Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 87

કોરાહના પરિવારનાં સ્તુતિગીતોમાંથી એક.

તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
    યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.

જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ;
    મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
વળી સિયોન વિષે કહેવાશે કે:
    “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.”
    દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે,
    જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.

વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે,
    “મારું સર્વસ્વ તારામાં છે.”

ગીતશાસ્ત્ર 90

ભાગ ચોથો

(ગીત 90–106)

દેવના ભકત મૂસાની પ્રાર્થના.

હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
    તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
    તે પહેલાંથી તમે જ દેવ છો;
    તમારી શરૂઆત નથી કે અંત નથી.

તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
    અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
    અને રાતના એક પહોર જેવાં છે!
તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
    અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
તે સવારે ખીલે છે અને વધે છે;
    સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે,
    અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
તમે અમારાં બધાં પાપો,
    અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો
    અને તે બધાં તમે જોઇ શકો છો.
તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
    નિસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે;
    કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે.
તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે;
    કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11 તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે?
    અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો,
    જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
    પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
    જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
    અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
    અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
    અને અમને સફળતા આપો;
    અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.

ગીતશાસ્ત્ર 136

યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
સર્વ દેવોના દેવની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
પ્રભુઓના પ્રભુ સ્તુતિ કરો!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દેવની સ્તુતિ કરો જે એકલા જ મહાન ચમત્કારો સજેર્ છે!
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્ન કર્યા છે; તેની સ્તુતિ કરો.
    કારણ કે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
આકાશોમાં જેમણે મહાન જ્યોતિઓ બનાવી છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
દિવસ પર અમલ ચલાવવા જેમણે સૂર્ય બનાવ્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
રાત પર અમલ ચલાવવાં જેમણે ચંદ્ર અને તારા બનાવ્યાં છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
10 મિસરના પ્રથમજનિતોનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
11 વળી તેઓની પાસેથી ઇસ્રાએલને છોડાવનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
12 પોતાના બળવાન ભુજ અને લાંબા કરેલા હાથ વડે જે તેઓને છોડવી લાવ્યા; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
13 તેઓની આગળ માર્ગ કરવા જેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા તે યહોવાની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
14 સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
15 ફારુન તથા તેની ફોજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
17 જેણે મોટા રાજાઓને હરાવ્યા છે તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
18 જેણે મહાન રાજાઓનો સંહાર કર્યો છે તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો;
    તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
20 બાશાનના રાજા ઓગનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ રકે છે.
21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
22 જેમણે તે પોતાના સેવક ઇસ્રાએલને વારસામાં આપ્યો તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
23 જેમણે અમારી નબળાઇઓમાં અમને સંભાર્યા; તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
24 અમારા શત્રુઓથી જેમણે અમારો બચાવ કર્યો, તેની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
25 દરેક સજીવને ખોરાક પૂરો પાડે છે; તેમની સ્તુતિ કરો.
    તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
26 આકાશોના દેવની આભારસ્તુતિ કરો.
    કારણકે તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

2 શમુએલનું 12:15-31

દાઉદ અને બાથ-શેબાનું બાળક મૃત્યુ પામ્યું

15 તેથી નાથાન પોતાને ઘેર પાછો ફર્યો. ઊરિયાની પત્નીને દાઉદથી જે સંતાન અવતર્યો તેને યહોવાએ સખત માંદગીમાં પટકયો. 16 દાઉદ તે બાળકને યહોવાની પાસેથી જીવતદાન અપાવવા ખૂબ આજીજી કરી, અને ઉપવાસ કરીને આખી રાત જમીન ઉપર પડી રહ્યો.

17 તેના દરબારીઓએ તેને ભોંય ઉપરથી બેઠો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઊઠયો નહિ; અને તેમની સાથે તેણે ભોજન પણ લીધું નહિ. 18 સાતમાં દિવસે તે બાળકનું મૃત્યુ થયું. દાઉદને આ સંદેશો આપવાનો હતો જે આપવા ચાકરોની હિંમત ચાલી નહિ, તેમણે વિચાર્યું, “બાળક જીવતું હતું, ત્યારે તો તે આપણું કહેવું સાંભળતો નહોતો, પણ હવે જ્યારે બાળક મરી ગયું છે એમ જો આપણે તેને કહીએ તો તે તેને કાંઇ અનિષ્ટ કરશે.”

