Book of Common Prayer
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો;
યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે
અને તમને સિયોનમાંથી શકિત આપે.
3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી,
અને તારું દહનાર્પણ સ્વીકારે.
4 તને તારી ઇચ્છા પ્રમાણે આપે
અને તારી સર્વ યોજનાઓને પાર પાડે.
5 તમારી મુકિત અમને સુખી બનાવશે,
આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું;
યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
6 યહોવાએ પોતે જેને અભિષિકત કર્યા છે, તેને વિજય અપાવે છે,
તે પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની
તારક શકિતથી તેને જવાબ આપશે.
7 કોઇ રાષ્ટ્રો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે,
બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે.
પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ.
અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે;
પણ આપણે અડગ ઊભા રહીશુ.
9 હે યહોવા, અમારા રાજાને વિજય આપો.
અમે ભાર પૂર્વક વિનંતી કરીએ છીએ ત્યારે તમે જવાબ આપો.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે.
તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.
2 કારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે.
તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.
3 કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે.
અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.
4 હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું
અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.
5 તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો.
તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.
6 કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો.
અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.
7 કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે.
અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.
8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો
અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.
9 જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ
તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે.
યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે
અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
10 યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે;
માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.
11 કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે.
છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.
12 તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે.
તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.
13 હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ;
અને તમારા મહાન કર્મોની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.
દાઉદનું ગીત.
1 યહોવાએ મારા પ્રભુને કહ્યું,
“જ્યાં સુધી; હું તારા દુશ્મનોને હરાવું અને તેઓને તારી સમક્ષ નીચા નમાવું,
ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.”
2 યહોવા સિયોનમાંથી તારા સાર્મથ્યનો રાજદંડ મોકલશે;
તારા શત્રુઓ પર રાજ કર.
3 તારા લોકો તારા યુદ્ધને દિવસે
તારી સાથે જોડાવવા ઇચ્છશે.
સવારે તેં તારા પવિત્ર વસ્રો
ધારણ કરેલા છે.
તારી યુવાવસ્થાનું જોર
તને દોરવે છે.
4 યહોવાએ પ્રતિજ્ઞા કરી,
“તું મલ્ખીસદેકની જેમ,
સદાને માટે યાજક છે;
તેમનું આ વચન તે કદી રદબાતલ કરશે નહિ.”
5 તારી રક્ષા માટે, તારી પાસે પ્રભુ તારા જમણા હાથે ઊભા છે;
તે ધણા રાજાઓનો પોતાના ક્રોધને દિવસે નાશ કરશે.
6 તે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે;
અને તેમની પ્રજાઓના પ્રદેશ મૃતદેહથી ભરી દેશે,
અને તેની વિશાળ ભૂમિમાં માથાઓને છૂંદી નાંખશે.
7 તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે;
નવી તાજગી સાથે પોતાનું માથું ઊંચુ કરશે.
1 યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે
અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
2 તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે;
માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
3 મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો;
મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં;
અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
4 ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો,
“હે યહોવા મને બચાવો.”
5 યહોવા ન્યાયી અને કૃપાળુ છે;
આપણા દેવ ખરેખર માયાળુ છે.
6 યહોવા અસહાયનું રક્ષણ કરે છે;
હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.
7 હે મારા આત્મા, વિશ્રામ કરો!
કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
8 તમે મારા પ્રાણને મૃત્યુથી
અને મારી આંખોને આંસુથી
અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
9 હું જીવલોકમાં જીવતો રહીશ;
અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.
10 “હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું
ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
11 મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે,
“સર્વ માણસો જૂઠાઁ છે.”
12 યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો
હું તેને શો બદલો આપું?
13 મારું રક્ષણ કરવા માટે તેમની માટે
હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ;
અને હું દેવના નામે પોકારીશ.
14 યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે,
તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.
15 યહોવાની ષ્ટિમાં તેના ભકતનું
મૃત્યુ કિંમતી છે.
16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે,
હે યહોવા, ખરેખર હું તમારો દાસ;
તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
17 હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ,
અને હું યહોવાના નામે પોકારીશ.
18 મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ;
તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના
મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ.
યહોવાની સ્તુતિ થાઓ.
1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ.
બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો.
2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે;
યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ!
યહોવાની સ્તુતિ હો.
