Book of Common Prayer
1 યહોવા રાજ કરે છે,
ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે
તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે
કે તે અચળ રહેશે.
2 હે દેવ, પુરાતન કાળથી તમારું રાજ્યાસન સ્થપાયેલું છે;
તમે સદાકાળ અસ્તિત્વ ધરાવો છો!
3 હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે.
વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે
અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
4 તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો,
અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન.
ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
5 તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે,
હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.
1 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
2 તેમના નામને ધન્યવાદ આપો;
દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
3 પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
4 કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
સર્વ “દેવોની” ઉપર છે.
5 લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
6 ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
7 હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
8 યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
9 પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10 પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.
દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.
1 હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
2 મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
3 આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
અને તેના નામનો મહિમા વધારીએ.
4 યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
5 જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
6 આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
7 યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
8 યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
9 યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે;
કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
10 અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે,
પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
11 મારા બાળકો આવો, મારું સાંભળો;
“હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
12 સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે?
અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
13 તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો;
ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
14 દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો.
શાંતિ શોધી તેની પાછળ લાગો.
15 યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે.
તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
16 દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી
ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.
17 યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે,
અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
18 યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે.
જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.
છેલ્લા અનર્થ સાથે દૂત
15 પછી મેં આકાશમાં બીજું એક આશ્ચર્યકારક ચિન્હ જોયું, તે મહાન અને આશ્ચર્યકારક હતું ત્યાં સાત દૂતો સાત વિપત્તિઓ લાવ્યા હતા. (આ છેલ્લી વિપત્તિઓ છે, કારણ કે આ વિપત્તિઓ પછી દેવનો કોપ પૂર્ણ થાય છે.)
2 મેં જોયું, જે અગ્નિમિશ્રિત કાચના સમુદ્ર જેવું હતું. બધા લોકો જેઓએ પ્રાણી પર, અને તેની મૂર્તિ અને તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો. તેઓ તે સમુદ્રની બાજુમાં ઊભા હતા. આ લોકો પાસે વીણા હતી જે દેવે તેઓને આપી હતી. 3 તેઓએ દેવના સેવક મૂસાનું અને હલવાનનું ગીત ગાયું:
“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ,
તારાં કાર્યો મહાન તથા અદભૂત છે.
હે યુગોના રાજા
તારા માર્ગો ન્યાયી અને સત્ય છે.
4 હે પ્રભુ બધા લોકો તારાથી બીશે.
બધા લોકો તારા નામની સ્તુતિ ગાશે!
કારણ કે માત્ર તું એકલો જ પવિત્ર છે.
બધા લોકો આવશે અને તારી આગળ આરાધના કરશે,
કારણ કે તે સ્પષ્ટ છે કે તું જે કરે છે તે ન્યાયી છે.”
5 આ પછી મેં આકાશમા એક મંદિર (દેવની હાજરીની પવિત્ર જગ્યા) જોયું, તે મંદિર ઉઘાડું હતું 6 અને સાત વિપત્તિઓ સાથે સાત દૂતો મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ ચળકતાં શણનાં વસ્ત્રો પહેરેલાં હતાં. તેઓએ તેઓની છાતીની આજુબાજુ સોનાના પટ્ટા પહેર્યા હતા. 7 પછી ચાર જીવંત પ્રાણીઓમાંથી એક જીવંત પ્રાણીએ સાત દૂતોને સોનાનાં સાત પ્યાલા આપ્યાં. તે પ્યાલાઓ સદાસર્વકાળ જીવંત એવા દેવના કોપથી ભરેલાં હતાં. 8 તે મંદિર દેવ મહિમાના તથા તેના પરાક્રમના ધુમાડાથી ભરાયેલું હતું. જ્યાં સુધી સાત દૂતોની સાત વિપત્તિઓ પૂરી ન થઈ ત્યાં સુધી મંદિરમાં કોઈ પ્રવેશ કરી શક્યું નહિ.
ઈસુ કહે છે મહાન કોણ
(માર્ક 9:33-37; લૂ. 9:46-48)
18 તે વખતે શિષ્યો ઈસુ પાસે આવ્યા અને પૂછયુ, “આકાશના રાજ્યમાં મોટું કોણ છે?”
2 ઈસુએ એક નાના બાળકને તેની પાસે આવવા કહ્યું અને તેમની વચ્ચે તેને ઊભો રહેવા કહ્યું, 3 પછી શિષ્યોને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી તમે લોકો બદલાશો નહિ અને બાળક જેવા નહિ બનો ત્યાં સુધી તમે આકાશના રાજ્યમાં પ્રવેશ નહિ કરી શકો. 4 તેથી જે કોઈ, પોતાને આ બાળકના જેવું નમ્ર બનાવશે તે આકાશના રાજ્યમાં સૌથી મહાન વ્યક્તિ છે.
5 “જે કોઈ મારા નામે આવા બાળકનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે.
પ્રલોભનો વિષે ચેતવણી
(માર્ક 9:42-48; લૂ. 17:1-2)
6 “પરંતુ જે કોઈ મારા પર વિશ્વાસ કરનાર એક પણ નાનામાં નાની વ્યક્તિને ઠોકર ખવડાવે તે કરતાં એવા માણસના ગળે ઘંટીનું પડ બાંધી અને તેને ઊંડા દરિયામાં ડુબાડી દેવામાં આવે તે વધારે સારું છે. 7 જગતને અફસોસ છે, કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની. પણ તે વ્યક્તિને અફસોસ છે કે જે ઠોકર લાવવા માટે જવાબદાર છે.
8 “એટલે જો તારો હાથ કે પગ તને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દે. કારણ કે બંને હાથ અથવા બંને પગ સહિત અનંત અગ્નિમાં નંખાય તે કરતા અપંગ થઈને અનંતજીવન મેળવવું તે સારું છે. 9 જો તારી આંખ પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દે કારણકે બંને આંખો સહિત તને નરકની આગમાં ફેંકી દેવામાં આવે તેના કરતાં એક આંખે અનંતજીવનમાં પ્રવેશ કરવો તે ઉત્તમ છે.
ઈસુ ખોવાયેલ ઘેટાંની વાર્તા કહે છે
(લૂ. 15:3-7)
10 “સાવધાન રહો, આ નાના બાળકોમાંથી એકનો પણ અનાદર ન થાય, કારણ કે તેઓના દૂતો આકાશમાં હંમેશા મારા બાપની આગળ હોય છે. [11 માણસનો દીકરો ખોવાયેલા લોકોને તારવા આવ્યો છે.]
12 “જો માણસ પાસે 100 ઘેટાં હોય, પણ તેમાંથી એકાદ ઘેટું ખોવાઈ ગયું, તો તે માણસ બાકીના 99 ઘેટાંને ટેકરી પર છોડી એકને શોધવા નીકળશે, બરાબરને? 13 અને એ માણસને જો ખોવાયેલું ઘેટું મળી જાય, તો તે એટલો બધો ખુશ થાય કારણ કે તેને 99 ઘેટાં કરતાં એક ખોવાયેલું ઘેટું મળ્યું તેનો વધુ આનંદ છે, હું તમને સત્ય કહું છું. 14 તમારા આકાશમાંના બાપને આ નાનાઓમાંથી એકને પણ ગુમાવવું ગમશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International