Book of Common Prayer
એથાન એઝાહીનું માસ્કીલ.
1 યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ,
સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.
2 મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે,
અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”
3 યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે;
અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
4 ‘તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ;
અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”
5 પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે,
અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.
6 આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે?
જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?
7 સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે.
જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં,
દેવ ભયાવહ અને સન્માનનીય છે.
8 હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે?
તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.
9 સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો;
તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
10 તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે.
તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.
11 આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ;
તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે;
તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે,
તમારા ભુજમાં પરાક્રમ છે,
તમારો જમણો હાથ ઊંચો છે,
મહિમાવંત સાર્મથ્યમાં.
14 ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે;
તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.
15 હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને,
તેઓ તમારા મુખના પ્રકાશમાં.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે;
અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.
17 તમે તેમની અદભૂત શકિત છો.
અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.
18 હા, યહોવા અમારી ઢાલ છે,
અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.
19 તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું,
“જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે;
અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મારો સેવક દાઉદ મને મળ્યો છે;
મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે;
અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.
22 તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે.
અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.
23 તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ;
અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.
24 પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે;
ને હું નિરંતર પ્રેમ રાખીશ;
મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.
25 હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ;
અને નદીઓ પર તેનો જમણો હાથ.
26 તે મને કહેશે; ‘તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો,
તમે મારા દેવ છો જે મને બચાવે છે.’
27 હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ;
અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.
28 મારી કૃપા તેના પર સદા રહેશે,
અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!
29 હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ.
સ્વર્ગના અવિનાશી દિવસો જેમ,
તેના શાસનનો અંત આવશે નહિ.
30 જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે,
અને મારા હુકમોને નહિ અનુસરે.
31 જો તેઓ મારા વિધિઓને તોડશે,
અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,
32 તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ,
અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.
33 પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ,
અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.
34 ના, હું મારા કરારનું ખંડન નહિ કરું,
મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.
35 મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે;
હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36 તેમનાં સંતાન સર્વકાળ ટકશે,
અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.
37 તેમનું શાસન મારા વિશ્વાસુ
સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”
38 પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે,
તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.
39 તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે,
તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
40 તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે,
અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.
41 માર્ગે જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે,
અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.
42 તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે.
અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.
43 તમે તેમની તરવાર નીચી પાડી છે,
અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.
44 તેના ગૌરવનો તમે અંત આણ્યો છે
અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.
45 તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે
અને તમે તેને શરમાવ્યો છે.
46 હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે?
શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ?
શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?
47 હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો;
શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?
48 છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ?
શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?
49 હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે?
જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.
50 હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.
51 હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ,
અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!
52 યહોવાની સદાય સ્તુતિ કરો.
આમીન તથા આમીન!
પવિત્રકોશ પલિસ્તીઓ માંટે મુશ્કેલીઓ લાવ્યાં
5 દેવનો પવિત્રકોશ કબજે કર્યા પછી પલિસ્તીઓ તેને એબેન-એઝેરથી આશ્દોદ લઈ આવ્યા. 2 તેઓ પવિત્રકોશને દાગોનના મંદિરમાં લઈ ગયા અને દાગોનની મૂર્તિ પાસે મૂક્યો. 3 બીજે દિવસે સવારે આશ્દોદના લોકો ઊઠયા, ત્યારે દાગોન ઊંઘે માંથે યહોવાના કોશ આગળ પડેલો હતો. તેઓએ તેને ઉપાડીને પાછો તેની જગ્યા પર બેસાડયો.
4 બીજે દિવસે સવારે તેઓ ઊઠયા ત્યારે, ફરી દાગોન યહોવાના પવિત્રકોશ આગળ ઉધે માંથે પડેલો હતો. તેનું માંથું અને બંને હાથ ભાંગી ગયાં હતાં અને ઉબરા આગળ પડેલાં હતાં. માંત્ર દાગોનનું ધડ તેની જગ્યાએ રહ્યું હતું, 5 માંટે દાગોનના યાજકો કે, બીજા લોકો દાગોનના મંદિરમાં આવે છે તેઓ આજ સુધી આશ્દોદમાં દાગોનના મંદિરના ઉંબરા પર પગ મૂકતા નથી.
