Book of Common Prayer
નિર્દેશક માટે. યહોવાના સેવકનું ગીત, જે દિવસે યહોવાએ તેને તેના બધાં શત્રુઓના હાથમાંથી તથા શાઉલનાં હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાને આ ગીતનું વચન કહ્યું.
1 “હે યહોવા, મારા સાર્મથ્ય,
હું તમને ચાહું છું.”
2 યહોવા મારો ખડક, મારો મજબૂત કિલ્લો છે.
દેવ મારો ખડક છે.
તે મારું આશ્રયસ્થાન છે.
તે મારી ઢાલ છે.
તેની શકિત મારું રક્ષણ કરે છે.[a]
પર્વતોમાં ખૂબ ઉંચાઇ પર તે મારું સુરક્ષાનું સ્થાન છે.
3 યહોવા સ્તુતિપાત્ર છે,
હું તેમને વિનંતી કરીશ
અને મારું સર્વ શત્રુઓથી રક્ષણ થશે.
4 મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે,
અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.
5 શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ધેરી લીધો છે.
મૃત્યુનો ગાળિયો; મારી સામેજ આવી પડ્યો છે.
6 મને મારા સંકટમાં સહાય કરવાં
મેં યહોવાને કરુણાભરી વિનંતી કરી,
તેમણે પોતાના પવિત્રસ્થાનમાં મારો અવાજ સાંભળ્યો,
અને તેનાં કાનમાં મારી અરજ પહોંચી ગઇ.
7 ત્યારે ધરતી થરથર ધ્રુજી ઊઠી ને પર્વતોના પાયા ખસી ગયા,
અને હલવા લાગ્યા.
પર્વતો ધ્રુજી ઊઠયા, કારણ, યહોવા કોપાયમાન થયા હતાં.
8 તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો,
અને દેવના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો.
તેમનામાંથી સળગતાં તણખા નીકળ્યાં.
9 તેમણે આકાશને ચીર્યુ અને પગની નીચે કાળા
વાદળા સાથે નીચે ઉતર્યા.
10 તેકરૂબ પર ચડીને ઊડતા હતાં.
અને તેઓ પવનમાં ઉંચે ઊડતા હતાં.
11 તેમણે પોતાની આસપાસ અંધકારથી ઢાંકી દીધું છે.
અને પોતાના માર્ગને મેઘજળનાં ગાઢ વાદળોથી ઢાંકી દીધેલ છે.
12 એકાએક તેમના ઉજ્જવળ ધડાકા સાથે વીજળી ચમકી.
પરિણામે ત્યાં કરાં વરસવાં લાગ્યા અને આગના તણખાં ઝર્યા.
13 યહોવાએ આકાશમાંથી ગર્જના કરી અને પરાત્પર દેવે મોટો અવાજ કાઢયો.
એના પરિણામે ત્યાં કરાઁ પડ્યા અને વીજળીના ચમકારા થયા.
14 તેણે તેના વીજળીના તીક્ષ્ણ બાણો મારાં બધાં શત્રુઓ પર
છોડ્યા અને તેમને મુંજવીને વિખેરી નાખ્યાં.
15 પછી હે યહોવા, તમારી આજ્ઞાથી, જુઓ,
સમુદ્રનાં તળિયાં દેખાયાઁ.
તમારાં નસકોરાઁના શ્વાસથી
ધરતીના પાયા ઉઘાડા થઇ ગયા.
16 તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો
અને મહા વિપત્તિના ઊંડા પાણીમાંથી મને બહાર ખેંચી લીધો.
17 તેમણે મને મારા બળવાન શત્રુથી અને દ્વેષીઓથી બચાવ્યો,
કારણ કે તેઓ મારા કરતાઁ જોરાવર હતા અને મને ધિક્કારતાં હતા.
18 મારી વિપત્તિનાં દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા,
અને હું તો અતિ નિર્બળ હતો પરંતુ યહોવાએ મને સ્થિર રાખ્યો.
19 તેઓ મને ખુલ્લી જગામાં દોરી ગયાં.