19 દાઉદનું ધ્યાન ગયું કે તેના સેવકો એકબીજાના કાનમાં વાતો કરતા હતા, એટલે તે સમજી ગયો કે બાળક મરી ગયું છે. તેથી તેણે પૂછયું, “બાળક મરી ગયુ?”

અને તેઓએ કહ્યું, “હા, એ મરી ગયું છે.”

20 પછી દાઉદ ભૂમિ પરથી ઊઠયો, સ્નાન કર્યુ; શરીર પર અત્તર લગાડયું અને નવાં વસ્ત્રો પરિધાન કર્યા, પછી તેણે યહોવાના મંદિરમાં જઈને ભજન કર્યું. પછી તેણે ઘેર જઈને ખાવાનું માંગ્યું અને પીરસ્યું તેટલું ખાધું.

21 દાઉદના ચાકરો વિસ્મય પામ્યા, તેમણે તેને પૂછયું, “આ કેવું? જયારે છોકરો જીવતો હતો ત્યારે તમે અન્ન ત્યાગ કર્યો અને તેને માંટે રડ્યા, પરંતુ અત્યારે હવે તે મૃત્યુ પામ્યો, ત્યારે તમે ઊઠીને ખાધું!”

22 તેણે કહ્યું, “બાળક હજી જીવતું હતું ત્યારે મેં એવું ધારીને અન્ન છોડી દીધું અને હું રડયો કે, કદાચ યહોવા માંરા ઉપર દયા કરે અને બાળક જીવી જાય, 23 પણ હવે એ મરી ગયું છે, ત્યારે હું શા માંટે અન્ન ત્યાગ કરું? હું થોડો જ એને પાછો જીવતો કરી શકવાનો છું? હું જ તેની પાસે જઈશ; તે કંઈ પાછો માંરી પાસે આવવાનો નથી.”

સુલેમાંનનો જન્મ

24 ત્યારબાદ દાઉદે તેની પત્ની બાથ-શેબાને આશ્વાસન આપ્યું; પછી તે તેની સાથે સૂતો અને થોડા સમય બાદ તેણે એક પુ્ત્રને જન્મ આપ્યો. દાઉદે તેનું નામ સુલેમાંન પાડયું. અને યહોવાને તેના પર પ્રેમ હતો. 25 એટલે તેણે નાથાન માંરફતે સંદેશો મોકલ્યો કે, યહોવાને માંટે એનું નામ યદીદયા રાખવું,

દાઉદે રબ્બાહને કબ્જે કર્યુ

26 આમ્મોનીઓના પાટનગર રબ્બાહ ઉપર યોઆબે લડાઇ કરી અને તે કબજે કર્યું. 27 યોઆબે સંદેશવાહકો મોકલીને દાઉદને સંદેશો મોકલ્યો: “મેં રબ્બાહ ઉપર હુમલો કર્યો છે અને પાણીના નગરને કબજે કર્યુ છે. 28 તમે બાકીનું લશ્કર ભેગું કરી જાતે શહેરને ઘેરો ઘાલી કબજે કરી લો, નહિ તો માંરે એ કબજે કરવું પડશે, અને એ માંરે નામે ઓળખાશે.”

29 આથી દાઉદ સૈન્ય લઈને રબ્બાહ ગયો અને તેને જીતી લીધું. 30 તે નગરમાંથી પુષ્કળ લૂંટ યરૂશાલેમ લઈ જવામાં આવી. રબ્બાહના રાજાનો મૂલ્યવાન રત્નો જડેલો એક તાલંત સોનાનો મુગટ દાઉદે પોતાના માંથા પર મૂકયો.

31 વળી શહેરના લોકોને લઈ જઈને તેણે તેમની પાસે કરવત, તીકમ અને કુહાડા વડે મજૂરી કરાવી અને તેમને ઇટઁવાડામાં કામે લગાડયા. તેણે આમ્મોનીઓના સર્વ નગરોની આ દશા કરી, અને પછી તે અને તેના બધા માંણસો યરૂશાલેમ પાછા ફર્યા.

