Book of Common Prayer
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી જાતને તને સોપું છું.
2 હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
3 જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.
4 હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
તમારા રસ્તા વિષે મને શીખવો.
5 મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
6 હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
7 મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.
8 યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
9 તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.
11 હે યહોવા, મારા પાપ તો ઘણાં છે,
તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.
12 યહોવાથી ડરે એવા માણસો કયાં છે?
શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે.
13 તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે;
તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે.
14 જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે.
તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.
15 મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે,
કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.
16 હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો.
હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.
17 મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે.
હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો.
18 મારાઁ દુ:ખ તથા વેદના પર જરા નજર કરો,
અને કૃપા કરી મારાં સર્વ પાપની ક્ષમા કરો.
19 મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ;
તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ.
20 મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો.
મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું.
21 મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો.
કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.
22 હે યહોવા, હવે તમે ઇસ્રાએલને
સર્વ સંકટોમાંથી છોડાવો.
નિર્દેશક માટે. રાગ: “મુથ-લાબ્બેન” દાઉદનું ગીત.
1 હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ;
અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ.
2 હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ.
સૌથી ઉયા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.
3 જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે
અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.
4 સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.
5 હે યહોવા, તમે વિદેશી રાષ્ટ્રોને,
અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે.
અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.
6 હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે.
અને સદાકાળ માટે નાશ પામ્યા છે.
જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યાં.
7 પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે;
અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.
8 તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે
અને તે રાષ્ટ્રોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.
9 યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.
10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે,
કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.
11 યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ;
ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.
12 કારણ જે ન્યાય શોધતા હોય છે
તેઓને તે યાદ રાખે છે.[a]
તેઓ રૂદન કરતા ગરીબ
લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.
13 “હે યહોવા, તમે મારા પર દયા કરો,
મને મોતના મુખમાંથી બચાવો,
મને કેવું દુ:ખ છે!
તે તમે જુઓ.
14 જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ
અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”
15 જે રાષ્ટ્રોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા,
તેઓ પોતેજ ખાડામાં પડયા છે.
તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
16 યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને,
પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.
17 દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે.
યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
18 ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ.
ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.
19 હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો!
ભલે રાષ્ટ્રોનો ન્યાય તમારી સંમુખ થાય.
20 હે યહોવા, તેઓને ભયભીત કરો,
જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે?
તમારા પવિત્ર પર્વત પર આવીને કોણ રહેશે?
2 જે સાધુશીલતા પાળે છે,
જે ન્યાયથી વર્તતા હૃદયથી સત્ય બોલે છે.
3 તે કદી બીજા લોકો માટે ખરાબ બોલતો નથી,
તે તેના પરિવાર માટે શરમજનક વાત કયારેય કરતો નથી.
તે કયારેય પોતાના મિત્રનું ભૂંડુ કરતો નથી;
અને કયારેય પોતાના પડોશીને હાની પહોંચાડતો નથી.
4 તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે.
જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે.
તેને નુકશાન સહન કરવું પડે તો
પણ પોતાના વચન કયારેય તોડતો નથી.
5 તે તેણે ધીરેલાં નાણાં ઉપર વ્યાજ લઇને
તે કોઇનું શોષણ કરતો નથી.
તે નિર્દોષ માણસો સામે જૂઠી સાક્ષી દઇને કદી લાંચ લેતો નથી.
જેઓ આ રીતે જીવે છે તે હંમેશા સુરક્ષિત રહેશે.
દાઉદની સફળતા નોંધતો શાઉલ
5 શાઉલે દાઉદને ઘણા યુદ્ધો લડવા મોકલ્યો, દાઉદે ખૂબ સફળતા મેળવી, તેથી શાઉલે તેને સૈન્યમાં ઊંચી પદવી આપી, તેને યોદ્ધાઓની દેખરેખનું કામ આપ્યું. શાઉલના માંણસોને અને બધાં લોકોને પણ આ ગમ્યું. 6 દાઉદે ગોલ્યાથને માંર્યા પછી વિજયી ઇસ્રાએલી સૈન્ય પાછું ફરતું હતું ત્યારે રસ્તે આવતાં ઇસ્રાએલનાં બધાંજ શહેરોની સ્ત્રીઓ રાજા શાઉલને વધાવવા ખંજરી અને વીણા વગાડતી વગાડતી નાચતી અને આનંદનાં ગીતો ગાતી બહાર આવતી. 7 તેઓ ઉત્સવનાં ઉલ્લાસમાં એવું ગીત ગાતી હતી કે,
“શાઉલે હજારોને સંહાર્યા છે
પણ દાઉદે તો લાખોને.”
