Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 30

મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.

હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
    કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
    તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
    અને તમે મને સાજો કર્યો છે.
હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
    તમે મને કબરમાં પડવા દીધો નથી.

હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
    અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
    પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
    પણ સવારમાં હર્ષાનંદ થાય છે.

હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
    હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
હે યહોવા, તમે મારા પર કૃપા કરી
    મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
    તમે મને ભયભીત કર્યો છે.
હે યહોવા, મેં તમને પોકાર કર્યો
    અને મેં તમને વિનંતી કરી.
“હે યહોવા, હું મરી જઇશ તો
    તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
    તમારી સ્તુતિ કરી શકશે?
    શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
    મારી અરજીને સંભળો મને સહાય કરો.”

11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
    મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
    અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
    હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.

ગીતશાસ્ત્ર 32

દાઉદનું ગીત. માસ્કીલ.

જેના દોષને માફી મળી છે,
    તથા જેનું પાપ ઢંકાઇ ગયું છે
    તેને ધન્ય છે અને તે જ સુખી છે.
જેને યહોવા દોષિત ગણતા નથી,
    અને જેના આત્મામાં કંઇ કપટ નથી
    તે માણસ આશીર્વાદિત છે.

હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો,
    તે દિવસથી મારી વ્યથા વધી ગઇ
    અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.
આખો દિવસ અને આખી રાત,
    તમારો ભારે હાથ મારા પર હતો.
જેમ ઉનાળાની ગરમીમાં જળ સુકાઇ જાય
    તેમ મારી શકિત હણાઇ ગઇ હતી.

પણ મેં મારા બધાં પાપો તમારી સમક્ષ કબૂલ કરવાનો નિર્ણય લીધો.
    મે મારા પાપોને છુપાવવાનું બંધ કર્યુ.
મે પોતાને કહ્યું, “હું મારા પાપો યહોવા સમક્ષ કબૂલ કરીશ.”
    અને તમે મારા પાપો બદલ મને ક્ષમા આપી.

તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય,
    ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.
અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો
    પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ.
જીવનનાં સર્વ સંકટોમાં
    તમે મારી છુપાવવાની જગા છો,
તમે મને સંકટોમાં ઉગારી લો છો;
    મારી આસપાસ તમારા ઉધ્ધારનાં સ્તોત્રો ગવડાવશો.

યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે
    તારે ક્યાં માર્ગે ચાલવું તે હું તને બતાવીશ,
    હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.
ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે.
    તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”

10 દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે;
    પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.
11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ.
    હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો.

ગીતશાસ્ત્ર 42-43

ભાગ બીજો

(ગીત 42–72)

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
    તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
    હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
    શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”

હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
    ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
    અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.

હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
    તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    તેમની કૃપા અને મદદ માટે હું હજી
    પણ તેમની પ્રાર્થના કરીશ.
હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
    તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
    અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
    ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
    અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.

અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
    અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
    “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
    શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
    મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
    તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
    તેનું હું હજી સ્તવન કરીશ.

હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
    અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
    તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
    તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
    હું શોક કરતો ફરૂં છું.
હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
    જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
તમે મારા અતિઆનંદ છો,
    તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
    હું તમારી આભારસ્તુતિ ગાઇશ.

હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
    તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
    તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
    અને મદદ માટે પ્રાર્થના કરીશ.

દાનિયેલ 6:16-28

16 છેવટે રાજાએ દાનિયેલની ધરપકડ માટે આદેશ આપ્યો અને તેને સિંહોની ગુફામાં નાખવા લઇ જવામાં આવ્યો. તેણે દાનિયેલને કહ્યું, “જે દેવની તું સતત સેવા ઉપાસના કરે છે તે તને બચાવો.” 17 પછી એક મોટો પથ્થર લાવીને ગુફાના મોઢા ઉપર મૂકવામાં આવ્યો અને રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના દરબારીઓની મુદ્રા વડે સીક્કો માર્યો, જેથી કોઇ દાનિયેલને બચાવી ન શકે. 18 પછી રાજા પોતાના મહેલમાં પાછો ગયો. આખી રાત તેણે કશું ખાધું નહિ; તેમ વાજિંત્રો પણ તેની આગળ આણવામાં આવ્યાં નહિ; અને તેને ઊંઘ ન આવી.

19 બીજા દિવસે વહેલી પરોઢે રાજા ઉતાવળો સિંહોની ગુફા આગળ ગયો. 20 ગુફા આગળ તે પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારીને કહ્યું, “હે દાનિયેલ, હે જીવંત દેવના સેવક! જેની તું સતત સેવા કરે છે, તે તારો દેવ તને સિંહોથી બચાવી શક્યો?”