અને એ તેઓ હતાં કે જેણે મને બચાવ્યો, કારણકે તેઓ મારાથી ખુશ હતા.
20 મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે,
મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.
21 કારણ કે મેં યહોવાની આજ્ઞા પાળી છે,
અને મેં તેમની વિમુખ થઇને ભૂંડાઇ કરી નથી.
22 હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું.
મેં તેમની આજ્ઞા હંમેશા મારી સંમુખ રાખી છે અને તેમાની એકેય આજ્ઞાની અવગણના કરી નથી.
23 હું તેમની સાથે વિશુદ્ધ અને પ્રામાણિક હતો
અને મેં મારી જાતને અનિષ્ટ અને અયોગ્ય કરવાથી દૂર રાખી છે.
24 યહોવાએ મારું ન્યાયીપણુઁ અને મારા હાથની શુદ્ધતા જોઇને
તે પ્રમાણે મને પ્રતિદાન દીધું છે.
25 હે યહોવા, જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો.
જેઓ તમારી પ્રત્યે એકનિષ્ઠ છે, એને તમે એકનિષ્ઠ છો.
26 જેઓ શુદ્ધ અને સારા છે તેમની સાથે તમે શુદ્ધ અને સારા છો.
પણ જેઓ હઠીલા છે તેઓને સાથે હઠીલા દેખાશો.
27 તમે ગરીબ લોકોને બચાવો છો,
અને અભિમાની લોકોને અપમાનિત કરો છો.
28 યહોવા, મારા દેવ! તમે મારા હૃદયમાં દીવાં પ્રગટાવો છો!
મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરવ્યો છે.
29 તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું.
અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ.
30 દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે;
જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે.
31 કારણ, યહોવા વિના બીજા દેવ કોણ છે?
તેનાં વિના ખડક સમાન બીજું કોણ છે?
32 તેમની શકિતથી તેઓ મને ભરી દે છે
અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
33 તે મારા પગોને હરણીના જેવું દોડવાં જેવા બનાવે છે
અને ઉંચાઇઓ પર મને સ્થિર રાખે છે.
34 મારા હાથોને તેઓ લડતાં શીખવે છે.
પિત્તળનું ધનુષ્ય ખેંચવાની શકિત તેઓ મને આપે છે.
35 તમે તમારા તારણની ઢાલ મને છે,
તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે,
અને તમારી અમીષ્ટિએ મને મોટો કર્યો છે.
36 તમે મને ઝડપથી દોડવામાં મદદ કરી છે,
જેથી મારા પગ કદી લપસ્યાં નથી.
37 હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ;
અને તેઓનો નાશ નહિ થાય ત્યાં સુધી પાછો ફરીશ નહિ.
38 હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ફરી ઊભા નહિ થઇ શકે.
તેઓ મારા પગે પડશે.
39 કારણ તમે મને યુદ્ધને સારુ શકિતરૂપી શસ્ત્રથી સજ્જ કર્યો છે.
મારી સામે થનારને તમે મારે તાબે કર્યો છે.
40 શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક આપી હતી.
તેથી જેઓએ મારો તિરસ્કાર કર્યો છે, તે સવેર્નો મેં સંહાર કર્યો છે.
41 તેઓએ ઘણી બૂમો પાડી છતાં
તેઓને બચાવનાર કોઇ નહોતું. હા,
તેઓએ યહોવાને વિનંતી કરી,
પરંતુ કોઇ જવાબ મળ્યો નહિ.
42 પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યાં છે
અને ગલીઓમાંની ધૂળની જેમ તેમને કચડી નાખ્યાં છે.
43 તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો.
મને બીજા રાષ્ટ્રોનો રાજા બનાવો.
જે લોકોને હું જાણતો પણ નથી તેઓ મારી સેવા કરશે.
44 મારે શરણે પરદેશીઓ આવ્યાં છે.
અને મારો હુકમ સાંભળતાં જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે.
45 પરદેશીઓ હિંમત ગુમાવી બેઠાં છે,
અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે.
46 યહોવા જીવતા જાગતા દેવ છે.