8 શાઉલને આ ગમ્યું નહિ, તેને ગુસ્સો ચડયો, તે બોલ્યો, “દાઉદને એ લોકો લાખોનું શ્રેય આપે છે, જયારે મને માંત્ર હજારોનું જ! હવે તો એને રાજા થવું જ બાકી છે.” 9 તે દિવસથી શાઉલ રાજા દાઉદને ઇર્ષ્યાની દૃષ્ટિથી જોવા લાગ્યો.
દાઉદથી ડરતો શાઉલ
10 અને બીજે દિવસે દેવ તરફથી એક દુષ્ટાત્માંએ શાઉલને વશમાં કર્યો, તેણે શાઉલનો કબજો લીધો અને તે ગાંડા જેવો થઈ ગયો, અગાઉની જેમ દાઉદ વીણા વગાડીને તેને શાંત પાડવા લાગ્યો, પણ શાઉલ તો પોતાના હાથમાં ભાલો ફેરવતો હતો. 11 શાઉલે અચાનક દાઉદને ભીંત સાથે જડી દેવાના ઇરાદાથી બે વખત તેની તરફ ભાલો ફેંકયો. પરંતુ દાઉદે બે વાર બાજુ પર ખસી જઈને ઘા ચુકાવ્યો.
12 શાઉલ ત્યારથી દાઉદથી ડરવા લાગ્યો, કારણ, યહોવા શાઉલ પાસેથી જતા રહ્યા હતા અને દાઉદની સાથે હતા. 13 તેથી શાઉલે તેને પોતાની હજૂરમાંથી ખસેડીને તેને પોતાના સૈન્યમાં સહસ્ત્રાધિપતિ તરીકે નીમ્યો. પછી તે લોકોને યુદ્ધમાં દોરી જતો હતો અને પાછા લાવતો હતો. 14 દાઉદ બધાં જ કામોમાં સફળ થતો હતો કારણ કે યહોવા તેની સાથે હતા. 15 દાઉદની સફળતા જોઈને શાઉલ તેનાથી વધારે ડરવા લાગ્યો, 16 પરંતુ ઇસ્રાએલના અને યહૂદાના બધા લોકો તેના ઉપર પ્રેમ રાખતા હતા, કારણ તે યુદ્ધમાં ટૂકડીઓને દોરવતો હતો.
27 દાઉદે અને તેના માંણસોએ જઈને બ સો પલિસ્તીઓને માંરી નાખ્યા; દાઉદે તેમની ઇન્દ્રિયની ચામડી લાવીને રાજાને આપી; જેથી પોતે રાજાનો જમાંઈ થઈ શકે. આથી શાઉલે પોતાની પુત્રી મીખાલ દાઉદને પરણાવી.
28 શાઉલે જોયું કે, યહોવા દાઉદની સાથે છે, વળી તેની પુત્રી મીખાલ પણ તેના પ્રેમમાં પડી છે, 29 આથી તે દાઉદથી વધુને વધુ ડરવા લાગ્યો અને તેનો જીવનભર દુશ્મન બની ગયો.
30 જયારે પલિસ્તીઓનું સૈન્ય હુમલો કરતું, ત્યારે દરેક વખતે શાઉલના બીજા અમલદારો કરતા દાઉદને વધારે સફળતા મળતી અને આથી દાઉદનું નામ સમગ્ર દેશમાં ખૂબ જ ખ્યાતિ પામ્યું.