21 એટલે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, તમે અમર રહો. 22 મારા દેવે પોતાના દૂતને મોકલ્યો અને તેણે સિંહોના મોં બંધ કરી દીધા એટલે તેઓ મને કશી ઇજા નથી કરી શક્યા. કારણ, દેવની નજરમાં હું નિર્દોષ ઠર્યો છું. અને હે મહારાજ, આપનો પણ મેં કોઇ ગુનો કર્યો નથી.”

23 રાજાને ઘણો આનંદ થયો; તેણે હુકમ કર્યો કે, દાનિયેલને ગુફામાંથી બહાર કાઢવામાં આવે. તેના શરીર ઉપર એક ઊઝરડો પણ જોવા મળ્યો નહિ. કારણકે તેને પોતાના દેવમાં વિશ્વાસ હતો.

24 પછી રાજાના હુકમથી દાનિયેલ ઉપર આક્ષેપ કરનારાઓને; તેમના બાળકોને અને સ્ત્રીઓને પકડી લાવીને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા, અને તેઓ ગુફાને તળીયે પહોંચે તે પહેલાં જ સિંહો તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના હાડકાં સુદ્ધાં ચૂરેચૂરા કરી નાખ્યા.

25 ત્યારપછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વીના, જુદીજુદી પ્રજાના તથા જુદી જુદી ભાષા બોલનારા લોકોને પત્ર લખ્યો કે,

26 સાદર પ્રણામ સાથે લખવાનું કે, આથી હું એવો હુકમ કરું છું કે, મારા આખા સામ્રાજ્યમાં સર્વ લોકોએ દાનિયેલના દેવનો ભય રાખવો અને તેને માન આપવું.

કારણકે તે જીવંત દેવ
    અને અધિકારી છે.
તેમનું રાજ્ય અવિનાશી છે
    અને તેમની સત્તાનો અંત આવતો નથી.
27 તે બચાવે છે અને છોડાવે છે.
    આકાશમાં અને પૃથ્વી પર ચમત્કારિક નિશાનીઓ અને ચમત્કારો કરે છે.
તે એક જ છે જેણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.

28 આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન અને ઇરાની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.

3 યોહાન

જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું,

તે પ્રિય ગાયસ જોગ લખિતંગ વડીલ તરફથી કુશળતા:

મારા પ્રિય મિત્ર, હું જાણું છું તારો આત્મા કુશળ છે. તેથી હું પ્રાર્થના કરું છું કે તું બધી રીતે કુશળ રહે. અને હુ પ્રાર્થના કરું છું કે તું તંદુરસ્ત રહે. કેટલાએક ખ્રિસ્તમાં ભાઈઓ આવ્યા અને તારા જીવનના સત્ય વિષે મને કહ્યું. તેઓએ મને કહ્યુ કે તું સત્યના માર્ગને અનુસરી રહ્યો છે. તેથી હું ઘણો ખુશ થયો. જ્યારે હું સાંભળું છું કે મારાં બાળકો સત્યના માર્ગને અનુસરે છે ત્યારે મને હંમેશા સૌથી વધુ આનંદ થાય છે.

મારા પ્રિય મિત્ર, તું ખ્રિસ્તમાં ભાઈઓને માટે હા, પારકા ભાઈઓને માટે પણ, તું જે કંઈ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે. તુ જેને જાણતો નથી એવા ભાઈઓને પણ તું મદદ કરે છે. આ ભાઈઓએ મંડળીને તારા પ્રેમ વિશે વાત કરી છે. કૃપા કરીને તેઓનો પ્રવાસ ચાલુ રાખવામાં તેઓને મદદ કર. દેવ પ્રસન્ન થાય તે રીતે તેઓને મદદ કર. આ ભાઈઓ ખ્રિસ્તની સેવા કરવા માટે આજુબાજુ પ્રવાસ કરી રહ્યા છે. તેઓ જે લોકો વિશ્વાસીઓ નથી તેઓની કોઈ પણ પ્રકારની મદદનો સ્વીકાર કરતા નથી. તેથી આપણે આ ભાઈઓને મદદ કરવી જોઈએ. જ્યારે આપણે તેઓને મદદ કરીએ છીએ, ત્યારે આપણે તેઓના સત્ય માટેના કાર્યમાં સહભાગી થઈએ છીએ.

મેં મંડળીને પત્ર લખ્યો છે. પણ દિયોત્રફેસ અમે જે કહીએ છીએ તે ધ્યાનપૂર્વક સાંભળતો નથી. તે હંમેશા તેઓનો આગેવાન થવા ઈચ્છે છે. 10 જયારે હું આવીશ, ત્યારે હું દિયોત્રફેસ શું કરે છે તે વિશે કહીશ. તે જૂઠુ બોલે છે અને અમારા વિષે ભૂંડું બોલે છે. પરંતુ તે જે બધું કરે છે તે એટલું જ નથી! તે જે ભાઈઓ ખ્રિસ્તની સેવાનાં કામો કરે છે તેઓને મદદ કરવાની પણ ના પાડે છે. દિયોત્રફેસ પેલા લોકો જે ભાઈઓને મદદ કરવા ઈચ્છે છે તેઓને પણ અટકાવે છે. અને તે લોકોને મંડળીમાંથી બહિષ્કૃત કરે છે.

