Book of Common Prayer
આલેફ
1 જેઓ પવિત્ર જીવન જીવે છે,
તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
2 જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે,
તેઓ સર્વ આશીર્વાદિત છે.
3 તેઓ કદી ખરાબ કામ કરતા નથી,
અને તેઓ યહોવાના ન્યાયી માર્ગની કેડીએ ચાલે છે.
4 તમે અમને નિયમો આપ્યાં છે,
તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કહ્યું છે.
5 મારા કાર્યો તમારા વિધિઓ સાથે સુમેળમાં રહે
તેમ હું ઇચ્છુ છું.
6 પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ
હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
7 તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ;
ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.
8 હું તમારા વિધિઓને અનુસરીશ,
તેથી કૃપા કરી મને છોડશો નહિ!
બેથ
9 જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે?
તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
10 મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે;
તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
11 મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે;
જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
12 યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને
મને તમારા વિધિઓ શીખવો.
13 મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
14 સંપત્તિ કરતાં તમારા નિયમોમાં
મને વધુ આનંદ મળે છે.
15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું,
હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
16 હું તમારા વિધિઓને માનું છું;
હું તેમને ભૂલી જઇશ નહિ.
ગિમેલ
17 મને તમારા સેવકને બદલો આપો;
જેથી હુ જીવિત રહું અને તમારા વચનનું પાલન કરું.
18 તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે;
મારી આંખો ઉઘાડો.
19 પૃથ્વી પર હું તો એક યાત્રી છું;
તારી આજ્ઞાઓ મારાથી સંતાડ નહિ.
20 મારું હૃદય તમારા ન્યાયવચનો
માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.
21 તમે ઉદ્ધત લોકોને જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી.
તેમને ઠપકો આપો છો.
22 મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો;
કારણકે મેં તારાં નિયમો માન્યાં છે.
23 સરદારો પણ આસનો પર બેઠાબેઠા
મારી વિરુદ્ધ બોલતા હતા;
પણ તારા સેવકે તમારા વિધિઓનું મનન તો કર્યુ છે.
24 હું તમારા નિયમોને માનું છું. અને હા,
તેઓ મારા સલાહકારો પણ છે.
નિર્દેશક માટે, શેમીનીથ મુજબ ગાવા માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, રક્ષા કરો;
દેવથી ડરનારાઓનો નાશ થઇ રહ્યો છે
તો પછી વિશ્વમાં વિશ્વાસુ માણસો કયાં મળશે?
2 લોકો તેમના પોતાના પડોશીઓ સાથે જૂઠ્ઠુ બોલે છે.
લોકો જૂઠાણાંથી એકબીજાની ખોટી પ્રશંસા કરે છે.
3 પણ યહોવા પ્રશંસા કરનારા હોઠોનો
અને બડાઇ કરનારી જીભોનો નાશ કરશે.
4 તેઓએ એમ કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું;
હોઠ અમારા પોતાના છે,
અમારો કોણ માલિક છે જે અમને અટકાવે?”
5 યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ
અને તમારું રક્ષણ કરવા આવીશ,
કારણ કે ગરીબો લૂટાયા
તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે.
તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”
6 યહોવાના શબ્દો સાત વખત
ભઠ્ઠીમાં તપાવેલી
ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.
7 હે યહોવા, તેઓને સંભાળજો;
આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.
8 દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારેબાજુ ફરતાં હોય છે.
અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો?
શું સદાને માટે?
હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો?
2 આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું:
જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો?
કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો?
કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે?
3 હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો.
જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો.
4 શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે.
મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં.
5 મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે.
તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.
6 યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ,
કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે જ નહિ.”
તે માણસ ષ્ટ અને અનૈતિક છે.
તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
2 યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે એ જાણવા માટે,
કે કોઇ ડાહ્યાં લોકો છે
કે જેમને દેવની મદદની જરૂર છે.
3 પણ ના! ત્યાં કોઇ નથી.
બધાએ સાચો રસ્તો છોડી દીધો છે
અને યહોવાથી
દૂર થઇ ગયા છે.
4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે,
અને તે દુષ્કર્મો કરનારાઓ દેવને નથી જાણતા.
તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
5 જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે,
કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
6 દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે.
પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
7 ભલે ઇસ્રાએલનું તારણ
સિયોન પર્વત પર આવે.
જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે
ત્યારે યાકૂબ પ્રસન્ન થશે
અને ઇસ્રાએલ સુખી થશે.
શમુએલ બેથલેહેમ ગયો
16 યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને માંટે તું કયાં સુધી શોક કર્યા કરીશ? મેં એને રાજા પદેથી ઉઠાડી મૂકયો છે. તારા શિંગડામાં તેલ ભરી લે અને જા. હું તને બેથલેહેમના યશાઇ પાસે મોકલું છું. કારણ કે, મેં તેના પુત્રોમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે.”
2 શમુએલે પૂછયું, “હું કેવી રીતે જાઉં? જો શાઉલને તેની ખબર પડી જાય તો તે મને માંરી નાખશે.”
યહોવાએ કહ્યું, “તું તારી સાથે એક વાછરડું લઈ જા, અને તેને કહેજે કે, ‘હું યહોવાને યજ્ઞ અર્પવા આવ્યો છું.’ 3 યશાઇને એ યજ્ઞમાં બોલાવજે. પછી તારે શું કરવાનું છે તે હું તને કહીશ. જે વ્યકિત હુઁ તને દેખાડું, તમાંરે તેનો રાજા તરીકે અભિષેક કરવો.”
4 પછી યહોવાએ કહ્યું, તે મુજબ શમુએલે કર્યું. તે બેથલેહેમ ગયો અને શહેરના વડીલો તેને મળવા દોડી આવ્યા. તેઓએ પૂછયું, “આપ શા માંટે આવ્યા છો? સમાંચાર તો સારા છે ને?”
5 શમુએલે કહ્યું, “હા, હું શાંતિમાં આવ્યો છું. હું યહોવાને યજ્ઞ અર્પણ આપવા આવ્યો છુઁ. તમે બધા તમાંરી જાતને શુદ્ધ કરો અને માંરી સાથે યજ્ઞ અર્પણ માંટે આવો.” તેણે તેની જાતે યશાઇ અને તેના પુત્રોને તૈયાર કર્યો અને તેમને યજ્ઞ અર્પણ માંટે આમંત્રિત કર્યાં.
6 તેઓ આવ્યા એટલે અલીઆબને જોઈને શમુએલને વિચાર આવ્યો કે, “જરૂર, યહોવાનો પસંદ કરેલો માંણસ એની સમક્ષ આવ્યો છે.”
7 પણ યહોવાએ શમુએલને કહ્યું, “એનો દેખાવ અને ઊંચાઈ જોઈને તેને ધ્યાનમાં ન લો, કારણ હું તેનો અસ્વીકાર કરું છુ. યહોવાની દૃષ્ટિ અને માંનવની દૃષ્ટિમાં તફાવત હોય છે. માંણસો બાહ્ય દેખાવ જુએ છે, પરંતુ યહોવા માંણસના અંતર અને ભાવનાઓને જુએ છે.”
8 પછી યશાઇએ અબીનાદાબને બોલાવીને શમુએલની આગળ રજૂ કર્યો. અને શમુએલે કહ્યું, “ના, યહોવાએ તેને પસંદ કર્યો નથી.”
9 પછી યશાઇ શામ્માંહને લાવ્યો, પણ શમુએલે કહ્યું: “નહિ, યહોવાએ તેને પસંદ કર્યો નથી.”
10 યશાઇએ પોતાના સાતે પુત્રોને શમુએલ આગળ રજૂ કર્યા. પણ તેણે કહ્યું, “આમાંના એકે ય ને યહોવાએ પસંદ કર્યો નથી.”
11 પછી શમુએલે યશાઇને પૂછયુ, “શું તારે આ સાત પુત્રો જ છે?”
યશાઇએ ઉત્તર આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે, પણ તે ઘેટાં અને પ્રાણીઓ ચરાવવા ગયો છે.”
તેથી શમુએલે યશાઇને કહ્યું, “તેને બોલાવવા માંટે મોકલો, અને તેને લાવો, તે ન આવે ત્યાં સુધી આપણે ભોજન નહિ કરીએ.”
12 એટલે યશાઇએ તેને લાવવા માંણસ મોકલ્યો, તે દેખાવે રૂપાળો હતો, તેનો ચહેરો લાલ અને આંખો તેજસ્વી હતી.