અંત્યોખમાં સુવાર્તા
19 સ્તેફનના મૃત્યુ પછી થયેલી સતાવણીને લીધે વિશ્વાસીઓ વિખરાઈ ગયા હતા. કેટલાક વિશ્વાસીઓ તે દૂર દૂરના સ્થળે ફિનીકિયા, સૈપ્રસ અને અંત્યોખ ગયા હતા. વિશ્વાસીઓએ સુવાર્તા આ જગ્યાઓએ કહી, પણ તેઓએ તે ફક્ત યહૂદિઓને જ કહી. 20 આ વિશ્વાસીઓમાંના કેટલાક સૈપ્રસ અને કુરેનીના માણસો હતા. જ્યારે આ માણસો અંત્યોખમાં આવ્યા. તેઓએ આ ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી. 21 પ્રભુ વિશ્વાસીઓને મદદ કરતો હતો અને એક મોટો લોકોનો સમૂહ પ્રભુમાં માનવા લાગ્યો અને તેને અનુસરવા લાગ્યો.
22 યરૂશાલેમમાં મંડળીએ આ નવા વિશ્વાસીઓ વિષે સાંભળ્યું. તેથી યરૂશાલેમના વિશ્વાસીઓએ બાર્નાબાસને અંત્યોખમાં મોકલ્યો. 23-24 બાર્નાબાસ એક સારો માણસ હતો. તે પવિત્ર આત્માથી અને પૂર્ણ વિશ્વાસથી ભરપૂર હતો. જ્યારે બાર્નાબાસ અંત્યોખ ગયો. તેણે જોયું કે દેવે આ લોકોને ઘણા આશીર્વાદ આપ્યા છે, આથી બાર્નાબાસ ઘણો પ્રસન્ન થયો. તેણે અંત્યોખમાં બધા વિશ્વાસીઓને પ્રોત્સાહન આપ્યું. તેણે તેઓને કહ્યું, “તમારો વિશ્વાસ કદી ગુમાવો નહિ, હંમેશા તમારા ખરા હ્રદયપૂર્વક પ્રભુની આજ્ઞાઓ માનો,” ઘણા બધા લોકો પ્રભુ ઈસુના શિષ્યો બન્યા.
25 પછી બાર્નાબાસ તાર્સસના શહેરમાં ગયો. તે શાઉલની શોધમાં હતો. 26 જ્યારે તેણે શાઉલને શોધ્યો ત્યારે તે તેને અંત્યોખ લાવ્યો. શાઉલ અને બાર્નાબાસ ત્યાં આખું એક વર્ષ રહ્યા. દરેક વખતે વિશ્વાસીઓનો સમૂહ ભેગો મળતો. શાઉલ અને બાર્નાબાસ તેઓને મળ્યા અને સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો, અંત્યોખના શહેરમાં ઈસુના શિષ્યો સૌ પ્રથમ વાર જ “ખ્રિસ્તી” તરીકે ઓળખાયા.
27 લગભગ તે સમય દરમ્યાન કેટલાક પ્રબોધકો યરૂશાલેમથી અંત્યોખ ગયા. 28 આમાંના એક પ્રબોધકનું નામ આગાબાસ હતું. અંત્યોખમાં આગાબાસ ઊભો થયો અને બોલ્યો. પવિત્ર આત્માની સહાયથી તેણે કહ્યું, “આખા વિશ્વ માટે ઘણો ખરાબ સમય આવી રહ્યો છે. ત્યાં લોકોને ખાવા માટે ખોરાક મળશે નહિ.” (આ સમયે જ્યારે કલોદિયસ બાદશાહ હતો ત્યારે દુકાળ પડ્યો હતો.) 29 વિશ્વાસીઓએ નિર્ણય કર્યો કે તેઓ બધા તેઓના ભાઈઓને તથા બહેનોને જે યહૂદિયામાં રહે છે તેઓને મદદ કરવા પ્રયત્ન કરશે. પ્રત્યેક વિશ્વાસીએ પોતાના સાર્મથ્ય અનુસાર તેઓને મોકલવાની યોજના ઘડી. 30 તેઓએ પૈસા ભેગા કર્યા અને તે બાર્નાબાસને અને શાઉલને આપ્યા. પછી બાર્નાબાસ અને શાઉલે તે (નાણાં) યહૂદિયાના વડીલો પર મોકલ્યા.
ઈસુ ઘણા લોકોને સાજા કરે છે
(માથ. 8:14-17; લૂ. 4:38-41)
29 ઈસુ અને તેના શિષ્યોએ સભાસ્થાન છોડ્યું. તેઓ યાકૂબ અને યોહાન સાથે સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા. 30 સિમોનની સાસુ બિમાર હતી. તે પથારીમા હતી અને તેને તાવ હતો. ત્યાંના લોકોએ ઈસુને તેના વિષે કહ્યું. 31 તેથી ઈસુ તેની પથારી પાસે ગયો. ઈસુએ તેનો હાથ પકડ્યો અને તેને ઉભા થવામાં મદદ કરી. તેનો તાવ ઉતરી ગયો અને તે સાજી થઈ ગઈ. પછીથી તેણે તેઓની સેવા કરવી શરું કરી.