31 દાઉદે જે કહ્યું હતું તે થોડા લોકોએ સાંભળ્યું, તેમણે શાઉલને આ વિષે કહ્યું. તેથી શાઉલે તેને બોલાવડાવ્યો. 32 દાઉદે શાઉલને કહ્યું, “હિંમત હારવાની જરૂર નથી. હું તે પલિસ્તી સાથે લડીશ.”
33 શાઉલે કહ્યું, “ના, તું જઈને એ પલિસ્તી સાથે કેવી રીતે લડશે? તું તો નાનો છોકરો છે અને તેણે તો નાનો હતો ત્યારથી આખી જીંદગી લડવામાં જ ગાળી છે.”
34 દાઉદે ભારપૂર્વક જણાવ્યું, “નામદાર, હું માંરા પિતાનાં ઘેટાં ચારું છું. જો કોઈ વાર સિંહ કે રીંછ આવીને અમાંરા ટોળામાંથી ઘેટું ઉપાડી જાય છે, 35 તો હું તેની પાછળ પડી તેના ઉપર હુમલો કરીને તેના મોંમાંથી તેને છોડાવી લાવું છું. જો તે માંરી સામે થાય છે તો હું તેની દાઢી પકડીને માંરી માંરીને તેનો જીવ લઉં છું. 36 આ રીતે મેં સિંહને અને રીંછને માંર્યા છે. આ વિદેશી પલિસ્તીના પણ હું એવા જ હાલ કરીશ. કારણ કે તેણે જીવતા જાગતા દેવની સેનાનો તિરસ્કાર કર્યો છે. 37 યહોવાએ મને સિંહોના અને રીછોના પંજામાંથી બચાવ્યા છે, તે જ મને આ પલિસ્તીઓના પંજામાંથી પણ બચાવશે.”
આખરે શાઉલ સંમત થયો અને કહ્યું, “જા, ભલે જા, યહોવા તારું રક્ષણ કરો.” 38 શાઉલે દાઉદને પોતાનું બખ્તર પહેરાવ્યું. તેના માંથા પર કાંસાનો ટોપ મૂકયો અને કવચ પહેરાવ્યું. 39 પછી તેના બખ્તર ઉપર શાઉલે પોતાની તરવાર લટકાવી, અને દાઉદે ચાલવાનો પ્રયત્ન કરી જોયો, પણ તે આ બધાથી ટેવાયેલો ન હોવાથી તે ચાલી શકયો નહિ.
તેણે શાઉલને કહ્યું, “આ બધાં સાથે મને ચાલતાં ફાવતું નથી. હું એનાથી ટેવાયેલો નથી,” આથી તેણે તે બધુ ઉતારી નાખ્યું. 40 પછી તેણે પોતાની થેલી લીધી અને નદીના વહેણમાંથી પાંચ સુંવાળા પથરા ઉપાડીને થેલીમાં મૂકયા, અને હાથમાં ગોફણ લઈને તે પેલા પલિસ્તી તરફ ઊપડ્યો.
ગોલ્યાથને માંરતો દાઉદ
41 તેની ઢાલ ઊંચકનાર તેની આગળ આગળ ચાલતો હતો. તે દાઉદની નજીક આવતો જતો હતો. 42 તેણે દાઉદને ધારી ધારીને જોયો અને તેના ઉપર હસતો હતો, કારણ કે તે દાઉદ તો હજુ એક ગલગોટા જેવો રૂપાળો જુવાન હતો. 43 તેણે દાઉદને કહ્યું, “હું તે કંઈ કૂતરો છું કે તું માંરી સામે લાકડી લઈને આવ્યો છે?” તેણે પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો. 44 તેણે દાઉદને કહ્યું, “માંરી નજીક આવ, હું તારું માંસ આકાશનાં પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને આપીશ.”
45 દાઉદે જવાબ આપ્યોં, “તું માંરી સામે તરવાર, ભાલો ને કટારી લઈને આવ્યો છે, પરંતુ હું તારી સામે જે ઇસ્રાએલી સૈન્યનું તેઁ અપમાંન કર્યુ છે; તેના જીવતા દેવ સર્વસમર્થ યહોવાના નામે આવ્યો છું. 46 આજે યહોવા તને માંરા હાથમાં સુપ્રત કરી દેશે અને હું તારો જીવ લઈશ. આજે હું તારું માંથું કાપી નાખીશ અને તારા શબને પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને ખાવા આપીશ; અમે બીજા પલિસ્તી સૈનિકોના શબોનું પણ આમ જ કરીશું. ત્યારે સમસ્ત જગત જાણશે કે ઇસ્રાએલમાં દેવ છે. 47 અહીં ભેગા થયેલા સૌ કોઈ જાણે કે, યહોવાને રક્ષણ કરવા માંટે નથી જરૂર તરવારની કે નથી જરૂર ભાલાની; યુદ્ધમાં વિજય યહોવાનો છે અને તે તમને અમાંરા હાથમાં સોંપી દેશે.”
