Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 56-58

નિર્દેશક માટે. રાગ: “દૂરના ઓકમાં કબૂતર.” દાઉદનું મિખ્તામ, ગાથમાં પલિસ્તીઓએ તેને પકડ્યો તે વખતે લખાયેલું છે.

હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે
    તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.
મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે.
    ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.
જ્યારે મને બીક લાગશે ત્યારે
    હું તમારો ભરોસો કરીશ.
હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું.
    દેવ પર આધાર રાખું છું,
તેથી મને જરાપણ બીક નથી.
    માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે.
    અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે,
    તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.
યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો.
    તેમને વિદેશી રાષ્ટ્રોનો કોપ સહન કરવા દો.
તમે મારી બધી વેદના જોઇ છે.
    તમે મારા આંસુઓથી જ્ઞાત છો.
તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે.
    અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છે.

હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે;
    હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.
10 હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ,
    હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
11 મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી,
    પછી માણસ મને શું કરનાર છે?

12 હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ,
    હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.
13 કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે,
    તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે,
જેથી હું જીવનનાં અજવાળામાં
    દેવની સામે જીવી શકું.

નિર્દેશક માટે: રાગ: “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ. તે શાઉલથી ભાગી જઇને ગુફામાં રહેતો હતો તે વખતનું ગીત.

હે દેવ, મારા પર દયા કરો, કારણ,
    મારો આત્મા તારા શરણ આપ્યો છે,
આ તોફાન શમી જાય ત્યાં સુધી
    હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.
હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ,
    તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે.
તે આકાશમાંથી સહાય મોકલશે
    અને મને બચાવશે.
જેઓ મને નુકશાન કરવા માગે છે
    તેમનાથી મને ઉગારશે.

મારું જીવન જોખમમાં છે.
    હું માનવભક્ષી સિંહોનાં જેવા
હિંસક દુશ્મનોથી ઘેરાયો છું.
    તેમના દાંત તીર ને ભાલાં જેવા છે,
    તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.

હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
    તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,
    મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે;
તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે;
    જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે.

હે દેવ! મારું હૃદય તૈયાર છે,
    મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે.
    હું દેવ સ્તોત્રો ગાઇશ.
હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ,
    હું પ્રભાતમાં વહેલો જાગીશ,
    ને હું પરોઢને આવકાર આપીશ.
હે યહોવા, હું રાષ્ટ્રો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ.
    બધા લોકો પાસે હું તમારા વિષે ગાઇશ.
10 તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે.
    તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે.
11 હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો.
    તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.

નિર્દેશક માટે. રાગ “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ.

ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો?
    શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે;
    તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.
દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે;
    ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે.
તેઓનું વિષ સાપના વિષ જેવું છે,
    તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવા છે.
ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે,
    છતાંય તેનો સાદ સંભળાતો નથી.

હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો;
    હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.
સૂકી ધરતી પર જેમ પાણી ચૂસાઇ જાય તેમ તેમને અદ્રશ્ય થવા દો;
    સુકાયેલા ઘાસની જેમ તેઓને કચડાઇ અને ચગદાઇ જવા દો.
તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા,
    અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.
તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,
    પછી તે લીલા હોય કે સૂકા,
તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી
    પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.

10 દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે
    તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે,
તે એક સૈનિક જેવો થશે,
    જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.[a]
11 માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે,
    સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.

ગીતશાસ્ત્ર 64-65

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

હે યહોવા, મારી ફરિયાદનો પોકાર સાંભળો,
    શત્રુ તરફના ભયથી મને ઉગારો.
દુષ્ટ લોકો મારી વિરુદ્ધ કાવતરાં કરે છે અને મારી સામે ગુપ્ત યોજનાઓ ઘડે છે.
    તેમનાથી મને છુપાવી દો.
તેઓએ તેમની જીભને તરવાર જેવી તીક્ષ્ણ બનાવી છે.
    તેમનાં કડવાં શબ્દો તીર જેવાં છે, જે પાછા ખેંચાઇને વીંધવા માટે તૈયાર છે.
તેઓ જાડીમાં છુપાય છે અને નિર્દોષો ઊપર તેમનાં તીર ચલાવે છે.
    તેઓ ઓચિંતો જ હુમલો કરીને તેઓને મારી નાખે છે.
    આમ કરતાં તેઓ ગભરાતા નથી.
તેઓ પોતાની દુષ્ટ ધારણા ઢ કરે છે;
    અને ગુપ્ત જાળ બીછાવવા મસલત કરે છે; તેઓ કહે છે કે:
    “અમને અહીં જોનાર કોણ છે?”
તેઓ દુષ્ટકૃત્યો કરવા માટે યોગ્ય તકની ચતુરાઇથી રાહ જુએ છે;
    તેઓનાં હૃદયનાં ઊંડાણમાં દુષ્ટ વિચારો
અને ખરાબ યોજનાઓ છે.
પણ દેવ પોતે તેઓને “બાણ” મારશે,
    અને એકાએક તેઓને વીંધી નાંખશે.
દેવ તેઓના પોતાના શબ્દો તેમની વિરુદ્ધ ફરે તેમ કરશે.
    અને તેઓ ઠોકર ખાશે;
જે કોઇ તેઓને જોશે
    તે સર્વ આશ્ચર્યથી માથાઁ ધુણાવશે.
ત્યારે લોકોને દેવનો ભય લાગશે.
    અને તેઓ દેવનાં કૃત્યો વિશે બીજાઓને કહેશે
અને દેવનાં અદ્ભૂત કાર્યો
    વિષે બીજાઓને શીખવશે.
10 સદાચારીઓ યહોવામાં આનંદ માણશે.
    તે દેવ પર આધાર રાખે છે.
    અને બધાં સાચા અનુયાયીઓ તેની સ્તુતિ ગાશે.

