Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 146-149

યહોવાની સ્તુતિ કરો.
    હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
    મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
    કારણકે તેમની પાસે તારણ નથી.
તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
    અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
    અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
    અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
યહોવાએ પૃથ્વી તથા આકાશો,
    સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
    તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
    યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
    કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
    અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
    પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
    તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.

યહોવાની સ્તુતિ થાઓ!

તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ.
    આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ.
    કારણકે તે સારું અને ગમતું છે.
યહોવા યરૂશાલેમને બાંધે છે;
    તે ઇસ્રાએલી લોકો જેઓ બંદીવાન બનાવાયા હતાં તેઓને ભેગા કરશે અને પાછા લાવશે.
હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે;
    અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે.
તે તારાઓની ગણતરી કરે છે;
    અને તેઓને નામ દઇને બોલાવે છે.
આપણા પ્રભુ કેવા મહાન છે!
    તેમના સાર્મથ્યનો પાર નથી!
    તેમના જ્ઞાનની કોઇ સીમા નથી.
યહોવા નમ્રજનોને આધાર આપે છે;
    પરંતુ દુષ્ટોને અપમાનિત કરે છે.
યહોવાએ કરેલા ઉપકારો માટે તેમનો આભાર માનો;
    આપણા યહોવાના સિતાર સાથે સ્તોત્રગીત ગાઓ.
તે આકાશને વાદળોથી ઢાંકે છે;
    પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે;
    તે પહાડો પર ઘાસ ઉગાડે છે.
પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને
    પણ તે જ ખોરાક આપે છે.
10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં
    અને બળવાન સૈનિકોમાં નથી.
11 પણ જેઓ તેમનો ભય રાખે છે;
    ને યહોવાની કૃપા માટે વાટ જુએ છે;
    તેથી યહોવા ખુશ રહે છે.
12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
    અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
    અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
    અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
    અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
    અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
    તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
    અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.

19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
    તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
    અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.

યહોવાની સ્તુતિ થાઓ.

યહોવાની સ્તુતિ કરો!

આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
    ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
    તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
    સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
    આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
    કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
    તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
    આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
તમે પર્વતો તથા ડુંગરો;
    ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
    પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
    તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
    વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
    કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
    તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
    તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

યહોવાની સ્તુતિ કરો!

તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
    સંતોની સભામાં તેની સ્તુતિ કરો.
ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો;
    સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો.
તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
    ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.
કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે;
    અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.
તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે;
    પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ.

તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ;
    અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
તેઓ બીજા રાષ્ટ્રોને સજા કરે
    અને તેમને પાઠ ભણાવે.
તેઓના રાજાઓને અને આગેવાનોને;
    લોખંડની સાંકળોથી બાંધે.
અને તેઓને દેવના ચુકાદા મુજબ તેઓ સજા કરે!
    યહોવા તેમના બધાં સંતોનો આદર છે.

યહોવાની સ્તુતિ કરો.

હઝકિયેલ 37:1-14

સૂકાં હાડકાંઓનું સંદર્શન

37 યહોવાનો હાથ મારા પર આવ્યો અને યહોવાનો આત્મા મને લઇ ગયો અને મને એક મેદાનમાં મૂક્યો, જે મેદાન સૂકાં હાડકાથી ભરેલું હતું, તેમણે મને તે હાડકા વચ્ચે આમતેમ ફેરવ્યો, જોઉં છું તો આખું મેદાન હાડકાંથી છવાયેલું હતું. હાડકાંનો કોઇ પાર નહોતો અને તે બધા તદૃન સુકાઇ ગયેલા હતા.

યહોવા મારા માલિકે મને પ્રશ્ર્ન કર્યો; “હે મનુષ્યના પુત્ર, શું આ હાડકાં ફરીથી જીવતા માણસો બની શકે?”

મેં જવાબ આપ્યો, “યહોવા, તમે એકલા જ આ પ્રશ્ર્નનો ઉત્તર જાણો છો.”