પ્રેરિતોનાં કૃત્યો 20:1-16

પાઉલનું મકદોનિયા અને ગ્રીસમાં ગમન

20 જ્યારે મુશ્કેલીનો અંત આવ્યો ત્યારે પાઉલે શિષ્યોને તેની પાસે બોલાવ્યા, તેમને પ્રોત્સાહિત કર્યા. પછી તેઓને તેણે છેલ્લી સલામ પાઠવી અને મકદોનિયાનો પ્રવાસ શરૂ કર્યો. મકદોનિયાના માર્ગમાં જુદા જુદા સ્થળોએ તેણે ઈસુના શિષ્યોને દ્રઠ કરવા પાઉલ જ્યાં સુધી ગ્રીસ પહોંચ્યો નહિ ત્યાં સુધી સતત લોકોને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. ત્યાં તે ત્રણ માસ રહ્યો.

તે સિરિયા હોડી હંકારવાની તૈયારીમાં હતો. પરંતુ કેટલાક યહૂદિઓ તેની વિરૂદ્ધ યોજનાઓ કરતા હતા. તેથી પાઉલે મકદોનિયાના દ્ધારા સિરિયા પાછા જવાનો નિર્ણય કર્યો. કેટલાક માણસો તેની સાથે હતા. તેઓમાં બરૈયાના પૂરસનો દીકરો સોપાત્રસ થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી અને આશિયાના બે માણસો તુખિકસ અને ત્રોફિમસ હતા. પાઉલની આગળ આ માણસો પહેલા ગયા. તેઓ ત્રોઆસ શહેરમાં અમારી રાહ જોતા હતા. બેખમીરની રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પી શહેરમાંથી નીકળ્યા. અમે ત્રોઆસમાં આ માણસોને પાંચ દિવસ પછી મળ્યા અને સાત દિવસ રોકાયા.

પાઉલની ત્રોઆસની છેલ્લી મુલાકાત

સપ્તાહના પહેલા દિવસે, અમે બધા રોટલી ભાંગવાને એકઠા થયા હતા. પાઉલે સમૂહને વાત કરી. તે બીજે દિવસે વિદાય થવાની યોજના કરતો હતો. પાઉલે મધરાત સુધી વાતો ચાલુ રાખી. અમે બધા મેડા પર ઓરડામાં એક સાથે હતા, અને ત્યાં ઓરડામાં ઘણી બત્તીઓ હતા. ત્યાં યુતુખસ નામનો યુવાન માણસ બારીમાં બેઠો હતો. પાઉલે વાતો કરવાનું ચાલુ રાખ્યુ. અને યુતુખસને ઝોકા આવતા હતા. આખરે યુતુખસ ગાઢ નિંદ્રામાં ગયો અને બારીમાંથી નીચે પડ્યો. તે ત્રીજે માળથી જમીન પર પટકાયો. જ્યારે લોકો ત્યાં ગયા અને તેને ઊચક્યો, ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.

10 પાઉલ નીચે યુતુખસ પાસે ગયો. તે ઘૂંટણે પડ્યો અને યુતુખસને બાથમાં લીધો. પાઉલે બીજા વિશ્વાસીઓને કહ્યું, “ચિંતા કરશો નહિ. હવે તે જીવે છે.” 11 પાઉલ ફરીથી મેડા પર ગયો. તેણે રોટલીનો ટુકડો કર્યો અને ખાધો. પાઉલે તેઓને લાંબો સમય સુધી બોધ આપ્યો. જ્યારે તેણે વાત કરવાનું બંધ કર્યુ, તે વહેલી સવાર હતી. પછી પાઉલે વિદાય લીધી. 12 લોકો યુતુખસ ને ઘરે લઈ ગયા. તે જીવતો હતો, તેથી લોકો ઘણો આનંદ પામ્યા.

ત્રોઆસથી મિલેતેસનો પ્રવાસ

13 અમે આસસ શહેર જવા માટે વહાણ હંકાર્યુ. અમે પાઉલની આગળ પહેલા ગયા. તેની ઈચ્છા અમને આસસમાં મળવાની અને ત્યાં વહાણમાં અમારી સાથે જોડાવાની હતી. પાઉલે અમને આ કરવા માટે કહ્યું. કારણ કે તે જમીન માર્ગે આસસ જવા ઇચ્છતો હતો. 14 પાછળથી, અમે આસસમાં પાઉલને મળ્યા, અને પછી તે અમારી સાથે વહાણ પર આવ્યો. અમે બધા મિતુલેની શહેરમાં આવ્યા. 15 બીજે દિવસે અમે મિતુલેનીથી દૂર વહાણ હંકારી ગયા. અમે ખિયોસ ટાપુ નજીકની જગ્યાએ આવ્યા. પછી બીજે દિવસે અમે સામોસ ટાપુ તરફ હંકારી ગયા. એક દિવસ પછી અમે મિલેતસ શહેર આવ્યા. 16 પાઉલે એફેસસ નહિ રોકાવવાનો નિર્ણય કરી જ લીધો. તેની ઈચ્છા આસિયામાં લાંબો સમય રોકાવવાની ન હતી. તેને ઉતાવળ હતી કારણ કે શક્ય હોય તો પચાસમાના પર્વને દિવસે તેની ઈચ્છા યરૂશાલેમમાં હાજર રહેવાની હતી.