મારા રક્ષકને ધન્ય હો;
મારો ઉદ્ધાર કરનાર દેવની મહાનતાનો પ્રચાર કરો.
47 યહોવા મારા દુશ્મનોને શિક્ષા કરે છે
અને રાષ્ટ્રોને મારા તાબામાં મૂકે છે.
48 તે મારા શત્રુઓથી મને છોડાવે છે.
અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે.
મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે.
49 માટે હે યહોવા, વિદેશીઓમાં હું તારી સ્તુતિ કરીશ,
અને હું તારા નામનાં સ્રોત્ર ગાઇશ.
50 યહોવા તેમના દ્વારા પસંદ કરેલા રાજાઓને ઘણા વિજયો મેળવવામાં મદદ કરે છે,
યહોવા પોતે અભિષિકત કરેલા રાજાઓ પ્રતિ દયા બતાવે છે.
યહોવા દાઉદ તથા તેનાં વંશજો પ્રતિ હંમેશા વિશ્વાસુ રહેશે.
31 “આપ નામદારને જે સ્વપ્ન આવ્યું; તેમાં આપે એક મોટી મૂર્તિ જોઇ હતી. એ પ્રચંડ અને ઝગારા મારતી મૂર્તિ આપની સમક્ષ ઉભી હતી અને તેનો દેખાવ ભયંકર હતો. 32 તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું; તેની છાતી અને હાથ ચાંદીના હતાં. તેના પેટ અને જાંધો કાંસાના હતાં. 33 તેના પગ લોખંડના હતાં. તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો. 34 આપ એ મૂર્તિ ઉપર મીટ માંડી રહ્યાં હતાં ત્યાં કોઇના અડ્યા વગર જ પર્વતમાંથી એક પથ્થર છૂટો પડ્યો અને મૂર્તિની લોખંડ અને માટીની બનેલી પાનીઓ ઉપર પછડાયો અને પાનીઓનાં તેણે ચૂરેચૂરો કરી નાખ્યા, 35 એ પછી લોખંડ, માટી, કાંસા, ચાંદી અને સોનું બધાંના ટુકડેટુકડા થઇ ગયા અને ઉનાળામાં અનાજ ઝૂડવાના ખળામાંના ભૂસાની જેમ પવન તેમને એવો તો ઉડાડીને લઇ ગયો કે, ક્યાંય તેમનું નામોનિશાન ન રહ્યું. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે વધીને મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઇ ગઇ.
36 “આ હતું તમારું સ્વપ્ન; હવે અમે તમને તેનો અર્થ જણાવીશું: 37 હે નામદાર, આપને સ્વર્ગાધિપતિ દેવે રાજ્ય, સત્તાં, ગૌરવ અને ખ્યાતિ આપ્યાં છે. 38 અને તેમણે આપના હાથમાં આ પૃથ્વી ઉપર વસતાં બધાં માણસો, પશુઓ અને પંખીઓને સોંપ્યા છે, અને આપને એ સૌના રાજા બનાવ્યા છે. એ સોનાનું માથું આપ છો.
39 “આપના રાજ્યકાળનો અંત આવશે. ત્યારે બીજી મહાસત્તા તમારું સ્થાન લેવા આવશે. તે આપના કરતાં ઊતરતી કક્ષાની હશે. તે સામ્રાજ્યના પતન પછી એક ત્રીજું કાંસાનું સામ્રાજ્ય ઉદય પામશે, જે આખી પૃથ્વી ઉપર રાજ્ય ચલાવશે. 40 ત્યાર પછી, ચોથો રાજા લોખંડ જેવો મજબૂત હશે. તે ભાંગીને ભૂકો કરનાર, કચડી નાખનાર અને વિજય મેળવનાર હશે.
