Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 137

અમે બાબિલની નદીઓને કાંઠે બેઠા;
    સિયોનનું સ્મરણ થયું ત્યારે અમે રડ્યા.
એટલે અમે વીણાઓ વગાડવી બંધ કરી;
    અને નેતરના વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધી.
અમારા બંધકોએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું,
    જેઓએ અમને યાતના આપી હતી તેઓએ અમને જણાવ્યું કે,
    ફકત તેમને ખુશ કરવા સિયોનનાં ગીતોમાંનું કોઇ એક ગીત ગાઓ.
આ વિદેશી ભૂમિ પર આપણે યહોવાના ગીતો
    કેવી રીતે ગાઇ શકીએ?
હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ,
    “મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”
જો હું યરૂશાલેમનું સ્મરણ ન કરું,
    અને મારા ઉત્તમ આનંદ કરતાં પણ તેને શ્રેષ્ઠ ન માનું તો
મારી જીભ મારા તાળવાને ચોટી જાય
    અને હું ફરી કદી ય ગાઇ શકું નહિ.

હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ
    તે દિવસે અદોમીઓએ જે કહ્યું
તે તમે ભૂલી ન જતાં;
    તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”
હે બાબિલ તેઁ અમારો નાશ કર્યો છે એ જ રીતે તારો નાશ કરવામાં આવશે જે
    માણસ તને યોગ્ય સજા આપે તેને આશીર્વાદ આપ.
હા, જે માણસ તારાં બાળકોને ખડક પર અફાળીને મારી નાખશે;
    તે ધન્ય કહેવાશે.

ગીતશાસ્ત્ર 144

દાઉદનું સ્તુતિગાન.

યહોવા મારો ખડક છે,
    તેની સ્તુતિ કરો;
તે મારા હાથને અને મારી આંગળીઓને યુદ્ધમાં લડતાં શીખવે;
    તે મને યુદ્ધ માટે પ્રશિક્ષણ આપે છે.
તે મારો ગઢ છે; મારો કિલ્લો છે;
    મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે;
તે મારા રક્ષક છે;
    તે મારા લોકોને
મારે તાબે કરે છે.
    યહોવા મારો સાચો પ્રેમ છે.

હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો?
    તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
લોકોના જીવન તો પવનના સૂસવાટા જેવા હોય છે.
    લોકોના જીવન તો પસાર થઇ રહેલા પડછાયા જેવા હોય છે.

હે યહોવા, તમારાં આકાશોને નીચે નમાવીને ઊતરી આવો;
    પર્વતોને સ્પર્શ કરો; એટલે તેઓ ધુમાડામાં ફેરવાઇ જશે.
વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય.
    તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.
સ્વર્ગમાંથી નીચે ઊતરી આવો અને મને શત્રુઓના સમુદ્રમાંથી ઉગારો,
    મને બહાર ખેચી કાઢો,
    અને વિદેશીઓથી મને બચાવો.
તેઓ જૂઠું બોલે છે,
    તેઓ છેતરપિંડી કરે છે.

હે યહોવા, દશ તારવાળાં વાજીંત્ર સાથે હું તમારી સમક્ષ નવું ગીત ગાઇશ,
    તમારી સ્તુતિનું ગીત ગાઇશ.
10 તે રાજાઓને તારણ આપે છે;
    તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
11 આ શત્રુઓથી; આ જૂઠાઓથી; મારી રક્ષા કરો;
    આ વિદેશીઓ જે છેતરપિંડી કરે છે
    તે લોકોથી તમે મને ઉગારો.

12 અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ;
    અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
13 અમારી વખારો વિવિધ જાતના બધાં અનાજથી ભરપૂર થાઓ;
    અને તે અમને હંમેશા મળતું રહે.
અમારાં ઘેટાં અમારા વાડાઓમાં હજારોને
    દશ હજારો બચ્ચાં જણનાર થાઓ.
14     અમારા બળદો ખેતરોની પેદાશથી લાદેલા થાઓ;
અમારા નગર પર શત્રુઓનું આક્રમણ ન થાઓ;
    સર્વત્ર શાંતિ વિસ્તરો;
    શેરીઓમાં કોઇ અપરાધ ન કરો.

15 જે પ્રજાનું આ સત્ય વર્ણન છે; તે પ્રજાને ધન્ય હો.
    જે પ્રજાના દેવ યહોવા છે તેઓને ધન્ય છે.

ગીતશાસ્ત્ર 42-43

ભાગ બીજો

(ગીત 42–72)

નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબઓનું માસ્કીલ.

હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે,
    તેમ હે યહોવા, હું તમારા માટે તલપું છું.
મારો આત્મા જીવતા દેવ માટે તરસે છે.
    હું મારી જાતને એમની સમક્ષ ક્યારે હાજર કરી શકીશ?
મારા આંસુ રાત દિવસ મારો ભોજન થયા છે.
    શત્રુ મહેણા મારે છે, “તારા દેવ ક્યાં છે?”

હે મારા આત્મા, તે સમય કયાંથી વીસરી શકાય?
    ઉત્સવના દિવસોમાં હું મોટા લોકસમુદાયમાંથી પસાર થયો,
જેઓ આનંદથી યહોવાના સ્તુતિગીતો ગાતા હતાં
    અને હું સૌને એક સાથે દેવના મંદિરમાં દોરી જતો હતો.
એનું સ્મરણ કરતાં, મારું હૃદય ભાંગી જાય છે.

હે મારા આત્મા, તું ઉદાસ કેમ થયો છે?
    તું આટલો અસ્વસ્થ અને વ્યાકુળ કેમ થયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    તેમની કૃપા અને મદદ માટે હું હજી
    પણ તેમની પ્રાર્થના કરીશ.
હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે.
    તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત
    અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.
ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને
    ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.
તમારા બધા મોજાઓ
    અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.

અને છતાં યહોવા મારા માટે તેમનો સાચો પ્રેમ પ્રતિદિન દર્શાવે છે.
    અને રોજ રાત્રે હું તેમના સ્તુતિગીત ગાઉં છું, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરું છું.
દેવ મારા ખડક છે, હું તેમને કહીશ કે,
    “તમે કેમ મને ભુલી ગયા? મને કેમ તજી દીધો છે?
    શા માટે શત્રુઓના જુલમ મારે સહન કરવા પડે?”
10 તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને
    મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

11 હે મારા આત્મા, શા માટે તું આટલો દુ:ખી છે?
    તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?
દેવની મદદ માટે રાહ જો!
    જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે,
    તેનું હું હજી સ્તવન કરીશ.

હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિર્દોષ પુરવાર કરો.
    અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો,
    તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
કારણ, હે દેવ, તમે મારું સાર્મથ્ય છો.
    તમે મને શા માટે તજી દીધો?
દુશ્મનોની ક્રૂરતાને લીધે
    હું શોક કરતો ફરૂં છું.
હે યહોવા, તમારું સત્ય અને પ્રકાશ પ્રગટ કરો;
    જેથી હું માર્ગદર્શન મેળવું અને તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે.
તમે મારા અતિઆનંદ છો,
    તમારી વેદી પાસે હું જઇશ,
અને હે દેવ, મારી વીણા સાથે
    હું તમારી આભારસ્તુતિ ગાઇશ.

હે મારા આત્મા, તું શા માટે આટલો બધો ઉદાસ છે?
    તું શા માટે બેચેન છે?
દેવની મદદની રાહ જો, જે મારા મુખનું તારણ
    તથા મારા દેવ છે હજી હું તેની કૃપા
    અને મદદ માટે પ્રાર્થના કરીશ.

યર્મિયા 31:27-34

27 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હુ ઇસ્રાએલને અને યહૂદિયાને માણસોને તથા તેના પશુધનને પુષ્કળ વધારીશ. 28 ભૂતકાળમાં જેમ હું તેમને ઉખેડી નાખવા, તોડી પાડવા, ઉથલાવી પાડવા, નાશ કરવા, અને હાનિ કરવા માટે નજર રાખતો હતો તેમ હવે તેમના પર કાળજી રાખીને તેઓને સંસ્થાપિત કરીશ.” આ યહોવાના વચન છે.

29 “તે દિવસે પછી કોઇ એમ નહિ કહે કે,

‘પિતૃઓના પાપની કિમત
    તેઓનાં બાળકો ચૂકવે છે.’

30 કારણ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે. જે ખાટી દ્રાક્ષ ખાશે તેના દાંત ખટાઇ જશે.”

નવો કરાર

31 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હું ઇસ્રાએલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ. 32 મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢયા હતા ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેમનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.

33 “પરંતુ હવે ઇસ્રાએલના લોકો સાથે જે કરાર કરીશ તે આવો હશે: હું મારા નિયમો તેમના અંતરમાં ઠસાવીશ અને તેમનાં હૃદય પર લખીશ. હું તેમનો દેવ થઇશ. અને તેઓ મારી પ્રજા થશે. 34 તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઇ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ.” આ યહોવાના વચન છે.

