Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 75-76

નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક.

હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે;
    માટે તમારો આભાર માનીએ છીએ.
    લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ
    અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.
પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે,
    અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.

“મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે
    અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’
શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો
    ઘમંડ કરીને ડંફાસ ન મારો.”

તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો.
    તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.
પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે;
    તે એકને નીચે પાડી નાખે છે,
    અને બીજાને ઊંચો કરે છે.
યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે;
    ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના
દુષ્ટો પર રેડી દેવાય છે.
    અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.
પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ.
    અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.
10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ,
    પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”

નિર્દેશક માટે. વાજીંત્રો સાથે. આસાફનું સ્તુતિ ગીત.

યહૂદિયામાં દેવ પ્રગટ થયેલો છે,
    ઇસ્રાએલમાં તેમના નામનો ઊંચો આદર છે.
તેમનો મંડપ યરૂશાલેમમાં છે,
    અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
ત્યાં તેણે ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં,
    ઢાલ-તરવારને શસ્ર ભાંગી નાઁખ્યાં.

દેવ, તમે તમારા શત્રુઓને જ્યાં હરાવ્યાં તે ટેકરીઓ પાછળથી
    તમે આવો છો ત્યારે તમે મહિમાવંત લાગો છો.
જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે,
    ને ચિર નિંદ્રાવશ થયા છે;
    અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી.
હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ
    અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.
દેવ તમે ભયાવહ છો, તમે કોપાયમાન હો
    ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો,
    અને ધરતી ભયભીત બની શાંત થઇ ગઇ.
હે દેવ, તમે ન્યાય કરવા માટે
    તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.
10 તમારા માણસો વિરુદ્ધ કોપ તમારી ખચીત પ્રશંસા કરાવશે;
    અને તમારો જે કોપ બાકી રહ્યો તે તમે તમારી કમરે બાંધશો.

11 જે પ્રતિજ્ઞાઓ તમે યહોવા તમારા દેવની સમક્ષ લીધેલી છે
    તે તમે પૂર્ણ કરો.
ભયાવહ દેવ સમક્ષ તમે સૌ,
    તમારા દાન લાવો.
12 પૃથ્વીના રાજાઓ તેમનો ભય રાખે છે,
    કારણ સરદારોનો ગર્વ તે તોડી નાખે છે.

ગીતશાસ્ત્ર 23

દાઉદનું ગીત.

યહોવા મારા પાલનકર્તા છે.
    તેથી મને કશી ખોટ પડશે નહિ.
તે મને લીલાં બીડમાં સુવાડે છે
    અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે.
    તેમનાં નામનો મહિમા વધે તે માટે
    તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ;
    કારણ હે યહોવા, તમે મારી સાથે છો,
    તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો.
    અને મારા માથા પર તેલ રેડો છો.
    મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે;
    અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.

ગીતશાસ્ત્ર 27

દાઉદનું ગીત.

યહોવા મારું તારણ અને પ્રકાશ છે;
    શા માટે મારે કોઇથીય ડરવું?
યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે,
    શા માટે મારે કોઇનાથી ડરવું?
જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે,
    ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે,
    તો પણ હું જરાય ડરવાનો નથી;
ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે;
    પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.

હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી,
    “મારા જીવનના સર્વ દિવસો પર્યંત
મને યહોવાનાં મંદિરમાં બેસવા દો
    જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું
    અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”

સંકટના સમયે તેઓ ખરેખર
    મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે.
    અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.
    હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ.
    હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.

હે યહોવા, મારી વિનંતી સાંભળો.
    મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા,
    હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
હે યહોવા, હું તમારી પાસે આવું છું.
    તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ.
    તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર,
મારા દેવ, હવે મને છોડી ન દેતા
    અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે,
    પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું?
    હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે
    મને તમે સત્કર્મના સરળ માર્ગે દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો.
    કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે
    તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે,
    અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ;
    તેઓ જરૂર આવશે અને તને બચાવશે;
બળવાન થા અને હિંમત રાખ;
    હા, તું યહોવાની રાહ જોજે,
    તેઓ તને સહાય કરશે.

Error: Book name not found: Wis for the version: Gujarati: પવિત્ર બાઈબલ
Error: Book name not found: Wis for the version: Gujarati: પવિત્ર બાઈબલ
રોમનો 15:1-13

15 આપણે સબળ વિશ્વાસુ છીએ. તેથી જે લોકો વિશ્વાસમાં નિર્બળ હોય તેવાને આપણે મદદ કરવી જોઈએ. એ લોકોની નિર્બળતાઓ સંભાળી લઈને આપણે એમને મદદ કરવી જોઈએ. આપણે આપણી જાતને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આપણામાંના દરેકે બીજાને પણ ખુશ કરવા જોઈએ. એમને મદદ કરવા આપણે આમ કરવું જોઈએ. એમનો વિશ્વાસ દ્રઢ થાય એ માટે એમને મદદ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ખ્રિસ્ત પણ પોતાને ખુશ કરવાના પ્રયત્નમાં જીવન જીવ્યો ન હતો. તેના વિષે શાસ્ત્રમાં કહ્યું છે તેમ: “જે લોકોએ તારું અપમાન કર્યું છે, તેમણે મારું પણ અપમાન કર્યું છે.”(A) ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે. ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે. એમ કરવાથી તમે સૌ એક સૂત્રમાં બંધાશો. અને આમ તમે સૌ સાથે રહીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા દેવને મહિમાવંત કરશો. ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે,

“માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ;
    અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” (B)

10 શાસ્ત્ર તો આમ પણ કહે છે:

“દેવના માણસોની સાથે સાથે સૌ
    બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” (C)

11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે:

“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો;
    અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” (D)

12 અને યશાયા પ્રબોધક કહે છે:

“યશાઈના વંશમાંથી[a] એક વ્યક્તિ આવશે.
    તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;
    અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” (E)

13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ.

