Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 83

આસાફના સ્તુતિગીતોમાંનુ.

હે દેવ, તમે છાના ન રહો;
    હે દેવ, તમે ચૂપ ન રહો;
    અને શાંત ન રહો.
જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે.
    અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે,
    અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ;
    જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે;
    તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
    ગબાલ, તથા આમ્મોન ને અમાલેક;
    અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
    અને લોતના વંશજોને સહાય કરી છે.

તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે;
    તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા,
    અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો;
    સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે
    દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા;
    અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે,
    અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી
    તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો.
    હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ;
    તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે,
    “યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.

ગીતશાસ્ત્ર 34

દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.

હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
    અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
    આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
    અને તેના નામનો મહિમા વધારીએ.
યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
    તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
    તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
    અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
    અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
    જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે;
    કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
10 અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે,
    પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
11 મારા બાળકો આવો, મારું સાંભળો;
    “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે?
    અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
13 તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો;
    ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
14 દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો.
    શાંતિ શોધી તેની પાછળ લાગો.
15 યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે.
    તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી
    ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.

17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે,
    અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
18 યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે.
    જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
    પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
    તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
    અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
    યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.

ગીતશાસ્ત્ર 85-86

નિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત

હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે.
    અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે;
    અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.

તેથી હવે તમારા કોપનો ભસ્મ
    કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો.
    જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.
શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો?
    શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે?
હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે,
    તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ.
તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો.
    અને અમને તમારું તારણ પમાડો.

યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.
    યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે;
    પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે.
જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે.
    બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું.
10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે;
    ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે.
    અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
12 હા, યહોવા “કલ્યાણ” આપશે;
    અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે,
    અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
    કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મારા જીવનની રક્ષા કરો,
    કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
    તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
હે યહોવા, મારા પર દયા કરો,
    કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
    હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
    સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
    મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
    ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
    અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
હે યહોવા, તમે જે રાષ્ટ્રોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
    અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
    તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
    અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
    મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
    અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
    તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
    અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
    મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
    તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
    તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
    મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
    કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
    અને દિલાસો આપ્યો છે.

1 શમુએલનું 2:27-36

એલીના પરિવાર વિષે ભયંકર ભવિષ્યવાણી

27 દેવના એક માંણસે એલીની પાસે આવીને કહ્યું, “આ યહોવાનાં વચન છે; ‘જયારે તારા પિતૃઓ ફારુનનાં ગુલામ હતાં, ત્યારે મેં તેને દર્શન આપ્યા હતાં. 28 ઇસ્રાએલના બધા કુળોમાંથી મેઁ તમાંરા કુળને માંરા યાજકો તરીકે, અર્પણો અર્પણ કરવા માંટે, અને વેદી ઉપર ધૂપ બાળવા માંટે અને યાજકને પહેરવાનો ખાસ ઝભ્ભો પહેરવા માંટે પસંદ કર્યું. ઇસ્રાએલીઓ મને જે અર્પણો અર્પણ કરે છે તેમાંથી મેઁ તારા કુળસમૂહને માંસ લેવા દીધું. 29 તું એ અર્પણોને અને ભેટોને કેમ માંન નથી આપતો? તું માંરા કરતાં તારા પુત્રોને શા માંટે વધુ માંન-સન્માંન આપે છે? માંરા લોકોએ અર્પણ કરેલાં બલિદાનોમાંથી તમને ઉત્તમ ભાગ મળે છે અને તે ખાઇને પુષ્ટ બન્યા છો.’