યહોવાએ કહ્યું, “તે પસંદ કરાયેલો છે. ઊઠ, અને એનો અભિષેક કર.”
13 શમુએલે તેલનું શીગડું લઈને તેનો તેના ભાઈઓના દેખતાં અભિષેક કર્યો. પછી યહોવાના આત્માંએ દાઉદમાં સંચાર કર્યો અને તે દિવસથી તેના ભેગો રહ્યો. શમુએલ પછી તેની જગ્યાએ પાછો ગયો.
પિતર અને કર્નેલિયસ
10 કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો. 2 કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો. 3 એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”
4 કર્નેલિયસે દૂત તરફ જોયું. તેણે ડરી જઈને કહ્યું, “સાહેબ, તારે શું જોઈએ છીએ?”
તે દૂતે કર્નેલિયસને કહ્યું, “દેવે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે તેણે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે. 5 હવે યાફા શહેરમાં કેટલાએક માણસો મોકલ. સિમોન નામના માણસને પાછો લાવવા તમારા માણસોને મોકલો. સિમોન પણ પિતર કહેવાય છે. 6 સિમોન જે માણસ સાથે રહે છે. તેનું નામ પણ સિમોન છે. જે એક ચમાર છે. સમુદ્રની બાજુમાં તેનું ઘર છે.” 7 જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો. પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો. આ સૈનિક એક ધાર્મિક માણસ હતો. તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો. 8 કર્નેલિયસે આ ત્રણે માણસોને બધી વાત સમજાવી. પછી તેણે તેઓને યાફા રવાના કર્યા.
9 બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો. 10 પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું. 11 તેણે ખુલ્લા આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું. તે જમીન પર નીચે આવતી એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર ઉતરતું હતું. 12 તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં. 13 પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”
14 પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”
15 પછી વાણીએ તેને ફરીથી કહ્યું, “દેવે આ વસ્તુઓ શુદ્ધ કરી છે. તેને ‘નાપાક’ કહીશ નહિ!” 16 આમ ત્રણ વખત બન્યું. પછી આખુ વાસણ આકાશમાં પાછું ઊચે લઈ લેવામાં આવ્યું.
12 પણ પિતર ઊભો થયો. જો આ સાચું હોય તો તે જોવા માટે કબરે એકલો દોડ્યો. તેણે અંદર જોયું. પણ તેણે ઈસુને જેમાં વીંટાળ્યો હતો તે લૂગડાં જ માત્ર જોયાં. ત્યાં ફક્ત લૂગડાં જ પડેલા હતાં. ઈસુ નહતો. પિતરે જે થયું હતું તે સંબધી આશ્ચર્ય પામીને એકાંત માટે દૂર ચાલ્યો ગયો.
ઈસુ એમ્મોસના માર્ગે
(માર્ક 16:12-13)
13 તે જ દિવસે શિષ્યોમાંથી બે એમ્મોસ નામના શહેરમાં જતા હતા. તે યરૂશાલેમથી લગભગ સાત માઇલ દૂર હતું. 14 તેઓ બધા સાથે જે કંઈ બનાવો બન્યા હતા તે અંગે વાતો કરતા હતા. 15 જ્યારે તેઓ આ બાબતમાં ભેગા થઈ વાતો કરતા હતા અને ચર્ચા કરતા હતા ત્યારે ઈસુ પોતે તેઓની નજીક આવીને તેઓની સાથે ચાલ્યો. 16 (પણ પેલા બે માણસોને ઈસુને ઓળખવાની દષ્ટિ નહોતી.) 17 પછી ઈસુએ કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શાની ચર્ચા કરો છો?”
તે બે માણસો ઊભા રહ્યા. તેઓના ચહેરા ઘણા ઉદાસ દેખાતા હતા. 18 કલિયોપાસ નામના એકે ઉત્તર આપ્યો કે, “યરૂશાલેમમાં ફક્ત તું જ એકલો એવો માણસ હશે જે છેલ્લા થોડા દિવસો પહેલાં ત્યાં શું થયું છે તે તું જાણતો નથી.”
19 ઈસુએ તેઓને કહ્યું કે, “કયા બનાવો?”