લૂક 9:1-17

ઈસુ બાર પ્રેરિતોને મોકલે છે

(માથ. 10:5-15; માર્ક 6:7-13)

ઈસુએ તેના શિષ્યોને બોલાવીને તેઓને બધા ભૂતો પર, તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યાં. તેણે તેઓને દેવના રાજ્ય વિષે કહેવા તથા માંદાઓને સાજા કરવા મોકલ્યા. તેણે તેઓને કહ્યું, “જ્યારે તમે મુસાફરી કરો ત્યારે તમારી સાથે લાકડી લેશો નહિ, ઝોળી, ખોરાક કે પૈસા પણ લઈ જશો નહિ. પ્રવાસમાં ફક્ત તમે પહેરો છો તે જ કપડાં લેજો. જ્યારે તમે ઘરમાં જાઓ ત્યારે તે જગ્યા છોડતા સુધી ત્યાં જ રહો. જો શહેરના લોકો તમારું સ્વાગત ન કરે તો શહેરની બહાર જઈને તમારા પગ પર લાગેલી ધૂળ ખંખેરી નાખજો. આ તમને ચેતવણીરૂપ બનશે.”

તેથી તે શિષ્યો બહાર નીકળ્યા. તેઓ બધા ગામડાઓમાંથી પસાર થયા. તેઓ સુવાર્તા પ્રગટ કરતાં અને સર્વત્ર લોકોને સાજા કરતાં ગયા.

હેરોદની ઈસુ વિષેની મૂંઝવણ

(માથ. 14:1-12; માર્ક 6:14-29)

જે કંઈ બનતું હતું તે બધી બાબતો વિષે શાસનકર્તા હેરોદે સાંભળ્યું. તે મૂંઝવણમાં પડ્યો કારણ કે કેટલાએક લોકોએ કહ્યું, “યોહાન મૂએલામાંથી ઊઠ્યો છે.” બીજા લોકોએ કહ્યું, “એલિયા આપણી પાસે આવ્યો છે.” અને બીજા કેટલાએક લોકોએ કહ્યું, “પ્રાચીન પ્રબોધકોમાંનો એક મૂએલાંમાંથી ઊભો થયો છે.” હેરોદે કહ્યું, “મેં યોહાનનું મસ્તક કાપી નંખાવ્યું, પણ જેના સંબધી હું આ વાતો સાંભળું છું તે કોણ છે?” હેરોદે ઈસુને મળવાના પ્રયત્ન ચાલુ કર્યા.

ઈસુ 5,000થી વધુ લોકોને ખવડાવે છે

(માથ. 14:13-21; માર્ક 6:30-44; યોહ. 6:1-14)

10 જ્યારે પ્રેરિતો પાછા આવ્યા. તેઓએ તેમના પ્રવાસમાં જે જે કર્યુ હતું તે ઈસુને કહ્યું અને ઈસુ તેઓને બેથસૈદા નામના શહેરમાં લઈ ગયો. જ્યા ઈસુ અને તેના પ્રેરિતો એકાંતમાં સાથે રહી શકે. 11 પણ લોકોને ખબર પડી કે ઈસુ ક્યાં ગયો છે. તેઓ તેની પાછળ ગયા. ઈસુએ તેઓને આવકાર્યા અને દેવના રાજ્ય સંબંધી વાત કરી. તેણે જે માંદા લોકો હતા તેઓને સાજા કર્યા.

12 નમતા બપોરે, તે બાર પ્રેરિતો ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “આ જગ્યાએ કોઈ રહેતા નથી. લોકોને વિદાય કરો. જેથી તેઓ તેમના માટે ખેતરમાં અને આજુબાજુના ગામોમાં જઇને ખાવાની અને રહેવાની સૂવાની જગ્યાની વ્યવસ્થા કરે.”

13 પરંતુ ઈસુએ પ્રેરિતોને કહ્યું, “તમે તેઓને કંઈક ખાવાનું આપો.”

પ્રેરિતોએ કહ્યું, “આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલીઓ જ છે. આ બધા લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ એમ તું ઈચ્છે છે?” 14 (ત્યાં લગભગ 5,000 માણસો હતાં.)

ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકોને કહો પચાસ પચાસના સમૂહમાં બેસે.”

15 તેઓએ તેમ કર્યુ, અને બધાજ લોકો નીચે બેસી ગયા. 16 પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. ઈસુએ ઊચે આકાશમાં જોયું અને ખોરાક માટે આશીર્વાદ માંગ્યો. પછી ઈસુએ ખોરાકના ભાગ પાડ્યા અને તે શિષ્યોને આપ્યા. ઈસુએ શિષ્યોને લોકોને ભોજન પીરસવાનું કહ્યું. 17 બધાજ લોકોએ ખાધું અને તૃપ્ત થયા. છતાં ત્યાં ઘણું ખાવાનું રહ્યું હતું. અને છાંડેલા ખોરાકના ટૂકડાઓથી બાર ટોપલીઓ ભરી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International