48 પછી તે પલિસ્તી ઊઠીને દાઉદની સામે લડવા આગળ આવવા લાગ્યો, એટલે દાઉદ પલિસ્તીઓના લશ્કર તરફ તેનો સામનો કરવા દોડી ગયો.
49 દાઉદે ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર કાઢયો અને તે ગોફણમાં મૂકીને પલિસ્તીના કપાળમાં માંર્યો. પથરો તેના કપાળમાં જોરથી વાગ્યો અને તે ઊંધે માંથે ભોંય પર પટકાઈ પડયો.
પિતરનું યરૂશાલેમમાં પુનરાગમન
11 યહૂદિયાના પ્રેરિતો અને ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદિઓએ પણ દેવની વાતોનો સ્વીકાર કર્યો છે. 2 પરંતુ જ્યારે પિતર યરૂશાલેમ આવ્યો. કેટલાક યહૂદિ વિશ્વાસીઓએ તેની સાથે દલીલો કરી. 3 તેઓએ કહ્યું, “તું લોકોના જે ઘરમાં ગયો તેઓ યહૂદિઓ નહોતા, અને તેઓએ સુન્નત કરાવી નહોતી! તેં તેઓની સાથે ખાધું પણ ખરું!”
4 પિતરે તેઓને આખી વાત સમજાવી. 5 પિતરે કહ્યું, “હું યાફાના શહેરમાં હતો. જ્યારે હું પ્રાર્થના કરતો હતો, એક દર્શન મારી સામે આવ્યું. મેં દર્શનમાં આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું, તે એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર નીચે ઉતરતી હતી. તે નીચે આવીને મારી નજીક અટકી ગઈ. 6 મેં તેની અંદર જોયું. મેં પાળેલાં અને જંગલી બંને પ્રકરના પ્રાણીઓ જોયાં. મેં પેટે સરકતાં પ્રાણીઓ અને હવામાં ઊડતાં પક્ષીઓ જોયા. 7 મેં એક વાણી મને એમ કહેતી સાંભળી કે, ‘ઊભો થા. પિતર, આમાંથી કોઇ પ્રાણીને મારી નાખ અને તે ખા!’
8 “પણ મેં કહ્યું, ‘હું કદાપિ તે નહિ કરું, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ હોય એવું કંઈ ખાધું નથી.’
9 “પરંતુ આકાશમાંના અવાજે ફરીથી કહ્યું, ‘દેવે આ વસ્તુઓ સ્વચ્છ બનાવી છે. તેને નાપાક કહીશ નહિ!’
10 “આ ત્રણ વખત બન્યું. પછી તે આખી વસ્તુ આકાશમાં પાછી લઈ લેવામાં આવી. 11 પછી હું જ્યાં રહેતો હતો ત્યાં તે ઘરમાં તરત જ ત્રણ માણસો આવી પહોંચ્યા. ત્રણ માણસો કૈસરિયા શહેરમાંથી મારી પાસે મોકલવામાં આવ્યા હતા. 12 આત્માએ મને કોઇ પણ જાતની શંકા રાખ્યા વિના તેમની સાથે જવા કહ્યું. આ છ ભાઈઓ જે અહીં હતા તેઓ મારી સાથે આવ્યા. અમે કર્નેલિયસના ઘરે ગયા. 13 કર્નેલિયસે અમને દૂત વિષે કહ્યું. જેને તેના ઘરમાં ઊભેલો જોયો. દૂતે કર્નેલિયસને કહ્યું, ‘સિમોન પિતરને આવવા માટેનું નિમંત્રણ આપવા માટે કેટલાક માણસોને યાફા મોકલ. 14 તે તને જે વાતો કહેશે તેના વડે તું અને તારા ઘરનાં બંને તારણ પામશો.’