30 “ઇસ્રાએલના દેવે ભૂતકાળમાં એવું વચન આપ્યું હતું કે, તારુ કુટુંબ કાયમ માંટે માંરી સેવામાં રહેશે, પરંતુ તેવું કદી નહિ બને! લોકો મને માંન આપશે તો હું તેમને માંન આપીશ, પરંતુ લોકો જો માંરી અવજ્ઞા કરશે, તો હું એમની અવજ્ઞા કરીશ. 31 જો, હવે એવો દિવસ આવી રહ્યો છે, જયારે હું તારા કુટુંબના અને કૂળના બધા વંશજોને માંરી નાખીશ, જેથી તારા કુટુંબમાં કોઇ ઘડપણ જોવા પામશે નહિ. 32 ઇસ્રાએલ સાથે સારી ઘટનાઓ ઘટશે પણ તમે તમાંરા ઘરમાં ખોટી ઘટનાઓ જોશો, પણ તારા કુટુંબમાં હવે પછી કોઈ કદાપિ ઘડપણ જોવા નહિ પામે, 33 પણ હું તારા વંશજોમાંથી એકને જીવતો રહેવા દઈશ અને તે યાજક અને સેવક તરીકે માંરી સેવા કરશે, એની આંખો નબળી થશે ત્યાં સુધી તે જીવશે. તે ઘરડો, અને બહુ નબળો થઇ જશે. પરંતુ તારા કુટુંબના બધા લોકો કમોતે મૃત્યુ પામશે. 34 તારા બે પુત્રો હોફની અને ફીનહાસ બંને એક જ દિવસે મૃત્યુ પામશે, અને એમના હાલ જોઈને તને ખાત્રી થશે કે માંરું કહ્યું સાચું પડવાનું છે. 35 હું માંરા માંટે એક વિશ્વાસુ યાજક પસંદ કરીશ. તે માંરી આજ્ઞાનું પાલન કરશે. હું તેને માંટે સ્થિર ઘર બાંધીશ. જે કાયમ માંરા અભિષિકત રાજાની સમક્ષ સેવા કરશે. 36 તારા કુટુંબમાં જે કોઈ બચવા પામશે તે આવીને યાજક સામે નમશે. તેઓ થોડા પૈસા અને રોટલા માંટે ભીખ માંગશે, એમ કહીને: ‘મને યાજક તરીકે નોકરી આપો જેથી મને ખાવાનું મળે.’”

પ્રેરિતોનાં કૃત્યો 2:22-36

22 “મારા યહૂદિ ભાઈઓ, આ શબ્દો ધ્યાનથી સાંભળો: નાસરેથનો ઈસુ એક ઘણો વિશિષ્ટ માણસ હતો. દેવે તમને આ સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. દેવે પરાક્રમો અને આશ્ચર્યો તથા ચમત્કારોથી તે સાબિત કર્યુ છે. તે ઈસુ દ્ધારા કરવામાં આવ્યું હતું. તમે બધાએ આ બાબતો જોઈ છે. તેથી તમે જાણો છો કે આ સાચું છે. 23 તમને ઈસુ સોંપવામાં આવ્યો, અને તમે તેની હત્યા કરી. દુષ્ટ માણસોની સહાયથી તમે ખીલા ઠોકીને ઈસુને વધસ્તંભે જડાવ્યો. પણ દેવ તો જાણતો હતો કે આ બધું થવાનું છે. આ દેવની યોજના હતી. ઘણા સમય પહેલા દેવે આ યોજના ઘડી હતી. 24 ઈસુએ મૃત્યુની વેદના સહન કરી, પણ દેવે તેને એ બધી વેદનાઓમાંથી મુક્ત કર્યો. દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો. મૃત્યુ ઈસુને પકડી શક્યું નહિ. 25 દાઉદે ઈસુના સંદર્ભમાં આમ કહ્યું છે:

‘મેં પ્રભુને હંમેશા મારી સંન્મુખ જોયો;
    મને સલામત રાખવા માટે તે મારી જમણી બાજુએ છે.
26 તેથી મારું હ્રદય પ્રસન્ન છે,
    અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે.
હા, મારું શરીર પણ આશામાં રહેશે.
27 કારણ કે તું મારા આત્માને મૃત્યુના સ્થળે છોડશે નહિ.
    તું તારા પવિત્રને પણ કબરમાં કોહવાણ જોવા દઇશ નહિ.
28 તેં મને જીવન જીવતાં શીખ્વયું છે.
    તું તારી નજીક આવીશ અને મને આનંદથી ભરપૂર કરીશ.’(A)

29 “મારા ભાઈઓ, હું તમને આપણા પૂર્વજ દાઉદના સંદર્ભમાં સાચું કહીશ. તે મૃત્યુ પામ્યોં હતો અને તેને દફનાવવામાં આવ્યો હતો. તેની કબર આજે પણ આપણી પાસે છે. 30 દાઉદ એક પ્રબોધક હતો અને દેવે જે કહ્યું તે જાણતો હતો. દેવે દાઉદને વચન આપ્યું હતું કે તે દાઉદના પરિવારમાંથી કોઈ વ્યક્તિને દાઉદના જેવો રાજા બનાવશે. 31 દાઉદે તે થતાં પહેલા આ જાણ્યું. તેથી તે વ્યક્તિના સંદર્ભમાં દાઉદે આમ કહ્યું:

‘તેને મૃત્યુની જગ્યાએ રહેવા દેવામાં આવ્યો ન હતો.
તેનું શરીર કબરમાં સડવા દીધું નહિ.’