રોમનો 11:25-36

25 ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે. 26 અને એ રીતે આખા ઈસ્રાએલને બચાવશે. શાસ્ત્રોમાં લખેલું છે:

“સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે;
    તે યાકૂબના કુટુંબના અધર્મને તથા સર્વ અનિષ્ટોને દૂર કરશે.
27 અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ,
    ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે.” (A)

28 યહૂદિઓ સુવાર્તા સ્વીકારવાનો ઈન્કાર કરે છે, તેથી તેઓ દેવના શત્રું છે. તમે બિનયહૂદિઓને મદદ કરવા આમ કર્યુ છે. પરંતુ એ ભૂલશે નહિ કે યહૂદિઓ હજૂ પણ દેવની ખાસ પસંદગી પામેલા લોકો છે. તેથી દેવ તેઓને ખૂબજ ચાહે છે. દેવે તેમના બાપદાદાઓને વચનો આપ્યાં હતાં, તેથી દેવ તેમને ચાહે છે. 29 દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી. 30 એક સમય એવો હતો કે જ્યારે તમે દેવના આદેશનો અનાદર કરતા હતા. પરંતુ હમણા તમે દયાપાત્ર બન્યા, કેમ કે પેલા યહૂદિ લોકોએ દેવ-આજ્ઞાનો અનાદર કર્યો છે. 31 અને હવે યહૂદિઓ આજ્ઞાપાલનનો અનાદર કરે છે, કેમ કે દેવે તમને ક્ષમા આપી છે. પરંતુ આમ એટલા માટે બન્યું, જેથી તેઓની ઉપર દેવ દયા કરે. 32 દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો જ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે.

દેવની સ્તુતિ

33 હા, દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે! દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે! દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે! દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. 34 શાસ્ત્ર કહે છે તેમ,

“પ્રભુનું મન કોણે જાણ્યું છે?
    તેનો મંત્રી કોણ થયો છે?” (B)

35 “દેવને કોઈએ કઈ પણ ક્યારે આપ્યું છે?
    દેવ કોઈ પણ વ્યક્તિનો ઋણી નથી. જેથી કોઈને પાછું ભરી આપવામાં આવે?” (C)

36 હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.

યોહાન 11:28-44

ઈસુ રડે છે

28 માર્થાએ આ બાબત કહી પછી તેની બહેન મરિયમ પાસે પાછી ગઈ. માર્થાએ એકલી મરિયમ સાથે વાત કરી. માર્થાએ કહ્યું, “ગુરુંજી (ઈસુ) અહીં છે. તે તને બોલાવે છે.” 29 જ્યારે મરિયમે આ સાંભળ્યુ, તે ઊભી થઈ અને ઝડપથી ઈસુ પાસે ગઈ. 30 ઈસુ હજુ ગામમાં આવ્યો ન હતો. તે હજુ માર્થા તેને જ્યાં મળી તે જગ્યાએ હતો. 31 યહૂદિઓ મરિયમ સાથે ઘરમાં હતા. તેઓ તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ ઉતાવળથી ઊભી થઈને બહાર ગઈ. તેઓએ ધાર્યું કે તે લાજરસની કબર તરફ જાય છે. તેઓએ વિચાર્યુ કે તે ત્યાં વિલાપ કરવા જાય છે. તેથી તેઓ તેને અનુસર્યા. 32 મરિયમ ઈસુ જે જગ્યાએ હતો ત્યાં ગઈ. જ્યારે તેણે ઈસુને જોયો. તે તેના પગે પડી. મરિયમે કહ્યું, “પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”

33 ઈસુએ જોયું કે મરિયમ રડતી હતી. ઈસુએ તે પણ જોયું કે યહૂદિઓ તેની સાથે આવ્યા હતા. તેઓ પણ રડતા હતા. ઈસુનું હૃદય ઘણું દુઃખી થયું અને તે ઘણો વ્યાકુળ હતો. 34 ઈસુએ પૂછયું, “તમે તેને (લાજરસ) ક્યાં મૂક્યો છે?”

તેઓ કહે છે, “પ્રભુ આવીને જો.”

35 ઈસુ રડ્યો.

36 અને યહૂદિઓએ કહ્યું, “જુઓ! ઈસુ લાજરસ પર પ્રેમ રાખતો હતો!”

37 પણ કેટલાક યહૂદિઓએ કહ્યું, “ઈસુએ આંધળા માણસની આંખો સાજી કરી છે. ઈસુમાં શું લાજરસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”

ઈસુ લાજરસને ફરીથી સજીવન કરે છે

38 ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું.

જ્યાં લાજરસ હતો તે કબર પાસે ઈસુ આવ્યો. તે કબર એક ગુફા હતી. તેના પ્રવેશદ્વારને મોટા પથ્થર વડે ઢાંકેલું હતું. 39 ઈસુએ કહ્યું, “આ પથ્થરને દૂર કરો.”

