેલ જંગલી રીંછણ જોખમકારક બની જાય છે, તેવી જ રીતે તારા પિતા અને તેના માંણસો ભયાવહ છે. તારા પિતા એક અનુભવી યોદ્ધા છે, અને રાત્રે તે તેના લશ્કર સાથે રહેતા નથી. આ સમયે તે કોઈ ગુફામાં કે ઊંડી સાંકડી ખીણમાં સંતાયેલો હશે. તે તેના સંતાઇ રહેવાના સ્થાનેથી અચાનક બહાર આવશે અને સૌથી પહેલા તારા માંણસો પર હુમલો કરશે પછી જે કોઇ આ વિષે સાંભળશે તેઓ કહેશે. “આબ્શાલોમના લોકોનો સંહાર થઈ રહ્યો છે.” 10 ત્યાર પછી સિંહ જેવા બહાદુર માંણસો પણ નિરાશ થઇ જશે. અને હાર માંની લેશે. કારણ આખું ઇસ્રાએલ જાણે છે કે તારા પિતા શૂરવીર યોદ્ધા છે અને તેના માંણસો પણ.

11 “તેથી માંરી સલાહ છે કે, દાનથી બેર-શેબા સુધીના સર્વ ઇસ્રાએલીઓને તેઓ સૌને તું એકઠા કર. આમ સમુદ્રની રેતીની જેમ ઘણાં સૈનિકોથી તારું સૈન્ય વિશાળ થઇ જશે, અને પછી તારે જાતે જ યુદ્ધનાં લશ્કરની આગેવાની લેવી પડશે. 12 દાઉદ જયાં હશે, ત્યાંથી આપણે તેને શોધી કાઢીશું. અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ આપણે તેના ઉપર હુમલો કરીશું અને તેને કે તેના લશ્કરના એક પણ માંણસને આપણે જીવતો જવા નહિ દઈએ, અને દરેકને માંરી નાંખીશું. 13 અને જો કોઈ નગરમાં ભાગી ગયો હશે, તો સર્વ ઇસ્રાએલીઓ દોરડાં લઈ તેની દીવાલ તોડી પાડશે. અને તેઓને ખીણમાં ઘસડીને લઇ જશે અને એક નાની કાંકરીએ નગરમાં રહેવા નહિ પામે.”

14 ત્યારબાદ આબ્શાલોમે તથા ઇસ્રાએલના સર્વ આગેવાનોએ કહ્યું, “હૂશાયની સલાહ અહીથોફેલની સલાહ કરતા વધારે સારી છે.” યહોવાએ અહીથોફેલની સારી સલાહને મીટાવી દેવાનું નક્કી કર્યુ હતું, જેથી દેવ આબ્શાલોમનું ખરાબ કરે.

હૂશાયે દાઉદને ચેતવણી મોકલી

15 હૂશાયે યાજક સાદોક અને અબ્યાથારને કહ્યું, “અહીથોફેલ આબ્શાલોમને અને ઇસ્રાએલીના આગેવાનોને આ પ્રમાંણેની સલાહ આપી હતી, પણ મેં આ મુજબની સલાહ આપી હતી. 16 હૂશાયએ તેઓને કહ્યું, ઉતાવળ કરો, દાઉદને શોધી કાઢો અને તેને કહો જે સ્થળો ઓળંગીને લોકો રણમાં જાય છે ત્યાં આજે રાત્રે ન રહે એને કહો તે તાત્કાલિક યર્દન નદી ઓળંગી જાય, નહિ તો રાજા અને તેના સર્વ માંણસો માંર્યા જશે.”

17 યોનાથાન અને અહીમાંઆસ એન-રોગેલ પાસે થોભ્યા હતા, કારણ કે જો તેઓ શહેરમાં દાખલ થાય તો કોઈ જોઈ જાય એક દાસી જે કાંઇ બને તે તેમને જઈને કહેતી હતી અને ત્યારબાદ તેઓ જે કાંઇ બન્યું હોય તે રાજા દાઉદને જણાવતાં હતાં.

18 પરંતુ યોનાથાન અને અહીમાંઆસને એક છોકરો જોઈ ગયો અને તે આબ્શાલોમને કહેવા દોડી ગયો આથી એ બે જણા તાબડતોબ “બાહૂરીમ” પાસે એક માંણસને ઘેર ગયા. ત્યાં તેના ફળિયામાં એક કૂવો હતો, તેમાં તેઓ નીચે ઊતરી ગયાં. 19 તે માંણસની પત્નીએ કૂવા પર એક ચાદર પાથરી. અને તેના પર સૂકવવા અનાજ પાથરી દીધું, જેથી કોઈને કશી ખબર ન પડે. 20 આબ્શાલોમના અમલદારોએ ઘેર આવીને તે સ્ત્રીને પૂછયું, “અહીમાંઆસ અને યોનાથાન કયાં છે?”

તે સ્ત્રીએ કહ્યુ. “તેઓ તો નદી ઓળંગીને ચાલ્યા ગયા છે.”

તે માંણસોએ તેમની શોધ કરી પણ સફળતા મળી નહિ, એટલે તેઓ યરૂશાલેમ પાછા ફર્યા.