નિર્દેશક માટે. પ્રશંસાનું દાઉદનું ગીત.

હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ;
    અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો,
    અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે,
    પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં
    તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે.
તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની
    સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી
    તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો;
તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી,
    તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં.
    તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને,
    તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે.
    સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે
    અને ભૂમિને પાણી આપે છે.
દેવની નદી પાણીથી ભરેલી છે
    જેથી તેના લોકોને સારી ફસલ મળે.
10 તમે ખેતરનાં ચાસોને
    વરસાદનું પાણી આપો છો,
વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો,
    અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો.
    તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
12 વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે
    અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
13 વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે,
અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે;
    આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે.
    અને હા, તેઓ ગીતો ગાય છે.

પુનર્નિયમ 30:1-10

ઇસ્રાએલીઓ તેમની ભૂમિમાં પાછા ફરશે

30 “મે તમાંરી પસંદગી માંટે દર્શાવેલા આ બધાં આશીર્વાદો તેમજ શ્રાપો તમે અનુભવો પછી, યહોવા તમાંરા દેવ તમને બીજા દેશોમાં દેશવટે જવા દબાણ કરશે. ત્યાં તમે આ બધી બાબતો વિષે વિચારશો અને પસ્તાશો. અને તમે તથા તમાંરા બાળકો ફરીવાર આધિન બનશો અને આજે હું જે આજ્ઞા તમને કરું છું તેનું પાલન પૂર્ણ હદયપૂર્વક કરશો. તમાંરા દેવ યહોવા તમાંરા પર દયાદૃષ્ટિ કરીને તમાંરું ભાગ્ય ફેરવી નાખશે, અને તમને જે બધા દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હશે ત્યાંથી ફરી પાછા ભેગા કરશે. તમે ધરતીના છેડા સુધી વેરવિખેર થઈને ગમે ત્યાં વસ્યા છો ત્યાંથી તમને તે શોધી કાઢશે અને તમને તમાંરા દેશમાં પાછા લાવશે. તમાંરા દેવ યહોવા તમને જે દેશ એક વખત તમાંરા પિતૃઓના કબજામાં હતો, ત્યાં ફરીથી લાવશે, અને તમે તેનો કબજો પાછો મેળવશો, પછી યહોવા તમાંરા પિતૃઓ કરતાં પણ તમાંરી આબાદી અને વસ્તીમાં વૃદ્વિ કરશે. તમાંરા દેવ યહોવા તમાંરાં તથા તમાંરાં સંતાનોનાં હદય પરિવર્તન કરશે, જેથી તમે તેને પૂર્ણ હૃદય અને આત્માંથી પ્રેમ કરો અને જેથી તમે જીવતા રહેશો.

“ત્યારબાદ તમાંરા દેવ યહોવા આ બધા શ્રાપ તમાંરા શત્રુઓ તથા તમને રંજાડનાર પર મોકલી આપશે. અને તમે ફરીથી તેને આધિન થશો અને આજે હું તમને તેની જે આજ્ઞાઓ જણાવું છું તેનું ફરીથી પાલન કરશો, તેથી તમાંરા યહોવા દેવ તમે જે કોઈ કામ કરશો તેમાં તમને સફળતા આપશે, અને તમને ઘણાં સંતાનો, પુષ્કળ ઢોરઢાંખર તથા ઉત્તમ પાકની ઉપજ આપશે. યહોવા તમાંરા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તમાંરા પર પણ ફરી પ્રસન્ન થશે અને તમાંરું કલ્યાણ કરશે; 10 પણ તમાંરે તેને કાળજીપૂર્વક સાંભળવો જ. આ નિયમના ગ્રંથમાં તમાંરા દેવે લખેલી આજ્ઞાઓ અને નિયમો પાળો. અને તેની તરફ પૂર્ણ હદય અને આત્માંથી પાછા ફરો ત્યારે તે બહું પ્રસન્ન થશે.