41 “તમે જોયું હતું કે, પગ અને અંગુઠાનો થોડો ભાગ લોખંડનો અને થોડો ભાગ માટીનો હતો. એનો અર્થ એ કે, એ રાજ્યના ભાગલા પડી ગયા હશે. આપે માટી સાથે લોખંડ ભળેલું જોયું હતું એમાં અમુક અંશે લોખંડનું બળ હશે. 42 આ અંગુઠા થોડાં લોખંડના અને થોડા માટીના હતાં, તેથી લોખંડ જેવા મજબૂત હશે અને માટી જેવા નબળાં હશે. 43 વળી આપે જોયું હતું કે, માટી સાથે લોખંડ ભળેલું હતું તેમ તેઓ એકબીજા સાથે લગ્નસંબંધ બાંધી મજબૂત બનવા પ્રયત્ન કરશે, પરંતુ લોખંડ અને માટી એકબીજા સાથે મળી શકતાં નથી, તેમ તેઓ પણ ભેગાં રહી શકશે નહિ.
44 “એ રાજાઓના શાસન દરમ્યાન સ્વર્ગના રાજા દેવ કદી નાશ ન પામે તેવું રાજ્ય સ્થાપશે. જે રાજ્ય બીજી કોઇ પ્રજાના હાથમાં કદી જશે નહિ; તે બધા રાજ્યોનો ભાંગીને ભૂકો કરી નાખશે, પણ પોતે હંમેશને માટે અવિનાશી રહેશે.
45 “તમે જોયું હતું કે, કોઇનો હાથ અડ્યા વગર જ પર્વતમાંથી પથ્થર કપાઇ ને બહાર પડતો હતો અને તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા, તેનો આ અર્થ છે. આમ મહાન દેવે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે. આ જ તમારું સ્વપ્ન છે અને આ જ તેનો સાચો અર્થ છે.”
46 એ પછી રાજા નબૂખાદનેસ્સારે દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેને અર્પણ અને સુગંધીઓનો ધૂપ ચઢાવવાની આજ્ઞા કરી. 47 રાજાએ કહ્યું, “હે દાનિયેલ, સાચે જ તારા દેવ સર્વ દેવોનાં દેવ છે, તે રાજાઓ ઉપર રાજ કરે છે અને રહસ્યોને ખુલ્લા કરનાર, જણાવનાર છે. તેમણે જ તારી સામે આ રહસ્ય પ્રગટ કર્યું છે.”
48 પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો, કિમતી ભેટો આપી અને સમગ્ર બાબિલના પ્રાંતના વહીવટકર્તા તરીકે નીમ્યો. તેમજ સર્વ જ્ઞાની માણસોના ઉપરી તરીકે નિમણુંક કરી. 49 દાનિયેલે રાજાને વિનંતી કરી એટલે તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને બાબિલના પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા; પણ દાનિયેલ પોતે રાજાના દરબારમાં ન્યાયાધીશ તરીકે સેવા આપતો હતો.
ખ્રિસ્તવિરોધીઓને અનુસરો નહિ
18 મારાં વહાલાં બાળકો, અંત નજીક છે! તમે સાંભળ્યું છે કે ખ્રિસ્તવિરોધી આવે છે. અને હવે ખ્રિસ્તવિરોધીઓ ઘણાં અહીં છે. તેથી અમે જાણીએ છીએ કે હવે અંત નજીક છે. 19 ખ્રિસ્તના તે વિરોધીઓ આપણા સમુહમાં હતા. પણ તેઓ આપણામાંથી નીકળી ગયા. તેઓ ખરેખર આપણી સાથે ન હતા. જો તે ખરેખર આપણા સમુહના હોત, તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ નીકળી ગયા. આ તે બતાવે છે કે તેમાંનો કોઈ પણ ખરેખર આપણમાંનો હતો નહિ.
20 તમે જે પવિત્ર છે (દેવ કે ખ્રિસ્ત) તેના દ્વારા અભિષિક્ત થયા છો. તેથી તમે બધા સત્યને જાણો છો. 21 મારે તમને શા માટે લખવું? તમે સત્યને જાણતા નથી તેથી મારે લખવું? ના! હું આ પત્ર લખું છું કારણ કે તમે સત્યને જાણો છો. અને તમે જાણો છો કે કોઈ પણ જુઠાણું સત્યમાંથી આવતું નથી.