માર્ક 9:30-41

ઈસુનું તેના મૃત્યુ વિષે કહેવું

(માથ. 17:22-23; લૂ. 9:43-45)

30 પછી ઈસુ અને તેના શિષ્યોએ તે જગ્યા છોડી. તેઓ ગાલીલમાં થઈને ગયા. ઈસુ ક્યાં હતો તે લોકો જાણે એમ ઈચ્છતો ન હતો. 31 ઈસુ તેના શિષ્યોને એકલાને ઉપદેશ આપવા ઈચ્છતો હતો. ઈસુએ તેઓને કહ્યું, “માણસનો દિકરો લોકોને સોંપવામાં આવશે. તેઓ તેને મારી નાખશે. મારી નાખ્યા પછી, ત્રણ દિવસ પછી તે મૃત્યુમાંથી સજીવન થશે.” 32 પરંતુ ઈસુ જે કહેવા માગતો હતો તે શિષ્યો સમજ્યા નહિ, અને તેઓ તેણે શું અર્થ કર્યો છે એ પૂછતાં ડરતા હતા.

ઈસુ કહે છે કે સૌથી મહાન કોણ છે

(માથ. 18:1-5; લૂ. 9:46-48)

33 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. તેઓ એક ઘરમાં ગયા. પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું. “મેં આજે રસ્તા પર તમને દલીલો કરતાં સાંભળ્યા. તમે શાના વિષે દલીલો કરતા હતા?” 34 પરંતુ શિષ્યો શાંત રહ્યાં. કારણ કે રસ્તામાં તેઓ અંદર અંદર સૌથી મોટો કોણ હતો તે અંગેનો વિવાદ કરતા હતા.

35 ઈસુ નીચે બેઠો અને બાર પ્રેરિતોને તેની પાસે બોલાવ્યા. ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિની ઈચ્છા સૌથી વધારે મહત્વના વ્યક્તિ બનવાની હોય તો પછી તેણે બીજા દરેક લોકોને તેના કરતા વધારે મહત્વના ગણવા જોઈએ. તે વ્યક્તિએ બીજા બધા લોકોની સેવા કરવી જોઈએ.”

36 પછી ઈસુએ એક નાનું બાળક લીધું. ઈસુએ બાળકને શિષ્યો આગળ ઊભું રાખ્યું. ઈસુએ તે બાળકને તેના ખોળામાં લીધું અને કહ્યું, 37 “જો કોઈ વ્યક્તિ મારા નામે આ નાના બાળકોને સ્વીકાર કરશે તો તે વ્યક્તિ મને પણ સ્વીકારે છે. અને જો વ્યક્તિ મને સ્વીકારે છે તો પછી તે વ્યક્તિ મને મોકલનારને (દેવને) પણ સ્વીકારે છે.”

જે વ્યક્તિ આપણી વિરૂદ્ધ નથી તે આપણા પક્ષનો છે

(લૂ. 9:49-50)

38 પછી ઈસુએ કહ્યું, “ઉપદેશક, અમે તારા નામનો ઉપયોગ કરીને એક વ્યક્તિને ભૂતને બહાર કાઢતાં દીઠો. તે આપણા જૂથનો ન હતો. તેથી અમે તેને તે બંધ કરવા કહ્યું.”

39 ઈસુએ કહ્યું, “તેને રોકશો નહિ, જે કોઈ વ્યક્તિ પરાક્રમ કરવા મારા નામનો ઉપયોગ કરે છે તે મારા વિષે ખરાબ કહેશે નહિ. 40 જે વ્યક્તિ આપણી વિરૂદ્ધ નથી તે આપણા પક્ષનો છે. 41 હું તને સત્ય કહું છું, જે કોઈ વ્યક્તિ તને પીવાનું પાણી આપીને મદદ કરે છે કારણ કે તું ખ્રિસ્તનો શિષ્ય છે, તો તે વ્યક્તિ ખરેખર તેનો બદલો પ્રાપ્ત કરશે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International