2 કરિંથીઓ 10

પાઉલ તેની સેવાનું સમર્થન કરે છે

10 હું પાઉલ છું અને હું તમને વિનવું છું. હું ખ્રિસ્તની નમ્રતા અને મમતાથી તમને વિનવું છું. કેટલાએક લોકો કહે છે કે જ્યારે હું તમારી સાથે હોઉં છું. ત્યારે દીન હોઉં છું, અને તમારાથી દૂર હોઉં છું. ત્યારે હિંમતવાન હોઉં છું. કેટલાએક લોકો વિચારે છે કે અમે દુન્યવી પધ્ધતિથી જીવીએ છીએ. જ્યારે હું આવું ત્યારે આવા લોકો સાથે ઘણા નીડર થવાની મારી યોજના છે. હું તમને વિનવું છું કે હું જ્યારે આવું ત્યારે તેવી જ નીડરતાનો ઉપયોગ તમારી સાથે કરવાની મારે જરૂર પડશે નહિ. અમે આ દુનિયામાં જીવીએ છીએ. પરંતુ જે રીતે દુનિયા ઝઘડે છે તે રીતે અમે ઝઘડતા નથી. દુનિયા વાપરે છે તેના કરતાં જુદા પ્રકારના શસ્ત્રોથી અમે લડીએ છીએ. અમારા શસ્ત્રમાં દેવનું સાર્મથ્ય છે. દુશ્મનના મજબૂત સ્થાનનો આ શસ્ત્ર નાશ કરી શકે છે. અમે લોકોના વાદવિવાદનો નાશ કરીએ છીએ. અને દરેક વસ્તુ જે દેવના જ્ઞાનની વિરૂદ્ધ ઉદભવે છે તેનો અમે નાશ કરીએ છીએ. અમે દરેક વિચારને કબજે કરી, તેને ત્યજી ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. જે આજ્ઞાંકિત નથી તેવી દરેક વ્યક્તિને શિક્ષા કરવા અમે તૈયાર છીએ. પણ પ્રથમ તમે સંપૂર્ણ આજ્ઞાંકિત બનો.

તમારી સામેની હકીકતોને તમારે જોવી જોઈએ. જો વ્યક્તિ એમ વિચારતી હોય કે તે ખ્રિસ્તનો છે. તો તેણે એ પણ યાદ રાખવું જોઈએ કે તેની જેમ અમે પણ ખ્રિસ્તમાં છીએ. એ સાચું છે કે અમે મુક્ત રીતે પ્રભુએ અમને આપેલ સાર્મથ્ય વિષે બડાઈ મારીએ છીએ. પરંતુ તેણે આ સાર્મથ્ય તમને સુદઢ બનાવવા અમને આપ્યુ છે, નહિ કે તમને ક્ષતિ પહોંચાડવા. તેથી તે બડાઈ માટે હું શરમ નથી અનુભવતો. હું એમ નથી ઈચ્છતો કે તમે એમ ધારો કે મારા પત્રો વડે હું તમને ડરાવવા માગું છું. 10 કેટલાએક લોકો કહે છે કે, “પાઉલના પત્રો શક્તિશાળી અને મહત્વના છે. પરંતુ જ્યારે તે અમારી પાસે હોય છે, ત્યારે તે નિર્બળ હોય છે. અને તેની વાણીમાં કશુંજ નથી.” 11 તે લોકોએ આ જાણવું જોઈએ: અમે અત્યારે તમારી સાથે નથી; તેથી પત્રો દ્વારા આ વસ્તુ અમે કહીએ છીએ. પરંતુ જ્યારે અમે ત્યાં તમારી સાથે હોઈશું ત્યારે અમે એજ પ્રભાવ દર્શાવીશું જે અમે પત્રમાં દર્શાવ્યો છે.

12 જે લોકો એમ માને છે કે પોતે ખૂબ જ મહત્વના છે, તેવા લોકોની ટોળીમાં દાખલ થવાની અમે હિંમત નથી કરી શકતા. અમે તેઓની સાથે અમારી સરખામણી પણ નથી કરતા. તેઓ પોતેજ પોતાનો માપદંડ બને છે, અને તેઓ જે છે તેના થકી પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે છે. આ બતાવે છે કે તેઓ કશું જ જાણતા નથી.