6 યહોવાએ આશ્દોદના લોકોને સખત સજા કરીને તેમને ભયભીત બનાવી દીધા; તેમણે આશ્દોદ અને તેની આસપાસના પ્રદેશના લોકોમાં ગૂંમડાંનો રોગચાળો ફેલાવી દીધો. 7 આ બધું જોઈને તેઓ કહેવા લાગ્યા કે, “ઇસ્રાએલીઓના દેવનો પવિત્રકોશ આપણી સાથે અહીં રખાય નહિ, કારણ, તે દેવ આપણને અને આપણા દેવ દાગોનને સખત સજા કરી રહ્યા છે.”
8 આથી તેમણે સર્વ પલિસ્તી રાજાઓને બોલાવ્યા અને કહ્યું, “ઇસ્રાએલીઓના દેવના પવિત્રકોશ સાથે આપણે શું કરીશું?”
શાસનકર્તાઓએ કહ્યું, “તેને ગાથ ખસેડો.” તેથી તેઓ તેને ગાથ લઈ ગયા.
9 પણ તેઓ તેને ત્યાં લઈ ગયા ત્યારબાદ યહોવાએ તે શહેરને ભારે સજા કરી અને સમગ્ર શહેરમાં ભય વ્યાપી ગયો. શહેરમાં નાનાંમોટાં સૌને ગૂંમડાં ફૂટી નીકળ્યાં.
10 આથી તેમણે તેમના દેવ યહોવાના કરારકોશને એક્રોન મોકલી આપ્યો, જયારે પવિત્રકોશ એક્રોન પહોંચ્યો ત્યારે ત્યાંના લોકો પોકાર કરી ઊઠયા કે, “આપણને અને આપણી પ્રજાને માંરી નાખવા માંટે એ લોકો ઇસ્રાએલીઓના દેવનો કરારકોશ અહીં લઈ આવ્યા છે!” 11 આથી એક્રોનના લોકોએ બધા પલિસ્તી રાજાઓની સભા બોલાવી અને કહ્યું, કૃપા કરીને “ઇસ્રાએલીઓના દેવનો પવિત્રકોશને તેની જગ્યા પર પાછો મોકલી દો, જેથી એ આપણને તથા આપણી પ્રજાને માંરી ન નાખે.”
સમગ્ર શહેરમાં લોકો ભારે ભયભીત થઇ ગયા કારણ દેવે તેમને સખત સજા કરી હતી. 12 જે મરી નહોતા ગયા, તેમને ગૂમડાં ફૂટી નીકળ્યા; અને એક્રોન શહેરનો આર્તનાદ આકાશ સુધી પહોંચ્યો.
દેવ તરફથી સાબિતી
12 પ્રેરિતોએ ઘણાં અદભૂત ચમત્કારો અને પરાક્રમો કર્યા. બધા લોકોએ આ બધી વસ્તુઓ જોઈ. પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા થયા હતા. તેઓ બધાનો હેતુ સામાન્ય હતો. 13 બીજા લોકોમાંથી કોઇની પણ હિંમત તેઓની સાથે ઊભા રહેવાની ન હતી. બધા જ લોકો પ્રેરિતોના વિષે સારું બોલતાં હતા. 14 વધારે ને વધારે લોકો પ્રભુમાં વિશ્વાસ કરતાં થયા-ઘણા માણસો અને ઘણી સ્ત્રીઓ વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાવા લાગ્યા. 15 તેથી લોકો તેઓના માંદાઓને શેરીઓમાં લાવવા લાગ્યાં. લોકોએ સાંભળ્યું કે પિતર બાજુમાં આવી રહ્યો છે. તેથી લોકોએ તેઓના માંદા માણસોને પથારીઓમાં તથા ખાટલાઓમાં સુવાડ્યા. તેઓએ વિચાર્યુ કે જો માંદા લોકો નજીકમાં હોય તો પિતરના પડછાયાનો તેઓને સ્પર્શ થાય તો, તેઓને સાજા થવા માટે પૂરતું છે. 16 યરૂશાલેમની આજુબાજુ બધા શહેરોમાંથી લોકો આવ્યા. તેઓ તેઓના માંદા લોકોને અને જે લોકો અશુદ્ધ આત્માથી પીડાતા હતા તે સૌને લાવ્યા. તેઓમાંના બધાને સાજા કરવામાં આવ્યા હતા.