તેણે મને કહ્યું, “તું મારા તરફથી એ હાડકાંઓને પ્રબોધ કર. ‘હે સૂકાં હાડકાંઓ, યહોવાનો સંદેશો સાંભળો, યહોવા મારા માલિક તમને આ પ્રમાણે કહે છે, હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે ફરી જીવતાં થશો. હું તમારા પર સ્નાયુઓ બાંધીશ, માંસ પૂરીશ, અને તમને ચામડીથી આવરી લઇ તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો અને તમને ખાતરી થશે કે હું યહોવા છું.’”

તેથી યહોવા મારા માલિકે મને કહ્યું હતું તેમ મેં વચનો ઉચ્ચાર્યાં; હું બોલતો હતો ત્યારે જ ગડગડાટ સંભળાયો અને હાડકાં એકબીજા સાથે જોડાવા લાગ્યાં. હું જોતો હતો તેવામાં હાડકાની આસપાસ સ્નાયુઓ અને માંસ આવી ગયાં. અને તેઓને ચામડી વડે ઢાંકી દેવામાં આવ્યાં. પણ તેઓ હજુ શ્વાસ લેતા નહોતા.

પછી મારા માલિક યહોવાએ મને કહ્યુ, “હે મનુષ્યના પુત્ર, તું પવનને પ્રબોધ કર, તું તેને કહે કે યહોવા મારા માલિક કહે છે, ‘હે પવન, ચારે દિશામાંથી આવ અને આ શરીરોમાં ફૂંક માર જેથી તેઓ સજીવન થાય.’”

10 તેથી તેના કહેવા પ્રમાણે મેં પ્રબોધવાનું શરૂ કર્યું તેમનામાં શ્વાસનો સંચાર થયો અને તેઓ સજીવન થઇને ઉભા થઇ ગયા. જાણે બહુ મોટું સૈન્ય!

11 ત્યાર બાદ યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ હાડકાં એ બધા ઇસ્રાએલી લોકો છે, તેઓ કહે છે, ‘અમારા હાડકાં સૂકાઇ ગયાં છે, આશા ઊડી ગઇ છે, અમે કપાઇ ગયેલા છીએ.’ 12 તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, યહોવા મારા માલિક કહે છે: ‘હું તમારા બંદીવાસની કબરો ખોલી નાખીશ અને તમને ફરીથી ઊભા કરીશ અને ઇસ્રાએલ દેશમાં પાછા લાવીશ. 13 તમારી કબરો ખોલીને હું તમને બહાર કાઢીશ ત્યારે તમને ખાતરી થશે કે હું યહોવા છું. 14 પછી હું મારો આત્મા તમારામાં મૂકીશ અને તમે જીવશો અને તમે તમારા પોતાના દેશમાં ઘરે પાછા ફરશો. ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ જે તમને વચન આપ્યું હતું તે હું કરી બતાવું છું.’” આ યહોવા મારા માલિકના વચન છે.

પ્રેરિતોનાં કૃત્યો 3:11-26

પિતરનું લોકોને સંબોધન

11 તે માણસ પિતર અને યોહાનને પકડી રહ્યો હતો. બધા જ લોકો અચરજ પામ્યા હતા કારણ કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેઓ પિતર અને યોહાન પાસે સુલેમાનની પરસાળમાં દોડી ગયા.