21 તેમના ગયા પછી પેલા બે માંણસોએ કૂવામાંથી બહાર નીકળી રાજા દાઉદ પાસે જઈને કહ્યું, “ઝટ કરો, આજે રાત્રે જ યર્દન નદીની પાર જતા રહો!” અહીથોફેલે દાઉદને બંદીવાન કરી તેનો સંહાર કરવા જે સલાહ આપી હતી તે તેઓ તેને કહી સંભળાવી.

22 આથી દાઉદ અને તેની સાથેના માંણસો યર્દન નદી ઓળંગવા લાગ્યા અને સૂર્યોદય થતાં પહેલાં બધા સામે પાર પહોંચી ગયા.

અહીથોફેલે આત્મહત્યા કરી

23 અહીથોફેલે જોયું કે પોતાની સલાહ માંનવામાં આવી ન હતી, ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું અને પોતાના નગરમાં ગયો; પોતાના કુટુંબની વ્યવસ્થા કરીને પછી તે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબર પાસે દફનાવવામાં આવ્યો.

ગલાતીઓ 3:6-14

પવિત્રશાસ્ત્ર ઈબ્રાહિમ વિષે આ જ કહે છે. “ઈબ્રાહિમે દેવમાં વિશ્વાસ રાખ્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો. આને કારણે ઈબ્રાહિમ દેવને યોગ્ય બન્યો.”(A) તેથી તમારે જાણવું જોઈએ કે ઈબ્રાહિમના સાચા સંતાનો એ છે જેઓને વિશ્વાસ છે. પવિત્રશાસ્ત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં શું થશે. આ લખાણે જણાવ્યું કે દેવ બિનયહૂદી લોકોને તેઓના વિશ્વાસ થકી યોગ્યતા પ્રદાન કરશે. આ સુવાર્તા ઈબ્રાહિમને પહેલા જણાવેલ હતી, પવિત્રશાસ્ત્ર આમ કહે છે કે: “ઈબ્રાહિમ, પૃથ્વીના બધા લોકોને ધન્ય કરવા માટે દેવ તારો ઉપયોગ કરશે.”(B) ઈબ્રાહિમે આ માન્યું. ઈબ્રાહિમ વિશ્વાસ કરતો હતો તેથી તે આશીર્વાદ પામ્યો. અને એ જ રીતે આજે પણ જે ઈબ્રાહિમની માફક વિશ્વાસીઓ છે તેઓ પણ આશીર્વાદ પામે છે. બધા જ લોકો ઈબ્રાહિમની માફક જેમને વિશ્વાસ છે તેમને ઈબ્રાહિમની જેમ આશીર્વાદ મળે છે.

10 પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા જે લોકો નિયમોનો આધાર લે છે તેઓ શાપિત છે. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રો કહે છે કે, “જે દરેક વસ્તુ નિયમશાસ્ત્રમાં લખેલ છે, તે બધી જ વસ્તુઓ વ્યક્તિએ કરવી જોઈએ. જો તે કાયમ આજ્ઞાનું પાલન નહિ કરે તો તે શાપિત થશે.”(C) 11 તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.”(D)

12 નિયમ વિશ્વાસનો ઉપયોગ નથી કરતો; તે જુદો માર્ગ અપનાવે છે. નિયમ કહે છે, “જે વ્યક્તિ આ વસ્તુઓ (નિયમ) ને અનુસરીને જીવવાની ઈચ્છા રાખે છે, જે નિયમ કહે છે તે તેણે કરવું જ જોઈએ.”[a] 13 નિયમે આપણને અભિશાપિત કર્યા છે. પરંતુ ખ્રિસ્તે આપણને તે શાપમાંથી મુક્ત કર્યા. તેણે આપણા સ્થાન બદલી નાખ્યા. ખ્રિસ્ત પોતે શાપિત થયો. પવિત્રશાસ્ત્રમાં લખ્યું છે કે, “જ્યારે વ્યક્તિનું શરીર વૃક્ષ ઉપર મૂકવામાં આવે (લટકે), ત્યારે તે શાપિત છે.”[b] 14 ખ્રિસ્તે આ કર્યુ જેથી દેવનો આશીર્વાદ બધા જ લોકોને પ્રદાન થાય, દેવે આ આશીર્વાદનું ઈબ્રાહિમને વચન આપ્યું હતું. ઈસુ ખ્રિસ્ત તરફથી આશીર્વાદ આવે છે. ઈસુ મૃત્યુ પામ્યો જેથી આપણને પવિત્ર આત્મા જેનું દેવે વચન આપ્યું હતું તે આપણને પ્રાપ્ત થાય. વિશ્વાસથી આપણને આ વચન પ્રાપ્ત થયું છે.

યોહાન 5:30-47

30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.

ઈસુ યહૂદિઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખે છે

31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ. 32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.

33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે. 34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. 35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.

36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો. 37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી. 38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી. 39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે! 40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”

41 “મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી. 42 પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. 43 હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો. 44 એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 45 એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી. 46 જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે. 47 પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International