15 “મેં બોલવાનો આરંભ કર્યા બાદ તરત જ પવિત્ર આત્મા તેઓના પર ઉતર્યો. જે રીતે શરૂઆતમાં તે (પવિત્ર આત્મા) અમારા પર ઉતર્યો હતો. 16 પછી મેં પ્રભુની વાણીનું સ્મરણ કર્યુ. પ્રભુએ કહ્યું, ‘યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યુ. પણ તું પવિત્ર આત્મામાં બાપ્તિસ્મા પામશે!’ 17 દેવે આ લોકોને તે જ ભેટ આપી જે તેણે અમને કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખતા હતા, તેમને આપી હતી. તો પછી હું કોણ કે દેવના કામને અટકાવું? ના!”
18 જ્યારે યહૂદિ વિશ્વાસીઓએ આ વાતો સાંભળી, તેઓએ દલીલો કરવાનું બંધ કર્યુ. તેઓએ દેવને મહિમા આપતાં કહ્યું, “તેથી દેવ બિનયહૂદિઓને પસ્તાવો કરવાનું મન આપ્યું છે અને આપણા જેવું જીવન પામવા માટે સંપત્તિ આપે છે.”
ઈસુ કેટલાક શિષ્યોની પસંદગી કરે છે
(માથ. 4:12-17; લૂ. 4:14-15)
14 આ પછી, યોહાનને બંદીખાનામાં મૂકવામાં આવ્યો હતો. ઈસુ ગાલીલમાં ગયો અને દેવ તરફથી સુવાર્તા પ્રગટ કરી. 15 ઈસુએ કહ્યું, “હવે નિશ્ચિત સમય આવી પહોંચ્યો છે. દેવનું રાજ્ય નજીક છે. પસ્તાવો કરો અને દેવની સુવાર્તામાં વિશ્વાસ કરો!”
પ્રથમ શિષ્યોને આમંત્રણ
(માથ. 4:18-22; લૂ. 5:1-11)
16 ઈસુ ગાલીલના સરોવરની બાજુમાં ચાલતો હતો ત્યારે ઈસુએ સિમોનના ભાઈ આંદ્રિયાને જોયો. આ બંને માણસો માછીમારો હતા, અને તેઓ માછલા પકડવા સરોવરમાં જાળ નાખતા હતાં. 17 ઈસુએ તેમને કહ્યું, “મારી પાછળ આવો, ને હું તમને એક જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે લોકોને ભેગા કરવાનું કામ કરશો, માછલીઓ નહિ.” 18 તેથી સિમોન અને આંદ્રિયાએ તેઓની જાળો છોડી દીધી અને ઈસુની પાછળ ગયા.
19 ઈસુએ ગાલીલ સરોવરની બાજુમાં ચાલવાનું ચાલુ રાખ્યું. તેણે ત્યાં બે વધારે ભાઈઓ, ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ હોડીમાં તેમની માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા. 20 તેમનો પિતા ઝબદી અને તે માણસો જે તેમના માટે કામ કરતાં હતા, તેઓ તે ભાઈઓ સાથે હોડીમાં હતા. જ્યારે ઈસુએ તે ભાઈઓને જોયા, તેણે તેઓને આવવા કહ્યું. તેઓએ તેમના પિતાને છોડ્યા અને ઈસુની પાછળ ગયા.
ઈસુનું અશુદ્ધ આત્માવાળા માણસને સાજા કરવું
(લૂ. 4:31-37)
21 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો. 22 ત્યાં જે લોકો હતા તેઓ ઈસુના ઉપદેશથી નવાઇ પામ્યા. ઈસુએ તેમના શાસ્ત્રીઓની જેમ શીખવ્યું નહિ. પરંતુ ઈસુએ જે વ્યક્તિ પાસે અધિકાર હોય તેવી રીતે શીખવ્યું. 23 જ્યારે ઈસુ સભાસ્થાનમાં હતો, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસે બૂમ પાડી, 24 “નાઝરેથના ઈસુ! તારે અમારી સાથે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું તું કોણ છે-દેવનો એક પવિત્ર!”
25 ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, “શાંત રહે! તે માણસમાંથી બહાર નીકળ!” 26 તે અશુદ્ધ આત્માએ તે માણસને ધ્રુંજાવી નાખ્યો. પછી તે આત્માએ મોટી બૂમ પાડી અને તે માણસમાંથી બહાર નીકળી ગયો.
27 લોકો નવાઇ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછયું, “અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.” 28 તેથી ઈસુના સમાચાર ઝડપથી ગાલીલના પ્રદેશમાં સર્વત્ર પ્રસરી ગયા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International