12 જ્યારે પિતરે આ જોયું, તેણે લોકોને કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ, આમાં તમે શા માટે અચરજે પામો છો? તમે અમારા તરફ એ રીતે જોઈ રહ્યો છો જાણે અમારા સાર્મથ્યથી આ માણસ ચાલતો થઈ શક્યો છે. તમે વિચારો છો અમે સારા છીએ તેથી આમ બન્યું હતું? 13 ના! દેવે જ તે કર્યું છે! તે ઈબ્રાહિમનો, ઈસહાકનો તથા યાકૂબનો દેવ છે. તે આપણા બધા પૂર્વજોનો દેવ છે. તેણે તેના વિશિષ્ટ સેવક ઈસુને મહિમા આપ્યો છે. પણ તમે ઈસુને મારી નાખવા સુપ્રત કર્યો, પિલાતે ઈસુને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પણ તમે પિલાતને કહ્યું કે તમારે ઈસુની જરુંર નથી. 14 ઈસુ પવિત્ર અને પ્રમાણિક હતો પણ તમે પવિત્ર અને પ્રમાણિક માણસની ઈચ્છા રાખી નહી. તમે ઈસુને બદલે એક ખૂનીને છોડી મૂક્વાનું પિલાતને કહ્યું. 15 અને તેથી તમને જે જીવન આપે છે તેને જ મારી નાખ્યો! પરંતુ દેવે તેને મૃત્યુમાંથી ઊઠાડ્યો. અમે તેના સાક્ષી છીએ-અમે અમારી આંખોથી તે જોયું છે.

16 “તે ઈસુનું પરાક્રમ હતું કે જેના વડે આ લંગડો માણસ સાજો થયો. આ બન્યું કારણ કે અમને ઈસુના નામમાં વિશ્વાસ હતો. તમે આ માણસને જોઈ શકો છો. અને તમે તેને જાણો છો. તે ઈસુ પરના વિશ્વાસને કારણે સંપૂર્ણ સાજો થયો હતો. જે કંઈબન્યું તે બધું તમે બધાએ જોયું હતું!

17 “મારા ભાઈઓ, હું જાણું છું કે તમે ઈસુ સાથે આમ કર્યુ કારણ કે તમે શું કરતાં હતા તે તમે જાણતાં નહોતા. તમારા અધિકારીઓ પણ સમજતા ન હતા. 18 દેવે કહ્યું કે આ વસ્તુઓ બનશે. દેવે બધા પ્રબોધકો મારફતે કહ્યું કે તેનો ખ્રિસ્ત દુ:ખ સહેશે અને મૃત્યુ પામશે. દેવે આ કેવી રીતે પૂર્ણ કર્યુ એ મેં તમને કહ્યું. 19 તેથી તમારે પસ્તાવો કરવો જોઈએ. દેવ પાસે પાછા ફરો અને તે તમારા પાપો માફ કરશે. 20 પછી પ્રભુ તમને આત્મિક તાજગી માટે સમય આપશે. તે તમને ઈસુ આપશે, તે એક ખ્રિસ્ત તરીકે પસંદ થયેલ છે.

21 “પણ જ્યાં સુધી બધી વસ્તુઓ ફરીથી બરાબર ન થાય ત્યાં સુધી ઈસુએ આકાશમાં રહેવું જોઈએ. જ્યારે તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા તે બોલ્યો હતો ત્યારે ઘણાં લાંબા સમય પહેલા દેવે આ સમય વિષે કહ્યું હતું. 22 મૂસાએ કહ્યું, ‘પ્રભુ તારો દેવ તને એક પ્રબોધક આપશે. તે પ્રબોધક તમારા પોતાના લોકોમાંથી જ આવશે. તે મારા જેવો હશે. તમને પ્રબોધક જે કહે તે સર્વનું પાલન કરવું જોઈએ. 23 અને જો કોઇ વ્યક્તિ તે પ્રબોધકની અવજ્ઞા કરશે તો, પછી તેનું મૃત્યુ થશે, અને દેવના લોકોથી તે જુદો પડશે.’

24 “શમુએલના કહ્યા પછી તેના પછીના બધા પ્રબોધકોએ દેવ વિષે કહ્યું છે. તે સર્વ જણે આ સમય માટે પણ કહ્યું છે. 25 પ્રબોધકોએ જેના વિષે કહ્યું હતું તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પૂર્વજો સાથે જે કરાર કર્યો હતો તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પિતા ઈબ્રાહિમને કહ્યું હતું. ‘પૃથ્વી પરના દરેક રાષ્ટ્ર તમારા સંતાનો દ્ધારા આશીર્વાદિત થશે.’[a] 26 દેવે તેના ખાસ સેવકને મોકલ્યો છે. દેવે ઈસુને તમારી પાસે પ્રથમ મોકલ્યો છે. દેવે તમને આશીર્વાદ આપવા માટે ઈસુને મોકલ્યો છે. તમારામાંના દરેકને ખરાબ કાર્યો કરવામાંથી પાછા ફેરવીને તે આમ કરે છે.”