22 તેથી જુઠો કોણ છે? તે એ વ્યક્તિ છે જે કહે છે કે ઈસુ, ખ્રિસ્ત નથી. તે ખ્રિસ્તવિરોધી છે. તે વ્યક્તિ પિતામાં વિશ્વાસ કરતો નથી. અથવા તેના પુત્રમાં વિશ્વાસ કરતો નથી, તો તેને બાપ હોતો નથી, પરંતુ જે વ્યક્તિ પુત્રને સ્વીકારે છે તો તેને બાપ પણ છે.
23-24 તમે આરંભથી જે સાંભળ્યું છે તે તમારામાં રહો, આરંભથી જે તમે સાંભળ્યું છે તે જો તમારામાં રહે તો તમે પણ પુત્રમાં તથા પિતામા રહેશો. તેની ખાતરી રાખજો. 25 પુત્રએ આપણને અનંતકાળનું જીવન આપવાનું વચન આપ્યું છે.
26 જે લોકો તમને ખોટા રસ્તે દોરવાનો પ્રયત્ન કરે છે તે લોકો વિષે હું આ પત્ર લખું છું 27 ખ્રિસ્તે તમારો અભિષેક કયો છે તે હજુ તમારી સાથે રહે છે. તેથી તમને ઉપદેશક આપવા માટે કોઈ વ્યક્તિની તમને જરુંર નથી. તમને ખ્રિસ્તે આપેલ ભેટ બધી બાબતો વિષે શીખવે છે. આ અભિષેક ખરો છે. તે ખોટો નથી. તેથી તેના અભિષેકે જે શીખવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તમાં જીવવાનું ચાલુ રાખો.
28 હા, મારાં બાળકો, તેનામાં જીવો. જો આપણે આ કરીશુ, તો આપણે ખ્રિસ્ત ઈસુ જ્યારે પાછો આવવાનો છે તે દિવસે નિર્ભય બનીશું જ્યારે તે આવે ત્યારે આપણે છુપાઈ જવાની કે શરમાઈ જવાની જરુંર નથી. 29 તમે જાણો છો કે ઈસુ ન્યાયી છે. તેથી તમે એ બધા લોકોને જાણો છો જે સાચું હોય તે જ તે કરે છે. તે દેવનાં છોકરાં છે.
યોહાનનો ઉપદેશ
(માથ. 3:1-12; માર્ક 1:1-8; યોહ. 1:19-28)
3 પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો.
ગાલીલ પર હેરોદ;
ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ,
લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.
2 અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો. 3 તેથી યોહાને યર્દન નદીની આજુબાજુના પ્રદેશમાં યાત્રા કરીને લોકોને પસ્તાવો કરવા માટે, પાપોની માફીની ખાતરી મેળવવા તથા બાપ્તિસ્મા પામીને જીવન ગુજારવાનો ઉપદેશ આપ્યો. 4 યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:
“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે:
‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો.
તેનો માર્ગ સીધો બનાવો.
5 પ્રત્યેક ખીણો પૂરી દેવાશે.
અને બધાજ પર્વતો અને ટેકરીઓ સપાટ બનાવાશે.
રસ્તાના વળાંક સીધા કરવામાં આવશે.
અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ સરખા કરવામાં આવશે.
6 પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!’” (A)
7 ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. યોહાને તેઓને કહ્યું: “તમે ઝેરીલા સાપો જેવા છો, દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા? 8 તમે એવાં કામ કરો કે જે દર્શાવે કે તમે તમારું હ્રદય પરિવર્તન કર્યું છે. તમારી જાતને તમે કહેવાનું શરું ના કરશો. ‘ઈબ્રાહિમ અમારો પિતા છે.’ કારણ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. 9 વૃક્ષો કાપવા માટે હવે કુહાડી તૈયાર છે. દરેક વૃક્ષ જે સારાં ફળ ન આપતાં હોય તે બધાને કાપી નાખીને અજ્ઞિમાં નાખી દેવામાં આવશે.”
10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”
11 યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”
12 જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”
13 યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”
14 સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”
યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International