પેલા માણસોએ તેને કહ્યું કે, “તે ઈસુ વિષે જે નાસરેથનો છે. દેવ અને બધા લોકો માટે તે એક મહાન પ્રબોધક હતો. તેણે કહ્યા પ્રમાણે પરાક્રમમાં મહાન ચમત્કારો કર્યા. 20 પણ અમારા અધિકારીઓ અને મુખ્ય યાજકોએ મરણદંડ માટે તેને દૂર મોકલી દીધો. તેઓએ ઈસુને વધસ્તંભે ખીલાઓ વડે જડ્યો. 21 અમને આશા હતી કે તે એક ઈસ્ત્રાએલનો ઉદ્ધાર કરનાર થશે. પણ પછી આ બધું બન્યું. અને હવે બીજું કંઈક.
“આ બનાવો બન્યાને આજે ત્રીજો દિવસ છે. 22 પણ આજે અમારામાંની કેટલીએક સ્ત્રીઓએ અમને આશ્ચર્યજનક વાત કરી. આ વહેલી સવારે સ્ત્રીઓ કબર પાસે ગઇ જ્યાં ઈસુના દેહને મૂકવામાં આવ્યો હતો. 23 પણ તેઓએ ત્યાં તેનું શરીર દીઠું નહિ. તેઓએ આવીને અમને કહ્યું કે તેઓએ બે દૂતના પણ દર્શન કર્યા. દૂતોએ કહ્યું કે, ‘ઈસુ જીવંત છે!’ 24 તેથી અમારા કેટલાએક જૂથ પણ કબર પાસે ગયા. ત્યાં સ્ત્રીઓએ કહ્યું તેવું જ હતું-કબર ખાલી હતી. અમે જોયું, પણ અમે ઈસુને જોયો નહિ.”
25 પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ. 26 પ્રબોધકોએ કહ્યું હતું કે ખ્રિસ્તે તેના મહિમામાં પ્રવેશતા પહેલા આ બધું સહેવું પડશે.” 27 પછી ઈસુએ બધું સમજાવવાની શરુંઆત કરી. જે તેના સંબંધી ધર્મલેખોમાં લખાયેલું હતું. ઈસુએ મૂસાના પુસ્તકોથી શરુંઆત કરી અને પછી પ્રબોધકોએ તેના વિષે શું કહ્યું હતું તેની વાત કરી.
28 તેઓ એમ્મોસના શહેરની નજીક આવ્યા અને ઈસુએ ત્યાં રોકાઇ જવાની કોઈ યોજના ના હોય તેમ આગળ જવાનું ચાલું રાખ્યું. 29 પણ તેઓ તેને રાકવા ઈચ્છતા હતા. તેઓએ તેને આગ્રહ કર્યો, “અમારી સાથે રહે.” મોડું થયું છે લગભગ રાત્રી થઈ ગઇ છે. તેથી તે તેઓની સાથે રહેવા અંદર ગયો.
30 ઈસુ તેઓની સાથે નીચે જમવા બેઠો અને થોડી રોટલી લીધી અને તેણે ભોજન માટે સ્તુતિ કરી અને તેના ભાગ પાડ્યા. પછી તે તેઓને આપ્યા. 31 તે વખતે, તેઓને ઈસુને ઓળખવાની દષ્ટિ મળી. પણ જ્યારે તેઓએ જોયું કે તે કોણ હતો ત્યારે તે અદ્ધશ્ય થઈ ગયો. 32 બંને માણસોએ એકબીજાને કહ્યું કે, “જ્યારે ઈસુ રસ્તા પર આપણી સાથે વાત કરતો હતો ત્યારે આપણા હ્રદયમાં આગ સળગતી હતી. જ્યારે તે ધર્મલેખોના અર્થ સમજાવતો તે ઉત્સાહદાયક હતું.”
33 પછી તે બંને માણસો ઊભા થયા અને યરૂશાલેમ પાછા ફર્યા. યરૂશાલેમમાં તેઓએ ઈસુના શિષ્યોને ભેગા થયેલા જોયા. અગિયાર પ્રેરિતો અને પેલા લોકો જે તેઓની સાથે હતા. 34 તેઓએ કહ્યું કે, “પ્રભુ, ખરેખર મૃત્યુમાંથી ઊઠ્યો છે! તેણે પોતે સિમોનને દર્શન આપ્યા છે.”
35 પછી તે બે માણસોએ રસ્તા પર જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. જ્યારે ઈસુએ રોટલીના ટુકડા કર્યા ત્યારે તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યો તે વિષે પણ વાત કરી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International