યોહાન 15:12-27

12 મારી તમને આ આજ્ઞા છે કે મેં તમને પ્રેમ કર્યો છે તેવો પ્રેમ તમે એકબીજાને કરો. 13 પોતાના મિત્રને માટે જીવ આપીને જ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ પ્રેમ બતાવી શકે છે. 14 હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો. 15 હવેથી હું તમને સેવકો કહીશ નહિ કારણ કે સેવક કદી જાણતો નથી કે તેનો માલિક શું કરે છે પણ હવે હું તમને મિત્રો કહું છું કારણ કે મેં મારા પિતા પાસે સાંભળેલું બધું જ તમને કહ્યું છે.

16 “તમે મને પસંદ કર્યો નથી; મેં તમને પસંદ કર્યા છે. અને મેં તમને ત્યાં જઈને ફળ આપવાનું કામ સોંપ્યું છે. હું ઈચ્છું છું કે આ ફળ તમારા જીવનમાં ચાલુ રહે. પછી તમે મારા નામે જે કંઈ માગશો તે પિતા તમને આપશે. 17 આ મારી આજ્ઞા છે: તમે એકબીજાને પ્રેમ કરો.

ઈસુ તેના શિષ્યોને ચેતવણી આપે છે

18 “જો જગત તમને ધિક્કારે છે તો, યાદ કરજો કે જગતે મને પ્રથમ ધિક્કાર્યો છે. 19 જો તમે જગતના હોત તો જગત તમારા પર પોતાના લોકોની જેમ પ્રેમ રાખત, પણ મે તમને જગતની બહારથી પસંદ કર્યા છે. તેથી તમે જગતના નથી. તેથી જગત તમને ધિક્કારે છે.

20 “મેં તમને કહેલો પાઠ યાદ કરો: સેવક તેના માલિકથી મોટો નથી. જો લોકોએ મારું ખોટું કર્યુ હશે તો પછી તેઓ તમારું પણ ખોટું કરશે. અને જો લોકો મારા વચનનું પાલન કરશે તો પછી તેઓ તમારી આજ્ઞાનું પણ પાલન કરશે. 21 લોકો મારા કારણે આ બધું તમારી સાથે કરશે. તેઓ જેણે મને મોકલ્યો છે તેને ઓળખતા નથી. 22 જો મેં જગતના લોકોને આવીને કહ્યું ના હોત, તો પછી તેઓ પાપના દોષિત થાત નહિ. પણ હવે મેં તેમને કહ્યું છે. તેથી તેઓનાં પાપ માટે હવે તેઓની પાસે બહાનું નથી.

23 “જે વ્યક્તિ મને ધિક્કારે છે તે મારા પિતાને પણ ધિક્કારે છે. 24 તે લોકો વચ્ચે જે કામો મેં કર્યા છે તે કામો આજપર્યંત કોઈએ કર્યા નથી. જો મેં તે કામો ના કર્યા હોત તો તેઓ પાપના ગુનેગાર ના થયા હોત. પરંતુ તેઓએ આ કામો જોયા છે જે મે કર્યા છે અને છતાં તેઓ મને અને મારા પિતાને ધિક્કારે છે. 25 પણ આ બન્યું તેથી તેઓના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે સાચું પુરવાર થશે; ‘તેઓએ મારો વિનાકારણે દ્વેષ રાખ્યો છે.’

26 “હું પિતા પાસેથી તમારા માટે સંબોધક મોકલીશ. તે સંબોધક સત્યનો આત્મા છે જે પિતા પાસેથી આવે છે. જ્યારે તે આવે છે, ત્યારે તે મારા વિષે કહેશે. 27 અને તમે પણ લોકોને મારા વિષે કહેશો, કારણ કે તમે શરુંઆતથી જ મારી સાથે રહ્યા છો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International