32 તે રાત્રે સૂર્યાસ્ત થયા પછી લોકો ઘણા માંદા લોકોને ઈસુ પાસે લાવ્યા તથા જેઓને ભૂતો વળગેલા હતા તેવા લોકોને પણ લાવ્યા હતા. 33 શહેરના બધાજ લોકો તે ઘરનાં બારણા આગળ ભેગા થયા. 34 ઈસુએ ઘણા લોકો જેઓ જુદા જુદા રોગથી પીડાતા હતા તે બધાને સાજા કર્યા. ઈસુએ ઘણાં ભૂતોને કાઢ્યાં. પણ ઈસુએ ભૂતોને બોલવા દીધાં નહિ, કારણ કે ભૂતો જાણતા હતા કે તે કોણ હતો.
ઈસુની સુવાર્તા આપવાની તૈયારી
(લૂ. 4:42-44)
35 બીજી સવારે, ઈસુ ઘણો વહેલો ઉઠ્યો. જ્યારે અંધારું હતું ત્યારે ઈસુએ ઘર છોડ્યું. તે એકાંત જગ્યાએ એકલો પ્રાર્થના કરવા ગયો. 36 પાછળથી, સિમોન અને તેના મિત્રો ઈસુની શોધમાં નીકળ્યા. 37 તેઓએ ઈસુને શોધ્યો અને કહ્યું, “બધા જ લોકો તારી રાહ જોઈ રહ્યા છે!”
38 ઈસુએ જવાબ આપ્યો, “આપણે બીજી કોઈ જગ્યાએ જવું જોઈએ. આપણે અહીંના આજુબાજુના બીજાં ગામોમાં જઇએ, હું તે સ્થળોએ પણ ઉપદેશ આપી શકુ તે માટે આવ્યો છું.” 39 તેથી ઈસુએ ગાલીલમાં સર્વત્ર મુસાફરી કરી. સભાસ્થાનોમાં તેણે ઉપદેશ કર્યો, અને તેણે દુષ્ટાત્માઓને લોકોને છોડીને જવા ફરજ પાડી.
ઈસુનું માંદા માણસને સાજા કરવું
(માથ. 8:1-4; લૂ. 5:12-16)
40 એક માણસ કે જેને કોઢ હતો તે ઈસુ પાસે આવ્યો. તે માણસે ઘૂંટણ ટેકવીને ઈસુને વિનંતી કરી. “તું ઈચ્છે તો તું મને સાજો કરવા સમર્થ છે.”
41 ઈસુને આ માણસ માટે દયા આવી. તેથી ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું, “હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!” 42 પછી માંદગી તે માણસને છોડી ગઈ અને તે સાજો થઈ ગયો.
43 ઈસુએ તે માણસને જવાનું કહ્યું. પણ ઈસુએ તેને કડક ચેતવણી આપી. ઈસુએ કહ્યું, 44 “મેં તારા માટે જે કાંઇ કર્યું તે વિષે તું કોઈ વ્યક્તિને કહીશ નહિ. પણ જા અને યાજકને જઇને બતાવ. અને દેવને ભેટ અર્પણ કર. કારણ કે તું સાજો થઈ ગયો છે. મૂસાએ જે ફરમાન કર્યુ છે તેની ભેટ અર્પણ કર. આથી લોકોને સાક્ષી મળશે કે તું સાજો થઈ ગયો છે” 45 તે માણસ ત્યાંથી વિદાય થયો અને બધા લોકોને તેણે જોયા તે સર્વને કહ્યું કે ઈસુએ તેને સાજો કર્યો છે. તેથી ઈસુ વિષેના સમાચાર પ્રસરી ગયા. અને તેથી ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઇ ન શક્યો. ઈસુ એવી જગ્યાઓએ રહ્યો જ્યાં લોકો રહેતાં ન હતા. પરંતુ બધા શહેરોના લોકો ઈસુ જે જગ્યાએ હતો ત્યાં આવ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International