દાઉદ મૃત્યુમાંથી પુનરુંત્થાન પામેલ ખ્રિસ્તના સંદર્ભમાં કહેતો હતો. 32 તેથી ઈસુ મૃત્યુમાંથી સજીવન થયેલ દેવ છે, દાઉદ નહિ! આપણે બધા આ માટે સાક્ષી છીએ. આપણે તેને જોયો છે! 33 ઈસુનો આકાશમાં લઈ જવામાં આવેલ છે. તેથી ઈસુ દેવની જમણી બાજુએ દેવની સાથે છે. પિતાએ (દેવ) હવે ઈસુને પવિત્ર આત્મા આપેલ છે. દેવે જે વચન આપ્યું હતું તે પવિત્ર આત્મા છે. તેથી હવે ઈસુ તે આત્મા રેડી રહ્યો છે. તમે જે જુઓ છે અને સાંભળે છો તે આ છે. 34 જે એકને આકાશમાં લઈ જવામાં આવેલ છે તે દાઉદ ન હતો. જેને આકાશમાં લઈ જવામાં આવ્યો હતો તે તો ઈસુ હતો. દાઉદે પોતે જ કહ્યું છે:

‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને કહ્યું:
35 જ્યાં સુધી હું તારા દુશ્મનોને હું તારી સત્તામાં ના સોંપું
    ત્યાં સુધી મારી જમણી બાજુએ બેસ.’(B)

36 “તેથી બધા યહૂદિ લોકોએ આ સત્ય જાણવું જોઈએ, દેવે ઈસુને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યો છે. તે એ જ માણસ છે જેને તમે વધસ્તંભે ખીલા મારીને જડ્યો!”

લૂક 20:41-21:4

શું ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?

(માથ. 22:41-46; માર્ક 12:35-37)

41 પછી ઈસુએ કહ્યું કે, “ખ્રિસ્ત દાઉદનો દીકરો છે એમ લોકો શા માટે કહે છે? 42 ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે:

‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે:
તું મારી જમણી બાજુએ બેસ,
43     અને હું તારા શત્રુંઓને તારા કબજામાં મૂકીશ.’ (A)

44 જો દાઉદ ખ્રિસ્તને તેના ‘પ્રભુ’ કહે તો પછી ખ્રિસ્ત દાઉદનો દીકરો કેવી રીતે થઈ શકે?”

શાસ્ત્રીઓથી સાવધાન રહેવાની ચેતવણી

(માથ. 23:1-36; માર્ક 12:38-40; લૂ. 11:37-54)

45 બધા લોકો ઈસુને ધ્યાનથી સાંભળતા હતા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, 46 “શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓને કપડાં પહેરીને આજુબાજુ ફરીને માનવંતા દેખાડવાનું ગમે છે. બજારનાં સ્થળોએ તેઓને લોકો માન આપે તેમ તેઓ ઈચ્છે છે. તેઓ સભાસ્થાનોમાં, મુખ્ય મહત્વની બેઠકો મેળવવા ચાહે છે. તેઓ જમણવારમાં પણ મહત્વની બેઠકો ચાહે છે. 47 પણ તેઓ વિધવાઓના ઘર પડાવી લે છે. તેઓ લાંબી પ્રાર્થનાઓ કરીને તેઓની જાતે સારા દેખાવાનો પ્રયત્ન કરે છે. દેવ આ લોકોને વિશેષ શિક્ષા કરશે.”

સાચું દાન

(માથ. 12:41-44)

21 ઈસુએ કેટલાએક ધનવાન લોકોને મંદિરમાં પૈસાની પેટીમાં દેવની ભેટો મૂકતાં જોયો. પછી ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ, તેણે બે નાના તાંબાના સિક્કા પેટીમાં મૂક્યા. ઈસુએ કહ્યું કે, “હું તમને સાચું કહું છું, આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા છે. પણ ખરેખર તો તેણે પેલા બધાજ પૈસાદાર લોકો કરતાં વધારે આપ્યું છે. ધનવાન લોકો પાસે પુષ્કળ છે, તેઓએ તો ફક્ત તેમની પાસે જે વધારાનું છે તેમાંથી જ આપ્યું છે. આ સ્ત્રી ઘણી ગરીબ છે. પણ તેણે તેની પાસે હતું તે બધું જ આપ્યું છે. અને તે પૈસા તેના જીવનમાં સહાય માટે જરૂરી હતા.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International