યહૂદિઓનો પ્રેરિતોને અટકાવવાનો પ્રયત્ન
17 પ્રમુખ યાજક અને તેના બધા મિત્રોને (જેઓ સદૂકી પંથ તરીકે ઓળખાતા) ઘણી ઈર્ષા થઈ. 18 તેઓએ પ્રેરિતોની ધરપકડ કરી તેમને બંદીખાનામાં પુર્યા. 19 પરંતુ રાત્રી દરમ્યાન પ્રભુના દૂતે બંદીખાનાનાં બારણાં ઉઘાડ્યાં. દૂતે પ્રેરિતોને બહાર લઈ જઈને કહ્યું, 20 “જાઓ અને મંદિરના વાડામાં ઊભા રહો અને ઈસુમાં આ નવી જીંદગીની બધી બાબતો લોકોને કહો.” 21 જ્યારે પ્રેરિતોએ આ સાંભળ્યું ત્યારે, તેઓ તેની આજ્ઞા માનીને મંદિરમાં ગયા. વહેલી પ્રભાતે પ્રેરિતોએ લોકોને બોધ આપવાનો આરંભ કર્યો.
પ્રમુખ યાજક અને તેના મિત્રો મંદિરમાં આવ્યા. તેઓએ યહૂદિ આગેવાનો અને મહત્વના વડીલ માણસોની સભા બોલાવી. તેઓએ કેટલાક માણસોને બંદીખાનામાંથી પ્રેરિતોને તેની પાસે લાવવા મોકલ્યા. 22 જ્યારે તે માણસો બંદીખાનામાં પહોચ્યાં ત્યારે તેઓએ ત્યાં પ્રેરિતોને જોયા નહિ. તેથી તેઓ પાછા ગયા અને યહૂદિ આગેવાનોને આ બાબત કહી. 23 તે માણસોએ કહ્યું, “બંદીખાનામાં બારણાં બંધ હતાં ને તેને તાળાં મારેલાં હતાં. રક્ષકો દરવાજા પાસે ઊભા હતા. પણ જ્યારે અમે બારણાં ઉઘાડ્યા ત્યારે બંદીખાનું ખાલી હતું!” 24 મંદિરના રક્ષકોના સરદારે અને મુખ્ય યાજકોએ આ સાંભળ્યું ત્યારે તેઓ મૂંઝવણમાં પડ્યા, “આના કારણે શું પરિણામ આવશે?”
25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!” 26 પછી સરદાર અને તેના માણસો મંદિરની બહાર ગયા અને પ્રેરિતોને પાછા લાવ્યા. પરંતુ સૈનિકોએ બળનો ઉપયોગ કર્યો ન હતો, કારણ કે તેઓ લોકોથી બીતા હતા. સૈનિકોને લોકોના ગુસ્સે થવાનો અને પથ્થરોથી મારી નાખવાનો ભય હતો.
મારી વાતો જતી રહેવાની નથી
(માથ. 24:32-35; માર્ક 13:28-31)
29 પછી ઈસુએ આ વાર્તા કહી કે, “બધા વૃક્ષો તરફ જુઓ. અંજીરનું વૃક્ષ એક સરસ ઉદાહરણ છે. 30 જ્યારે તે ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે. 31 તે જ રીતે આ બધી બાબતો વિષે મેં તમને કહ્યું છે. જ્યારે તમે આ બધી બાબતો બનતી જોશો, ત્યારે તમે જાણી શકશો કે દેવનું રાજ્ય ઘણું જલદી આવી રહ્યું છે.
32 “હું તમને સત્ય કહું છું. આ બધી વસ્તુઓ બનશે ત્યારે આ સમયના લોકો ત્યાં સુધી જીવતા હશે! 33 આખી પૃથ્વી અને આકાશ નાશ પામશે, પણ મેં જે શબ્દો કહ્યા છે તેનો નાશ કદાપિ થશે નહિ!
પ્રત્યેક ક્ષણે તૈયાર રહો
34 “સાવધાન રહો! તમારો સમય ખાવા પીવામાં બગાડો નહિ અથવા દુન્યવી વસ્તુઓની ચિંતા ના કરો. જો તમે એમ કરશો તો તમે સાચો વિચાર કરી શકશો નહિ. અને પછી જો એકાએક અંત આવી પહોંચશે ત્યારે તમે તૈયાર નહિ હોય. 35 પૃથ્વી પરના તમામ લોકો માટે તે આશ્ચર્યજનક રીતે આવશે. 36 તેથી હર વખત તૈયાર રહો. અને પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી તમારી જાતને સુરક્ષિત રીતે પસાર થવા તથા માણસના દીકરા સમક્ષ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International