13 પરંતુ અમને જે કામ કરવાનું સોંપ્યું છે, તેના પરિધની બહાર જઈને અમે બડાઈ નહિ મારીએ. અમે અમારી બડાઈ, દેવે અમને સોંપેલા કાર્ય પૂરતી મર્યાદીત રાખીશું. પરંતુ આ કાર્યમાં તમારી સાથેના અમારા કાર્યનો સમાવેશ થાય છે. 14 અમે વધારે પડતી બડાઈ નથી મારતા. કારણ કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ. એમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. પરંતુ અમે તમારી પાસે આવ્યા છીએ. અમે તમારી પાસે ખ્રિસ્તની સુવાર્તા લઈને આવ્યા હતા. 15 જે કાર્ય અમારું છે તે પૂરતી અમારી બડાઈને અમે મર્યાદીત રાખી છે. જે કામ બીજા લોકોએ કર્યુ છે, તે વિષે અમે બડાઈ નથી મારતા. અમને આશા છે કે તમારા વિશ્વાસમાં વૃદ્ધિ થશે. અમને આશા છે કે અમારા કાર્યના ક્ષેત્રને વધુ ને વધુ વિશાળ બનાવવામાં તમે મદદરૂપ નિવડશો. 16 તમારા શહેર ઉપરાંતના વિસ્તારોમાં પણ સુવાર્તા કહેવાની અમારી ઈચ્છા છે. બીજી વ્યક્તિના વિસ્તારમાં થઈ ચૂકેલા કાર્ય વિષે અમે બડાઈ મારવા નથી ઈચ્છતા. 17 પરંતુ, “જે વ્યક્તિ બડાઈ મારે છે તેણે પ્રભુમાં બડાઈ મારવી જોઈએ.”(A) 18 કેમ કે તે એ વ્યક્તિ નથી કે જે કહે છે કે તે સારો છે. જેને પ્રભુ સારો કહે છે અને સ્વીકાર છે તે એ વ્યક્તિ છે.

લૂક 18:31-43

ઈસુ મૃત્યુમાંથી ઊઠશે

(માથ. 20:17-19; માર્ક 10:32-34)

31 પછી ઈસુએ બાર પ્રેરિતો સાથે એકલા વાત કરી. ઈસુએ તેઓને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો! આપણે યરૂશાલેમ જઇએ છીએ. દેવે પ્રબોધકોને જે કંઈ માણસના દીકરા વિષે લખવાનું કહ્યું હતું તે બનશે! 32 તેના લોકો તેના વિરોધી બનશે. અને તેને બીનયહૂદિ લોકોને સ્વાધીન કરશે. લોકો તેની મશ્કરી કરશે, તેને અપમાનિત કરશે અને તેની પર થૂંકશે. 33 તેઓ તેને કોરડા મારશે અને પછી મારી નાખશે. પણ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે સજીવન થઈને ઊઠશે.” 34 શિષ્યોએ આ સમજવા પ્રયત્ન કર્યો, પણ તેઓ તમજી શક્યા નહિ, તેનો અર્થ તેઓનાથી ગુપ્ત રહ્યો.

ઈસુ આંધળા માણસને સાજો કરે છે

(માથ. 20:29-34; માર્ક 10:46-52)

35 ઈસુ યરેખોના શહેર નજીક આવ્યો. ત્યાં રસ્તાની બાજુએ એક આંધળો માણસ બેઠો હતો. આંધળો માણસ પૈસા માટે લોકો પાસે ભીખ માંગતો હતો. 36 જ્યારે આ માણસે રસ્તા પરથી પસાર થતાં લોકોનો અવાજ સાંભળ્યો, તેણે પૂછયું, “શું થઈ રહ્યું છે?”

37 લોકોએ તેને કહ્યું કે, “નાસરેથનો ઈસુ અહીંથી પસાર થઈ રહ્યો છે.”

38 આંધળો માણસ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો કે, “ઈસુ, દાઉદના દીકરા! કૃપા કરીને મને મદદ કર!”

39 જે લોકો આગળ હતા અને સમૂહને દોરતા હતા તેઓએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને શાંતિ જાળવવા કહ્યું, પણ ઔંધળો માણસ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાઉદના દીકરા! મને મદદ કર!”

40 ઈસુ ત્યાં થોભી ગયો અને બોલ્યો, “પેલા આંધળા માણસને મારી પાસે લાવ!” જ્યારે આંધળો માણસ નજીક આવ્યો, ઈસુએ તેને પૂછયું કે, 41 “તારી ઈચ્છા મારી પાસે શું કરાવવાની છે?”

આંધળા માણસે કહ્યું કે, “પ્રભુ, મારે ફરીથી દેખતા થવું છે.”

42 ઈસુએ તેને કહ્યું કે, “જો! તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”

43 પછી તે માણસ જોઈ શક્યો. તે માણસ ઈસુની પાછળ દેવનો મહિમા પ્રગટ કરતો કરતો ગયો. બધા લોકો જેઓએ આ જોયું તેઓએ આ જે કંઈ બન્યું છે તે માટે દેવની આભારસ્તુતિ કરી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International