11 મારા પ્રિય મિત્ર, જે ખરાબ છે તેને અનુસરો નહિ; જે સારું છે તેને અનુસરો. જે વ્યક્તિ સારું છે તે કરે છે તે દેવથી છે. પણ જે વ્યક્તિ દુષ્ટ કાર્ય કરે છે તેણે કદી દેવને ઓળખ્યો નથી.

12 બધા લોકો દેમેત્રિયસ વિષે સારું બોલે છે. અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે. આપણે પણ તેના માટે સારું કહીએ છીએ. અને તમે જાણો છો કે આપણે જે કહીએ છીએ તે સાચું છે.

13 મારી પાસે ઘણું છે જે મારે તમને કહેવું છે. પણ હું શાહી અને કલમનો ઉપયોગ કરવા ઈચ્છતો નથી. 14 હું જલ્દીથી તારી મુલાકાત લેવાની આશા રાખું છું. પછી આપણે સાથે મળીને વાતો કરી શકીશું. 15 તને શાંતિ થાઓ. જે મિત્રો અહીં મારી સાથે છે તેઓ તને ક્ષેમકુશળ કહે છે. મહેરબાની કરીને ત્યાંના દરેક મિત્રોને વ્યક્તિગત રીતે અમારો પ્રેમ અને ક્ષેમકુશળ કહેજે.

લૂક 5:27-39

લેવી ઈસુને અનુસરે છે

(માથ. 9:9-13; માર્ક 2:13-17)

27 આ પ્રસંગ પછી ઈસુ બહાર જતો હતો ત્યારે તેણે લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોયો. તેથી ઈસુએ તેને કહ્યું, “આવ અને મને અનુસર!” 28 આ સાંભળીને તરત જ લેવી સર્વસ્વ છોડીને ઈસુને અનુસરવા લાગ્યો.

29 અને પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માનમાં ભોજનસમારંભનુંઆયોજનકર્યુ. ત્યાં ભોજનસમારંભમાં ઘણા જકાતદારો અને બીજા કેટલાએક લોકો પણ હાજર હતા. 30 તે વખતે ફરોશીઓ અને શાસ્ત્રીઆએે તેના શિષ્યોને ફરીયાદ કરી, “તમે શા માટે જકાતદારો અને પાપીઓની સાથે ભોજન કરો છો અને પીઓ છો?”

31 ઈસુએ તેઓને પ્રત્યુત્તર આપ્યો, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. ફક્ત રોગીઓને જ વૈદની જરૂર પડે છે. 32 હું પ્રામાણિક માણસનો નહિ પરંતુ પાપીઓને તેઓના જીવન અને હ્રદય પરિવર્તન કરવા બોલાવવા આવ્યો છું!”

ઉપવાસ વિષેના પ્રશ્રનો ઈસુ ઉત્તર આપે છે

(માથ. 9:14-17; માર્ક 2:18-22)

33 તેઓએ ઈસુને કહ્યું, “યોહાન બાપ્તિસ્તના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, ફરોશીઓના શિષ્યો પણ એમ જ કરે છે. પરંતુ તારા શિષ્યો તો હંમેશા ખાય છે અને પીએ છે.”

34 ઈસુએ તેઓને કહ્યું, “જો વરરાજા તેઓની સાથે હોય તો શું વરરાજાની જાનમાં આવેલા જાનૈયાઓ ઉપવાસી રહે તેવું શક્ય છે? 35 પરંતુ એવો સમય આવશે. જ્યારે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે અને તેના મિત્રોને ઉપવાસ કરવો પડશે.”

36 ઈસુએ લોકોને આ દષ્ટાંત પણ કહ્યું, “કોઈ પણ વ્યક્તિ પોતાના નવા કોટમાંથી કાપડનો ટૂકડો કાઢીને જૂના કોટને થીંગડુ મારતો નથી. કારણ કે તે જાણે છે કે આમ કરવાથી નવા કોટને નુકશાન થશે અને નવા કોટનું થીંગડુ જૂના કોટના કાપડને મળતું નહિ આવે. 37 કોઈ પણ માણસ નવો દ્ધાક્ષારસ જૂના દ્ધાક્ષારસની મશકોમાં ભરતો નથી. કારણ કે નવો દ્ધાક્ષારસ જૂની મશકને ફાડી નાખશે અને તેથી દ્ધાક્ષારસ ઢોળાઇ જશે. દ્ધાક્ષારસની મશકોનો નાશ થશે. 38 લોકો હંમેશા નવો દ્ધાક્ષારસ નવી મશકોમાં જ ભરે છે. 39 જે કોઈ જૂના દ્ધાક્ષારસનું પાન કરે છે તેઓ કદાપિ નવો દ્ધાક્ષારસ માગતા નથી. તે કહે છે, ‘જૂનો દ્ધાક્ષારસ જ સારો છે.’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International