માર્થાએ કહ્યું, “પણ પ્રભુ, લાજરસને મરી ગયાને હજુ ચાર દિવસ થયા છે. ત્યાં દુર્ગંધ હશે.” માર્થા મૃત્યુ પામનાર માણસ (લાજરસ) ની બહેન હતી.

40 પછી ઈસુએ માર્થાને કહ્યું, “યાદ કર મેં તને શું કહ્યું હતું?” મેં કહ્યું, “જો તું વિશ્વાસ કરશે તો પછી તું દેવનો મહિમા જોઈ શકશે.”

41 તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો. પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું. કારણ કે તેં મને સાંભળ્યો. 42 હું જાણું છું કે તુ મને હંમેશા સાંભળે છે. પરંતુ મેં આ કહ્યું કારણ કે અહીં મારી આજુબાજુ લોકો છે. હું ઈચ્છું છું કે તેઓ વિશ્વાસ કરે કે તેં મને મોકલ્યો છે.”

43 ઈસુએ આમ કહ્યા પછી મોટા સાદે પોકાર કર્યો, “લાજરસ બહાર આવ!” 44 તે મૃત્યુ પામેલ માણસ (લાજરસ) બહાર આવ્યો. તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા. તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો.

ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.”

યોહાન 12:37-50

યહૂદિઓએ ઈસુમાં વિશ્વાસ કરવાની ના પાડી

37 ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. લોકોએ આ બાબતો જોઈ. પણ તેઓએ હજુ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ. 38 તે સંપૂર્ણ રીતે સમજાવવા યશાયા પ્રબોધકે કહ્યું:

“પ્રભુ, અમે તેઓને જે કહ્યું છે તેને કોણે માન્યું છે?
    પ્રભુની સત્તા કોણે જોઈ છે?” (A)

39 આના કારણે જ લોકો વિશ્વાસ કરી શક્યા નહિ. કારણ કે યશાયાએ વળી કહ્યું હતુ કે,

40 “દેવે લોકોને આંધળા બનાવ્યા.
    દેવે તેમનાં મન જડ કર્યા દેવે
આ કર્યુ તેથી કરીને તેઓ પોતાની આંખોથી આ જોઈ શકે નહિ
અને તેમના મનથી સમજે નહિ. રખેને હું તેઓને સાજા કરું.” (B)

41 યશાયાએ આ કહ્યું કારણ કે તેણે તેનો (ઈસુનો) મહિમા જોયો. તેથી યશાયા તેના (ઈસુ) વિષે બોલ્યો.

42 પરંતુ ઘણા લોકોએ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. ઘ્ૅંણા યહૂદિ આગેવાનોએ પણ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. પરંતુ તેઓ ફરોશીઓથી બીતા હતા. તેથી તેઓ જાહેરમાં કહી શકતા નહોતા કે તેઓએ વિશ્વાસ મૂક્યો છે. તેઓને ભય હતો કે તેઓ તેમને કદાય સભાસ્થાનમાંથી કાઢી મૂકે. 43 આ માણસો દેવ તરફથી થતી પ્રસંશા કરતાં માણસો તરફથી થતી પ્રસંશાને વધારે ચાહતા હતા.

ઈસુનો બોધ લોકોનો ન્યાય કરશે

44 પછી ઈસુએ મોટા સાદે કહ્યું, “જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેણે ખરેખર જેણે (દેવે) મને મોકલ્યો છે તેનામાં પણ વિશ્વાસ કરે છે. 45 જે વ્યક્તિ મને જુએ છે તે ખરેખર જેણે મને મોકલ્યો છે તેને જુએ છે. 46 હું પ્રકાશ છું અને હું આ જગતમાં આવ્યો છું. હું આવ્યો છું જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ જે મારામાં વિશ્વાસ કરે છે તે અંધકારમાં રહે નહિ.

47 “હું જગતમાં લોકોનો ન્યાય કરવા આવ્યો નથી. હું જગતના લોકોને બચાવવા માટે આવ્યો છું. તેથી જે લોકો મારી વાતોને સાંભળે છે પણ પાલન કરતા નથી તેનો ન્યાય જે કરે છે તે હું નથી. 48 જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરવાની ના પાડે છે જે કહું છું તેનો સ્વીકાર કરતાં નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તે વ્યક્તિનો ન્યાય કરશે. 49 શા માટે? કારણ કે આ વાતો મારી પોતાની નથી. પિતાએ જેણે મને મોકલ્યો છે તેણે શું કહેવું અને શું શીખવવું તે મને કહ્યું છે. 50 પિતા જે આજ્ઞા કરે છે તેમાંથી અનંતજીવન આવે છે તે હું જાણું છું, તેથી હું જે કઈ કહું છું તે પિતાએ મને કહ્યું છે તે જ હું કહું છું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International